Thursday, September 11, 2014

સચ્ચા ઇસ્લામ ખતરેમેં

ઇસ્લામી રાજ્ય, ખિલાફત જેવા શબ્દો હમણાંથી ઘણા જોવા મળે છે. ‘ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરીયા’- ISIS- તરીકે ઓળખાતું સંગઠન ઇરાક અને સિરીયાના ઘણા વિસ્તાર પર પોતાનો કબજો જમાવી ચૂક્યું છે. ‘ઇસ્લામિક સ્ટેટ’નો દાવો ઇસ્લામના નિયમો પ્રમાણે શાસન ચલાવવાનો છે, પરંતુ તેમનાં લક્ષણ એવાં લાગતાં નથી. તેનો નેતા અબુ બક્ર અલ-બગદાદી પોતે ખલીફા બની બેઠો છે.

‘ઇસ્લામી સ્ટેટ’ની આગેકૂચ અને વૈશ્વિક સ્તરે તેનું નામ થઇ જતાં, ‘અલ કાઇદા’ના નેતા અલ-જવાહિરીના પેટમાં તેલ રેડાયું છે. તેને અલ-કાઇદાની વૈશ્વિક ન્યૂસન્સ વેલ્યુ જોખમમાં લાગી છે. એટલે લાદેનના મોત પછીનું ‘અલ કાઇદા’ પતી ગયેલું સંગઠન નથી, એવું સિદ્ધ કરવા માટે લગભગ બે વર્ષના અંતરાલ પછી જવાહિરીએ એક વિડીયો જારી કરી છે. બેન્કનો વડો પોતાની બેન્કની નવી શાખા ખોલવાની જાહેરાત કરે, એવા અંદાજમાં જવાહિરીએ ભારતમાં ‘અલ કાઇદા’ની શાખા ખોલવાનું જાહેર કર્યું છે. અને ભારત સહિત કેટલાક દેશોના મુસ્લિમોને ‘અન્યાય અને શોષણમાંથી ઉગારવા’ માટે ‘અલ કાઇદા’ આ વિસ્તારોમાં સક્રિય થશે એવો ધમકીભર્યો દાવો કર્યો છે.

આ ઘટનાક્રમની ચિંતા સુરક્ષાની દૃષ્ટિએ થાય, એટલી જ ઇસ્લામની દૃષ્ટિએ પણ થાય એવી છે. કારણ કે આ બન્ને ઇસ્લામના નામે, ઇસ્લામ પર લાગેલા મોટા ધબ્બા છે. આ બન્ને સંસ્થાઓની કામગીરીને ઇસ્લામના નામે વાજબી ઠરાવનાર ઇસ્લામનું સૌથી મોટું અપમાન કરી રહ્યા છે.

ખલીફાથી ‘ખલીફા’ સુધી

ઇરાકમાં શિયા મુસ્લિમો અને કુર્દો ઉપરાંત બીજા ધર્મના લોકોની હત્યા કરવામાં કશો ખચકાટ ન અનુભવતા સુન્ની અંતિમવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’નો વડો અલ બગદાદી પોતાની જાતને ખલીફા ગણાવે છે. પેગંબરસાહેબના કાર્ટૂનથી ખફા થઇ ગયેલા વિશ્વભરના મુસ્લિમ સમુદાયને બગદાદીની ખલીફાગીરી સામે એટલો જ કે વધારે વાંધો પડવો જોઇએ- સિવાય કે મુસ્લિમો એવું માનતા હોય કે ‘અમારા ધર્મનું અપમાન પરધર્મીઓથી ન થાય. બાકી, મુસ્લિમ તો મનમરજી પ્રમાણે ઇસ્લામનું નામ બોળી શકે.’ (જેમ હિંદુ ધર્મના અપમાનનું કે ધાર્મિક લાગણી દુભાયાનું બૂમરાણ મચાવનારા લોકોનું લોહી હિંદુ ધર્મના નામે ચાલતાં અનેક ધતિંગો અને અનિષ્ટો સામે કદી ઉકળી ઉઠતું નથી.)

ખલીફાની છાપ કેવી હોય? બાળપણમાં હજરત ઉમર અને હજરત અબુ બક્ર જેવા ખલીફાઓની ઉદાર, દયાળુ અને નીતિવાન વર્તણૂંક વિશે પાઠ્યપુસ્તકોમાં આવતું હતું. એ વાંચીને તેમના માટે અને તેમના ધર્મ માટે- ધર્મપાલન માટે માન જાગે. એવું લાગે કે ધર્મ આવો હોય. નમૂના લેખે હજરત ઉમરનો એક પ્રસંગ :

એક વાર હજરત ઉમર તેમના ગુલામ અસલમ સાથે મદીનામાં નગરચર્યાએ નીકળ્યા. ગામથી દૂર તેમણે એક દીવો બળતો જોયો.  નજીક જઇને જોયું તો એક ગરીબ સ્ત્રી બેઠી હતી અને તેનાં બાળકો ભૂખથી ટળવળતાં-રડતાં હતાં. સ્ત્રીએ આગ પેટાવીને તેની પર પાણી ભરેલું  વાસણ મૂકી રાખ્યું હતું.

હજરતે પૂછ્‌યું, એટલે સ્ત્રીએ કહ્યું, ‘બાળકો ભૂખ્યાં છે, પણ મારી પાસે અન્નનો દાણો સરખો નથી. પાણીવાળું વાસણ આગ પર એટલે મૂક્યું છે કે જેથી બાળકોને રસોઇ બનતી હોય એવું લાગે અને એ આશામાં રાહ જોતાં ઉંઘી જાય.’ પછી એ સ્ત્રીએ નિઃસાસો નાખીને કહ્યું, ‘મારાં દુઃખદર્દનું ઘ્યાન ન રાખનારા ઉમરનો કયામતના દિવસે અલ્લા ઇન્સાફ કરશે.’

એ જાણતી ન હતી કે હજરત ઉમર પોતે જ સામે બેઠા છે.  હજરતે સ્ત્રીને પૂછ્‌યું, ‘તમારાં દુઃખદર્દની ઉમરને શી રીતે ખબર પડે?’

સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એ અમારા અમીર (આગેવાન) છે. અમારું ઘ્યાન રાખવાની એમની ફરજ છે.’

એ સાંભળીને હજરત તરત શહેરમાં ગયા. સીઘુંસામાન, ખજૂર વગરે લીધાં અને એ કોથળો પોતાના ખભે નાખ્યો. ગુલામ અસલમે કોથળો ઉંચકી લેવા માટે આગ્રહ કર્યો ત્યારે હજરત ઉમરે કહ્યું, ‘કયામતના દિવસે મારાં પાપનું પોટલું તું ઉંચકીશ? એ તો મારે જ ઉંચકવું પડશે. એટલે આ કોથળો પણ હું જ ઉંચકીશ.’

ક્યાં આ ખલીફા- આ ઇસ્લામ? અને ક્યાં નિર્દોષોની હત્યા, ખૂનામરકી અને લૂંટફાટમાં રાચતા, ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા’ના જાતે બની બેઠેલા ખલીફા અલ-બગદાદી? આ નવા અને નકલી ખલીફા સામે સૌથી વધારે વાંધો કોને પડવો જોઇએ? દેખીતું છે : મુસ્લિમોને. કારણ કે બગદાદી જેવો માણસ ‘ખલીફા’ બનીને હજરત ઉમર જેવા ખલીફાઓની અને ઇસ્લામની બદનામી કરે છે.

પરંતુ ધર્મ જ્યારે ધર્મસત્તા બને ત્યારે ધર્મના મૂળ સિદ્ધાંતો અને તેના પાયામાં રહેલાં મૂલ્યો ઘણુંખરું બાજુ પર રહી જાય છે. ‘ઇસ્લામિક સ્ટેટ’ની આખી લડાઇમાં મુખ્ય વિરોધ પક્ષ અમેરિકા નથી, પણ શિયા મુસ્લિમો છે. એટલે તેમનો ખોફ પરધર્મીઓને તો ઠીક, શિયા મુસ્લિમોને એટલો લાગે છે કે‘ઇસ્લામિક સ્ટેટ’ના ખલીફાના રાજમાં પોતાનાં ધર્મસ્થાનોની સલામતીની પણ શિયાઓને ખાતરી નથી. ‘ઇરાકીન્યૂઝ’ વેબસાઇટ ઉપર જૂન ૨૭, ૨૦૧૪ના રોજ પ્રગટ થયેલા એક અહેવાલ પ્રમાણે, ભારતમાં શિયા મુસ્લિમોના સૌથી મોટા સંગઠને ઇરાકમાં રહેલાં શિયા ધર્મસ્થાનોની રક્ષા માટે શિયા મુસ્લિમોની ભરતી શરૂ કરી હતી અને તેમાં ૩૦ હજાર જેટલા ભારતીય શિયા મુસ્લિમોએ નામ નોંધાવ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. (જોકે, ઇરાક જવા માટેના વિઝા તેમને મળ્યા હોય એવું લાગતું નથી.)

ઇસ્લામના નામે આક્રમણખોરોએ મંદિરો તોડી પાડ્યાનો ઇતિહાસ જાણીતો છે, પણ એ જ ઇસ્લામના નામે સુન્ની મુસ્લિમોનું બનેલું ‘ઇસ્લામિક સ્ટેટ’ કરબલા અને નજફમાં શિયાઓનાં ધર્મસ્થાન માટે ખતરારૂપ બને, એ કેવું કહેવાય? સીધી વાત છે : મંદિરો તોડનારા કે શિયાઓના ધર્મસ્થાન માટે ખતરારૂપ બનેલા ઇસ્લામનું હાર્દ સમજવા માગતા નથી. ઇસ્લામમાં નહીં, ઇસ્લામના નામે પોતાની સત્તાલાલસા અને ધનલાલસા સંતોષવામાં રસ હોય તે જ આવું વર્તન કરી શકે.

‘ઇસ્લામિક સ્ટેટ’ની જેમ ‘અલ કાઇદા’એ કદી ભૂમિ કબજે કરીને ત્યાં પોતાની (ગેર)સમજણ પ્રમાણેનું ઇસ્લામી રાજ્ય સ્થાપવા પ્રયાસ કર્યો નથી. પરંતુ અલ કાઇદાની રક્તપીપાસા અને આતંકપીપાસા પ્રબળ છે. આતંક ફેલાવવા માટે તેને (મુસ્લિમો સહિતના) નિર્દોષોની હત્યા કરવામાં કશો સંકોચ નડતો નથી. એવા હત્યારાઓ ઇસ્લામને ટાંકે અથવા પોતાનાં આવાં કાળાં કામને ઇસ્લામ થકી વાજબી ઠરાવે, ત્યારે ઇસ્લામનું સાચું હાર્દ જોખમમાં આવી પડે છે. ખલીફા હજરત અબુ બક્રને બદલે ‘ખલીફા’ અબુ બક્ર અલ-બગદાદી ઇસ્લામના પ્રતિનિધિ બની બેેસે એ ઇસ્લામનું સાચું હાર્દ સમજતા મુસ્લિમોને અપમાનજનક લાગતું હશે.

‘ખલીફા’ અલ-બગદાદીની લડાઇનું મૂળ તત્ત્વ ‘સુન્ની વિરુદ્ધ શિયા’ હોવાથી એવું પણ જોવા મળ્યું છે કે સુન્નીઓની બહુમતી ધરાવતા ભારતમાંથી પણ કેટલાક હોંશીલા ‘ઇસ્લામિક સ્ટેટ’માં ભરતી થવા કે અહીં રહીને ‘ઇસ્લામિક સ્ટેટ’નાં ટી-શર્ટ પહેરવા ઉત્સુક છે. કેવળ મુસ્લિમ હોવાથી સંતુષ્ટ ન થતાં, શિયા કે સુન્ની તરીકેની કટ્ટર ઓળખ ઇચ્છતા આ મુસ્લિમો પોતાના સંકુચિત સ્વાર્થ ખાતર કુરાન કે હદીસને ટાંકતા હશે, ત્યારે સાચા ધર્મનું શું થતું હશે?  

કલ્પના અને હકીકત

અત્યાર લગી અલ બગદાદી અને અલ જવાહિરી ભારત માટે કેવળ દૂરનાં નામ હતાં. કારણ કે તેમના કાર્યક્ષેત્ર અને કરતૂતો સાથે ભારતને કશો સંબંધ ન હતો. પરંતુ અલ જવાહિરીએ  ભારતમાં ‘શાખા’ ખોલવાની જાહેરાત કર્યા પછી, હવે ભારતમાં પણ સાચા ઇસ્લામ પર તોળાતા ખતરામાં એકનો ઉમેરો થયો છે.

અત્યાર લગી લશ્કરે તૈયબ, જૈશે મહંમદ જેવાં ધાર્મિક (ઇસ્લામી) નામ ધરાવતાં આતંકવાદી સંગઠનો ઇસ્લામનું નામ બોળી રહ્યાં હતાં. ગમે તેટલો અન્યાયબોધ ધરાવતા કે અસલામતી અનુભવતા મુસ્લિમો પણ એટલું તો સમજે કે આ સંગઠનોનું શરણું લેવાથી નથી સલામતી મળવાની, નથી ન્યાય મળવાનો કે નથી ઇસ્લામનું પાલન થવાનું. કારણ કે ઇસ્લામ ક્યારેય ત્રાસવાદને અને નિર્દોષોની હત્યાને સમર્થન આપતો નથી અને ગમે તેવા અન્યાયકારી રાજ્ય સામ ન્યાય જોઇતો હશે તો ત્રાસવાદી ધોરણે નહીં, નાગરિક ધોરણે જ મળવાની શક્યતા સૌથી વધારે રહેશે. એ માટે સમાજના સ્વાર્થી અને રાજકીય પક્ષોના પોઠીયા જેવા નેતાઓને ફગાવીને, ઇસ્લામની સગવડીયા નહીં, સાચી સમજ ધરાવતા નેતાઓને અપનાવવા તથા આગળ કરવા પડશે.

શરિયા આધારિત ઇસ્લામી રાજ્યની કલ્પના ઘણા મુસ્લિમોને બહુ આકર્ષક લાગે છે. પરંતુ અત્યાર લગીમાં તેમને સમજાઇ જવું જોઇએ કે સત્તા મળ્યા પછી શાસકો માટે ધર્મનો ખપ કેવળ સગવડીયો અને પોતાની સત્તાને ધર્મનો આધાર અપાવવા પૂરતો રહી જાય  છે. એવા શાસનમાં ધર્મના નામે કટ્ટરતા અને બાહ્ય પ્રતીકોની બોલબાલા વધે છે, માણસને વઘુ નેક, વઘુ ખુદાપરસ્ત બનાવવાનું કે તેને ન્યાય અપાવવાનું કામ નિર્દોષોની હત્યા કરનારા બોમ્બધડાકાથી કરી શકાતું નથી.

એટલે જ અલ કાઇદાના જવાહિરી ભારત સહિત આસપાસના દેશોમાં અલ કાઇદાની શાખા ખોલવાની વાત કરે ત્યારે સૌથી વધારે ચિંતા ભારતીય મુસ્લિમોની અને ભારતમાં ઇસ્લામની આબરૂની થાય છે. રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર હિંદુ-મુસ્લિમ વચ્ચેનો તનાવ પૂરતા પ્રમાણમાં વધારી મૂક્યો હોય, ત્યાં ‘અલ કાઇદા’  જેવા ત્રાસવાદીઓ ઇસ્લામના નામે અને મુસ્લિમોના નામે આવી પડે એટલે પરિસ્થતિ સુધરવાની નહીં, પણ બગડવાની ભીતિ રહે છે. 

2 comments:

  1. શીરીયા ઈરાક ઈરાન કે અફઘાનીસ્તાનમાં જે રીતે આંતકવાદ કે એવા કોઈ નામે ધર્મનો ફેલાવો કરવાનો ધંધો ચાલી રહ્યો છે એ નવી બેન્કની બ્રાન્ચ ભારતમાં ખોલવા ઘણાં જણ તૈયાર હોય એ પુરી શક્યાતા છે.

    બળતણ ખુટી ગયું હતું પણ બાબરીનો ઢાંચો તુટ્યા પછી એ પાછુ મળી ગયું.

    ReplyDelete
  2. Anonymous11:23:00 PM

    Intra -Muslim ideological clash is almost from the advent of Islam, more specific from the second and third generation of the prophet. Generations after, new leaders tried to establish their own sects under different banners. Mecca ,Madina ,Mosque ,Quran and Cap remained common to them. Interpretation of Quran was as per their worldly geopoliticonomical requirements from time to time. The shape of the cap is too as per the sect concerned.
    Ego changed everything. Power and money added to ego resulted into violence, more violence. Now the prophecy of the prophet has relevance only for academic purposes and true believers who are not concerned with the de facto or de jure form of Islam.
    The present scene in India and elsewhere will ultimately lead to a question of survival for all countries and nations. Countries are confines by geopolitical border and nations are defined by ethos/culture often taking a religious form or non-believers entity based on Marxism.
    Next decade will be full of clashes mainly between countries united under the banner of UNO or a new world body and extremists Islamists elements spread through almost all countries.
    It will be a war for survival to be fought by individually and collectively. Recruits by ISIL/ISIS ,Al Qaeda, LeT etc should be taken seriously. because die hard people are difficult to be managed., Though few in numbers they can over run the set ups.

    ReplyDelete