Sunday, March 08, 2015

શારદાબહેન મહેતા : જાહેર પ્રવૃત્તિ, શિક્ષણ, લેખન અને સુધારકવૃત્તિનો વીરલ સમન્વય

જમાનો બદલાય તેમ નવાં રોલમૉડેલ ઊભાં થવાં જોઇએ એ ખરું, પણ નજીકના ભૂતકાળનાં યાદ રાખવાલાયક ચરિત્રો ભૂલી જવાથી,  સરવાળે સમાજની માપપટ્ટી ફુટને બદલે મિલિમીટરના કદની થઇ જાય છે. આંતરરાષ્ટ્રિય મહિલા દિને યાદ આવતાં આવાં ઘણાં પાત્રોમાંથી આજે શારદાબહેન મહેતાનું સ્મરણ
Gandhi, Tagore and Sharda Mehta / ગાંધી, ટાગોર અને શારદા મહેતા,
મહિલા વિદ્યાલય, અમદાવાદ/ Ahmedabad, 1920

ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની એક તસવીર બહુ વિશિષ્ટ અને જાણીતી છે. ૧૯૨૦માં રવીન્દ્રનાથ ટાગોર અમદાવાદ આવ્યા ત્યારના એ ફોટોમાં ગાંધીજી ગાંધીટોપીમાં જોવા મળે છે. ઇન્ટરનેટના જમાનામાં આ તસવીર વિકિપિડીયા સહિત બીજી કેટલીક સાઇટો પર ઉપલબ્ધ છે. ક્યાંક એ તસવીરમાં ફક્ત ગાંધી-ટાગોર જ જોવા મળે છે, તો આખી તસવીર હોય ત્યાં, આ બન્ને મહાનુભાવોથી થોડે જ દૂર, એક બહેન બેઠેલાં દેખાય છે. પણ તેમની ઓળખ કોઇ વેબસાઇટ પરથી મળતી નથી. તેમનું નામ છે : શારદાબહેન મહેતા- અને આ તસવીર વેબસાઇટો પર જણાવ્યા પ્રમાણે, સાહિત્ય પરિષદના અધિવેશનમાં નહીં પણ, અમદાવાદના મહિલા વિદ્યાલયમાં લેવાઇ હતી.

ગુજરાતમાં શારદાબહેનની ઓળખાણ આપવી પડે તેની અકળામણ થાય, પણ એ આપવાની થાય જ, તો કેવી રીતે આપવી એની મીઠી મૂંઝવણ થઇ શકે. ગુજરાતીમાં મળેલી સાવ ઓછી મહિલા આત્મકથામાંની એક એટલે શારદાબહેન મહેતાની ‘જીવન સંભારણાં’, જે તેમણે છેક ૧૯૩૮માં લખી હતી. વિશિષ્ટ કહેવાય એવી વાત એ છે કે તેમના પ્રતાપી પતિ ડૉ.સુંમત મહેતાની આત્મકથા દાયકાઓ પછી, ૧૯૭૧માં આવી. ડૉ.મહેતા સયાજીરાવ ગાયકવાડ પરિવારના અંગત ડૉક્ટર, ગાંધીજીના આવતાં પહેલાં ગુજરાતના જાહેર જીવનમાં સક્રિય થઇ ચૂકેલા અને ગાયકવાડી રાજની નોકરી છોડ્યા પછી આજીવન સેવા કરનાર સન્માનનીય વ્યક્તિત્વ. પરંતુ પતિ-પત્ની બન્ને સરખાં જાણીતાં હોય, એ બન્ને આત્મકથા લખે અને તેમાં પણ પત્નીની આત્મકથા ત્રણ દાયકા વહેલી આવે, એવું ભાગ્યે જ બનતું હોય છે.

શારદાબહેનનાં મોટાં બહેન વિદ્યાગૌરી, જેમનું લગ્ન‘ભદ્રંભદ્ર’ના લેખક, પ્રખર સુધારાવાદી રમણભાઇ નીલકંઠ સાથે થયું હતું. વિદ્યાગૌરી શારદાબહેન કરતાં પાંચ-છ વર્ષ મોટાં, પરંતુ આ બન્નેમાંથી કોઇની પણ વાત નીકળે, એટલે તેમનો ઉલ્લેખ ‘ગુજરાતનાં પ્રથમ સ્ત્રી સ્નાતકો’ તરીકે થાય છે. શારદાબહેને ‘જીવન સંભારણાં’માં નોંઘ્યું છે, ‘જુનિયર બી.એ.માં હું અને વિદ્યાબહેન સાથે થઇ ગયાં. વિદ્યાબહેન મારાથી બહુ મોટાં અને વહેલેથી કૉલેજમાં દાખલ થયેલાં. પણ બાળકોને કારણે એમનો અભ્યાસ વચ્ચે વચ્ચે અટકતો હતો. અમે બન્નેએ સાથે જ બી.એ.ની પરીક્ષા આપી.’

બી.એ.ની ડિગ્રી વાંચીને અત્યારે થાય કે ‘એમાં શી ધાડ મારવાની?’ પણ એ વખતે બે બાબતો મોટી હતી. એક તો અભ્યાસક્રમ. શારદાબહેને લખ્યું છે કે ૠગ્વેદ, કાવ્યપ્રકાશ, તર્કસંગ્રહ જેવાં અઘરાં પુસ્તકો, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, લૉજિક અને ફિલોસૉફીનાં મોટાં પુસ્તકો આવે. શારદાબહેન એ પરીક્ષામાંથી પાસ થઇ શક્યાં, પણ વિદ્યાગૌરી ત્રણ-ત્રણ છોકરાં ઉછેરવા સાથે એ પરીક્ષામાં સૅકન્ડ ક્લાસ લાવ્યાં.આ બહનોની હિંમતથી ગુજરાતમાં સ્ત્રીઓ માટે અભ્યાસના દરવાજા ખુલ્યા. કૉલેજમાં છોકરીઓને ભણવાની કેવી અગવડ હતી તેની વાત કરતાં શારદાબહેને લખ્યું છે કે તેેમની સાથે બીજી એક પારસી છોકરી હતી. એ બન્ને પ્રોફેસર આવે ત્યાર પછી ક્લાસમાં દાખલ થાય, તેમના માટે છોકરાઓથી જરા જુદી રાખેલી બેન્ચ પર બેેસે અને આડુંઅવળું જોયા વિના ફક્ત પ્રોફેસર સામે કે નોટબુકમાં નજર માંડીને બેસી રહે. ક્લાસ પૂરો થાય એટલે તરત ઉઠીને તેમના માટે અલગ રખાયેલા રૂમમાં. છતાં છોકરાઓ કનડગત કરે ને લોકો ટીકા કરે. છતાં ‘નનામા કાગળો આવે. અમારી બેઠકની ખુરશીઓ પાડી નાખે. ડેસ્ક પર ગમે તેવાં લખાણો આવે. અમારી આવવાની સડક ઉપર ગમે તેવાં લખાણ કરે. બેઠક પર કૌવચ નાખીને પજવણી કરે.’
Sharda Mehta / શારદા મહેતા

ઇ.સ.૧૮૮૨માં જન્મેલાં શારદાબહેન ૧૯ વર્ષે બી.એ. થયાં.  પારસી કે દક્ષિણી છોકરીઓ ત્યારે ભણતી હતી, પણ ગુજરાતી છોકરી ગ્રેજ્યુએટ થાય એવો વિદ્યાગૌરી-શારદાબહેનનો પહેલો કિસ્સો હતો. એટલે બી.એ.થવા બદલ સુધારાવાદી લોકોએ મુંબઇ-અમદાવાદમાં તેમનું સન્માન કરીને માનપત્ર આપ્યાં. શારદાબહેનના પતિ સુમંત મહેતા એ વખતે ઇંગ્લેન્ડમાં ડૉક્ટર તરીકેનો અભ્યાસ કરી રહ્યા હતા. ભણી રહ્યા પછી શારદાબહેનને ખાડિયામાં કન્યાઓની નિશાળ ખોલવાની ઇચ્છા થઇ. પોળોની ‘સંસ્કૃતિ’ અને તેના મહાન વારસાના નવેસરથી અને વાજબી ગુણગાન ગાતી વખતે એ પણ યાદ રહેવું જોઇએ કે ખાડિયાની ઘણી છોકરીઓ ભણવા તૈયાર હતી. પણ શારદાબહેનના શબ્દોમાં, ‘ઘરે જઇને વધામણી ખાધી એટલે ઠપકાનો વરસાદ વરસ્યો. તે વખતે નાગર, બ્રહ્મક્ષત્રિય જેવી ઉચ્ચ ગણાતી ન્યાતોમાં આ જ સ્થિતિ હતી. ખાડિયાનું વાતાવરણ ઠીક ન લાગવાથી રાયપુર તરફ પ્રયત્ન કર્યો. તેમાં થોડેક અંશે સફળતા મળી.’

સુમંત મહેતા ડૉક્ટર થઇને દેશમાં પાછા આવ્યા એટલે બન્ને જણે વડોદરામાં સંસાર માંડ્યો. ત્યાં પણ રૂઢિચુસ્તતાનો પાર નહીં. સ્ત્રીઓ જાહેર રસ્તા પર ચાલતી ફરી શકે નહીં, ગાડીના પડદા બંધ રાખવા પડે, સ્ત્રી-પુરૂષોની સાથે સભા થઇ શકે નહીં. પરંતુ સુમંતભાઇ અને શારદાબહેન લોકલાજની પરવા કર્યા વિના સવાર-સાંજ પગે ચાલતા નીકળતાં. યુરોપના અનેક પ્રવાસ કરી ચૂકેલા પ્રગતિશીલ મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ આ ખટકતું. છતાં, ધીમે ધીમે શારદાબહેન-સુમંતભાઇનું જોઇને વડોદરાના બીજા અધિકારીઓ સજોડે બહાર નીકળતા થયા.

આર્થિક બાબતોના ઊંડા અભ્યાસી અને બ્રિટિશ રાજમાં ઊંચા હોદ્દે પહોંચેલા આર.સી. (રમેશચંદ્ર) દત્તને સયાજીરાવ વડોદરા લઇ આવ્યા ત્યારે મહેતાદંપતિ સાથે તેમને ગાઢ સ્નેહસંબંધ થયો. એ અરસામાં શારદાબહેનને અનાયાસે બાળકો માટે લખવાની તક મળી. પુરાણોમાંથી બાળકો માટે ટૂંકી વાર્તાઓનું સંશોધન કરીને તેમણે એક સંગ્રહ તૈયાર કર્યો. પરંતુ તેમનું વઘુ મોટું કામ આર.સી.દત્તની નવલકથા ‘ધ લેક ઑફ પામ્સ’ના ગુજરાતી અનુવાદનું હતું, જે તેમણે અને વિદ્યાગૌરી નીલકંઠે ‘સુધાહાસિની’ નામે કર્યો. ત્યાર પછી બીજા કેટલાક અનુવાદ પણ તેમણે કર્યા. હિંદુ રૂઢિચુસ્તતાથી મુક્ત હોવાને કારણે શારદાબહેન વડોદરામાં અબ્બાસ તૈયબજીના પરિવાર સાથે પણ હળીમળી ગયાં. સશારદાબહેન માટે સાહિત્ય, લેખન, સમાજ, રાજકારણ, સ્વદેશી, જાહેર જીવન અને ઘરકામ- આ બઘું એકબીજા સાથે વણાયેલું હતું. દત્ત કુટુંબના ગાઢ પરિચયને કારણે બંગાળના ભાગલાના વિરોધમાં થયેલી ચળવળની અસર અને સ્વદેશીની લાગણી શારદાબહેનમાં જાગી. દત્તની દીકરીઓ અને અબ્બાસ તૈયબજીની દીકરી સાથે મળીને તે ઓળખીતા લોકોને કેવળ સ્વદેશી વસ્તુઓ વાપરવાનું વ્રત લેવા સમજાવતાં હતાં. રમેશચંદ્ર દત્ત સાથે તેમને એવો પ્રેમાદરનો સંબંધ બંધાયો કે મહેતાદંપતિએ ૧૯૦૭માં જન્મેલા પોતાના પુત્રનું નામ ‘રમેશ’ રાખ્યું હતું.

શારદાબહેનનાં ‘જીવન સંભારણાં’ વીસમી સદીના ઉત્તરાર્ધમાં આવેલા નારીવાદી સાહિત્યની સરખામણીમાં કોઇને મોળાં લાગી શકે, પણ તેમની મહત્તા સમજવા માટે એ સમય અને ત્યારનો સમાજ ઘ્યાનમાં રાખવાં પડે. ડૉ.સુમંત મહેતાએ ગાયકવાડી રાજની નોકરી છોડીને સેવાપ્રવૃત્તિમાં ઝંપલાવવાનું નક્કી કર્યું ત્યારે ત્રણ સંતાનોને કેમ ઉછેરવાં, એ પણ એક ચિંતા હતી. કારણ કે ડોક્ટરે બચત કરી ન હતી. અને સંતાનો ઉપરાંત ડો.સુમંત મહેતાના ભાઇઓના લગ્નની પણ જવાબદારી હતી. એ અરસામાં ચોથું સંતાન આવ્યું એ વિશે શારદાબહેને લખ્યું છે,‘આ નવા બાળકના જન્મ પછી અને તે પહેલાં મારા મનને જે ઉદ્વેગ થયો છે તેની કલ્પના હું જગત આગળ મૂકી શકતી નથી. જે વખતે ડૉક્ટર સર્વસ્વ છોડી સેવાના પંથમાં ઝુકાવવાની ઇચ્છા કરે છે તે વખતે નવી જવાબદારી વધારવાનો મને શો હક હતો?’

- અને ૧૯૧૫માં ભારત આવ્યા પછી જાહેર જીવનમાં ઝંપલાવનાર ગાંધીજીએ તેમની આગવી શૈલીમાં શારદાબહેનને એવાં માતૃત્વમૂર્તિ ગણાવ્યાં, જેમના પેટે જન્મ લેવાનું મન થાય.  

(શારદાબહેનની જાહેર કામગીરી વિશેની વઘુ વાતો આવતા સપ્તાહે)

1 comment:

  1. गुजराती स्त्रीए लखेल आत्मकथा, तेना जीवन, परिवार अंगे जाण्वुं गम्युं.

    ReplyDelete