Tuesday, April 25, 2017

અડવાણીઃ જે પોષતું, તે મરાતું?

રાજકારણનો ધંધો ગેંગ જેટલો જ કે ગેંગ કરતાં વધારે ખતરનાક છે. ગેંગ વિશે બે વાતનું સુખ હોય છેઃ એક તો, તે લોકસેવા કે લોકોનું પ્રતિનિધિત્વ કરતો પક્ષ નથી અને સત્તા-સંપત્તિ માટે ચાલતી ગેંગ છે તેની બધાને ખબર હોય છે.  બીજું, તેનું કામ બંદૂકના કે રૂપિયાના જોરે ચાલે છે--ચાલી જાય છે. દેશના બંધારણ ને બંધારણીય સંસ્થાઓ સુધી પહોંચવાની તેને જરૂર પડતી નથી. પોલીસ-ન્યાયતંત્ર સાથે તેનો પનારો સતત ખરો ને તેમાં છીંડાં પાડવાના પ્રયાસ તે કરે, પણ તેના પાયામાં ઘા કરવાનું ગેંગની પહોંચથી બહાર રહે છે. રાજકારણમાં એ સુવિધા પણ મળી રહે છે.  હિંદી ફિલ્મોના પ્રતાપે સૌ જાણે છે કે કાનૂનના હાથ લાંબા હોય છે, પણ કાનૂનના લાંબા હાથ મરોડીને કાનૂનની જ કાનપટ્ટી પકડાવવાનું કામ રાજનેતાઓ કરી શકે છે. (ઘણા) રાજકીય પક્ષોની જેમ ગેંગમાં એક જ બોસ હોય છે. બાકીના બધા પીટર-રોબર્ટ-ટોની-માઇકલ (કે એવા પ્રકારનાં ભારતીય નામ). ગેંગમાં વડીલોનું કામ હોતું નથી--આજ્ઞાંકિત ન હોય એવા વડીલોનું તો બિલકુલ જ નહીં. રાજકારણમાં પણ લગભગ એવું જ હોય છે. એ કઠોર સત્ય સમજવામાંથી નાદુરસ્ત વાજપેયી બચી ગયા, પણ તંદુરસ્ત અડવાણી-મુરલી મનોહર જોશીને તે બરાબર સમજાઈ રહ્યું છે.

અડવાણી વિશે આગળ વાત કરતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લેવી જોઇએ કે માત્ર ને માત્ર માનવીય ધોરણ સિવાય બીજી કોઈ રીતે તેમની દયા ખાઈ શકાય તેમ નથી.  વડાપ્રધાન મોદીની ઘણી કાર્યપદ્ધતિ સામે વાંધો હોય, તેનાથી અડવાણી આદરણીય રાજપુરુષ બની જતા નથી--અને છેલ્લા એકાદ દાયકામાં તેમણે કરેલાં છૂટાંછવાયાં નિવેદનોના જોરે તે કોમવાદી રાજકારણના રીઢા આરોપી મટી જતા નથી.
વાસ્તવમાં દેશના રાજકારણને નિર્ણાયક કોમવાદી વળાંક આપવામાં અડવાણી અગ્રસ્થાને રહ્યા છે. સરદાર પટેલને મુસ્લિમવિરોધી તરીકે ખપાવવામાં અને એ જ 'લાયકાત'થી પોતાને 'છોટે સરદાર' માનવાની બાબતમાં અડવાણી નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા.

ગાંધીજીની હત્યા પછી દેશમાં લાંબા સમય સુધી કોમી તોફાન બંધ રહ્યાં. પરંતુ રાષ્ટ્રવાદના નશીલા પ્રવાહીમાં કોમવાદનું ધીમું ઝેર ભેળવીને તેનું વિતરણ ધીમી ધારે સતત ચાલુ રહ્યું. તેની રાજકીય રોકડી કરવાનો મોકો દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન સમાપ્ત થયા પછી આવ્યો. ત્યારે વી.પી.સિંઘે મંડલ પંચના અભરાઈ પર ચઢાવાયેલા અહેવાલ પરથી ધૂળ ખંખેરીને ઓબીસી માટે 27 ટકા આરક્ષણની ભલામણનો અમલ કર્યો. દેશભરમાં ખળભળાટ મચ્યો. તે સમીકરણનોનો આધાર જ્ઞાતિ હતી. તેની સામે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન નિમિત્તે કોમી ધ્રુવીકરણનો માહોલ ઊભો કર્યો.  'મંડલ વિરુદ્ધ કમંડલ' તરીકે ઓળખાયેલું આ રાજકીય દંગલ ભાજપને ઘણું ફળ્યું. તેણે ભાજપને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા, 'લુનેટિક ફ્રિંજ' એટલે કે છેવાડે રહીને ઉધમ મચાવતા પક્ષને બદલે મુખ્ય ધારાના રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કર્યો.

ગઝનીના મહેમૂદે કરેલા સંખ્યાબંધ હુમલા પછીનાં વર્ષોમાં સોમનાથ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યનું કેન્દ્ર બન્યું હોય કે નહીં, પણ વીસમી સદીમાં (આગળ જતાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક બનેલા) કનૈયાલાલ મુનશીની નવકથાઓએ સોમનાથ સાથ કથિત હિંદુ ગૌરવના રાજકારણને આકાર આપવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેથી રામમંદિરની 'મંદિર વહીં બનાયેંગે’ ઝુંબેશ માટે રથયાત્રાના આરંભબિંદુ તરીકે સોમનાથની પસંદગી સમજાય એવી હતી. સોમનાથથી અયોધ્યાની એ યાત્રા હિંદુઓળખના નામે કોમવાદી રાજકારણને નવેસરથી સ્થાપિત કરવામાં, મુસ્લિમવિરોધ પ્રત્યેનો ખચકાટ દૂર કરીને તે દ્વેષને સરાજાહેર- મુખ્ય ધારામાં લઈ આવવામાં અને કોંગ્રેસના સગવડિયા સેક્યુલરિઝમની સાથોસાથ જમીની હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્વ, , સર્વધર્મસમભાવ જેવી બાબતોના પાયામાં ઘા કરવામાં મહત્ત્વની બની. આ કામ પાર પાડવામાં અડવાણી એકલા ન હતા. સાધ્વી ઋતંભરા જેવાં બિનરાજકીય પાત્રોથી માંડીને સંઘ પરિવારનાં અન્ય સંગઠનો અને ભાજપના નેતાઓ પણ તેમાં સામેલ હતા.  એ સમયના, હિંદુ કટ્ટરવાદના મહા-રથી તરીકે ઉભરેલું નામ અડવાણીનું હતું.  

હિંદુ ગૌરવના નામે કોમી ધ્રુવીકરણના પ્રતિક જેવી સોમનાથ-અયોધ્યા રથયાત્રામાં અડવાણીના સારથી (ભલે કૃષ્ણ જેવા નહીં) નરેન્દ્ર મોદી હતા. એ વિશે સોમનાથમાં એપ્રિલ, 2017માં બોલતી વખતે ગુજરાતના એક મંત્રી ગૌરવથી કેવા ફાટફાટ થઈ શકે છે, એ તેમના જ શબ્દોમાંઃ'તમને આ જણાવતાં આનંદ થાય છે કે આ સમગ્ર રથયાત્રાના શિલ્પી, સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રામનામના ઝંકારો, આખા દેશની અંદર પ્રસ્થાપિત કરવા અમે સમર્પિત થયા હતા.’

કોમી દ્વેષ અને વૈમનસ્ય ભડકાવનારી રથયાત્રાના 'શિલ્પી’ આજકાલ 'ન્યૂ ઇન્ડિયા’ના ઘડતરમાં વ્યસ્ત છે અને 'છોટે સરદાર'માંથી 'મોટે નહેરૂ'ની ઐતિહાસિક ભૂમિકા માટે આગળ વધી રહ્યા છે. એ ચહેરાંમહોરાં વળી જુદી ચર્ચાનો વિષય છે, પણ રથના અસવાર, એનડીએ સરકારના વખતના નાયબ વડાપ્રધાન અને 'લોહપુરૂષ’ અડવાણી હવે ભંગારખાતે છે.  નાયબ વડાપ્રધાન અને પીએમ-ઇન-વેઇટિંગ (પ્રતીક્ષારત ભાવિ વડાપ્રધાન) સુધી પહોંચેલા અડવાણી તેમના ખંડ-શિષ્ય નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી, ચાલાકી, આયોજન, વ્યૂહબાજી અને નાણાંકીય તાકાત સાથે કદમ મિલાવી શક્યા નહીં. એટલે 2002માં ગુજરાતની કોમી હિંસા પછી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બચાવનાર અડવાણી એક દાયકામાં એ જ મોદીના નબળા હરિફ બની ગયા. ‘નરેન્દ્ર મોદીને રૂપિયાની શી જરૂર? તેમને ક્યાં પરિવાર છે?’ આવી બાળબોધી દલીલ કરનારા (ઘણી બાબતોની જેમ) એ વિચારતા નથી કે ગુજરાતમાં રહીને નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય સંગઠનને અને સંઘ પરિવારને શી રીતે વશ કર્યાં.

ઉંમરની અસર, વધુ પડતો આત્મવિશ્વાસ,  'હાર્યો જુગારી બમણું રમે'ની વૃત્તિ--આવાં એક કે વધુ કારણે અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકાનો રસ્તો અપનાવ્યો અને નાના ફટાકડા ફોડતા રહ્યા,  જે દેખાવમાં બોમ્બ લાગે પણ ફૂટે ત્યારે ટેટી જેવી અસર થાય.  એ વખતની અડવાણીની સ્થિતિ 2002 પછીના ગુજરાતમાં કેશુભાઈ પટેલની સ્થિતિની યાદ અપાવે એવી હતી. કેશુભાઈ એટલા નસીબદાર કે તેમને જતી જિંદગીએ કોરટકચેરી થાય એવા સંજોગો ઊભા ન થયા અથવા તે નહીં સમજે તો એવા સંજોગો ઉભા થઈ શકે તેમ છે, એવા ઈશારાથી તે સમજી ગયા. સચ્ચાઈ જે હોય તે, પણ અડવાણી-મુરલી મનોહર જોષી-કલ્યાણસિંઘ-ઉમા ભારતી જેવા નેતાઓ સામે સર્વોચ્ચ અદાલતે બાબરીધ્વંસ કેસમાં ગુનાઇત કાવતરાનો આરોપ બહાલ કરતાં--અને તેમાં સરકારી એજન્સી ગણાતી સીબીઆઈની ભૂમિકા ધ્યાનમાં રાખતાં--અડવાણી ફસાયા છે. જે પક્ષને સત્તા પર આણવા માટે અડવાણીએ કોમી દ્વેષ અને ધ્રુવીકરણનો આશરો લીધો-અશાંતિનો માહોલ જગાડ્યો, એ પક્ષની સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર કેન્દ્રમાં છે અને 89 વર્ષના અડવાણીના માથે કોર્ટયોગ-જેલયોગ તોળાઈ રહ્યા છે.  કર્મના સિદ્ધાંત કે કવિન્યાય જેવું કશું રાજકારણમાં હોતું નથી. છતાં, અડવાણીની વર્તમાન સ્થિતિ એવી છે કે તેમના માટે એ લાગુ પાડવાની લાલચ થઈ આવે.

5 comments:

  1. ગમ્મે તેવો વાસ્તવવાદી રેશનાલિસ્ટ પણ 'ઉપરવાળાના દંડા' વાળા ન્યાયમાં માનતો થઈ જાય એવું બનતું જ રહે છે. પોતાના ભવ્ય વર્તમાન ઉપર ગર્વ/મદથી છકી જનારાઓએ આવા ભવિષ્યની ગણત્રી રાખવી જ રહી.

    ReplyDelete
  2. Anonymous10:43:00 PM

    True . But people are blind today. Knowingly they don't want to know fact and reality.

    ReplyDelete
  3. ઉર્વીશ ભાઈ કોઠારી, તમારા લેખમાં તમે લાલકૃષણ અડવાણીને જાણે પડતા પર પાટુ પડે પડે તેમ નીચે ઉતારી પાડ્યા છે,રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી તે આ ખંધા રાજકારણીયો પણ સારી રીતે જાણે છે!ત્યાં કોઈજ
    તમે લખ્યું તેમ 'કર્મના નિયમો' ચાલતા નથી.
    જેમ કહેવાય છે 'પાપનું પોત કોઈવાર તો પોકારતું' થઇ જતું હોય છે,અહીં 'પાપ'શબ્દને ધાર્મિક અર્થમાં નહિ લેતા કહેવાનું કે નેતા લોકોના કરતૂતો બહુ સમય છાના પણ નથી રહેતા,આજના 'સોશિયલ મીડિયા'ના યુગમાં લોકો જુઠા પ્રચાર તો કરે પણ બહુ સમય તેમનું જુઠાણું ચાલતું નથી,લોકો 'વાતોમાં આવી ભોળવાય જતા હોય છે' તેવી વાતો પણ ઠીક નથી.હા ભાષણોની અસર રહે છે પણ તેમાં 'ગપગોળા' પણ નથી ચાલતા,હિન્દુસ્તાનનો આજનો જે રાજકીય 'માહોલ' છે તેમાં તો પુરા દેશમાં ભાજપને ટક્કર મારે તેમ કોઈ પક્ષમાં લાગતું નથી,તેઓનો જે કોઈ 'Agenda'હોય તેમાં જલ્દીથી છેદ પાડવાનું કામ વિરોધ પક્ષના નેતાઓમાં કોઈ એવા કોઈ નેતાઓ પણ નથી દેખાતા,કહેવાતા બધાય નેતાઓની બધાયની છબીઓ ખરડાયેલી છે તેથી ક્યાં મોઢે પોતાનો બચાવ કરે કે પોતે ચૂંટાય આવશે તો વધુ સારું કામ કરશે!
    અડવાણી અને તેના સાથીઓને સુપ્રીમ કોર્ટ જે ન્યાય આપે કરે તે જોવાનું રહ્યું, પરંતુ ભાજપ અને સંઘ તો પોતાના હિન્દ્સ્તાનના વિકાસ માટેના 'Ajenda'માટે કોઈની રાહ નહિ જોવે.તાજેતરની ચુંટણીઓમાં ભાજપે જે પોતાનું હીર કહો કે 'જોર' બતાવ્યું છે તેમાં આમ જનતા કે કોઈજ
    વિરોધી પક્ષના આનાકાની કે વાહિયાત દલીલો કરી નાં શકે કે આ ષડયંત્ર કે 'ફ્રોડ' છે.
    ઉર્વીશ ભાઈ તમારા રાજકીય લેખો વાંચવા ગમે છે પણ એક વાત કહેવાનું મન થાય છે કે તમે કોંગ્રેસીઓ,શિવસેના કે અન્ય 'બડેખાં'ને કેમ તમારી આકરી ટીક્કા ટીપ્પણીઓથી બાકાત રાખો છો ?
    રાહુલ ગાંધીનું મહત્વ કે તેની હિન્દુસ્તાન દેશ દોરવાની કોઈજ 'તાકાત' નથી પણ તેની હિન્દુસ્તાનના હિન્દી-અંગ્રેજી ભાષી પત્રકારો તેની આછી-પાતળી ટીકા કરી તેનો કેડો મૂકી દે છે આ પણ નવાઈ ની વાત છે.
    શ્રી જવાહરલાલ નેહરુના ચાહકોની પેઢી તો ચાલી ગઈ પણ
    તેને દેશ માટે જે કર્યું તેના વખાણ તો કરીએ સાથે સાથે તેને દેશને પોતાની કેટલીક અપનાવેલી નીતિઓ જે આજે
    'ગળામાં હાડકું' સલવાયા જેવું પુરવાર થયું છે.
    આવા નેતાઓને કેમ કરીને 'દુરંદેશી' કહેવાનું સુઝે?
    તમારા 'બ્લોગ'માં જગા ને સમય આપ્યો માટે આભાર.


    ReplyDelete
  4. ઉર્વિશભાઈ,
    ટૂંકો અને ટચ અભિપ્રાય આપવો હોય તો -- 'તદ્દન વાસ્તવવાદી નિરૂપણ'

    રાજકારણીઓ, જેઓ જ આતંકવાદ; નક્ષલવાદ આદિ ગેંગોના જનક છે તેઓના હાથ ઘણા જ લાંબા હોય છે. દેશ આખાનું અર્થતંત્ર (કહેવાતી સ્વાયત RBI સમેત); લોકશાહી માટે સત્તાધીશોના પડછાયાથી દૂર હોય ત્યાં સુધી પ્રાણવાયુ તેમજ હ્રુદયના ધબકાર સમ ન્યાયતંત્ર કહો કે ન્યાયપ્રણાલિકા; લશ્કર તેમજ સામાન્ય જનતાને જેની સાથે છાશવારે પનારો પડી શકે છે તે પોલીસતંત્ર તેમજ વર્તમાનનો સત્તાધીશોની મરજી મુજબ મહામાનવ કે મહાદાનવનો આકાર ઘારણ કરી શકતું મીડિયા સત્તાધીશોની આણ હેઠળ હોય છે. તેમાં ય મોદીયુગમાં ટી. એન. શેષાનેનાં સમયથી મુક્તિની હવાનો એહસાસ કરનાર ચુંટણીપંચ તો કોંગ્રસ અને ખાસ કરીને ઇંદિરાના સમય કરતાંયે વધુ પરવશ અને પાંગળું ભાષી રહ્યું છે. અત્યારે તો માહોલ એવો વ્યાપ્ત છે કે જેમ મહાભારત સમયે શકુનિની આંખના ઈસારે ચોપાટની સોગઠીઓ પલટતી તેવી જ રીતે અમિત શાહના ઈસારે EVM કામ કરવા મજબૂર થઈ ગયા લાગે છે. અને મોદીને ૨૦૨૪ની ચૂંટણી સુધી કોઈ હલાવી શકે તેવું લાગતું નથી સિવાય કે તેઓ વચ્ચે જ અંદરો અંદર ફૂટ પડે કે સત્તાની સાઠમારી થાય.

    બાકી તમે અડવાણી વિશે જે શબ્દચિત્ર આલેખ્યું છે તે તેનો વાસ્તવિક એક્સરે છે.

    ઉપર જણાવ્યું તેમ અત્યારે તો લાગે છે કે મોદીન ો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી કેમકે EVM ના સહારે તે લોકોના અભિપ્રાય કે મતથી પર થઈ ગયેલ છે. સિવાય કે ઉપર પિયુષભાઈ તેમજ પ્રભુલાલભાઈના જણાવ્યા અનુસાર કંઈ બંને. આમેય કોઈ યાવતકરો.... નથી હોતું કાળચક્ર નીચે ભલભલું ચગદાય જતું હોય છે પણ કાળચક્ર પલટાઓ ત્યાં સુધી તો જનતાએ જ ચગદાવાનું છે.

    ReplyDelete
  5. I have been reading Urvishbhai continuously for the last 10 years.One of our reader friend Mr. Bhadariya sir has alleged that he doesn't criticize certain parties and people is baseless. Mr.kothari has always been criticizing all on the basis of rational thought and arguments. I can send or post his articles once again on WhatsApp, Facebook or other social Media.Thanks a lot

    ReplyDelete