Sunday, March 01, 2015

ગુજરાતીને જ્ઞાનભાષા બનાવવાના રાજસી પ્રયાસ

ગોંડલના રાજા ભગવતસિંહ અને વિદ્યાધિકારી ચંદુલાલ બહેચરદાસ પટેલે ‘ભગવદ્‌ગોમંડલ’ શબ્દકોશ તૈયાર કરીને લોકભાષા ગુજરાતીના અનેક શબ્દો-શબ્દાર્થોને અમરત્વ આપ્યું, તો તેમનાથી પણ પહેલાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ ઉદાર આર્થિક સહાય વડે અનેક વિશિષ્ટ ગુજરાતી પુસ્તકો-પુસ્તકશ્રેણીઓ તૈયાર કરાવીને, ગુજરાતીને જ્ઞાનભાષા બનાવવાના વિરલ - અને હવે વિસરાઇ ચૂકેલા- પ્રયાસ કર્યા હતા.

વિશ્વ માતૃભાષા દિવસનો - અને એ નિમિત્તે માતૃભાષા પ્રેમનો ઉભરો ઓસર્યા પછી, ‘ગુજરાતી બચાવો’ના હઇસો હઇસોમાં પડ્યા વગર, નરણા કોઠે ગુજરાતી ભાષાનો વિચાર કરવાનું વધારે ફળદાયી નીવડી શકે છે. આ દૃષ્ટિએ જોતાં શું દેખાય છે?

આશરે બે લાખ એક્યાશી હજાર શબ્દો ધરાવતો, ગોંડલના રાજા ભગવતસિંહ અને રાજ્યના વિદ્યાધિકારી ચંદુલાલ બહેચરદાસ પટેલે તૈયાર કરેલો ‘ભગવદ્‌ગોમંડલ’ કોશ, જે હવે કુલ ૯,૨૦૦ પાનાં ધરાવતા દળદાર ગ્રંથને બદલે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બની ચૂક્યો છે. ‘ગુજરાતીલેક્સિકન’ www.gujaratilexicon. com જેવી વેબસાઇટના માઘ્યમથી ગુજરાતી-અંગ્રેજી-સ્વાહિલી ડિક્શનેરી ઉપરાંત ગુજરાતીની કહેવતો, શબ્દપ્રયોગો અને બીજી અનેક સામગ્રી વિના મૂલ્યે જોઇ શકાય છે. ઇન્ટરનેટ વિશ્વની બહાર, ‘હાર્ડ કૉપી’ની વાત કરીએ તો, ‘સફારી’ / Safari જેવા અનોખા જ્ઞાનવિજ્ઞાન માસિકે આ મહિને તેના અઢીસો  અંક પૂરા કર્યા. તેની ગૌરવપૂર્ણ સફરમાં ‘ગુજરાતી બચાવો’ના સૂત્રોચ્ચારને બદલે, ગુજરાતીને જ્ઞાનભાષા બનાવીને, આધુનિક જ્ઞાનને સરળ અને રસાળ ગુજરાતીમાં રજૂ કરીને, ગુજરાતી વાચકોની પેઢીઓનું ઘડતર કરવામાં આવ્યું છે. યુવા પેઢીમાં લોકપ્રિય થવા માટે છીછરાપણાની છોળો ઉડાડવાનું કે પરાણે ગુજલિશ ધૂસાડવાનું અનિવાર્ય નથી, તે આવા પ્રયાસોની સફળતા પરથી વઘુ એક વાર સિદ્ધ થાય છે.

એક-દોઢ સદી પહેલાં ‘ગુજરાતી બચાવો’નેે બદલે ‘ગુજરાતી ફેલાવો’ની વાત ચાલતી હતી. કેમ કે, શિક્ષણનો પ્રસાર નહીંવત્‌ હતો. મોટા વિસ્તારમાં દેશી રજવાડાં ધરાવતા ગુજરાતમાં મોટા ભાગના રાજાઓ સત્તાના નિરંકુશ અને પ્રજાહિતવિરોધી ભોગવટામાં રાચતા. એ વખતે મરાઠીભાષી રાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ગુજરાતી ભાષાના અણધાર્યા, દૃષ્ટિવંત અને સાતત્યપૂર્ણ ટેકેદાર બની રહ્યા.

સયાજીરાવ (ત્રીજા)ના પૂર્વસૂરિ ખંડેરાવ ગાયકવાડ (રાજ્યસમયઃ ૧૮૫૬-૧૮૭૦)ના જમાનામાં અમદાવાદસ્થિત કવિ દલપતરામે ગાયકવાડના રાજ્યમાં ગુજરાતીને રાજ્યભાષાનું સ્થાન આપવા માટે પહેલાં અરજીથી અને પછી રૂબરૂ કવિતા દ્વારા વિનંતી કરી હતી. દલપતરામની એ અમર બનેલી પંક્તિઓ આ પ્રમાણે હતીઃ

ગીરા ગુજરાતીતણા પીયરની ગાદી પામી 
મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દીલ છું
અરજી તો આપી, દીઠી મરજી તથાપિ નહિ
આવ્યો આપ આગળે ઉચરવા અપીલ છું
માંડતા મુકદ્દમાને ચાર જણા ચૂંથશે તો 
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ
રૂડી ગુજરાતી વાણીરાણીનો વકીલ છું

ખંડેરાવના અવસાન પછી મલ્હારરાવ અને તેમના પછી સયાજીરાવ (ત્રીજા) વડોદરાની ગાદીએ બેઠા. તેમના રાજ્યમાં છેક ૧૯૧૨માં (દલપતરામના મૃત્યુનાં ૧૪ વર્ષ પછી) ગુજરાતીને રાજ્યભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. પણ ત્યાર પહેલાં ગુજરાતી ભાષામાં ગાયકવાડ સરકારના ઉત્સાહપૂર્ણ ટેકાથી માતબર કામ શરૂ થઇ ચૂક્યું હતું. ‘વડોદરા રાજ્યની સાહિત્યપ્રવૃત્તિઓ’ (ભરતરામ મહેતા અને રમણિકરાય દેસાઇ, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા,૧૯૫૭,)એ પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, વિવિધ ગ્રંથમાળાઓ અને વિષયોને લગતાં આઠસોથી પણ વઘુ પુસ્તકો સયાજીરાવ (ત્રીજા)ના શાસનકાળમાં પ્રકાશિત થયાં, જેમાંથી મોટા ભાગનાં પુસ્તકો ગુજરાતી ભાષામાં હતાં.

સયાજીરાવના શાસનકાળ (૧૮૭૫-૧૯૩૯) દરમિયાન ગાયકવાડ રાજની સીધી કે આડકતરી મદદથી પ્રકાશિત થયેલાં પુસ્તકોનું વિષયવૈવિઘ્ય આશ્ચર્ય ઉપજાવે એવું છે. જેમ કે, ‘પ્રાચીન કાવ્યમાળા’ પુસ્તકશ્રેણી અંતર્ગત હરગોવિંદદાસ કાંટાવાળાની દેખરેખ હેઠળ ત્રણ વર્ષમાં ગુજરાતનાં પ્રાચીન કાવ્યોનાં વીસ પુસ્તક તૈયાર થયાં. એ કામ માટે ગાયકવાડે ૧૮૮૯માં રૂ.બાર હજાર જેવી તોતિંગ રકમ ફાળવી હતી. રકમ ખર્ચાઇ ગઇ અને થોડાં કાવ્યો પ્રકાશિત થવાના બાકી રહ્યાં, ત્યારે ગાયકવાડે બીજા ચાર હજાર રૂપિયા મંજૂર કર્યા. આમ, ગુજરાતી ભાષાનાં ખોવાઇ ગયેલાં-ભૂલાઇ ગયેલાં કાવ્યોનાં ૩૫ પુસ્તકો ગુજરાતને મળ્યાં.
સયાજીરાવ ગાયકવાડ / Sayajirao Gaekwad
‘ગુજરાતી ભાષા એટલે કેવળ સાહિત્ય’ એવી ગેરસમજણ સાહિત્યકારો અને બીજા લોકો અત્યારે પણ ફેલાવે અને ધરાવે છે, પરંતુ સયાજીરાવે છેક ૧૮૮૮માં ‘સયાજી જ્ઞાનમંજૂષા ગ્રંથમાળા’ માટે રૂ. પચાસ હજારનું ભંડોળ અલગ ફાળવ્યું હતું. ‘કલાભવન’ના નિયામક અને વિખ્યાત રસાયણશાસ્ત્રી પ્રો.ત્રિભુવનદાસ ગજ્જર આ ગ્રંથમાળાની જવાબદારી સંભાળતા હતા. (દાદાસાહેબ ફાળકે આ જ ‘કલાભવન’માં પ્રો.ગજ્જરના વિદ્યાર્થી હતા.) આગળ જતાં રકમ ઓછી પડી, એટલે ગાયકવાડે ૧૮૯૮માં બીજા પંદર હજાર રૂપિયા મંજૂર કર્યા.

ત્રિભુવનદાસ ગજ્જરે હાથ ધરેલો અને અધૂરો રહેલો મહાપ્રોજેક્ટ એટલે ‘બહુભાષાશબ્દકોશ’. (પ્રો.ગજ્જરની જીવનકથામાં આ કોશના એક પાનાનો નમૂનો આપવામાં આવ્યો છે.) આ કોશમાં વિવિધ વિષયોના અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી સમાનાર્થી શબ્દોનો સંગ્રહ તૈયાર કરવાનો ખ્યાલ હતો. પરંતુ ખર્ચ ખૂબ વધી ગયું અને કામની ઝડપ ઘણી ઓછી હતી. એટલે તે કામ અધવચ્ચેથી અટકાવી દેવાયું હતું. એ કોશનું જેટલું કામ થયું હતું તેના મૂળ દસ્તાવેજો પ્રાચ્યવિદ્યામંદિર (ઑરિએન્ટલ સ્ટડીઝ)માં સચવાયું હતું. એવી જ રીતે, વિજ્ઞાનના વિવિધ પારિભાષિક શબ્દો માટે એકસરખા ગુજરાતી શબ્દો વપરાય અને વિજ્ઞાનના ગુજરાતીલેખનમાં શિસ્ત આવે, એ હેતુથી નમૂના લેખે વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ તૈયાર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. બંગાળી અને હિંદી ભાષામાં આ પ્રકારનો શબ્દસંગ્રહ પ્રગટ થયો હોવાથી, ગુજરાતીમાં પણ ‘શ્રી સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’ નામે લઘુગ્રંથ પ્રકાશિત થયો. પણ એ કામ આગળ વધી શક્યું નહીં.

‘સંસ્કૃત ગ્રંથમાળા’ અને ‘હિંદુ ધર્મશાસ્ત્ર ગ્રંથમાળા’ જેવા ઉપક્રમો માટે પણ સયાજીરાવે ઉદારતાપૂર્વક નાણાં ખર્ચ્યાં. ‘સંસ્કૃત ગ્રંથમાળા’ માટે મણિલાલ નભુભાઇ દ્વિવેદી જેવા સાક્ષરને ૧૮૯૩થી ૧૮૯૫ દરમિયાન માસિક રૂ.૩૦૦ના મોટા પગારે વડોદરામાં અલગ દફતર સાથે નોકરીએ રાખવામાં આવ્યા. એ વખતે તેમણે એકવીસ સંસ્કૃત પુસ્તકોનું સંશોધન કર્યું અને તેની પાછળ સાડા સાત હજાર રૂપિયાનો ખર્ચ થયો. એવી જ રીતે, ગાંધીજીએ જેનાં બહુ વખાણ કર્યાં હતાં તે આનંદશંકર ધ્રુવકૃત ‘હિંદુ ધર્મની બાળપોથી’ સહિતનાં હિંદુ ધર્મનાં ઘણાં પુસ્તકો પણ સયાજીરાવે તૈયાર કરાવ્યાં.

આ ઉપરાંત, આરોગ્ય, દેશી રમતગમતો અને સંગીત સુદ્ધાંના  ગ્રંથો માટે સયાજીરાવે નાણાંકોથળી ખુલ્લી મૂકી હતી. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં નોટેશન (સ્વરલિપિ) લખનાર વડોદરાના રાજગાયક મૌલા બક્ષના કેટલાક ગ્રંથો પણ પ્રસિદ્ધ કર્યા. છોકરાઓને ભણાવવા વિશે પણ લોકોમાં જાગૃતિ ન હતી, એવા સમયે સયાજીરાવે કન્યાકેળવણી માટે અલાયદાં પુસ્તકો-ગ્રંથમાળાની યોજનાને મંજૂરી આપી અને ‘બાળા સંગીતમાળા’ નામે કન્યાઓ માટે ગુજરાતી અને મરાઠી ગાયનના ગ્રંથો તૈયાર કરાવ્યા.

આવા અનેક વિષયોમાં ગુજરાતી પુસ્તકો તૈયાર કરાવનાર સયાજીરાવ સાહિત્યમાં થોડા પાછળ રહે? વડોદરામાં ૧૯૧૨માં ગુજરાતી સાહિત્ય પરિષદનું ચોથું અધિવેશન ભરાયું ત્યારે સયાજીરાવે ‘ગામડાં, કસબા તેમ જ શહેરોમાં ગમે તે ધંધો કરતાં, સામાન્ય કોટીનાં સ્ત્રીપુરૂષોને સાહિત્યસમૃદ્ધિનો લાભ’ આપવા માટે વડોદરા રાજ્યના બજેટમાંથી નહીં,પણ પોતાના ખાનગી ભંડોળમાંથી બે લાખ રૂપિયા જેવી ગુજરાતી સાહિત્ય માટે અભૂતપૂર્વ કહેવાય એવી રકમ જુદી કાઢી અને તેના વ્યાજમાંથી સાહિત્યનાં પુસ્તકો તૈયાર કરવા કહ્યું હતું.

સયાજીરાવના પ્રકાશન-પ્રયાસોની આ કેવળ અછડતી ઝલક છે. જાન્યુઆરી, ૨૦૧૫માં અમદાવાદમાં યોજાયેલા ત્રણ દિવસના ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ (Gujarati Literature Festival / GLF)ની ચર્ચાઓમાં એક સવાલ એવો આવ્યો હતો કે ‘સરકાર સાહિત્ય માટે- ભાષા માટે શું કરી શકે?’ તેનો એક જવાબ એ છે કે સરકાર (એટલે કે અધિકારીઓ) ‘વાંચે ગુજરાત’ જેવા ગુણવત્તાનિરપેક્ષ સરકારી કાર્યક્રમો અંતર્ગત કે પછી પોતાની ‘ગોઠવણો’ પાર પાડીને નબળી ગુણવત્તાનાં પુસ્તકો ગુજરાતના માથે ન મારે, એટલું તો ઓછામાં ઓછું થઇ શકે
- અને વધુમાં વુ શું થઇ શકે એ જાણવું હોય તો સવા સો વર્ષ પહેલાં સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ કરેલા પ્રયાસોમાંથી પ્રેરણા લઇ શકાય.

(સરતચૂક અને સુધારઃ ’નવાજૂની’ કોલમમાં આ લેખ પ્રગટ થયો, ત્યારે તેમાં સરતચૂકથી ’આ મહિને સફારીના બસો અંક પૂરા થયા...’ એવું લખાયું હતું. ખરેખર બસો નહીં, પણ ’અઢીસો અંક’- એમ હોવું જોઇએ. તે અહીં, ઉપરના લખાણમાં, સુધારી લેવાયું છે. )

1 comment:

  1. ગુજરાતીના ઇતિહાસમાં જબ્બરદસ્ત યાત્રા કરાવી, જયકૃષ્ણ ઇન્દ્રજી વિશે તો તમે અલગ લેખ લખ્યાનું યાદ આવે છે. એમને ભૂલી ગયા કે શું?

    ReplyDelete