Wednesday, July 13, 2016

ઉદારીકરણ : મજબૂરીથી મહત્ત્વાકાંક્ષા સુધીની સફર

૧૯૭૫માં ભારતે પહેલી વાર રાજકીય કટોકટીનો સામનો કર્યો, પરંતુ આર્થિક કટોકટી ત્યાર પહેલાં અને પછી પણ ચાલુ રહી. વેપારઉદ્યોગ પર આકરા અંકુશ મૂકવામાં, લાયસન્સ-પરમિટો રાખવામાં જાણે સઘળો સમાજવાદ સમાઇ ગયો. ધંધા-ધંધાદારીઓ-સંપત્તિ પર દાબને ગરીબકલ્યાણ ગણી લેવામાં આવ્યો. બાબુશાહી-ગેરવહીવટ-ભ્રષ્ટાચાર જેવાં અનેક અનિષ્ટો ગરીબોના ઉદ્ધારના નામે ચલાવવામાં આવ્યાં. રુગ્ણ અર્થનીતિનાં પરિણામોમાં આંતરરાષ્ટ્રિય પરિબળોનો ઉમેરો થયો. એટલે ૧૯૯૧માં ભારતના ડૉલર-ભંડોળનું તળીયું દેખાઇ ગયું. જાન્યુઆરી, ૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસેથી મેળવેલી ૧.૮ અબજ ડૉલરની લોન પણ જોતજોતામાં સફાચટ થઇ ગઇ. આવું ને આવું ચાલે તો બહુ ઝડપથી ભારતને આંતરરાષ્ટ્રીય ચૂકવણાંના વાયદા પૂરા ન કરી શકાય એવી ડીફૉલ્ટની સ્થિતિમાં મુકાવું પડે.

એવી સ્થિતિમાં, રાજીવ ગાંધીના મૃત્યુ પછી થયેલી ચૂંટણીના અંતે, જૂન ૧૯૯૧માં કૉગ્રેસી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. તેમણે રીઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંઘને નાણાંપ્રધાન બનાવ્યા અને તેમની મદદથી દેશને આર્થિક અરાજકતાની ખાઇમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું. એ માટેના ઘણાંખરાં ટૅકનિકલ પગલાં ડૉ.સિંઘે લેવાનાં હતાં, પણ તેને મજબૂત રાજકીય આધાર વડાપ્રધાન રાવે આપવાનો હતો. આ કામ તેમણે બખૂબી કર્યું. સૌથી પહેલાં તો, ચાર દિવસમાં લાગલગાટ બે વાર રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું. વાણિજ્ય મંત્રી ચિદમ્બરમે નિકાસકર્તાઓને સબસીડી (રોકડ ફાયદો) આપતી કૅશ કૉમ્પેન્સેટરી સ્કીમબંધ કરી દીધી. વિદેશનાં બજારોમાં ભારતીય નિકાસકારોએ હવે પોતાના જોરે માલ વેચવાનો હતો. અલબત્ત, રૂપિયાના અવમૂલ્યનને કારણે તેમને ફાયદો પણ થવાનો હતો. સામે પક્ષે આયાત મોંઘી પડવાની હતી.
Narsimha Rao, The Illustrated Weekly of India, July 20-26,1991
વિદેશી હુંડિયામણ ખેંચી જતી આયાત પર અંકુશ જરૂરી હતો. તેથી રાવની ટીમે લીધેલાં નવાં પગલાંમાં પહેલી વાર આયાત-નિકાસને જોડવામાં આવ્યાં. ૧૦૦ રૂપિયાની વસ્તુની નિકાસ કરે, તેને ૩૦ રૂપિયાની આયાત કરવાનું લાયસન્સ મળે, એવી યોજના કરવામાં આવી.  નિકાસકર્તાને ધારો કે આયાત કરવાની જરૂર ન પડે, તો તે પોતાને મળેલું ચોક્કસ કિંમતની આયાત કરવાનું લાયસન્સ બજારમાં વેચી શકે, એવી પણ જોગવાઇ રાખવામાં આવી. આશય એ જ હતો કે અનિવાર્ય ન હોય ત્યાં સુધી આયાત ટાળવામાં આવે અને નિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે, જેથી ભારત પાસે ધીમે ધીમે ડૉલરનું ભંડોળ ઊભું થાય. 

વિદેશી હુંડિયામણ મેળવવાનો બીજો રસ્તો હતો : વિદેશી મૂડીરોકાણ આકર્ષવું. કટોકટી પછી જનતા પક્ષની સરકારના રાજમાં  એવો નિયમ કરવામાં આવ્યો કે વિદેશી કંપની ભારતની કોઇ કંપનીમાં ૪૦ ટકાથી વધારે મૂડીરોકાણ કરી શકે નહીં. કોકા-કોલા અને આઇબીએમ જેવી ૧૦૦ ટકા વિદેશી મૂડી ધરાવતી કંપનીઓને ભારતમાંથી ઉચાળા ભરવાનું કહી દેવામાં આવ્યું. સ્વદેશીની લાગણી આવકાર્ય હતી ને કોકા-કોલાના જવાથી દેશને કશું નુકસાન ન હતું, પણ વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ બંધ થઇ ગયો, એ બેશક અર્થતંત્ર માટે હાનિકારક હતું. કેમ કે, ક્રુડ ઑઇલ જેવી કેટલીક મહત્ત્વની અને મોંઘી ચીજોની આયાત વિના ચાલે એમ ન હતું.

આ ભીંસને કારણે ઉદારીકરણની દિશામાં હિલચાલ એકાદ દાયકાથી શરૂ થઇ ચૂકી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી સત્તા પર આવેલા રાજીવ ગાંધીએ ૧૯૮૫માં પહેલી વાર ૨૫ ઉદ્યોગોને લાયસન્સમાંથી મુક્તિ આપી. ૧૯૮૭માં ભારતીય કંપનીઓને વિદેશમાં (ભાગીદારીમાં) ધંધો કરવા માટેના અંકુશોમાં છૂટછાટ આપવામાં આવી. રાજીવની સમજના પ્રશ્નો હોવા છતાં, તેમનો ઝુકાવ નેહરુશાઇ સમાજવાદ કે ઇન્દિરા ગાંધીના ગરીબી હટાવોને બદલે આધુનિકતા તરફ વધારે હતો.

પરંતુ નેતાઓને પક્ષીય રાજકારણ-રાજકીય કાવાદાવા અને રાષ્ટ્રહિતનાં લાંબા ગાળાનાં પગલાંમાંથી પ્રાથમિકતા આપવાની થાય ત્યારે રાજકારણ જ મેદાન મારી જાય છે. રાજીવ ગાંધી થોડા સમય પછી બૉફર્સ વિવાદમાં સપડાયા અને પછીની ચૂંટણી હાર્યા. તેમના પછીના વડાપ્રધાન વી.પી.સિંઘની સરકારે ૧૯૯૦ના વર્ષમાં લોકસભામાં એક વિગતવાર દસ્તાવેજ રજૂ કર્યો. તેમાં દેશના ખાડે ગયેલા અર્થતંત્રને બહાર કાઢવા માટે કેટલાક પાયાના ઉપાય સૂચવાયા હતા. તેમાં વિદેશી મૂડીરોકાણમાં છૂટછાટથી માંડીને બાબુશાહીમાં કાપ મૂકવાનાં સૂચનો હતાં. પરંતુ રાજકીય રીતે અસ્થિર એવી એ મોરચા સરકાર મુદત પહેલાં એ તૂટી પડી. ત્યાર પછી કૉંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બનેલા ચંદ્રશેખરના શાસનકાળમાં સોનું વેચીને ડૉલર ઊભા કરવા પડ્યા.
ઉદારીકરણ પહેલાંની સ્થિતિ દર્શાવતું ચિત્ર
Baiju Parathan, The Illustrated Weekly of India,
July 27-August 2, 1991
આખરે ચૂંટણી પછી, જૂન ૧૯૯૧માં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે આર્થિક સુધારા અનિવાર્યતા બનીને માથે તોળાતા હતા. એ કડવી દવા રાજકીય વિરોધ વેઠીને પણ અસરકારક રીતે પાવાનું અત્યંત જરૂરી હતું. દેશ માટે સુખદ બાબત એ હતી કે કૃતનિશ્ચય વડાપ્રધાન નરસિંહરાવ પાસે નાણાંમંત્રી મનમોહન સિંઘ, વાણિજ્યમંત્રી પી.ચિદમ્બરમ્‌, રિઝર્વ બૅન્કના ગવર્નર એસ.વેંકિટરામનન જેવા સક્ષમ સાથીદારો હતા અને એ તેમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શક્યા. 

ડાબેરી વિચારકોથી માંડીને સંઘ પરિવારબ્રાન્ડ સ્વદેશીની વાત કરનારા (ગુરુમૂર્તિ જેવા) લોકોએ ઉદારીકરણનો જોરશોરથી વિરોધ કર્યો. આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળના દબાણમાં આવીને આ નીતિ અપનાવવામાં આવી છે, એવા આરોપ પણ થયા. પરંતુ એ નીતિ સમયની માગ હતી અને એમ કહેવામાં ઝાઝી અતિશયોક્તિ નથી કે ઓછામાં ઓછા એકાદ દાયકાથી તે યોગ્ય અમલકર્તાની રાહ જોતી હતી.

પચીસ વર્ષ પછી તેનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામ જોવા મળ્યાં છે. ભારત આર્થિક મહાસત્તા બને કે ન બને, પણ હવે તેનું વિદેશી હુંડિયામણનું ભંડોળ એટલું સમૃદ્ધ છે કે ડીફૉલ્ટની શક્યતા સપનામાં પણ ન આવે. દેશનું અર્થતંત્ર અમેરિકાની આકરી મંદીને પણ ખમી શક્યું છે. ઉદારીકરણ જેવી સર્વગ્રાહી અને સર્વસ્પર્શી નીતિનાં માઠાં પરિણામ પણ હોય જ. તેનાથી બચતનો મહિમા ઘટ્યો અને દેવું કરીને ઘી પીવાના ગ્રાહકવાદને પ્રોત્સાહન મળ્યું. પરંતુ વધેલી આર્થિક અસમાનતાથી માંડીને મુઠ્ઠીભર માલેતુજારોને ફાયદો કરાવી આપતાં પગલાંનો સઘળો દોષ ઉદારીકરણના માથે થોપી શકાય એમ નથી. નેહરુશાઇ સમાજવાદની જેમ ઉદારીકરણ પણ, રાજકીય ઇચ્છાશક્તિના અભાવે તેની આદર્શ અને અપેક્ષિત સ્થિતિએ પહોંચવાને બદલે અધકચરી અવસ્થામાં છે. સમાજવાદના જૂના મૉડેલમાં ગરીબોના નામે ગરીબોની ઉપેક્ષા થતી હતી, જ્યારે ઉદારીકરણની શરૂઆત પછી સરકારે મુક્ત બજારના નામે નાગરિકો પ્રત્યેની પોતાની ઘણી જવાબદારીઓમાંથી હાથ ધોઇ નાખ્યા છે. સમાજવાદ હોય કે ઉદારીકરણ, લોકકલ્યાણનો છેવટનો આધાર કોઇ મૉડેલ કે થિયરી પર નહીં, તેનો અમલ કરનારની દાનત અને આવડત પર આધારિત હોય છે.  

2 comments:

  1. Rajesh Makvana12:02:00 PM

    ક્યારેક એવું વિચારું કે તમારા લખાણ ની જેમ મારા બાળક ને પણ આજ રીતે કડવી દવા ઘૂંટી ને પાયી દઉં અને એને તો મીઠી જ લાગે ....... ઉર્વીશભાઈ તમારા લખાણ ની આ અસર છે . હંમેશા થી લાગ્યું છે કે તમારું લખાણ એ ગુજરાતી બોલચાલ નું લખાણ છે . એટલું સમૃદ્ધ કે ઝટ દઈ ને ગળા ની નીચે ( અહીં સમજ માં ) ઉતરી જાય....Rajesh Makvana

    ReplyDelete