Tuesday, March 15, 2016

‘રમતના નિયમો’ સાથે રમત

સ્ટેડિયમમાં ક્રિકેટમેચ ચાલી રહી છે. બેટ્‌સમેન ફટકો મારીને રન દોડે છે, પણ ફિલ્ડર બોલ રોકે અને પાછો ફેંકે તે પહેલાં નજીક ઊભેલા બે ફિલ્ડરો જઇને દોડતા બેટ્‌સમેનના પગે ચોંટી પડે છે અને તેને ગબડાવીને તેની ઉપર ચડી બેસે છે. બીજા ફિલ્ડરો પણ ધસી આવે છે ને  ભોંય પર પડેલા બેટ્‌સમેનની ઉપર ખડકાય છે. સામે છેડે રહેલો બેટ્‌સમેન રમતના નિયમોની આણ આપીને ફરિયાદ કરે છે, ત્યારે ફિલ્ડરો બેશરમીથી કહે છે,‘અમે નિયમ પ્રમાણે જ રમીએ છીએ--કબડ્ડીના નિયમ પ્રમાણે. એમાં તો ખેલાડીને આવી રીતે જ આઉટ કરવાનો હોય.’

એવામાં બોલ રોકનાર ફિલ્ડર દોડતો આવીને સ્ટમ્પ ખેરવી નાખે છે. એટલે ફિલ્ડરો ફરી કપડાં ખંખેરીને ઊભા થાય છે અને કહે છે, ‘તમે નિયમોની વાત કરતા હતા ને? લો, હવે તો ક્રિકેટના નિયમ પ્રમાણે પણ આઉટ ખરો કે નહીં?’ ઘણા પ્રેક્ષકો ફિલ્ડરોની ‘રમત’ પર ફીદા થઇ જાય છે અને ‘ભલે કબડ્ડીના તો કબડ્ડીના, પણ નિયમ તો પાળ્યા ને. તેમણે જે કંઇ કર્યું તે જીતથી રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે જ છે ને’ એમ કહીને ફિલ્ડિંગ ટીમની રાષ્ટ્રભક્તિનાં વખાણે ચડી જાય છે. ‘ક્રિકેટની રમતમાં કબડ્ડીના નિયમથી આઉટ ન કરાય’ એવી દલીલ કરનાર લોકોને રાષ્ટ્રવિરોધી કે દેશદ્રોહી ગણવામાં આવે છે. કારણ કે ‘તેમનાથી દેશની ટીમ જીતે એ સહન થતું નથી.’

આ વાત લાગે છે એટલી કાલ્પનિક નથી. કનૈયાકુમારનો કિસ્સો તેનું તાજું ઉદાહરણ છે. તેની સાથે સંકળાયેલો લાગણીનો વંટોળ શમ્યા પછી ખરેખર શું બન્યું, એ વિશે સ્વસ્થતાથી વિચારવા જેવું છે. જાહેર જીવન માટે એ જરૂરી પણ છે.

કનૈયાકુમારનું નામ આવતાં જ ઘણાની ફેણ ચડી જશે.  ‘આ દેશદ્રોહનો મામલો છે. ક્રિકેટની રમત નથી. એને હળવાશથી ન લેવાય.’ એવી દલીલ વીંઝાશે. પરંતુ શાંત ચિત્તે વિચારજો : સવાલ દેશભક્તિનો હતો કે સરકારભક્તિનો? દેશ એટલે દેશના કાયદાકાનૂન-બંધારણ કે સત્તાધારી પક્ષ? દેશભક્તિ એટલે પોતાના વિચારવિરોધીઓને દેશદ્રોહી ઠેરવવા તે?

કનૈયાકુમાર સામેનો મૂળ આરોપ એ હતો કે તેણે દેશની બરબાદીનાં અને દેશથી અલગ થવાનાં- દેશથી આઝાદીનાં સૂત્રો પોકાર્યાં. તેન વિડીયો પુરાવા રજૂ કરાયા. આ પ્રકારનો સૂત્રોચ્ચાર કનૈયાકુમારે કર્યો હોય તો રાજદ્રોહનો આરોપ લાગે કે નહીં, એ વિશે સન્માન્ય ન્યાયવિદો વચ્ચે મતભેદ હતો. (અલબત્ત, નિર્ણય તો અદાલતે કરવાનો હતો.) ત્યારે પોતાની જાતને દેશભક્ત ગણાવતું ટોળું અદાલતને બાજુ પર હડસેલીને કનૈયાકુમારને ‘પાઠ ભણાવવા’ અધીરું બન્યું હતું. કારણ? ‘અમે દેશવિરોધી સૂત્રો પોકારનારને નહીં સાંખી લઇએ.’

પરંતુ કનૈયાકુમારને દેશવિરોધી સૂત્રોચ્ચારમાં દેખાડતો વિડીયો છેડછાડગ્રસ્ત (ડૉક્ટર્ડ) હોવાનું જણાયું. તેની ભાષણ આપતી તસવીરમાં પાછળ વિભાજિત ભારતનો નકશો ગોઠવીને એને કનૈયાકુમારની દેશદ્રોહી વૃત્તિની સાબિતી તરીકે ખપાવવામાં આવ્યો. પતિયાલા હાઉસ કૉર્ટના પ્રાંગણમાં, પોલીસની હાજરીમાં વકીલો અથવા વકીલોના વેશમાં રહેલા ગુંડાઓએ કનૈયાકુમારની મારઝૂડ કરી. ‘રમતના નિયમો’નો આવો ભંગ રાજદ્રોહ જેવી ગંભીર નહીં, રમત જેવી હળવી બાબતમાં પણ કોઇ ચલાવી ન લે. છતાં, જે આરોપનો કશો પ્રથમદર્શી પુરાવો ન હતો--બલ્કે, એના ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા--એ આરોપ આગળ ધરીને બધી ગુંડાગીરી વાજબી ઠરાવવામાં આવી.

નવાઇની વાત એ હતી કે ધરપકડ પહેલાં કનૈયાકુમારના ભાષણની એકમાત્ર ઉપલબ્ધ વિડીયોમાં તો તેણે દેશવિરોધી નારાબાજીની ટીકા કરી હતી. સાથોસાથ, ભાજપ-સંઘ પરિવારના રાજકારણનાં  આક્રમક શૈલીમાં છોતરાં કાઢ્‌યાં હતાં. વાંધો ખરેખર અને માત્ર સૂત્રોચ્ચાર સામે જ હોત તો, કનૈયાકુમારની રાષ્ટ્રદ્રોહના આરોપ હેઠળ ધરપકડ થઇ ચૂકી હતી ને પોલીસ એની પૂછપરછ કરતી હતી. કહેવાતા ‘રાષ્ટ્રવાદીઓ’ રાહ જોઇ શક્યા હોત. પણ અહીં તો ભાજપ-સંઘ પરિવારનો આકરો વિરોધ કરનાર વિદ્યાર્થી સંગઠનો અને તેમને મોકળાશ આપનાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પર દાંત ભીંસીને હુમલો કરવાની તક મળી હતી. એ છોડાય?

ફરી ક્રિકેટની રમતમાં કબડ્ડીના દાવપેચ શરૂ થયા. જે કૅમ્પસમાં ચહેરા પર કપડું ઢાંકીને થોડા લોકો દેશવિરોધી સૂત્રો બોલ્યા એ આખેઆખી યુનિવર્સિટીને ‘બંધ કર દેવી જોઇએ’ એવું બૂમરાણ મચ્યું.  ધરપકડ પહેલાંની અસલી વિડીયોમાં કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રોનો વિરોધ કરતો સંભળાયો ત્યારે કબડ્ડીના ખેલાડીઓએ દલીલ કરી કે ‘કનૈયા પોતાના માટે બચાવ માટેની ભૂમિકા ઊભી કરી રહ્યો હતો.’ તેની સીધી સામેલગીરીની વિડીયો પોકળ નીકળતાં કહેવાયું કે ‘કનૈયાકુમાર ભલે સૂત્રો ન બોલ્યો હોય, પણ સાથે તો ઊભો જ હતો અને આવાં સૂત્રો અટકાવવાની તેની જવાબદારી હતી.’ ટૂંકમાં, કનૈયાકુમાર સૂત્રો ન બોલ્યો હોય- વિડીયો જૂઠી હોય તો પણ એ દેશદ્રોહી છે. કારણ? અમે એવું કહીએ છીએ. જે અમારી દલીલોની અતાર્કિકતા ભણી આંગળી ચીંધશે એને પણ અમે દેશદ્રોહીઓના સમર્થક ગણાવીશું.

જામીન મળ્યા પછી બહાર આવીને કનૈયાકુમારે ફરી એક ભાષણ કર્યું. જોશીલું, ડાબેરી વિદ્યાર્થીનેતાને છાજે એવું ભાષણ. સ્મૃતિ ઇરાનીના ને નરેન્દ્ર મોદીના ભાષણોની અસર ભૂંસીને આ ભાષણ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગયું. એટલે ‘ફિલ્ડરો’ ફરી નિયમ બદલવાના કામે લાગી ગયા. ભાજપી નેતાગીરીનો ગઢ ગણાતી ભાષણબાજીમાં કનૈયાકુમાર ટક્કરનો ખેલાડી પુરવાર થયો એટલે ‘વક્તૃત્વકળાથી અભિભૂત થવું નહીં’ એવા શાણપણનો વરસાદ વરસવા લાગ્યો. આવી ઠાવકાઇ દેખાડનારા સહેલાઇથી ભૂલી ગયા કે અઠવાડિયા પહેલાં નકરી વક્તૃત્વકળાથી છલકાતા સ્મૃતિ ઇરાનીના ભાષણનો તેમનામાંથી ઘણાએ જયજયકાર કર્યો હતો. ખુદ વડાપ્રધાન પણ લોકરંજક વક્તૃત્વના અઠંગ ખેલાડી અને અઢળક લાભાર્થી છે.

લોકપ્રિય વક્તાઓની હરોળમાં જેવો કનૈયાકુમારનો ઉમેરો થયો એ સાથે જ, દેશવિરોધી સૂત્રોચ્ચારનો આરોપ ગૌણ, નકલી વિડીયોની હકીકત ગૌણ, વકીલોએ કરેલો હુમલો ગૌણ અને ચોટદાર ભાષણ આપવાનો ‘ગુનો’ જાણે મુખ્ય બની ગયો. તેના પરિવાર, આવક અને અભ્યાસ વિશે ઉશ્કેરાટભર્યા સવાલ પૂછાવા લાગ્યા. ‘આટલી મોટી ઉંમરે અને આટલી ગરીબ સ્થિતિમાં તે જેએનયુમાં શું કરે છે?’  ભાજપની પણ વિદ્યાર્થીપાંખ છે એ હકીકત બાજુ પર રાખીને, ‘વિદ્યાર્થીઓએ રાજકારણથી દૂર રહેવું જોઇએ’ એવી સલાહો અપાવા લાગી.

કનૈયાકુમારને સામાન્ય વિદ્યાર્થીનેતામાંથી કામચલાઉ નાયક બનાવવા માટે તેના પ્રશંસકો કરતાં વધારે તેના વિરોધીઓ કારણભૂત છે. એમાંથી જે લોકો પોતે વિચારધારામાં કે વ્યક્તિભક્તિમાં હકીકતો પ્રત્યે આંખ આડા કાન કરતા હોય અને બીજાને વ્યક્તિપૂજાનાં કે વક્તવ્ય પર મોહી પડવાનાં નુકસાન સમજાવે, એ લોકો (ખેલાડી તરીકે) અંચઇ કરતાં કરતાં અમ્પાયર બની ગયા હોય એવા લાગે છે.

1 comment:

  1. Anonymous2:27:00 AM

    Very good explanation Urvishbhai, but "bhaktjano ko" they are watching only, what their masters are showing them.They does not want to use their own brain "bhed chaal"
    Thanks Urvishbhai,
    Manhar Sutaria

    ReplyDelete