Thursday, March 05, 2015

`સરદારઃ સાચો માણસ, સાચી વાત` : દસ વર્ષ પછી...

સરદારઃ સાચો માણસ, સાચી વાત  (ઉર્વીશ કોઠારી)
Sardar : sacho manas, sachi vaat by Urvish Kothari

મિત્ર પ્રણવ અધ્યારુએ યાદ કરાવ્યુંઃ આજથી બરાબર દસ વર્ષ પહેલાં, ૫-૩-૨૦૦૫ના રોજ, રાજકોટના હેમુ ગઢવી હોલમાં ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’નું વિમોચન થયું હતું. મારું સ્વતંત્રપણે થયેલું એ પહેલું પુસ્તક. અપૂર્વ આશર સાથે કરેલું એ પહેલું કામ. ’આરપાર’ સાપ્તાહિકના ઉત્સાહી માલિક મનોજ ભીમાણીના ઉત્સાહથી શરૂ થયેલી પ્રકાશન સંસ્થા ’સત્ય મીડિયા’નું એ પહેલું પુસ્તક. પ્રણવ અધ્યારુનું સંચાલન ધરાવતો એ પહેલો કાર્યક્રમ. 

પ્રણવના ફોનથી ખરાબ સ્મરણશક્તિએ પણ ઘણું યાદ આવ્યું. ’આરપાર’માં મનોજ ભીમાણીનું આર્થિક પીઠબળ અને પ્રોત્સાહન, પ્રણવના અવનવા આઇડીયા તથા મારું લેખન- આ ત્રણેની જોરદાર જુગલબંદી જામી હતી. તેના વિશેષાંકો અમે બહુ આનંદથી અને બહુ વિશિષ્ટ બનાવ્યા હતા. એક પણ ગુજરાતી હાસ્યલેખક વગરના હાસ્યવિશેષાંક (હોળીવિશેષાંક, ૨૦૦૨)થી શરૂ થયેલા એ સિલસિલામાં ફિલ્મસંગીત અંક અને ગાંધીઅંક પછી સરદાર સ્પેશ્યલ કરવાનું વિચાર્યું. એ વખતે ખ્યાલ ન હતો કે સરદાર સાથેનો નાતો એક વિશેષાંક પૂરતો નહીં, પણ તેનાથી ઘણો લાંબો અને ઘણો વધારે ફળદાયી નીવડશે.  ’આરપાર’ના વિશેષાંકનું ટાઇટલ પેજ વિખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકીએ પ્રેમપૂર્વક અમને કરી આપ્યું, જે એકદમ બિનપરંપરાગત હતું. એ ટાઇટલની થોડી એન્લાર્જ અને લેમિનેટ કરેલી આવૃત્તિ આજે પણ ઘરની લાયબ્રેરીમાં પ્રવેશનારનું સ્વાગત કરે છે. 

વૃંદાવન સોલંકી/ vrundavan solanki એ તૈયાર કરેલું
આરપારના સરદાર સ્પેશ્યલ અંકનું ટાઇટલ પેજ
@Kotharis', Luharvad, Mahemdavad
સરદાર સ્પેશ્યલ અંકનો ભવ્ય વિમોચન સમારંભ શાહીબાગના સરદાર સ્મારકમાં યોજાયો, જેમાં બીજા અનેક સ્નેહીઓ ઉપરાંત સરદારની તસવીરો લેનારાં બે તસવીરકારો- હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ પણ સમારંભમાં ઉપસ્થિત હતાં. એ કાર્યક્રમનું સંચાલન પ્રેમપૂર્વક અશ્વિનીભાઇએ (અશ્વિની ભટ્ટે) કર્યું હતું. અંકને મળેલા સરસ પ્રતિસાદ પછી સરદારનું પુસ્તક કરવાનું ઠર્યું. ’પરણું તો એને જ’ પ્રકારનો મારો આગ્રહ હતો કે આ પુસ્તક કરાવવું તો અપૂર્વ આશર પાસે જ. ત્યાં સુધીમાં હું તેમનાં કામ જોઇ ચૂકેલો અને એ માટે બહુ પ્રેમાદર હતો. હું અને પ્રણવ અપૂર્વને સેન્ચુરી બજાર (અમદાવાદ)માં આવેલી ’ઇમેજ’ની ઓફિસ પર મળ્યા હતા. સાથે સરદારનો અંક રાખ્યો હતો. બીજા સંવાદ તો યાદ નથી, પણ મેં અપૂર્વને એટલું જ કહ્યું હતું કે ’આપણે આ અંકને કાચા પૂઠામાંથી પાકા પૂંઠાનો કરીને એવી રીતે પુસ્તક બનાવવાનું નથી. ’ અપૂર્વને તો આટલું પણ કહેવાનું ન હોય. છતાં પહેલી વાર હતું એટલે કહ્યું. 

એ પુસ્તકના કામ નિમિત્તે અપૂર્વ આશરના બોપલના ઘરે અવરજવર થઇ. સવારથી સાંજ એમના ઘરે બેસીને તેમને કામ કરતા જોવાનું થાય. તેમના પ્રતાપી પિતા - ’વોરા પ્રકાશન’ના શિવજીભાઇ આશર, અપૂર્વનાં મમ્મી, તેમનાં પત્ની-દીકરીઓ અને વિદુલાબહેન, આ બધાએ એટલો પ્રેમ અને ઉમળકો દર્શાવ્યાં કે ત્યારથી પુસ્તક થતાં પહેલાં જ એક મજબૂત મિત્રની સપરિવાર ઉપલબ્ધિ થઇ. તેમની સાથે ડાઇનિંગ ટેબલ પર મારું ટિફિન ખોલીને જમવામાં અને તેમના ભોજનમાંથી ભાગ પડાવવા ભોજન કરતાં નિઃસ્વાર્થ આત્મીયતાનો સ્વાદ ચડી જતો હતો. પુસ્તકના ટાઇટલના અપૂર્વે બે વિકલ્પ તૈયાર કર્યા હતા. પણ તેમાંથી આ પોસ્ટની શરૂઆતમાં મૂકેલું ટાઇટલ અમને બહુ ગમ્યું. મનોજ ભીમાણી અને પ્રણવ અધ્યારુ તો એક વાર અપૂર્વના ઘરે, ફક્ત અમે નક્કી કરેલું ટાઇટલ જોવા આવ્યા હતા. પુસ્તકનું શીર્ષક ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પ્રણવ અધ્યારુએ આપેલું હતું. આખા પુસ્તકમાં વિવિધ પ્રકારની સામગ્રીની અપૂર્વ આશરે જે કળાત્મક રીતે અને મેટરની સાથે એકરૂપતાથી ગૂંથણી કરી હતી, તેનાથી એ પુસ્તક જેટલું મારું એટલું જ અપૂર્વનું પણ બન્યું. 

પુસ્તકનો વિમોચન સમારંભ રાજકોટમાં રાખવાનું મનોજભાઇએ નક્કી કર્યું. તેમના ખાસ મિત્ર અને ’અકીલા’ના તંત્રી કિરીટ ગણાત્રા પુસ્તકનું વિમોચન કરવાના હતા. ચંદ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરી મુખ્ય વક્તાઓ હતા. આ વિશિષ્ટ સમારંભનું વિશિષ્ટ કાર્ડ પ્રણવે તેની આગવી શૈલીમાં તૈયાર કર્યું હતું. એ સમારંભનું કવર અને અંદરનું કાર્ડ

’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડનું કવર
’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડ -૧

’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ વિમોચન સમારંભના કાર્ડ -૨
સમારંભમાં ચંદ્રકાંત બક્ષી અને રઘુવીર ચૌધરી મુખ્ય વક્તાઓ હતા. એ ઉપરાંત પ્રાણલાલ પટેલ પણ હાજર રહ્યા હતા. મનોજભાઇના ખાસ મિત્ર અને ’અકીલા’ દૈનિકના તંત્રી કિરીટભાઇ ગણાત્રાએ પુસ્તકનું વિમોચન કર્યું. બક્ષીએ બેઠાં બેઠાં પ્રવચન આપ્યું અને પ્રવચનની શરૂઆતમાં કહ્યું, ’મોરારીબાપુને જ્યારથી ટીવી પર બોલતા જોયા ત્યારથી લાગ્યું છે કે બેસીને પ્રવચન કરવાના ઘણા ફાયદા છે.’ આ સમારંભના વક્તાઓ વિશે થોડું કહી શકાય એમ છે, પણ અે ફિર કભી.

આ સમારંભ માટે ’આરપાર’ની અમદાવાદ ઓફિસથી એક મિનીબસ ઉપડી હતી અને તેમાં ઘણા સ્નેહી-મિત્રો-વડીલો ઉલટભેર જોડાયા હતા. તેમણે આ પ્રસંગને મારા માટે અંગત રીતે જીવનનો અવિસ્મરણીય દિવસ બનાવી દીધો. પરમ મિત્ર પૂર્વી ગજ્જર એ વખતે રાજકોટ આવી હતી. એટલે એ પણ ત્યાં મળી. મહેમદાવાદ આઇ.વાય.સી.ના (બીરેનના) મિત્રો અજય પરીખ, વિપુલ રાવલ અને પૈલેશ શાહ આવ્યા હતા, તો જગદીશ પાટડિયા જેવા અમારા ત્યાર પછીના અમદાવાદના કાર્યક્રમોમાં ભાગ્યે જ આવી શકતા મિત્ર પણ રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામોફોન ક્લબનાં મહેશભાઇ-ગીતાબહેન- ચંદ્રશેખરભાઇ હોય કે પછી સલિલ દલાલ કે પછી અવંતિકા ગુણવંત જેવાં ’આરપાર’નાં લેખિકા કે પછી પત્રકારત્વના ક્ષેત્રથી દૂર એવો, મારો ગુજરાત રિફાઇનરીના (અને ત્યાર પછી બેકારીના) જમાનાનો પરમ મિત્ર (કસ્ટમ્સ-એક્સાઇઝ ઇન્સ્પેક્ટર) બીરેન મહેતા- આવા જિગરીઓ સાથે રાજકોટથી વળતાં બસમાં પાછો આવ્યો, ત્યારે મને એવું લાગતું હતું, જાણે હું જાનમાં (પરણીને) પાછો જાઉં છું. :-)  (એ જુદી વાત છે કે લગ્ન વખતે અમે ઘરમાં સાત-આઠ જણ ’જાન’ તરીકે ગયાં હતાં અને એક સભ્યનો વધારો કરીને પાછાં આવી ગયાં હતાં.)

L to R : Biren, Sonal (with Aastha), Urvish, Rajnikumar Pandya, Tarulata
Dave, Kamini Kothari, (kids l to r) Ravi, Ishan, Shachi Kothari (Rajkot)
L to R : Biren Kothari, Binit Modi, Pranlal Patel, Urvish Kothari (Rajkot)
L to R : Ajay Parikh, Vipul Raval, Urvish Kothari, Pailesh Shah, Shachi, Kamini
Kothari, Biren Mehta (Rajkot)
આ પુસ્તક પ્રકાશિત થયા પછી ઘણા પ્રતિભાવ-પત્રો મળ્યા. અભ્યાસી વડીલ મિત્ર રમેશ ઓઝાએ બહુ લંબાણથી પત્ર લખ્યો. તેમાં ભારે પ્રોત્સાહન ઉપરાંત સરદાર વિશેની મારી સમજ વધારે બારીક બનાવે એવા કેટલાક મુદ્દા હતા. તેમના એ પત્રનો મેં ’સરદાર’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ ઉલ્લેખ કર્યો છે. એવા બધા તો નહીં, પણ ત્રણ સાવ જુદા અને વિશિષ્ટ પત્રો કે તેના અંશ અહીં મૂકુું છું.

Ashwin Mehta about Urvish Kothari's 'Sardar...'
વિખ્યાત તસવીરકાર અશ્વિન મહેતાએ પુસ્તકની પહોંચરૂપે બિનીતને લખેલા પત્રમાં લખ્યું હતું, ’તમારા તરફથી અદભૂત પુસ્તક મળ્યું. ઉર્વીશભાઇને ઢગલો અભિનંદન. બધી દૃષ્ટિએ પરિપૂર્ણ થયું છે. (અપૂર્વનો હાથ છૂપો રહેતો નથી. એને પણ મારાં અભિનંદન) એક્કી બેઠકે, છૂટાંછવાયાં, ત્રીસ-ચાલીસ પાનાં વાંચી ગયો...

Bakul Tripathi's letter to Urvish Kothari -1

Bakul Tripathi's letter to Urvish Kothari -2

બકુલ ત્રિપાઠીએ તેમના અટપટા અક્ષરોમાં ઉમળકાથી લખ્યુંઃ
’ઓ ભાઇ ઉર્વીશ, ધારેલું કે આખું પછી નિરાંતે વાંચીશ. ૨૭મીએ મુંબઇ જવું છે, એટલે હમણાં કામનો ભાર ઘણો છે)..એટલે પહેલું પ્રકરણ ચાવી લઉં. પણ તરત જ પ્રભાવિત થયો. પહેલા પ્રકરણનું લંબાણ વિવેચન- એપ્રીસીએશન- તમને લખું તેમ હતું પણ ૨૯મી પાસે આવી. ન લખાયું. પણ પ્રકરણો અણધાર્યાં ’સરદાર અને અભિવ્યક્તિ’ સુધી મને ખેંચી ગયાં. હવે બ્રેક. મારી, આ પત્ર તમને લખીને ફરજીયાત ’ઇન્ટર્વલ’ પાડી દઉં છું. સરસ પત્રકાર કાર્ય, સંપાદન કાર્ય અને સંદર્ભ સાહિત્યકાર કાર્ય તમે કર્યું છે. અભિનંદન. ’અભિવ્યક્તિ’વાળું પ્રકરણ તો બેનમૂન....’


આ પુસ્તકની કેટલીક વિશિષ્ટ અને અનોખી સામગ્રીમાં ’ફિલ્મ ઇન્ડિયા’ ફિલ્મમાસિકમાં ચાળીસીના દાયકામાં પ્રગટ થયેલાં કેટલાંક સરદારવિષયક કાર્ટૂન પણ હતાં,  (જેમાંથી કેટલાંક બાળ ઠાકરેનાં દોરેલાં,) ’ફિલ્મઇન્ડિયા’ સામયિકના દિવંગત તંત્રી બાબુરાવ પટેલનાં પત્ની સુશીલારાની પટેલને પણ આ પુસ્તક મોકલ્યું હતું, તેનો એમણે સુવાચ્ય અંગ્રેજીમાં લખેલો જવાબ ઉપર છે.

આ ,,સિવાય વિનોદ ભટ્ટ અને રજનીકુમાર પંડ્યા જેવા ગુરુજનોથી માંડીને અજાણ્યા-અપરિચિત અનેક લોકોએ પુસ્તક પર પ્રેમ વરસાવ્યો. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી અને કાર્તિક શાહ સાથે મળીને અમારું પોતાનું ’સાર્થક પ્રકાશન’ બે વર્ષ પહેલાં શરૂ કર્યું, ત્યારે ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ની બીજી આવૃત્તિ થઇ અને તેને પણ સરસ પ્રતિસાદ મળ્યો છે. આ પુસ્તકે સરદાર સાથેનો એક કાયમી નાતો સ્થાપી આપ્યો છે. અત્યાર સુધી આપેલાં અનેક વક્તવ્યોમાંથી સાઠ-સિત્તેર ટકાનો વિષય સરદાર છે, તેના મૂળમાં આ પુસ્તક ગણી શકાય. ત્યાર પછી સરદાર વિશેનાં વાચન, વિચાર અને સમજ હજુ વિકસતાં રહે એ સિલસિલો અટક્યો નથી, એનો આનંદ અને સંતોષ છે.

નોંધઃ ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ મેળવવા ઇચ્છતા મિત્રો આ લિન્ક પરથી ઓર્ડર કરી શકે છે
સરદારઃ સાચો માણસ, સાચી વાત (સાર્થક પ્રકાશન)

આ લિન્ક પરથી કેશ ઓન ડિલીવરી દ્વારા પણ મંગાવી શકે છે.
સરદારઃ સાચો માણસ, સાચી વાત (કેશ ઓન ડિલીવરી)

અને આ લિન્ક પરથી તે ઇ-બુક સ્વરૂપે પણ મેળવી શકે છે.
સરદારઃ સાચો માણસ, સાચી વાત (ઇ-બુક)

2 comments:

  1. Anonymous2:17:00 PM

    જોગાનુજોગ , સરદાર પર આપનું આ સુંદર પુસ્તક હમણાં જ થોડા દિવસો પહેલા જ વાંચવાનું થયેલું અને અંગત બ્લોગ પર તેની નાનકડી રૂપરેખા અને ચિત્તાર આપવાની કોશિશ પણ કરેલી . . પુસ્તક'નું કન્ટેન્ટ જેટલું સંતુલિત અને સ્પષ્ટ છે તેટલું જ ભૌતિક રીતે પણ પુસ્તક સુપર'રીચ બન્યું છે અને એ પણ સામાન્ય કહેવાય તેવી કિંમત'માં જ !!

    તેમના પર થયેલા કાર્ટુન્સ / વ્યંગચિત્રો અને ફિલ્મ'ઇન્ડિયા'ની મુલાકાત પહેલા કયારેય નહોતી જાણેલી !

    સરદાર વિષે આપનું , ગુણવંત શાહ'નું અને શ્રી રાજમોહન ગાંધી'નાં પુસ્તકો વંચાઈ ચુકાયા છે અને હવે નરહરીભાઈ અને યશવંતભાઈ'નાં પુસ્તકો વહેલી તકે વાંચવાની ઈચ્છા છે . . આ ઉપરાંત સરદાર'શ્રી પર કોઈ સારા પુસ્તકો હોય તો ભલામણ કરવા વિનંતી

    ReplyDelete
  2. પ્રણવે ઠીક યાદ કરાવ્યું. ‘સરદાર’ વિશેષાંક કે પુસ્તકરૂપી પ્રકાશનના સાથે મળીને માણેલા ઓચ્છવની એકપણ ક્ષણ ભુલાતી નથી. વૃંદાવનભાઈ - ચિત્રાબહેન પણ રાજકોટ આવ્યા હતા. જાનનું સંચાલન કરવાનો મારા માટે પણ આ પહેલો જ પ્રસંગ હતો.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete