Monday, January 07, 2013

સોમનાથઃ ઇતિહાસ, સંશોધન અને રાજકારણ

Somnath Temple
(રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક- રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple

ઇતિહાસ સાથે મોટા ભાગના લોકોને, પાઠ્યપુસ્તકોથી આગળ કશી લેવાદેવા હોતી નથી. દસમા ધોરણ સુધી ઇતિહાસ ભણવાનો અને પછી ભૂલી જવાનો. તેનો સૌથી મોટો ફાયદો ઇતિહાસના શિક્ષકોને અને નેતાઓને થાય છેઃ ઇતિહાસ કદી બદલાતો નથી, એવું માનતા શિક્ષકો આખી જિંદગી એક જ પ્રકારના, બીબાઢાળ ઇતિહાસ પર ખેંચી કાઢે છે, જ્યારે નેતાઓ? એ લોકો ઇતિહાસમાં પોતાને અનુકૂળ એવા વળ અને વળાંકો ચઢાવીને, તેમાંથી રાજકીય ફાયદો નીચોવવા પ્રયાસ કરે છે. મોટા ભાગના લોકોનો ઇતિહાસ વિશેનો અભિગમ ‘સિકંદરને પોરસસે કી થી લડાઇ, તો મૈં ક્યા કરું?’ ટાઇપનો હોય છે. એટલે નેતાઓનું કામ બહુ સહેલું થઇ જાય છે.

ભારતના ઇતિહાસમાં એવો એક વિષય છેઃ સોમનાથ/Somnath Temple પર મહંમદ ગઝનીનો હુમલો. આ હુમલાને મુસ્લિમોના હિંદુ પરના હુમલા તરીકે ગણાવીને, હિંદુઓનું ‘સ્વાભિમાન’ જગાડવા માટે તેનો ઉલ્લેખ કરવાનું સામાન્ય ગણાય છે. ઇ.સ. ૧૦૨૬માં ગઝનીના મહમૂદે કરેલા હુમલાથી ‘હિંદુઓની સામુહિક ચેતનામાં - હિંદુ માનસમાં પેદા થયેલી ચોટ’ હજુ બરકરાર છે અને એ હિંદુ-મુસ્લિમ સંઘર્ષનાં મૂળ કારણમાંનું એક છે, એવું એક વર્ગ દૃઢતાપૂર્વક માને છે.

ઇતિહાસકારોનો બીજો વર્ગ આ માન્યતાનું ખંડન કરીને, ‘હિંદુઓની સામુહિક ચેતનામાં-હિંદુ માનસમાં પેદા થયેલી ચોટ’ના ખ્યાલને અંગ્રેજોની ‘ભાગલા પાડો, રાજ કરો’ ચાલબાજીની પેદાશ ગણાવે છે. તેમની દલીલ છે કે અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમો વચ્ચે તિરાડ પહોળી કરવાના બદઇરાદાથી, મહમૂદના આક્રમણનાં લગભગ ૮૦૦ વર્ષ પછી સોમનાથનો મુદ્દો ‘હિંદુઓ પર મુસ્લિમોના આક્રમણ’ તરીકે ચગાવ્યો. આ ઇતિહાસકારો કહે છે કે હુમલો એક લૂંટારુ વૃત્તિ ધરાવતા ધર્મઝનૂની સુલતાને સમૃદ્ધ મંદિરને લૂંટવા-નષ્ટ કરવા માટે કરેલી કાર્યવાહી હતી. તેને ‘હિંદુ-મુસ્લિમ’ સંઘર્ષનો મામલો ગણી શકાય નહીં. આ પ્રકારનો મત ધરાવતાં એક ઇતિહાસકાર છે રોમીલા થાપર. અમદાવાદમાં ઉમાશંકર જોશી સ્મૃતિવ્યાખ્યાન નિમિત્તે તેમણે આ વિષય અંગે આધારપુરાવા સાથે અને રાજકારણના સ્પર્શ્યા વિના, શાલીનતાપૂર્વક રજૂ કરી.

વિચારધારાના ડાબલા ચઢાવેલા ન હોય એવા સૌ કોઇએ, ડાબેરી કે જમણેરી આક્રમક પ્રચારથી અંજાયા કે અભડાયા વિના, તપાસવાનું એ રહે છે કે તથ્યો શું કહે છે?

શરૂઆત એક લાંબા પણ ઇતિહાસના અર્થઘટન માટે જરૂરી સમજણ પૂરી પાડતા એક અવતરણથી કરીએઃ

‘મઘ્ય યુગમાં ધર્મના નામે જે અઘટિત કૃત્યો થયાં તેના પરિણામે કોઇ ધર્મ, જાતિ કે રાષ્ટ્રને કાંઇ લાભ થયો નહીં. ઇતિહાસ વાંચતા જણાય છે કે આ અંધાર યુગમાં માનવીના જીવનની કિંમત પશુનાં જીવન કરતાં વિશેષ ન હતી...તેઓ (રાજ્યકર્તાઓ) તો પાડોશી રાજ્યો ઉપર ચડાઇઓ લઇ જઇ તે રાજ્યોની કે તેની પ્રજાની સંપત્તિ લૂંટી, તેમના દેશને સમૃદ્ધ કરવામાં જ રાષ્ટ્ર અને રાષ્ટ્ર શક્તિશાળી કે સમૃદ્ધ થાય છે તેમ માનતા અને તેમની આ નિંદ્ય અને ઘૃણિત પ્રવૃત્તિ ધર્મના નામે કરી આત્મસંતોષનો અનુભવ કરતા. આવી મનોવૃત્તિ સેવતા વિદેશી રાજ્યકર્તાઓએ ભારત ઉપર આક્રમણો કર્યાં અને ભારતમાં સ્થિર થયેલા સુલ્તાનોએ તેનું અનુસરણ કર્યું. તેમની પ્રવૃત્તિ ન્યાયી કે વાસ્તવિક હતી કે નહીં તેનો નિર્ણય આજના પરિવર્તિત દૃષ્ટિકોણથી કરવાનું વાજબી નથી. તે સમયની રાજનીતિ જ તે પ્રકારની હતી. એ સાથે એ પણ લક્ષ્યમાં લેવું ઘટે કે એ યુગમાં અનેક સમર્થ સત્તાધીશો અને બળવાન રાજ્યકર્તાઓ થઇ ગયા. છતાં અમુક વ્યક્તિઓએ જ તેની શક્તિ, સામર્થ્ય અને સંપત્તિનો ઉપયોગ આવાં કૃત્યો પાછળ કર્યો. એટલે એ માટે કોઇ જાતિ કે દેશ ઉપર દોષારોપણ થઇ શકે નહીં, તેમ જે ધર્મનું તેઓ અનુસરણ કરતા અથવા જે ધર્મના નામે તેમણે આ કૃત્યો કર્યાં તે ધર્મની નિંદા પણ કરી શકાય નહીં. તેવાં કૃત્યો માટે તે કરનાર વ્યક્તિ જ જવાબદાર હતી તેવું અર્થઘટન વાજબી અને વાસ્તવિક છે.’

આ દીર્ઘ અવતરણને રોમીલા થાપરનું ‘દંભી સેક્યુલર વલણ’ ગણીને તુચ્છકારી કાઢવા ઉત્સુક સૌને જણાવવાનું કે આ રોમીલા થાપરે  નહીં, તેમનાથી ઘણાં વર્ષ પહેલાં ૧૯૬૫માં, સૌરાષ્ટ્રના ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇએ લખ્યું હતું. તેમનો દળદાર ગ્રંથ ‘પ્રભાસ અને સોમનાથ’ આ વિષય પરનાં નોંધપાત્ર પુસ્તકોમાં સમાવેશ પામે છે.

સોમનાથ પર મહમૂદની ચડાઇ માટે લૂંટારુવૃત્તિ ઉપરાંત ધર્મઝનૂન જવાબદાર હતું, તેણે મંદિરમાં તોડફોડ મચાવી અને હિંદુઓની શ્રદ્ધાના આ વિખ્યાત સ્થાનકને લગભગ નષ્ટ કરવાના ‘ધર્મકાર્ય’ બદલ ગઝનીના કેટલાક ધર્મપુરૂષોએ મહમૂદને ધાર્મિક ઇલકાબો આપ્યા, એ  શંભુપ્રસાદની જેમ રોમીલા થાપરે પણ કહ્યું છે. આ ચડાઇ ‘હિંદુઓ પર મુસ્લિમોનો હુમલો’ નહીં, પણ વિદેશી લૂંટારુ મુસ્લિમ આક્રમણખોરની બહુહેતુક લશ્કરી કાર્યવાહી હતી, એવો શંભુપ્રસાદનો મુદ્દો રોમીલા થાપરે તેમના પ્રવચન અને પુસ્તકમાં વઘુ વિગતો સાથે મુક્યો.

રોમીલા થાપરની રજૂઆત પ્રમાણે, મહમૂદના હુમલા પહેલાં અને ઇસ્લામના ઉદ્‌ભવથી પણ પહેલાં આરબો સાથે ગુજરાતના લોકોનો વેપાર-વ્યવહાર હતો. ઇસ્લામના પ્રચાર-પ્રસાર પછી પણ, ગુજરાતના લોકો વેપારી આરબો અને હુમલાખરો તુર્કોને ‘મુસ્લિમ’ ગણીને એક લાકડીએ હાંકવાને બદલે, તેમની વચ્ચે ફરક પાડતા હતા.

રોમીલા થાપરની કેન્દ્રિય દલીલ એવી છે કે ઇ.સ.૧૦૨૬માં થયેલો હુમલો ત્યાર પછીના અરસામાં હિંદુ-મુસ્લિમ વચ્ચેના ઊંડા અને કાયમી વેરભાવ તરીકે સંઘરાઇને રહ્યો હોય, એવા પુરાવા મળતા નથી. આ દલીલના ટેકામાં તે મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોના દરબારી ઇતિહાસકારો ઉપરાંત જૈન અને સંસ્કૃત લખાણો તથા શિલાલેખો ટાંકે છે. જેમ કે, ઇ.સ.૧૨૬૪માં (મહમૂદની ચડાઇની બે સદી પછી) પ્રભાસ (સોમનાથ)માં સ્થાયી થયેલા મુસ્લિમ સોદાગરો અને વહાણવટીઓ માટે મસ્જિદ બનાવવાનું નક્કી થયું. એ વખતે પ્રભાસના હિંદુ હોદ્દેદારો-વહીવટદારો અને નગરના હિંદુ અગ્રણીઓએ મસ્જિદ માટેનાં જમીન-ખર્ચ-નિભાવની સુવિધા કરી આપી. વેરાવળ હરસિદ્ધ માતાનો આ શિલાલેખ ટાંકીને રોમીલા થાપર એવું તારણ કાઢે છે કે સોમનાથ પર મહમૂદે કરેલા હુમલાની ‘હિંદુ સામુહિક ચેતના’ પર ઊંડી અસર હોય તો આ કેવી રીતે શક્ય બને? અને જે અસર હુમલાની બે સદી પછી ન હોય, તે દસ સદી પછી કેવી રીતે રહી શકે?

આ જ શિલાલેખ શંભુપ્રસાદ દેસાઇએ પણ ટાંકીને નોંઘ્યું છે, ‘જ્યારે ભારતમાં મુસ્લિમ સુલતાનો મંદિરોનો ઘ્વંસ કરી ત્યાં મસ્જિદો બનાવતા કે બાંધતા ત્યારે પ્રભાસના હિંદુઓએ મુસ્લિમ મુસાફિરો કે પ્રજાજનો માટે મસ્જિદ બાંધવાના કાર્યમાં સહાય કરી.’

મહમૂદની ચડાઇની એક સદી પછી, સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી કુમારપાળે ગાદી સંભાળી અને જૈન આચાર્ય હેમચંદ્રને ગુરૂપદે સ્થાપ્યા. જૈન હેમચંદ્ર અને શૈવ મતના, સોમનાથ શિવમંદિર મુખ્ય આચાર્ય ભાવબૃહસ્પતિ વચ્ચે ધાર્મિક માન્યતાઓનો સંઘર્ષ હતો.  આ બન્નેને અલગ અલગ રીતે સોમનાથના મંદિરના જિર્ણોદ્ધાર માટેનો જશ આપતા ગ્રંથો અને શિલાલેખ છે, પરંતુ મહમૂદની ચડાઇની એક સદી પછીનાં એ લખાણોમાં ક્યાંય મહમૂદની ચડાઇનો ઉલ્લેખ આવતો નથી. ક્યાંક લખ્યું છે કે દરિયાનાં મોજાંના લીધે મંદિર જિર્ણ થયું, તો ક્યાંક લાકડાં જૂનાં થવાને કારણે મંદિર નષ્ટ થઇ રહ્યું હોવાનું લખાયું છે.  રોમીલા થાપર તેના દ્વારા એવું સૂચવે છે કે ચડાઇ અને તેના કારણે પેદા થયેલા હિંદુ-મુસ્લિમો વચ્ચેના કાયમી વેરભાવની વાત માનવાજોગ નથી. કારણ કે સો વર્ષ પછીનાં લખાણોમાં જ ચડાઇનો કે તેના પગલે સર્જાયેલા વેરભાવનો કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. શંભુપ્રસાદ દેસાઇ આ વિરોધાભાસ, જૈન તથા શૈવ મતનો સંઘર્ષની વાત કરીને મંદિરના જીર્ણોદ્ધારનો યશ કુમારપાળને આપ્યો છે, પણ મંદિરના જીર્ણ થવાના કારણ વિશે કે તેમાં મહમૂદની ચડાઇનો ઉલ્લેખ ન હોવા અંગે કશું કહ્યું નથી.

રોમીલા થાપર સોમનાથ પર મહમૂદની ચડાઇ, તેમાં થયેલી લૂંટફાટ કે કત્લેઆમને જરાય હળવાં કર્યા વિના કે ઓછાં આંક્યા વિના, એવું દર્શાવે છે કે તેના લીધે હિંદુ-મુસ્લિમ વચ્ચે કાયમી અને ઊંડી દુશ્મનાવટ થઇ હોય, એવા પુરાવા મળતા નથી. શંભુપ્રસાદ દેસાઇએ પણ એમાંથી જ ઘણા પુરાવા, તેમનાથી પહેલાં ટાંક્યા છે અને આ આક્રમણને હિંદુઓ પર મુસ્લિમોના હુમલા તરીકે નહીં જોવા જણાવ્યું છે. પરંતુ એક બાબતમાં આ બન્નેનાં આલેખન જુદાં પડે છે.

શંભુપ્રસાદે મહમૂદના હુમલા પછીની સદીઓમાં બીજા શાસકો- મુસ્લિમો અને પોર્ટુગીઝો- દ્વારા થયેલા સોમનાથ પરના હુમલાની તવારીખ આપી છે. તેમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેના ‘કાયમી અને ઊંડા વેરભાવ’ તરીકે નહીં, પણ ઐતિહાસિક રીતે, સોમનાથના ખંડનનો સિલસિલો છેક ઇ.સ.૧૭૦૭ સુધી લંબાય છે.  ત્યાર પછી ૧૯મી સદીના આરંભે સોમનાથમાં કેટલાક લોકોના કારણે કોમવાદી સંઘર્ષનાં મંડાણ થાય છે. આ સમયગાળો, રોમીલા થાપરના મતે ‘બ્રિટિશ સંસદમાં પહેલી વાર થયેલી ચર્ચા’ કરતાં પહેલાંનો છે.

એટલે કે, સોમનાથ નિમિત્તે હિંદુ-મુસ્લિમોનો સંઘર્ષ એ માત્ર ને માત્ર અંગ્રેજી શાસકોની ભાગલાવાદી નીતિની દેન છે, એવા રોમીલા થાપરના દાવા સામે શંભુપ્રસાદે નોંધેલી ઘટનાઓ પ્રશ્નાર્થ ઊભો કરે છે.

વઘુ આવતા સપ્તાહે

8 comments:

  1. मेहमूद ग़जनी जैसे पात्रों के बारे में हमारी जानकारी इतिहास से कम और उपन्यासों से ज्यादा मिली है. हिंदी के उपन्यासकार आचार्य चतुरसेन शास्त्री का "सोमनाथ" सबसे ज्यादा पढ़ा जाने वाला उपन्यास था. उसमें ग़ज़नी द्वारा भारत में किए गये रक्तपात का जो विवरण है वह विभाजन के समय जो हिंसा हुई उसकी सुनी सुनाई बातों पर आधारित है. स्वयं आचार्य चतुरसेन शास्त्री ने अपनी आत्मकथा "मेरी आत्मकहानी" में लिखा है कि सोमनाथ लिखते - "विभाजन का विभ्राट मेरी आंखों के आगे आया. दिल्ली में रह कर दिल्ली और लाहौर के सारे लाल-काले बादल मैंने अपनी आंखों से देखे, कानो से अनहोनी बातें सुनी...उन सबको मैं अपने सोमनाथ में - ग्यारहवी शताब्दी के उस बर्बर आक्रांता (मेहमुद ग़ज़नी) के उत्पातों पर आरोपित करता चला गया. मैं नहीं जानता कि मेरा यह काम कहां तक साहित्यिक अपराध हो सकता है. परंतु यदि यह अपराध ही है तो मैं इसे आपसे छिपाना पसंद नहीं करूंगा." पृष्ठ 264-268

    ReplyDelete
  2. This is good. I know how tough it is to write on this historical event in reference to Romila's lecture! I have noticed a lot of zingoist opponants of Romila on FaceBook, using very derogatory words and terms for the historian and whoever is seem to be ascribing to it. The comeradary and revelry you see among them makes me shiver at the prospect it suggest about public discourse in Gujarat.

    Thanks for being different (bearing the brunt of those fanatics) and yet trying to make a difference as good as journalistically-possible.
    - Kiran Trivedi

    ReplyDelete
  3. Anonymous8:24:00 AM

    Pursuant comments by Ashokbhai Bhargava and Prof. Kiranbhai Trivedi on history motivates to give a re-look to the pages of history.

    ReplyDelete
  4. ભાઇ કૃતેશ, આ મુદ્દે કોનું ન વાંચવું એ મને બરાબર ખબર છે. અને પાયદળનાં લખાણોને કોઇ પણ પ્રકારનું પ્રોત્સાહન આપવાનું તો ઠીક, તેમની નોંધ લેવાનું પણ બંધ છે. માટે, તમે પણ એ બાબતની તસ્દી ન લેતા. ગાળાગાળી અને ચર્ચા વચ્ચેનો ફરક, આટલા વખતથી આ બ્લોગના નિયમિત આવતા મિત્ર તરીકે તમે સમજતા જ હશો.

    ReplyDelete
  5. Al-biruni(co-traveler of gazni) makes following observation in his kitab-ul-hind written circa-1030 AD
    1. Somnatha economy is devastated due to raid
    2. Raid has created the most inveterate antagonism between hindus and muslims
    3. Hindus find Turks and their customs so alien that they frighten their children with us.

    Romila thapar and others have unsatisfactory explanations for this remarks. if these remarks from what is a primary source of the period were accurate thapar and others theories are void of central thrust.

    Other objections on thapar's book i've mentioned in a small write-up on the book.

    http://kavanlimbasiya.blogspot.in/2012/02/somnatha-iii.html

    ReplyDelete
  6. શ્રી ઉર્વીશ ભાઈ : ગઝની નો હુમલો દ્રવ્ય માટે હતો તેમજ ધાર્મિક રીતે પણ હતો જ .જે આપે લાક્યું છે . રહી વાત હિંદુ મુસ્લિમ ના વૈમનશ્ય ની - આપે હિદુ ઓ દ્વારા મસ્જીદ બાંધવા માં સહાય કરવા માં આવી હતી તેમ ટાંક્યું છે પણ તે હિંદુઓ ની સહિષ્ણુતા બતાવે છે ,ઉદારતા બતાવે છે હજી પણ તેમના ધાર્મિક સ્થાનો ના નિભાવ અને નિર્માણ માં હિદુઓ દ્વારા સહયોગ આપવા માં આવે છે અથવા કટ્ટરતા થી વિરોધ થતો નથી જયારે સામે પક્ષે શું છે? તે પણ વિચારવું જરૂરી છે ટૂંક માં મુસ્લિમો ધાર્મિક રીતે સહિષણું હતા ખરા ? અને હજી છે ? કહેવાનો અસહાય એ છે કે જો બંને કોમ વચે દરાર નહોય તેના માટે હિંદુઓ ની સહિષનુંતા છે

    ReplyDelete
  7. @kavan- અલ બિરુનીનાં લખાણમાં પ્રમાણના ગંભીર પ્રશ્નો છે, એવું ફક્ત પ્રો.થાપર જ નહીં, બીજા ઘણા ડાબેરી નહીં એવા ઇતિહાસકારો પણ માને છે.
    @dipakbhai & kavan- બીજો હપ્તો હજુ બાકી છે. પરંતુ આપણે ' બંને કોમ વચ્ચે દરાર ન હોય તેના માટે હિંદુઓની સહિષ્ણુતા છે' એ નક્કી કરી ચૂક્યા હોઇએ તો પછી ભાગ્યે જ કંઇ કહેવાનું રહે છે. કારણ કે આ લેખનો મુદ્દો એ નથી.

    ReplyDelete
  8. @krutesh: i get irritated not because someone asks a question, as clear from discussions on previous blogs.
    but yes, i no longer have mental space for those who have already formed an opinion and only wishes to reconfirm it at the first instance. Otherwise, you should have at least waited for the second part before expressing your 'personal opinion'. but you didn't. and now, or should i say every now and then, you want to portray me as someone shutting dissent.
    well, it's your prerogative and to not take it is mine. reg the piece you referred, i don't trust the writer's integrity to put it simply and i have strong, well-informed, enough reasons for that.

    ReplyDelete