Tuesday, January 08, 2013

સોશ્યલ નેટવર્કિંગઃ ક્રાંતિ અને ભ્રાંતિ વચ્ચેની વાસ્તવિકતા

‘ફ્‌લેશ મોબ’- આ શબ્દપ્રયોગ એક નવી પદ્ધતિ માટે થોડાં વર્ષ પહેલાં સાંભળ્યો હતો. તેનો અર્થઃ ફોન, ઇ-મેઇલ કે સોશ્યલ નેટવર્કિંગની વેબસાઇટ દ્વારા અપાયેલા સંદેશાના પ્રતાપે, જાણે હવામાંથી પ્રગટ્યું હોય તેમ, ઓચિંતું આખું ટોળું કોઇ જાહેર સ્થળે ભેગું થઇ જાય. આશય? બસ, મઝા અથવા આશ્ચર્ય સર્જવું. આ અહેતુકતાને લીધે, જાહેરાતથી માંડીને વિરોધ પ્રદર્શન જેવા ચોક્કસ હેતુ માટે એકઠાં થતાં ટોળાં ‘ફ્‌લેશ મોબ’ કહેવાતાં ન હતાં. હમણાંથી એ શબ્દપ્રયોગ ઓછો સંભળાય છે. તેના બદલે, ‘ફ્‌લેશ મોબ’ના થોડા ગંભીર અને ચોક્કસ હેતુ ધરાવતા ફેસબુક-ટ્‌વીટરપ્રેરિત દેખાવો સતત ચર્ચામાં રહ્યા છે.

અણધાર્યો હેતુફેર 

જાણીતા અજાણ્યા સૌ સાથે ઔપચારિકતા વિના, ઑનલાઇન મળવાની સુવિધા કરી આપતી સોશ્યલ નેટવર્કિંગની સાઇટો શરૂઆતમાં ‘કોલેજિયનો માટેની પ્રવૃત્તિ’ ગણાતી હતી. એ વખતે કોણે ધાર્યું હશે કે કોલેજિયનો-યારોદોસ્તો-સગાવહાલાંની ગપસપ માટે સર્જાયેલી સોશ્યલ નેટવર્કિંગની સાઇટો સત્તાનાં સિંહાસનો સામે મોરચા માંડવાના- અને થોડી અતિશયોક્તિ સાથે કહીએ તો, ક્રાંતિ સર્જવાના- કામમાં આવશે? ‘ટાઇમપાસ’ જ નહીં, ઘણી વાર ‘ટાઇમવેસ્ટ’ ગણાતી આ વેબસાઇટોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શનો યોજવા, સરકાર સામે નાગરિકોના અત્યાર સુધી દબાયેલા અવાજને બુલંદ કરવા અને સત્તાના નશામાં મસ્ત શાસકોને ચોંટીયા ભરીને તેમને દોડતા કરવા જેવાં કામમાં ખાસ્સી સક્રિયતા દાખવી છે.

‘આરબ સ્પ્રિંગ’ - આરબ દેશોમાં લોકશાહીરૂપી વસંતની લહેર જગાડનાર અને ઇજિપ્ત સહિતના કેટલાક દેશોમાં એકહથ્થુ શાસકોને ઉખેડી ફેંકનારાં આંદોલનોમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટોની ભૂમિકા બહુ ચર્ચાઇ. અમેરિકામાં હવે હવાઇ ગયેલા, પણ એક વખતે બહુ ગાજેલા ‘ઓક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલનમાં સોશ્યલ નેટવર્કિંગનું માઘ્યમ મહત્ત્વનું બન્યું. ભારત જેવા ‘થાય છે, રહે છે’ અને ‘સબ ચલતા હૈ’ની રાજકીય તેમ જ નાગરિકી પરંપરા ધરાવતા દેશમાં, ચોતરફ ફેલાયેલા નિરાશાના ઘુમ્મસ વચ્ચે સોશ્યલ નેટવર્કિંગ સાઇટોએ આશાનાં થોડાં કિરણ અવશ્ય પ્રસરાવ્યાં છે.

દિલ્હીનો બહુ ચર્ચાસ્પદ બનેલો અત્યાચાર ભારે અરેરાટી ઉપજાવનારો હતો, પરંતુ સાબૂત મનથી વિચારતાં સ્ત્રી પર થતા દરેક અત્યાચાર આટલા જ કમકમાટી ઉપજાવનારા હોય છે. ફક્ત એ વિશે આટલી તીવ્રતાથી વિચારવાનું બનતું નથી એટલું જ. દિલ્હીની યુવતીના કિસ્સામાં સોશ્યલ નેટવર્કંિગ સાઇટો પર લોકોની તીવ્ર પ્રતિક્રિયાઓ આવી. નારીગૌરવ અને કાયદો વ્યવસ્થાના ખુલ્લેઆમ ભંગ કરતાં પણ વધારે, દિલ્હીમાં રહેતા લોકોને પોતાની તથા પરિવારની સલામતીનો  મુદ્દો ઊંડે સુધી સ્પર્શી ગયો હોય એવું પણ બને. કારણ જે હોય તે, પણ સોશ્યલ નેટવર્કંિગની સાઇટોએ લોકોના રોષને બહાર આવવા માટે મોકળું મેદાન પૂરું પાડ્યું.

નાગરિકો દ્વારા, નાગરિકો માટે

લોકલાગણીને વાચા આપવાનું કામ પરંપરાગત રીતે વ્યાવસાયિક પ્રસાર માઘ્યમોનું ગણાતું હતું. અખબારો અને ટીવી ચેનલો સમાચારો ઉપરાંત લોકોનાં લાગણી- સમસ્યા-પ્રશ્નોને જાહેરમાં આણીને, તેના ઉકેલ માટે સત્તાધીશો પર દબાણ ઊભું કરે, એવું તેમની પાસેથી અપેક્ષિત હતું. પરંતુ રાજકીય પક્ષોની જેમ પ્રસાર માઘ્યમો જેમ વઘુ ને વઘુ વ્યાવસાયિક બન્યાં, તેમ એેમની તાકાતના પાયામાં રહેલા લોકોથી-નાગરિકોથી અને તેમની સમસ્યાઓથી વઘુ ને વઘુ વિમુખ થતાં ગયાં. રાજકીય પક્ષોની અને નેતાઓની આવી વિમુખતા ટીકાનો વિષય બની, પણ પ્રસાર માઘ્યમોના વલણમાં ક્રમશઃ આવેલો આ બદલાવ એટલો ચર્ચાયો નહીં.

ચર્ચાય પણ ક્યાં? કારણ કે ચર્ચાનો મંચ પ્રસાર માઘ્યમો પોતે જ પૂરો પાડતાં હતાં. મુખ્યત્વે એ જ કારણથી પ્રસાર માઘ્યમોની બાંધી મૂઠી રહી ગઇ. ઘણાંખરાં પ્રસાર માઘ્યમ કેમિકલ ફેક્ટરી કે મોલ-મલ્ટીપ્લેક્સની જેમ ધંધા માટે નહીં, પણ ટપાલ-રેલવેની જેમ લોકો માટે ચાલે છે, એવો ભ્રમ હજુ ઘણાના મનમાં રહ્યો હોય, તો એનું કારણ આગળ જણાવ્યું એ જ.

ટીવી ચેનલોના અને ઇન્ટરનેટના આગમન પછી નાગરિકો પાસે સમાચાર મેળવવાનાં ઠેકાણાં વઘ્યાં. તેના પરિણામે છાપાંનાં વેચાણ પર તો મોટો ફટકો ન પડ્યો, પણ તેમના પ્રભાવ, વિશ્વસનીયતા અને અસરમાં ગાબડું પડવા લાગ્યું. એક સમયે અન્યાય-અત્યાચાર સામે લડતો નાગરિક ‘છાપામાં આપી દઇશ’ એવી ચીમકી આપી શકતો હતો અને સામેવાળા પર ઘણી વાર તેની અસર પણ થતી હતી. છાપાંનો તાપ મઘ્યાહ્‌નથી આથમણી દિશા તરફ જવા લાગ્યો, એટલે ‘જ્યાં  આપવું હોય ત્યાં આપી દેજો ને થાય તે ઉખાડી લેજો’ એવો અભિગમ વધવા લાગ્યો. તેની સાથે થતી દલીલ હતી, ‘છાપાવાળા ક્યાં સુધી- કેટલા દિવસ છાપશે? અને આટલા બધા સમાચારોની વચ્ચે છાપામાં શું છપાયું એ કોને, કેટલું યાદ રહેશે?’

છાપામાં છપાય એટલે સત્તાધીશો કે ખોટું કરનારા દોડતા થઇ જાય, એ જમાનો વીતી ગયો. ટીવી ચેનલો આવી, એટલે સાર્થક ચર્ચાના બદલે ચર્ચકો વચ્ચે કૂકડાયુદ્ધ કરાવતા બરાડીયા એન્કર આવ્યા. પરંતુ ચેનલો કયા મુદ્દાને કેટલું વજન આપશે, કયો મુદ્દો ક્યાં સુધી ચગાવીને છોડી દેશે, એ બધા સવાલ ઉભા જ રહ્યા. સૌથી અગત્યનું એ કે છાપાંની જેમ ચેનલોના દરવાજા સામાન્ય નાગરિક માટે બંધ રહ્યા. ઉલટું, તેમાં પ્રવેશવાનું અને તેના થકી પોતાનો અવાજ બહાર પહોંચાડવાનું કામ વધારે અઘરૂં જ રહ્યું.

એકવીસમી સદીના ઉત્તરાર્ધમાં સોશ્યલ નેટવર્કિંગની સાઇટો નાગરિકો માટે ખુલ્લો મંચ અને વૈશ્વિક વ્યાપ લઇને આવી. જે બોલવું હોય તે બોલો, લખવું હોય તે લખો. પહેલી ધારની નિરંકુશ અભિવ્યક્તિ. પોતાના વિચારો કે લાગણી કે અસંતોષ અભિવ્યક્ત કરવા માટે ધંધાદારી પ્રસાર માઘ્યમોની મોહતાજી ન રહી. તેનો ઉપયોગ મુખ્યત્વે ગપ્પાંગોષ્ઠિ અને જાતમહિમાથી માંડીને અંગત ગમા-અણગમા બેફામપણે વ્યક્ત કરવા થવા લાગ્યો. પરંતુ ‘આરબ સ્પ્રિંગ’ દરમિયાન ઇજિપ્તના તહરીર ચોકનાં યુવક-યુવતીઓએ  ફેસબુક-ટ્‌વીટરનો અસરકારક ઉપયોગ આંદોલનને હવા આપવા માટે કર્યો. વિશ્વભરમાં તેની નોંધ લેવાઇ અને સત્તા છોડતાં પહેલાં પ્રમુખ મુબારકે ઇજિપ્તમાં ફેસબુક-ટ્‌વીટર પ્રતિબંધિત કરીને આડકતરી રીતે એ સાઇટોનું માહત્મ્ય કબૂલ્યું.

ભારતમાં તેનો પહેલો મોટા પાયે પરચો અન્ના આંદોલન વખતે મળ્યો. ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ના ફેસબુક પેજ થકી આંદોલનની ગતિવિધિઓની જાણ કરવામાં આવતી હતી. આ માઘ્યમનું મહત્ત્વ આંદોલનના નેતાઓને મન કેટલું હશે, તેનો ખ્યાલ આપતી એક વાતઃ અન્ના અને કેજરીવાલના રસ્તા જુદા પડ્યા, ત્યારે ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ની માલિકી પણ મુદ્દો બની અને તે છેવટે અન્ના હજારે પાસે રહી.

સંભાવના અને મર્યાદા

સોશ્યલ નેટવર્કિંગ સાઇટોની તાકાત જોતાં લાગે કે આઝાદીના આંદોલન વખતે ગાંધીજીએ તેમનાં ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા’ જેવાં પ્રકાશનો જે આશયથી શરૂ કર્યાં હતાં, કંઇક એ જ પ્રકારની ભૂમિકા અદા કરવાનું સામર્થ્ય તેમનામાં રહેલું છે. ખોટ હોય તો તેની અઢળક ક્ષમતાનો નિઃસ્વાર્થ, સાતત્યપૂર્ણ અને સચોટ ઉપયોગ કરી શકે એવા નેતાની.

સોશ્યલ નેટવર્કિંગની એક ખૂબી એ છે કે તેમાં કોઇ નેતા ન હોય તો પણ, કેવળ નાગરિકો થકી આખી ચળવળ એક હદ સુધી ચાલી શકે છે. દિલ્હીમાં યુવતી પર અત્યાચારના મુદ્દે થયેલાં વિરોધ પ્રદર્શન સોશ્યલ નેટવર્કિંગથી પ્રેરિત અને કોઇની નેતાગીરી વગરનાં હતાં. છતાં, સરકાર આ બનાવને બળાત્કારનો વઘુ એક કિસ્સો ગણીને ખંખેરી શકી નહીં. નેતા વગરનાં ટોળાંના ઘણા પ્રશ્નો હોય છે. આગળ જતાં તેમાં રામદેવ પ્રકારના તકસાઘુઓ મંચ કબજે કરવા પહોંચી ગયા હતા. છતાં, શરૂઆતમાં તે મહદ્‌ અંશે સ્વયંભૂપણે ઉભો થયેલો આક્રોશ હતો, જેને સોશ્યલ નેટવર્કંિગની સાઇટોએ હવા અને મંચ આપ્યાં.

ટીવી ચેનલો અને છાપાં જેવાં પરંપરાગત પ્રસાર માઘ્યમોએ લોકલાગણીને અનુસરવું પડ્યું. તેમાં અલબત્ત ધંધાદારી ગણતરીઓ ખરી જ. છતાં, એક મુદ્દો લોકોના જોશ-જુસ્સાથી પ્રસાર માઘ્યમોએ ઉપાડવો પડ્યો અને સરકારે તેના વિશે નિર્ણયો લેવાની સ્થિતિમાં મુકાવું પડ્યું. બધી આશા ગુમાવી બેઠેલા નાગરિકો માટે એ આશાસ્પદ ઘટના કહેવાય. તેને સાવ ટોળાંશાહીમાં ખપાવી શકાય નહીં.

મોબાઇલ ફોનને કારણે ઇન્ટરનેટનો પ્રસાર વધે તેમ વઘુ ને વઘુ નાગરિકોના હાથમાં સોશ્યલ નેટવર્કિંગનું શસ્ત્ર મુકાવાનું છે. નાગરિકો પોતાને સ્પર્શતા મુદ્દે સરકારની ઉદાસીનતાને આ રીતે ખંખેરી શકે એ બહુ આવકારદાયક અને ઇચ્છનીય બાબત લાગે છે.

કોઇ નેતા ન હોવો કે અસંતોષની અભિવ્યક્તિ સિવાય ઉકેલની કોઇ ચોક્કસ દિશા ન હોવી, એ તેની ખૂબી જેટલી જ તેની મર્યાદા પણ છે. તેનો ફાયદો એ થાય કે દિલ્હીના કેસમાં બન્યું તેમ, રોજ ભેગાં થતાં ટોળાંના દબાણના લીધે (અને એવાં ટોળાં સાથે પનારો પાડવાની સરકારની અણઆવડતને કારણે), સરકારને કાયમી અસર ધરાવતાં કેટલાંક નક્કર પગલાં ભરવાની ફરજ પડે. જેમ કે, પોલીસ સ્ટેશનોમાં અમુક સ્ટાફની નિમણૂંક અથવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અથવા અમુક પ્રકારના ગુના માટેના ખાસ સેલ. આવું કંઇ થાય અને તે ઔપચારિકતાને બદલે અસરકારકતાથી કામ કરે તો એ કામચલાઉ આંદોલનની કાયમી ઉપલબ્ધિ બને.

આ પ્રકારની અસરોનું ભયસ્થાન એ કે તે ફાંસી જેવી આત્યંતિક માગણીઓ તત્કાળ મંજૂર કરવાનો આગ્રહ રાખે અથવા જનલોકપાલ જેવા વિવાદાસ્પદ જોગવાઇઓ ધરાવતા ખરડા પરથી તરત કાયદો બની જાય એવી માગણી કરવા લાગે. તેમાંથી ટોળાંશાહીનો ન્યાય ઉદ્‌ભવે તો બકરું કાઢતાં ઊંટ પેસે. ભારતમાં નવાં તંત્ર ઉભાં થઇ જાય એટલાથી રાજી થઇ શકાતું નથી. એ અસરકારક રીતે કામ ન કરે તો તેના માટે પણ સોશ્યલ નેટવર્કિંગ દ્વારા વિરોધ પ્રદર્શનનો રિવાજ પડવો જોઇએ.

હજુ સોશ્યલ નેટવર્કિંગ દ્વારા નાગરિકોના હાથમાં તાકાત આવવાની શરૂઆત થઇ છે. એટલે નાગરિકો અને સરકાર એમ બન્ને પક્ષે તેમાં નવાઇનું તત્ત્વ ભળેલું છે. સમય જતાં સરકારો વધારે રીઢી થાય અથવા સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર મુકાતાં સ્ટેટસને મળતા પ્રતિભાવો ઓસરવા લાગે અથવા આ પ્રકારના આંદોલનો પછી કામચલાઉ ધોરણે સંતોષાયેલી માગણીઓ લાંબા ગાળે કશી અસર પાડી શકે નહીં, એવું પણ બને.

એથી ઉલટું, સોશ્યલ નેટવર્કિંગ થકી લોકોને ભેગા કરીને, સ્થાનિકથી રાષ્ટ્રિય સ્તર સુધી વિવિધ મુદ્દે લોકઝુંબેશ આદરી શકાય એવું પણ શક્ય છે. અત્યારે તો એ નાગરિકોના ભાથામાં આવેલું સરકારોને ઢંઢોળવાનું અસ્ત્ર લાગે છે. લાંબા ગાળે તેની અસરકારકતાનો આધાર નાગરિકોની સજ્જતા, મૌલિકતા, ઓફલાઇન (અસલી દુનિયામાં) સક્રિયતા અને હેતુની શુદ્ધિ પર રહેશે.

5 comments:

  1. મીડીયાનાં કાર્યો જે કેન્દ્રીત હતાં અને જેને કારણે જ તેઓની મનમાની ચાલતી હતી તે હવે નેટ પરના પ્રકાશનકાર્યનું વીકેન્દ્રીકરણ થવાથી અટકશે. સારા સારા લેખકોનાં લખાણો દૈનીકો–સામયીકોના નીજી વર્તુળોને કારણે છપાતાં નહોતાં. હવે નેટ પર વ્યાપક પ્રસાર–પ્રચાર દ્વારા તે મોનોપોલી તુટશે.....

    એની સામે હવે દરેક લેખક પોતાની બુકો પણ જાતે છાપી શકતો હવાથી સાવ રદ્દી માલ પણ લેખકોનાં મોટાં વર્તુળોને કારણે ઢગલાબંધ પ્રગટશે ને પ્રસરશે !!

    છેવટે તો આ સગવડોનાં પણ લેખાંજોખા સમય જ કરશે.

    ReplyDelete
  2. Anonymous8:32:00 AM

    " લાંબા ગાળે તેની અસરકારકતાનો આધાર નાગરિકોની સજ્જતા, મૌલિકતા, ઓફલાઇન (અસલી દુનિયામાં) સક્રિયતા અને હેતુની શુદ્ધિ પર રહેશે."

    This could be a tool to discomfort from comfort zone, especially in our environment.

    ReplyDelete
  3. Anonymous10:48:00 PM

    ઉર્વીશ ભાઈ ,હું તમારા લેખો નિયમિત વાંચું છું. આજકાલ "ગુજરાત ના વિકાસ" વિશે ખુબ વાતો થાય છે- કહો કે જોર જોર થી કરવા માં આવે છે. અમારે આ વિશે તમારા અંદાઝ માં ,તમારા વિચારો જાણવા છે। ક્યાર થી અને કોના દ્વારા ગુજરાત નો વિકાસ (જો થયો હોય તો ) થયો છે ? શું બધેજ વિકાસ થયો છે કે કોઈ ચોક્કસ ભાગ માં જ થયો છે ,તે પણ જાણવું છે.આભાર...

    ReplyDelete
  4. Anonymous11:39:00 PM

    ઉર્વીશ ભાઈ ,હું તમારા લેખ નિયમિત પણે ગુજરાત સમાચાર માં વાંચુ છું અને માણું પણ છુ.ગુજરાત સમાચાર નાં આજ કાલ નાં તંત્રી લેખો લખવાની શૈલી અને એમના લખાણ પર તમારો બહુ ઊંડો પ્રભાવ હોય તેવું લાગે છે (ક્યારેક તો એવું લાગે છે કે જાણે તમે ના લખાતા હો !!) (મારી કોમેંટ ને એક વાંચક તરફ થી મળેલા ફક્ત અભિપ્રાય તરીકે લેશો એવી આશા રાખું છું,ભૂલ-ચૂક લેવી-દેવી.) આભાર -મલય,ભરૂચ.

    ReplyDelete
  5. મલયભાઇ, તમારી 'શંકા' સાચી છેઃ-))

    ReplyDelete