Tuesday, November 22, 2016

કાળાં નાણાંનો જંગઃ દાનત અને બરકત

વહીવટી બાબતોમાં શાસકનાં બે કામ છેઃ નીતિનિર્ધારણ અને અમલીકરણ. કાળું નાણું અંકુશમાં લેવા માટે વડાપ્રધાને રૂપિયા પાંચસો અને હજારની નોટો પાછી ખેંચી લીધી એની નીતિવિષયક ચર્ચા ચાલુ છે અને આખરી ચુકાદો બાકી છે. નજીકના ભૂતકાળનો આવો કોઇ દાખલો નથી, જેના આધારે ત્રિરાશી માંડી શકાય. 1978માં મોટી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે દેશની વસ્તીના અંદાજે 0.6 ટકા લોકો પાસે એવી નોટો કેન્દ્રિત હતી. તેમ છતાં એ વખતે રીઝર્વ બેન્કના ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલને એ પગલું કામચલાઉ અસર ધરાવતું લાગ્યું હતું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વડા રહી ચૂકેલા આઇ.જી.ને લાગતું હતું કે કાળાં નાણાં પર લાંબા ગાળે તેની ઝાઝી અસર નહીં પડે. અત્યારે પણ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો વહેંચાયેલા છે. તેમાં સૌથી વિશ્વસનીય અને આવેશ વગરનો જણાતો અભિપ્રાય એવો છે કે આ પગલાની ખરી અસરો જાણવા માટે રાહ જોવી પડે. ખુદ વડાપ્રધાને પણ દેશવાસીઓ પાસે પચાસ દિવસની મુદત માગી છે.

અર્થશાસ્ત્ર જેવી બાબતમાં કોઇ પણ નીતિ ફૂલપ્રૂફ કે સો ટકા ખાતરીદાયક નથી હોતી. તેમાં અણધાર્યાપણાનું થોડું તત્ત્વ રહે જ છે, જે ગમે તેટલી તૈયારી પછી પણ આશ્ચર્ય પેદા કરી શકે. આવા સંજોગોને પહોંચી વળવા માટે વડાપ્રધાન મુદત માગે, તો એટલો સમય નાગરિકોએ તકરાર વિના આપવો જોઇએ. આમ પણ સમય આપવો કે ન આપવો, એ તો નાગરિકોના હાથમાં નથી હોતુ. એ ખુશીથી આપવો કે કકળાટથી એ જ તેમણે નક્કી કરવાનું હોય છે.

નાગરિકો કકળાટ ન કરે એવી અપેક્ષા રાખતી વખતે સરકારે પણ પોતાના પક્ષે પાકું લેસન અને મજબૂત તૈયારી કરવાં પડે. વ્યક્તિને બદલે નીતિ(પોલિસી)ને, દાનતને બદલે આયોજનને પ્રાધાન્ય આપવું પડે. એવું ન થાય તો તેનાં પરિણામે પેદા થતો કકળાટ અને અસંતોષ સરકારની પોતાની કમાણી કહેવાય. તેના માટે નાગરિકોને દોષ ન દેવાય. નાટ્યાત્મક અને બોલ્ડ પગલાનો જશ વડાપ્રધાનને મળતો હોય, તો તેની કાચી તૈયારી અને આડેધડ અમલીકરણનો અપજશ પણ વડાપ્રધાનને મળવો જોઇએ. દેખીતું છે કે વડાપ્રધાને માગેલા પચાસ દિવસ પછી પણ ભારતના અર્થતંત્રમાં ચમત્કાર થવાનો નથી. ભારત જેટલા મોટા અર્થતંત્રમાં કોઇ પણ પગલાની અસર માટે પચાસ દિવસ બહુ ઓછો સમય ગણાય. મૂળભૂત રીતે વડાપ્રધાન એવું કહેવા માગે છે કે તમને તમારાં નાણાં મેળવવામાં જે તકલીફ પડી રહી છે, તેના માટે પચાસ દિવસ રાહ જુઓ. ત્યાં સુધીમાં બધું ગોઠવાઇ જશે. એનું ગુજરાતી એવું પણ થાય કે અમારા અણઘડ આયોજનના લીધે તમને પચાસેક દિવસ તકલીફ પડશે. એ તમે વેઠી લેજો. જો તમે અમારા ખરાબ આયોજનની-અલેલટપ્પુ અમલીકરણની ટીકા કરશો, તો એ અમારી દાનતની ટીકા ગણાશે અને તમે કાળાં નાણાંના તરફદાર ગણાઇ જશો. વડાપ્રધાનની તસવીર ધરાવતી જાહેરખબરોમાં હવે એવા દાવા કરવામાં આવે છે કે તમારાં નાણાં સુરક્ષિત છે. હકનાં નાણાં મેળવવા લોકોને લાઇનોમાં ઊભા રહેવું પડે છે. છતાં રોકડના અભાવે ઘણાને એ નાણાં મળી શકતાં નથી, એ કડવી સચ્ચાઇ જાહેરખબરોના મારા તળે છુપાવવાની કોશિશ થઇ રહી છે.

આ બાબતે થતો રાજકીય વિરોધ પણ પ્રતીતિજનક લાગતો નથી. વિપક્ષોએ સામાન્ય લોકોને પડતી હાડમારીની વાત કરી, પણ કયો મુદ્દો સૌથી મુખ્ય બનાવ્યો? કયા મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) નીમવાની માગણી કરી? તેમનો આરોપ છેઃ સરકારે આ નિર્ણયની જાણકારી પોતાના ચુનંદા મિત્રોને અગાઉથી આપી દીધી હતી (અને તેમાં અમારો સમાવેશ થતો ન હતો.) માટે આ લીકના આરોપની તપાસ માટે જેપીસી નીમાવી જોઇએ. ભાજપ સહિતના કોઇ પણ રાજકીય પક્ષને કાળાં નાણાં વગર ચાલે એમ નથી. એટલે જ, કાળાં નાણાંના મુદ્દે શાહુકારીના દાવા કરીને બીજા ભણી આંગળી ચીંધતા વડાપ્રધાનને પોતાના પક્ષ ભણી ચીંધાતી ચાર આંગળીઓ દેખાતી નથી, એ બાબતે તેમના આત્મવિશ્વાસને દાદ આપવી પડે. તેમના લાઇટ એન્ડ સાઉન્ડ શો (ગડગડાટી અને ધણધણાટી)ને કારણે બીજા ઘણા લોકો પણ એ વિચારતા નથી કે કાળાં નાણાંના મુદ્દે (બીજા પક્ષોની માફક) ભાજપ ક્યાં ઊભો છે. લોકોના ખાતામાં રહેલા પચાસ હજાર રૂપિયાના હિસાબો માગનાર ભાજપ કેમ માહિતી અધિકાર હેઠળ પોતાના ચોપડા ખુલ્લા કરવા તૈયાર નથી?

નાગરિકો પાસેથી નાણાંકીય પારદર્શકતાની અપેક્ષા રાખનાર, કાળાં નાણાંના પ્રખર વિરોધી તરીકેની ભૂમિકા ભજવી રહેલા વડાપ્રધાનનો તેમના પક્ષ પર સંપૂર્ણ કાબૂ છે. પક્ષપ્રમુખ તેમના જૂના સાગરીત છે અને વડાપ્રધાન અત્યારે અમલના ધબડકાને બદલે પોતાની ઉચ્ચ દાનત પર ભાર મૂકી રહ્યા છે. તો દાનની જેમ દાનતની શરૂઆત પણ પોતાનાથી-પોતાના પક્ષથી ન થવી જોઇએ? પક્ષના થોડા નેતાઓને પોતાનાં કાળાં નાણાં થાળે પાડવામાં દોડધામ પડી, તેના પરથી એવું શી રીતે માની લેવાય કે છેક ઉપર સુધી આવી સ્થિતિ હશે? ભાજપ જેમનો ભૂતકાળમાં લાભાર્થી રહી ચૂક્યો છે અને ભવિષ્યમાં લાભાર્થી બની શકે છે એવા જનાર્દન રેડ્ડી દીકરીના કરોડો રૂપિયા ખર્ચી શકે છે.

દાનતની જ વાત કરીએ છીએ, ભાઇ. એ જ દાનતની, જેના આધારે નાગરિકોને બધું વેઠી લેવાના ને બધું ભૂલી જવાના ઉપદેશો સતત અપાઇ રહ્યા છે. ચાળીસથી વધારે લોકોનાં મૃત્યુ થયાં, એ પણ નાગરિકોએ ભૂલી જવાનું છે. પચાસ દિવસ દરમિયાન બીજાં મૃત્યુ થાય કે બેન્કમાં રોકડના અભાવે પ્રસંગો અટવાઇ પડે, મુશ્કેલીઓનો પાર ન રહે તો પણ નાગરિકોએ ચૂપ રહેવાનું છે. ઠીક છે. પણ પચાસ દિવસમાં બીજાની દાનતની કસોટીઓ યોજતી વખતે, લગીર તમારી દાનતનો નક્કર પરિચય તો આપો. દેશમાં બીજા લોકો કાળું ધન ન રાખે તેનાં પગલાં લેતી વખતે, તમારો પક્ષ કાળું ધન નહીં રાખે અને નાણાંકીય રીતે પારદર્શક બનશે, એટલું તો બતાવી આપો.

લોકોના ખાતામાં રૂ.15 લાખ જમા કરાવવાનો વડાપ્રધાનનો વાયદો જુમલા હતો, એ તો પક્ષપ્રમુખે ખુલાસો કરી દીધો. પરંતુ ચૂંટાયા પછી સો દિવસમાં વિદેશથી કાળું ધન આણી દેવાનો વાયદો તો જુમલો છે, એટલું કહેવાની તસ્દી સુદ્ધાં કોઇએ લીધી નથી. અને આગળ જણાવ્યું તેમ, પચાસ દિવસનો વાયદો સરકારના અણઘડ અમલીકરણને લીધે પડેલી તકલીફોના અંત માટેનો છેકાળાં નાણાંના અંત માટેનો નહીં. સૈંયા ભયે કોતવાલની મુદ્રામાં ફરતા, કરોડો રૂપિયાના આસામી બાબા રામદેવે એક સમારંભમાં તેમનો સાચો હરખ વ્યક્ત કરતાં કહી દીધું કે સરકારે વિપક્ષો પાસેથી વોટ પણ લઇ લીધા છે ને નોટ પણ લઇ લીધી છે. 

બાબાએ ઉત્સાહમાં આવીને ક્યાંક કાળાં નાણાંવિરોધી ઝુંબેશનો અસલી હેતુ તો છતો નથી કરી દીધો ને? અંગ્રેજીમાં એને ફ્રોઇડીયન સ્લીપ કહેવાયઅને આયુર્વેદમાં શું કહેવાય એ તો રામ જાણે કે પછી રામદેવ જાણે.

5 comments:

  1. Economize Druze rightly said, ".....decision he equated puncuturing a wheel of race-vehicle". Missing the steps of recovering black money from big fishes, masses are affected, would bounce back, politically.

    ReplyDelete
  2. Anonymous8:52:00 AM

    Forthright and insightful as always

    ReplyDelete
  3. Its very right dat common people facing trouble but I request to see and search what Rich and black money holder people doing. They really get depressed and worried for their decreasing black money

    ReplyDelete
  4. Anonymous11:54:00 PM

    એક માત્ર દાનત સારી હોવાથી નિર્ણયને સારો ના કહી શકાય. એનાં માટેનું આયોજન પણ દાનત જેટલું જ સારુ હોવું જોઈએ ...

    ReplyDelete