Tuesday, June 23, 2015

કટોકટી : ન ભૂલવા જેવો ઇતિહાસ

બે દિવસ પછી ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીની ચાળીસમી વરસી આવશે. ભાજપના વરિષ્ઠ અને ઉપેક્ષિત નેતા અડવાણીએ  ‘હજુ પણ કટોકટીની સંભાવના પૂરેપૂરી ટળી નથી’ એ મતલબની ટીપ્પણી કરીને જૂની-નવી, દેખીતી-અણદેખીતી કટોકટીને ગરમાગરમ ચર્ચામાં આણી દીધી. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના મહત્ત્વના અને વર્તમાન સમયમાં પ્રસ્તુત બોધપાઠની ચર્ચામાં જતાં પહેલાં, તેના મૂળભત ઘટનાક્રમની જરૂરી જાણકારી મેળવી લઇએ.

Raj Naraian/ રાજનારાયણ
૧૯૭૫ની ૧૨મી જૂને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં અને કૉંગ્રેસ તેમાં ધોવાઇ ગઇ, ઇંદિરા ગાંધીના વિશ્વાસુ સલાહકાર ડી.પી.ધરના અવસાનના સમાચાર આવ્યા અને એ જ દિવસે અલાહાબાદ હાઇકૉર્ટનો ચુકાદો પણ આવ્યો. ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના જોગીઓથી પોતાના જૂથને અલગ પાડ્યા પછી ઇંદિરા ગાંધીએ ૧૯૭૧માં ચૂંટણી જાહેર કરાવી દીધી. નિશ્ચિત સમયપત્રક કરતાં આશરે સવા વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસની નિર્ણયાત્મક જીત થઇ. ખુદ ઇંદિરા ગાંધી પણ ઓછા જાણીતા સમાજવાદી નેતા રાજનારાયણ સામે રાયબરેલી બેઠક પરથી જીતી ગયાં. ચૂંટણીમાં હાર્યા પછી રાજનારાયણે શાંતિભૂષણને વકીલ તરીકે રોકીને ઇંદિરા ગાંધી સામે અલાહાબાદ હાઇકૉર્ટમાં એક કેસ દાખલ કર્યો. તેમાં કરાયેલા કુલ ૧૪ આરોપનો મુખ્ય સૂર એ હતો કે ચૂંટણી જીતવા માટે ઇંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની પોતાની સત્તાનો અને સરકારી સાધનસામગ્રીનો (ગેરવાજબી) ઉપયોગ કર્યો હતો.

રાજનારાયણના કેસને શરૂઆતમાં કોઇએ ગંભીરતાથી લીધો ન હતો, પરંતુ ૧૯૭૫માં તેની કાર્યવાહીથી ખળભળાટ પેદા થયો. વડાપ્રધાને અદાલતમાં જુબાની આપવી પડી. ૧૯૭૫ની ૧૨મી જૂનની સવારે દસ વાગ્યે અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ચુકાદો જાહેર કર્યો.
Justice Jagmohan Lal Sinha

તેમણે ૧૪માંથી ૧૨ આરોપોમાં વડાપ્રધાનને નિર્દોષ ઠરાવ્યાં, પણ બે ગુનામાં તે દોષી જણાયાં. તેની સજારૂપે ઇંદિરા ગાંધીની સાંસદ તરીકેની ચૂંટણી રદબાતલ જાહેર કરવામાં આવી. રાજનેતાઓની પછીની પેઢીઓએ સત્તાનો દુરુયોગ એટલો સામાન્ય બનાવી દીધો છે કે ઇંદિરા ગાંધીના બન્ને ‘ગુના’ અત્યારે વાંચીને હસવું આવે. એ ગુના હતા : ૧) રાયબરેલીમાં યોજાયેલી બે સભાઓ માટે ઉત્તર પ્રદેશની સરકારે વડાપ્રધાનના ચૂંટણીપ્રચાર માટે ઊંચાં સ્ટેજ બનાવી આપ્યાં હતાં અને લાઉડ સ્પીકર માટે લાઇટ કનેક્શન આપ્યું હતું. ૨) વડાપ્રધાનના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર ત્યારે વડાપ્રધાનની કચેરીમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી તરીકે સરકારી નોકરીમાં ચાલુ હતા. (કપૂરે રાજીનામું આપી દીઘું હતું, પણ તેના સ્વીકારની તારીખનો વિવાદ હતો.)


આરોપ ભલે ગંભીર ન લાગે, પણ ૨૫૯ પાનાંના ચુકાદામાં જસ્ટિસ સિંહાએ ફરમાવેલી સજા ગંભીર હતી. વડાપ્રધાન બનેલા સાંસદની ચૂંટણી ગેરરીતિના આરોપસર રદ થાય, તો તેમની વિશ્વસનિયતાનું શું?  અમસ્તા પણ તેમની સામે ગંભીર પડકાર ઊભા થઇ ચૂક્યા હતા. એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલના ફૂડ બિલમાં થયેલા વધારા સામે શરૂ થયેલું આંદોલન જોતજોતાંમાં ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ આંદોલન બન્યું. તેની પ્રેરણા સાથે બિહારમાં છાત્ર સંઘર્ષ સમિતિનું અને સરવાળે જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન જાગી ચૂક્યું હતું. ‘જનતાકા દિલ બોલ રહા હૈ, ઇંદિરાકા સિંઘાસન ડોલ રહા હૈ’ જેવાં સૂત્રો લોકપ્રિય બન્યાં હતાં.

અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી ઇંદિરા ગાંધીની અસલામતીની લાગણી તીવ્ર બની. પુત્ર સંજય ગાંધી માતાની પડખે આવી ઊભા. હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ જેવા દરબારીઓએ ઇંદિરા ગાંધીના સમર્થનમાં ભાડૂતી ટોળાં પાટનગરમાં ઉતાર્યાં. છડેચોક જસ્ટિસ સિંહાની નનામીઓ બળાઇ. ચુકાદાના બે દિવસ પછી યોજાયેલી કૉંગ્રેસની બેઠકમાં સભ્યોએ ઇંદિરા ગાંધીમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. આ જ બેઠકમાં કૉંગ્રેસપ્રમુખ દેવકાંત બરુઆએ ‘ઇંડિયા ઇઝ ઇંદિરા, ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ એવું યાદગાર વિધાન ઉચ્ચાર્યું. ઇંદિરા ગાંધી પાસે સર્વોચ્ચ અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો હતો, પણ એ કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમણે વડાપ્રધાનપદેથી ઉતરી જવું, એ નૈતિકતાનો તકાદો હતો. એક નોંધ પ્રમાણે, બિમાર વિનોબા ભાવેને ‘શુડ ઇન્દિરા રીઝાઇન ઓર સ્ટે?’એવું પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચબરખી પર જવાબ લખ્યો ‘સ્ટે’. વિનાબા ભાવેના ‘આશીર્વાદ’ પ્રચારની રીતે ખપના, પણ નિર્ણય લેવાના મામલે ગૌણ હતા. ઇંદિરા ગાંધી સત્તા ન છોડવાનું નક્કી કરી ચૂક્યાં હતાં. તેમના એ વખતના સલાહકાર, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી એસ.એસ. (સિદ્ધાર્થશંકર) રેના મનમાં જુદો અને શેતાની ચરખો ચાલી રહ્યો હતો.
Siddharth Shankar Ray - Indira Gandhi / સિદ્ધાર્થશંકર રે- ઇંદિરા ગાંધી
જૂન ૨૩ના રોજ ઇંદિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી. અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા પર મનાઇહુકમ મળી જાય તો તે સાંસદ અને વડાપ્રધાન એમ બન્ને હોદ્દે ચાલુ રહી શકે. વેકેશન જજ વી.આર.કૃષ્ણઐયરે મામલાની નજાકત સમજીને, એ દિવસનું બપોરનું ભોજન જતું કરીને, એક જ દિવસમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી, રાત જાગીને ચુકાદો લખાવ્યો અને તેની ઘણી નકલો કરાવી. (આવું તેમણે પછીથી એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.) બીજા દિવસે એટલે કે ૨૪ જૂનના રોજ તેમણે શરતી સ્ટે ઑર્ડર આપ્યો. તેમણે ઠરાવ્યું કે ઇંદિરા ગાંધી સંસદમાં હાજરી આપી શકે અને વડાપ્રધાન તરીકેની કામગીરી ચાલુ રાખી શકે, પણ તે સંસદમાં મતદાન કરી નહીં શકે અને એટલા સમયગાળા દરમિયાન સાંસદ તરીકેનો તેમનો પગાર નહીં લઇ શકે.

જસ્ટિસ કૃષ્ણઐયરનો ચુકાદો ઊંટની પીઠ પરનું છેલ્લું તરણું સાબીત થયો. વિપક્ષોની આક્રમકતાને નવી ધાર મળી. જયપ્રકાશ નારાયણે કહ્યું કે અદાલતમાં જુબાની દરમિયાન ઇંદિરા ગાંધીએ બઘું મળીને ૨૭ જૂઠાણાં ઉચ્ચાર્યાં હતાં. તેમણે ‘સ્ટ્રાઇક રેટ’ પણ કાઢી આપ્યો. ‘દર પંદર મિનીટે એક જૂઠાણું’.

સંજય ગાંધી અને સિદ્ધાર્થશંકર રે પોતાના આગ્રહ પર અડીખમ હતા કે ઇંદિરા ગાંધીએ રાજીનામું ન જ આપવું. રે પાસે યોજના પણ તૈયાર હતી. તેમણે રાષ્ટ્રિય હિતમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરતા વટહુકમનો મુસદ્દો બનાવી રાખ્યો હતો. ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિને રૂબરૂ મળીને પોતાના ઇરાદા વિશે જાણ કરી ચૂક્યાં હતાં. એટલે ૨૫મીની રાત્રે રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદે તેની પર તત્કાળ સહી કરી આપી. (અબુ અબ્રાહમે એક યાદગાર કાર્ટૂનમાં દર્શાવ્યું હતું તેમ, બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિ ખુલ્લા ડીલે કટોકટીના વટહુકમ પર સહી કરતા કહેતા હતા,‘હવે બીજી સહીઓ કરાવવાની હોય તો થોડી વાર પછી લાવજો.’)
cartoon by Abu Abraham

કટોકટી લાગુ થતાં જ દિલ્હીનાં અખબારોનો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો. ૨૬ જૂનની સવાર દિલ્હીમાં અખબારવિહોણી ઉગી. જાણવાજોગ સમાચાર એ સવારે ઑલ ઇન્ડિયા રેડિયો પર હતા અને એ જણાવનાર હતાં ખુદ વડાપ્રધાન. તેમણે દેશને આંતરિક અશાંતિની પરિસ્થિતિમાંથી ઉગારવા માટે કટોકટીનું પગલું લીધાનું જણાવ્યું. ખૂંખાર કૂતરાનો માલિક ‘ગભરાશો નહીં, તમને નહીં કરડે’ પ્રકારનું આશ્વાસન આપે, એવો જ અંદાજ ઇંદિરા ગાંધીનો હતો. દરમિયાન આપખુદશાહીનો ખૂંખાર કૂતરો આગલી રાતથી જ છૂટો મૂકાયો હતો. સંખ્યાબંધ વિપક્ષી નેતાઓની ૨૫ જૂનની મોડી રાત્રે ધરપકડ કરી લેવાઇ. ઇંદિરા ગાંધીએ પોતાના મંત્રીમંડળના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા ન હતા. તેમને ૨૬મી વહેલા પરોઢિયે ફોન કરીને સવારે છ વાગ્યે મિટિંગ માટે બોલાવાયા. મિટિંગના હેતુ વિશે કોઇને જાણ કરવામાં આવી ન હતી. પંદર મિનીટ ચાલેલી એ બેઠકમાં જયપ્રકાશ નારાયણની પ્રચંડ સભાઓ, દેશ સામેની કાવતરાબાજી અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ની તરજ પર મંત્રીઓને સમજાવી દેવાયા.


કટોકટી લાગુ થતાં સંજય ગાંધી અને તેમની ટોળકીએ મોરચો સંભાળી લીધો. તેમના સાગરિતોમાં સંરક્ષણ મંત્રી બનાવી દેવાયેલા બંસીલાલ, માથે અહમ્‌ અને આપખુદશાહીનાં શિંગડાં ધરાવતા માહિતી-પ્રસારણ મંત્રી વી.સી.(વિદ્યાચરણ) શુક્લ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી ઓમ મહેતા અને આર.કે. (રાજેન્દ્રકુમાર) ધવનનો સમાવેશ થતો હતો. ઇંદિરા ગાંધીના મુખ્ય સલાહકાર સિદ્ધાર્થશંકર રે અને મુંબઇ કૉંગ્રેસના પ્રમુખ રજની પટેલ હતા.

રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદ ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ થી માંડીને અનેક પ્રકારના અત્યાચારી અને પાયાના નાગરિક અધિકારોનો ભંગ કરતા વટહુકમો પર મત્તું મારતા રહ્યા. હદ તો ત્યારે થઇ, જ્યારે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બેન્ચે ‘હેબીઅસ કોર્પસ’ (ગેરકાયદે અટકાયતમાં લેવાયેલી વ્યક્તિને હાજર કરવાની માગણી)ના અધિકાર પણ કટોકટી પૂરતો મોકૂફ રાખી દીધો. આ હળાહળ અન્યાયી-અત્યાચારી પગલું સરકારનું હતું, પણ સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ તેને કટોકટીની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખીને ઉચિત ઠરાવ્યું. એક જ ન્યાયાધીશ, જસ્ટિસ એચ.આર.ખન્ના એવા નીકળ્યા કે જેમણે વિરોધનોંધ લખી. બંધારણમાં થતા મનસ્વી ફેરફારોને અદાલતમાં પડકારી ન શકાય, એવો વટહુકમ પણ લાવવામાં આવ્યો.

સરકારી રેડિયોનો સચ્ચાઇ દબાવવા અને જૂઠાણાં ફેલાવવા માટે બેશરમીપૂર્વક ઉપયોગ થયો. પહેલાંના વડાપ્રધાનો ફક્ત ‘પ્રધાનમંત્રી’ તરીકે ઉલ્લેખાતા હતા. કટોકટી લાદ્યા પછી સરકારી માઘ્યમો પરથી ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ ‘હમારીં પ્રધાનમંત્રી’ તરીકે થવા લાગ્યો. જયપ્રકાશપ્રેરિત આંદોલનને અરાજકતા સાથે સરખાવીને ચોતરફ નવી ‘શિસ્ત’નો મહીમા થવા લાગ્યો.
(ક્રમશઃ)

5 comments:

  1. ઇન્દિરા ગાંધીના વંશજોનો વિસ્વાસ આજના હિન્દુસ્તાનના લોકો કેમ કરીને રાખી શકે ?
    અગર રાહુલ ગાંધીને પ્ધાનપદુ મળે તો તે ફરીને આવું કરે તો કોઈજ નવાઈ ના લાગવી જોઈએ,અને જો તેને પણ પ્રધાનપદ ના મળે અને હરખપદુડા દેશના વતનીઓ તેની બહેનણે
    જો કોઈપણ સંજોગોમાં પ્રધાનપદે ચૂંટે તો પછી ઇતિહાસનું પુન:રાવર્તન થયું સમજી લો .

    ReplyDelete
    Replies
    1. વાંધો મુદ્દા સામે નહીં, પણ વ્યક્તિ સામે હોય ત્યારે આવું થાય. જે થયું નથી એની ભયંકર કલ્પનાઓ તરત આવે, પણ જે સામે છે તે ન જોઇ શકાય.

      Delete
  2. ઘણું ન જાણેલું જાણ્યું... આભાર

    ReplyDelete
  3. Anonymous5:12:00 PM

    Interesting article. I always wanted to know in detail about this incident. But whatever I could find was either incomplete or not neutral.. When you will publish the second part ? I wanted to know the everything - full story about emergency.
    Thanks for this particular article. --- Dipali

    ReplyDelete
  4. thank u for this article. and sharing indepth knowledge of this perticular incident.

    ReplyDelete