Wednesday, September 24, 2008

‘એ વેનસડે’ વિશે થોડું (ઘણું) વઘુ

‘જોવા જેવી ફિલ્મ’ના વિભાગમાં ગમતી ફિલ્મો વિશે જેવું ઉપરછલ્લું- ઇમ્પ્રેશનિસ્ટીક કહેવાય એવું- લખું છું, એવું જ ‘ન ગમતી ફિલ્મ’ તરીકે ‘એ વેનસડે’ વિશે લખ્યાથી મિત્રો ખાસ્સા નારાજ થયા છે. ગમતી ફિલ્મોની જેમ અણગમતી ફિલ્મ વિશે ‘ડાબા હાથે’ લખવાથી ચાલી જશે, એવું મને લાગતું હતું. પણ એમ કરવામાં મિત્રો સમક્ષ હું મારો મુદ્દો કે મુદ્દા યોગ્ય રીતે રજૂ કરી શક્યો નહીં, એ બાબતે હું દિલગીર છું અને પાઠ પણ શીખ્યો છું: ‘વખાણ કે ગમો કારણ-તર્ક-મુદ્દામાં ઉતર્યા વિના વ્યક્ત કરી શકાય, પણ (લેખિતમાં) ટીકા કરતી વખતે, એક મિત્રએ કમેન્ટમાં લખ્યું છે તેમ, કાં મુદ્દાસર લખવું કાં લખવું જ નહીં.’ ભલે આકરાપણાથી, પણ મૂળભૂત સૌજન્ય જાળવીને વાંધા વ્યક્ત કરનાર સૌ મિત્રોનો આભાર માનું છું.

હવે થોડુંક ફિલ્મ વિશે મુદ્દાસરઃ

વેનસડેઃ થ્રીલર તરીકે

એ માત્ર થ્રીલર હોત તો મને ગમી ન હોત- થીયેટરમાં જઇને જોવા જેવી ન લાગી હોત, પણ એ મારો એવો અંગત અભિપ્રાય બનત કે જેના વિશે મેં બ્લોગ પર લખ્યું ન હોત. છતાં, ફક્ત ટીકા કરીને આગળ વધવાનું નથી એટલે લખું છું. થ્રીલર તરીકે મને ફિલ્મમાં કેટલાક મૂળભૂત વાંધા એ લાગ્યા કે -

  • એક સામાન્ય માણસ આરડીએક્સ જેવી સામગ્રી, કમ્પ્યુટર અને મોબાઇલને લગતો આઘુનિક સરંજામ તથા આવું મોટું ‘પરાક્રમ’ કરવાની હિંમત અને તે કરતી વખતની ઠંડક ક્યાંથી લાવ્યો, તેનો ખુલાસો ફિલ્મમાં મળતો નથી. આરંભમાં કે વચ્ચે નહીં, તો કમ સે કમ છેલ્લે આખી સ્ટોરીલાઇનને નક્કરતા આપવા માટે તે જરૂરી હતું. ‘કોમનમેનનું ફ્રસ્ટ્રેશન’ ઠીક છે, પણ એ સૌથી નીચેનું પગથીયું છે અને ફિલ્મની સ્ટોરીમાં જે બતાવ્યું છે એ સૌથી ઉપરનું. તેની વચ્ચેનું અંતર શી રીતે તય થયું, તે ‘ડોક્યુમેન્ટરી’ની જેમ નહીં, તો ફિલ્મની જેમ પણ બતાવી શકાય. બતાવવું રહ્યું.
  • ફિલ્મની સ્ટોરીલાઇન બહુ પાતળી છે અને તેને પોણા બે કલાક સુધી લંબાવવા માટે વચ્ચે જે પ્રકારનું અસરકારક અને રેલેવન્ટ પેડિંગ થવું જોઇએ, એ થયું નથી. અહીં થયેલું પેડિંગ મને નબળું લાગ્યું.
  • અનુપમ ખેર અને નસીરૂદ્દીનના અભિનય વિશે જયેશ અઘ્યારૂથી માંડીને જેરી પિન્ટો સુધીના પ્રીતિપાત્રો વખાણ કરતા હોય, ત્યારે તેમનાથી જુદા પડવાનું ગમતું નથી. છતાં, મારી પહેલી પ્રતિક્રિયા તરીકે અને મિત્રોના તીવ્ર પ્રતિભાવો વાંચ્યા પછી નવેસરથી મેં વિચારી જોયું. પણ યાદગાર, નોંધપાત્ર કે ઉલ્લેખનીય એક્ટિંગ કહેવાય એવું કશું મને યાદ આવ્યું નહીં. એમની એક્ટિંગ ખરાબ છે, એવો મતલબ નથી. નસીરૂદ્દીને અને અનુપમ ખેરે ડાયરેક્ટરે કહ્યું એમ કર્યું છે. ફાઇન. પણ એમાં કશું વિશેષ નથી. રોલની ડીમાડ તરીકે ઠંડકવાળા કોમનમેન તરીકેની એક્ટિંગમાં નસીરૂદ્દીનને તેની આવડત કે ક્ષમતાનો બહુ ઓછો હિસ્સો વાપરવાનો થાય છે. અનુપમ ખેર પાસે વધારે તકો અને વધારે વૈવિઘ્યપૂર્ણ સિચ્યુએશન્સ છે. તેમની એક્ટિંગ વિશેષ નોંધપાત્ર છે કે નથી એ વિશે મતભેદ હોઇ શકે. મને નથી લાગી. તમને લાગી હોય તો એનો વિરોધ કરવા ઇચ્છતો નથી.

વેનસડેઃ વર્તમાન સાથેના સંબંધ વિશેઃ

આ ફિલ્મ મેં લખ્યું તેનું મૂળ અને મુખ્ય કારણ વર્તમાન સંદર્ભ સાથેનો તેનો સંબંધ છે. આવી ફિલ્મોનો કોઇ લેખિત દાવો હોય કે ન હોય, તો પણ વર્તમાન અને વાસ્તવિકતા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ અને ખટકે એવો છે.

  • ફિલ્મનો કેન્દ્રીય ઘ્વનિ એ છે કે ૧) પોલીસ પાસે પૂરતી સત્તા કે સાધનો નથી એટલે પોલીસ લાચારી અનુભવે છે. તેમને છૂટો દોર આપવામાં આવે તો એ અસરકારક બની શકે. પરંતુ, રક્ષણ માટે મુકાયેલો કોન્સ્ટેબલ છોકરીની છેડતી કરે ત્યારે તેનો ઉપરી શું કરે છે? એ આખી સિકવન્સ અને તેની ક્રુડનેસ યાદ કરવા જેવી છે. તેનો સાર એટલો કે કાયદો પડે ખાડામાં. સ્થળ પર જ નિકાલ કરી નાખોઃ પછી એ બીજો પોલીસ હોય, ગુંડો હોય કે પ્રજા હોય.

પોલીસની આ વર્તણૂંકને સ્વીકાર્ય બનાવવાની વાતો કરવી બહુ સહેલી અને આકર્ષક છે. મુ.નગીનદાસ સંઘવીએ આજના ‘ભાસ્કર’ની કળશ પૂર્તિમાં એ જ મતલબનું લખ્યું છે. પરંતુ ફિલ્મ હોય કે મુ. સંઘવીસાહેબ, તે એવું કલ્પીને ચાલે છે કે પોલીસ તો હંમેશાં કાયદો-વ્યવસ્થા અને સચ્ચાઇની સાથે જ રહેશે. આવી ધારણા તે કયા આધારે બાંધવામાં આવે છે તે સમજાતું નથી.

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોના ભ્રષ્ટાચાર, અમર્યાદ સંપત્તિ, અમર્યાદ દાદાગીરી અને અન્ડરવર્લ્ડના સંપર્કો વિશે આટલું બઘું જાણ્યા પછી અને ગુજરાતમાં કોમી હિંસા દરમિયાન પોલીસ જે હદે તમાશબીન બનીને કે સત્તાધીશોની આજ્ઞાંકિત બનીને ઊભી રહી- પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવનારને પનિશમેન્ટ પોસ્ટિંગ અપાયાં- એ બઘું જાણીને પણ પોલીસને અમર્યાદ સત્તા આપતા કાયદા લાવવાનું અને આપીને તેમની પર આંખ મીંચીને વિશ્વાસ મુકવાનું કહેવામાં આવે છે. આ ચર્ચા આગળ લાંબી ચાલે એમ છે. એ માટે અલગ લેખ કરવા ધારૂં છું. પણ ‘વેનસડે’માં રજૂ થતા ઘટનાક્રમ અને ઝુકાવના સંદર્ભમાં આટલું.

  • ‘સામાન્ય માણસનો બદલો’નો ખ્યાલ આકર્ષક છે- જયેશ અઘ્યારૂ કહે છે તેમ, એ ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ હોઇ શકે છે. તો ભલે રહ્યું. મને એ માન્ય નથી. ‘સામાન્ય માણસ હતાશ થઇ જાય, તેનું કોઇ સાંભળે નહીં તો શું કરે?’ આ વાતને ફક્ત હિંદુ સમાજના જ નહીં, મુસ્લિમ સમાજના સંદર્ભમાં પણ વિચારવા જેવી નથી લાગતી? હિંદુ હોય કે મુસ્લિમ, હતાશાને કારણે કોઇને શસ્ત્ર હાથમાં ઉઠાવવાનું લાયસન્સ મળી જતું નથી.

ફિલ્મ રજૂ થાય પછી તે ફક્ત ‘ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ’ મટી જાય છે. તેનો વિષય આટલો સંવેદનશીલ અને લોકલાગણીને ચોક્કસ રીતે અસર કરી શકતો હોય ત્યારે તો ખાસ. સામાન્ય માણસોને આટલો બધો ગુસ્સો આવતો હોય અને બે-ચાર ત્રાસવાદીઓને ઉડાડી દેવાથી મઝા પડી જવાની હોય, તો એ બહુ સસ્તો સોદો છે અને નેતાઓને એ જ જોઇએ છેઃ બે-ચાર એન્કાઉન્ટર કરીને વ્યાપક (લાર્જર) સમસ્યાને જાજમ તળે ધકેલી દેવી. આ સંબંધે વઘુ લખવાને બદલે ઓગસ્ટમાં મુકેલો મારો લેખ ‘બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો’ જોવા ભલામણ છે.

  • ‘દરેક વાતમાં મોદીને વચ્ચે ન લાવશો’ એ કહેવાનું ઠીક ચલણ થઇ ગયું છે. એક લેખ હું એ વિશે પણ કરવાનો છું - ઘણી વાતોમાં મોદીને શા માટે વચ્ચે લાવવા પડે છે અને મને બિનઅંગત કારણોસર મુખ્ય મંત્રી કેમ ગમતા નથી- એ વિશે. પરંતુ મોદીના પ્રેમી તરીકે કે તેમના ઉલ્લેખોથી કંટાળેલા વ્યક્તિ તરીકે આ બાબતથી ખીજાતા લોકોને મારે એટલું જ કહેવાનું કે જે જે મુદ્દે મોદીની ટીકા થાય છે, તેની મેરિટ વિશે તમારે કંઇ કહેવાનું નથી? સરકારી પ્રચારનાં પૂર સામે, મુખ્ય મુદ્દાને બાજુ પર ધકેલવાના સરકારી પ્રયાસો સામે અને અંજાયેલી પ્રજાના મનમાં વાજબી મુદ્દા ઠસાવવા માટે ‘હેમરીંગ’ કરવું પડે, એ ‘પાછળ પડવું’ કહેવાતું હોય તો ભલે કહેવાતું. જે મુદ્દે ટીકા થઇ હોય તે ખોટો હોય, તેમાં ભૂલ હોય, પ્રમાણભાન ન જળવાયું હોય તો કાન પકડજો. સ્વીકારીશ. પણ ‘હવે મોદીને વચ્ચે ન લાવશો.’ એ સૂચન ફક્ત ‘કંટાળો આવે છે’ કે ‘મોદીપ્રેમી તરીકે અમને ગમતું નથી’ એવાં કારણોસર પાળવાનું અઘરૂં છે.

2 comments:

  1. I always felt that your first post on 'a Wednesday' was written in a hurry. It did not leave any scope of opening up some issues related to the film. Your second post justifies it a great deal...

    I liked a few stands taken in the film like not giving a name to the 'common man', not having a direct motif of someone from his family being killed in any terror attacks etc. I didn't expect that from Bollywood...So it was a surprise. Secondly, the larger issue here is the unheard voices of the ordinary people and their fear and anxieties not getting reflected anywhere. In case of developmental issues, these voices take a very convenient stand, but when there is an issue of their own security, then these voices are going to get more aggressive. The issue of terrorism is going to stay for a while and we are going to witness more such films that celebrate this aggression.

    I agree with your positions in the second post. I will be waiting for your post on 'Modi-mania'.

    ReplyDelete
  2. Don't evaluate the film as "it is seen". No. A Wednessday is not an ordinary commercial film which can be judged from the entertainment value. Yes, I agree that what is shown in the film is apparently not possible and even acceptable. A common man can not make all such arrangement for killing the terrorist. Nor should a common man should take the charge of law and order in his hand.

    But, the message the film gives is not like that. The film just want to depict the 'mind-status' of present common man constantly living under the fear of terrorism. He can do anything. Starting from just praying God to killing someone to committing suicide.

    The film was one of best made in near past.

    ReplyDelete