Monday, June 29, 2015

કટોકટીના ખલનાયક સંજય ગાંધીનું ‘નિકટદર્શન’

‘સર્જ’ સામયિકનાં ઉમા વાસુદેવે કટોકટીના મુખ્ય ખલનાયક, ઇંદિરાપુત્ર સંજય ગાંધીનો પહેલવહેલો લાંબો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે તરખાટ મચી ગયો. તેના બહાર પડેલા અંશો વિશે ઇંદિરા ગાંધીએ ખુલાસા કરવા પડ્યા અને આખા ઇન્ટરવ્યુને પ્રતિબંધિત કરી દેવાયો. કટોકટીની ૪૦મી વરસી નિમિત્તે એ યાદગાર ઇન્ટરવ્યુની-- અને એ નિમિત્તે ‘પીપલ્સ કાર’ મારૂતિની--પણ કથા.

Uma Vasudev / ઉમા વાસુદેવ
 સિત્તેરના દાયકાના દિલ્હીની ‘પેજ-૩ સર્કિટ’માં અનેકવિધ રસ ધરાવતાં લેખિકા-કળાપ્રેમી ઉમા વાસુદેવનું નામ મહત્ત્વનું હતું. ઇંદિરા ગાંધીનું ચરિત્ર લખી ચૂકેલાં ઉમા વાસુદેવ કટોકટીકાળમાં  પખવાડિક ‘ઇન્ડિયા ટુડે’નાં પહેલાં તંત્રી બન્યાં. (કેટલાકના મતે, ‘ઇન્ડિયા ટુડે’ પખવાડિકની શરૂઆત કટોકટીને કારણે વિદેશોમાં કથળેલી સરકારની છાપ સુધારવા માટે થઇ હતી. શરૂઆતના ગાળામાં તેની સરકારનું વિદેશી બાબતોનું ખાતું તેની મોટા ભાગની નકલો ખરીદી લેતું હતું.) ‘ઇન્ડિયા ટુડે’માં જોડાતાં પહેલાં ઉમા વાસુદેવ ‘સર્જ’ / Surge નામનું સામયિક સંભાળતાં હતાં. તેનું વેચાણ ઉંચકવા માટે ઉમા વાસુદેવે સંજય ગાંધીની મુલાકાત લેવાનું વિચાર્યું. ત્યારે કટોકટી લાગુ થઇ ચૂકી હતી અને વડાપ્રધાન ભલે ઇંદિરા ગાંધી હોય, પણ અસલી રાજ સંજય ગાંધી  તથા તેમની ટોળકીનું ચાલતું હતું.

કટોકટી પહેલાં ‘પીપલ્સ કાર’ મારૂતિના પ્રોજેક્ટને પાટે ચડાવવા માટે ભરપૂર સરકારી મદદ પછી પણ ગોથાં ખાતા સંજય ગાંધી કટોકટી પછી આખા દેશની સમસ્યાઓ ઉકેલવા નીકળ્યા હતા. આપખુદ, તેજતર્રાર, રંગીનમિજાજ ૨૯ વર્ષના સંજય ગાંધીની મુલાકાત મેળવવામાં આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં - કટોકટીનાં પ્રગટપણે વિરોધી નહીં એવાં ઉમા વાસુદેવને ખાસ તકલીફ ન પડી. અગાઉ તે ‘મારૂતિ’ પ્રોજેક્ટ માટે સંજય ગાંધીને મળી ચૂક્યાં હતાં અને તેમની સાથે ‘ટેસ્ટ ડ્રાઇવ’ પણ લઇ ચૂક્યાં હતાં.

સંજય ગાંધી સાથે તેમની મુલાકાત ૬ ઑગસ્ટ,૧૯૭૫ના રોજ નક્કી થઇ. આ વખતે ‘મારૂતિ’ની ફેક્ટરીએ નહીં, પણ વડાપ્રધાનના નિવાસસ્થાને મળવાનું હતું. વડાપ્રધાન માતા સાથે પાટવીકુંવરના મતભેદ ત્યાં લગી ચર્ચાનો વિષય બની ચૂક્યા હતા. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પ્રતિનિધિ લુઇસ સિમ્સન્સે અનામી સૂત્રો ટાંકીને લખ્યું હતું કે એક ડીનર પાર્ટીમાં ઇંદિરા ગાંધીને સંજયે છ લાફા માર્યા હતા. આવી બધી કથાઓમાં સ્વાભાવિક રીતે જ મરીમસાલાનું તત્ત્વ ભરપૂર હોય. પરંતુ એક વાત નક્કી હતી કે લોખંડી મનોબળ ધરાવતાં વડાપ્રધાન પર તેમના વંઠેલા પુત્રનો પ્રભાવ અસાધારણ અને કંઇક વિચિત્ર લાગે એ હદનો હતો.
Indira Gandhi- Sanjay Gandhi / ઇંદિરા ગાંધી- સંજય ગાંધી
સંજય ગાંધી સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં ઉમા વાસુદેવે ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સંજયને કશો વાંધો ન હતો. તેમણે અંગત, જાહેર, આર્થિક, સામાજિક બધા પ્રકારના સવાલના ખુલીને જવાબ આપ્યા. વાતચીતની શરૂઆત સંજય ગાંધીના કથિત શરાબપ્રેમથી થઇ. જવાબમાં સંજયે (સરમુખત્યારો માટે સહજ) એવા ગુણોની જાહેરાત કરતાં કહ્યું કે એ શરાબ તો ઠીક, કોકાકોલા-લિમ્કા-ફેન્ટા પણ પીતા નથી. વૈભવી જીવનશૈલી વિશેના આરોપોના જવાબમાં તેમનો દાવો હતો : ‘હું એટલું કામ કરું છું કે વૈભવી જીવનશૈલી માટે સમય જ મળતો નથી. હોટેલમાં જવાનું વર્ષે એકાદ વાર થાય ને એ પણ કોઇને મળવા.’ ઉગતી જુવાનીમાં સંજય અને તેમની મિત્રમંડળી પર કાર ચોરવાના આરોપ થયા હતા. એ વિશે પણ ઉમાએ તેમને પૂછ્‌યું અને સંજયે સફાઇથી પોતાની નિર્દોષતા જાહેર કરી.

ધીમે રહીને વાત માતા સાથેના તેમના સંબંધો પર આવી. એટલે સંજયે કેટલાક વિચાર અલગ હોવાનું કહ્યું. સાથોસાથ, ગૌરવપૂર્વક   કહ્યું કે ‘તે મારા અભિપ્રાય સાંભળે છે-- (આજકાલથી નહીં) હું પાંચ વર્ષનો હતો ત્યારથી. એનો અર્થ એ નહીં કે હું જે કહું એ બઘું તે કરે છે.’ ઉમાએ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની સ્ટોરીની વાત કાઢી અને કહ્યું, ‘તમારી માતા વિશે પણ તમારી પાસે એક ફાઇલ છે એવું કહેવાય છે.’ સંજયે આ વાતને હાસ્યાસ્પદ ગણાવી અને માતા સાથેના ‘હિંસક’ મતભેદો વિશે કે  માતા તેમનાથી બીએ છે, એવી વાત વિશે સંજયે કહ્યું, ‘કેટલી ભારતીય માતાઓ આ સાચું માનશે? કેટલાને એ સાચું લાગશે?’

મારૂતિ પ્રોજેક્ટમાં તેમને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલે પાણીના ભાવે જમીન આપી હતી અને બીજા અરજદારોેને બાજુ પર રાખીને ‘પીપલ્સ કાર’ માટેનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો હતો. તેમ છતાં, ‘વડાપ્રધાનના પુત્ર તરીકે તમને કોઇ વિશેષ ફાયદો મળ્યો હતો?’ એવા સવાલના જવાબમાં સંજયે કહ્યું,‘ત્રણ વર્ષથી સંસદ એ બાબતે તપાસ કરી રહી છે અને કશું મળ્યું નથી.’ તેમનો દાવો હતો કે વિવાદને લીધે કોઇ તેમની તરફેણમાં કશું કરતું નથી ને તેમની સામે પડતાં લોકો ગભરાય છે. સરવાળે તેમનું (મારૂતિનું) બઘું પેન્ડિંગ (લટકતું) રહી જાય છે.

ઉમાએ તેમને એમ પણ પૂછ્‌યું કે ‘તમારી ફેક્ટરી નવ લાખ ચોરસ મીટરમાં પથરાયેલી છે. કાર પ્રોજેક્ટ માટે આટલી બધી જગ્યા જરૂરી છે?’ સંજયે ઠાવકાઇથી કહ્યું, ‘પહેલાં પચાસ હજાર કારનું ઉત્પાદન કરવાની અમારી ધારણા હતી. પણ (આરબ ઓઇલ ક્રાઇસિસને લીધે) પેટ્રોલનો (તેના ભાવવધારાનો) પ્રશ્ન આવ્યો. (કારની માગ ઘટી ગઇ એટલે) અમે રોડરોલરનું અને બસનું ઉત્પાદન શરૂ કર્યું. ઉપરાંત કાર તો ખરી જ. આ બધાના સહિયારા નિર્માણ માટે આટલી જમીન બરાબર છે.’
Sanjay Gandhi with Maruti

હકીકતમાં, આ તબક્કા સુધી ‘મારૂતિ’ જથ્થાબંધ નિર્માણના તબક્કા સુધી પહોંચી જ ન હતી. ઇન્ટરવ્યુમાં એક તબક્કે સંજયે કહ્યું હતું કે ફેક્ટરીમાં મહિને સાત-આઠ કાર બને છે. ‘મારૂતિ’ પ્રોજેક્ટને સરકારી કૃપાના મુદ્દે સંસદમાં કાયમ મચતું હતું ને ઇંદિરા ગાંધીને જવાબો આપવા અઘરા પડતા હતા. (પારસી સાંસદ પીલુ મોદી તેમની લાક્ષણિક જબાનમાં કહેતા હતા તેમ, ‘મારૂતિની વાત કરીએ તો મા રોતી છે.’) સંજયની ફેક્ટરી બંધ ન પડી જાય એટલા માટે તેમના દરબારી બંસીલાલે હરિયાણા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોનો ઑર્ડર સંજય ગાંધીની ફેક્ટરીને આપી દીધો. આ બધી વાતો ઉઘાડેછોગ હતી. પરંતુ ઉમા વાસુદેવનો આશય ઉલટતપાસનો કે સંજય ગાંધીને ભીંસમાં લેવાનો નહીં, તે જે બોલે એ બઘું બોલાવવાનો હતો. કારણ કે સંજય ગાંધી ન ઇચ્છે તો આખો ઇન્ટરવ્યુ સંપન્ન થયા પછી પણ તે પ્રકાશિત ન થઇ શકે. તેમણે સેન્સર બોર્ડને ફક્ત એક ઇશારો જ કરવાનો રહે. સવાલોમાં જરાસરખી પણ વિરોધની કે કાંઠલાપકડની ગંધ આવે તો ઉમા વાસુદેવનું નામ ‘મિસા’ (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ) હેઠળ પકડાયેલા હજારો કેદીઓની યાદીમાં ઉમેરાઇ જાય. આવું કોઇ સાહસ ખેડવાનો ઉમાનો ખ્યાલ ન હતો. તેમને એટલું સમજાતું હતું કે કટોકટી પછી સંજય ગાંધીનો વિગતવાર ઇન્ટરવ્યુ થાય, તો તેમનું મેગેઝીન તરી જાય.

રૉલ્સ રૉયસ કંપનીમાં માંડ થોડા દિવસની તાલીમ સિવાય બીજી કોઇ લાયકાત ન ધરાવતા સંજય ગાંધી ‘મારૂતિ’માં પરોવાયેલા રહે તો માતા ઇંદિરા ગાંધીને શાંતિ થાય. એક સ્નેહીને લખેલા પત્રમાં તે પોતાના મોટા પુત્ર (રાજીવ)ની સારી નોકરી વિશે સંતોષ અને સંજય વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં હતાં. પરંતુ કેવળ માના આશાવાદથી કે વડાપ્રધાનની લાગવગથી સંજય ગાંધી કે તેમનો મારૂતિ પ્રોજેક્ટ ઠેકાણે આવી જાય એમ ન હતાં. વિલંબ સાથે ‘પીપલ્સ કાર’ની કિંમત વધતી જતી હતી. અસલમાં ‘મારૂતિ’ રૂ.તેર હજારની કિંમતે આપવાની વાત હતી, પણ ઉમાએ ઇન્ટરવ્યુ લીધો ત્યારે સંજયે તેની કિંમત રૂ.પચીસ હજાર પાડી હતી. સંજયે તેમને કહ્યું હતું કે ‘ભારતમાં દસ હજાર રૂપિયામાં તો શું, પાંચ હજાર રૂપિયામાં પણ પીપલ્સ કાર ન હોય. કારણ કે (જેમના માટે આ કાર બનાવવાની વાત હતી એવા) મોટા ભાગના લોકોને સાયકલ કે બસથી વધારે કશું પોસાય એમ નથી.’

(આવતા સપ્તાહે : ‘મારૂતિ’ના દુઃસાહસની થોડી વઘુ વાતો અને ઇંદિરા ગાંધીને ભીંસમાં મૂકનારા સંજય ગાંધીના આર્થિક-રાજકીય વિચારો)

2 comments: