Wednesday, December 05, 2012

પક્ષપલટાની તરફેણમાં: સબ પાર્ટી ગોપાલકી

‘શીરા સારુ શ્રાવક થવું’  એવી જૂની કહેવતમાં ફેરફાર કરીને ચૂંટણીના સંદર્ભે કહી શકાયઃ ‘ટિકીટ સારુ પાટલીબદલુ થવું.’ આ કહેવત મોટે ભાગે ટીકાના સૂરમાં વપરાય છે, પણ ‘પોઝિટિવ થિંકિંગ’થી વિચારતાં જણાય કે કહેવતમાં ખરેખર તો વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાની તત્પરતાનાં વખાણ થયાં છે. એ જ તો ગુણ છે, જેના સજીવ પૃથ્વી પર ટક્યો, ઉત્ક્રાંતિ પામ્યો અને આખરે માણસ બન્યો. કોઇ એને ‘સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ’ કહે, તો કોઇ પક્ષપલટો. નજર નજરનો ફેર છે.

‘વસુધૈવમ્‌ કુટુમ્બકમ’ અને વિશ્વબંઘુત્વના આદર્શ સેવતા આપણા મહાન રાષ્ટ્રમાં મોટે પાયે પક્ષપલટા ન થાય તો જ નવાઇ લાગવી જોઇએ અને ચિંતા પણ કરવી જોઇએ. કવિઓ-લેખકો જેના માટે કલમ ઘસી ઘસીને મરી ગયા એવા એ આદર્શને સાકાર કરવા માટે પક્ષપલટુઓ અસાધારણ મહેનત કરે છે. જાવેદ અખ્તરે ‘પંછી, નદીયાં, પવનકે ઝોંકે, કોઇ સરહદ ના ઇન્હેં રોકે’ કહ્યું હતું. આ યાદીમાં પાટલીબદલુઓને સહેલાઇથી સામેલ કરી શકાય. તેમને પક્ષ, વિચારધારા, રૂઢિ જેવાં કોઇ બંધન નડતાં નથી. ખુદ પોતાનાં વચન-વલણનાં બંધનોને તે, કાંચળી ઉતારતા સાપની માફક, ફગાવી શકે છે.

દુનિયામાં મોટા ભાગની તકલીફો ‘અપુન બોલા વો ફાઇનલ’ એ અભિગમનું પરિણામ છે. પોતાનો કક્કો ખરો કરાવનારા દુનિયા વિશે કદી વિચારી શકતા નથી. પક્ષપલટો કરનારા એવી ઉચ્ચ આઘ્યાત્મિક સ્થિતિએ પહોંચી ચૂક્યા હોય છે કે પોતે કરેલી વાતને વળગી રહેવાનો દુરાગ્રહ પણ રાખતા નથી. સવારે એક પક્ષની ટીકા કર્યા પછી સાંજે એ જ પક્ષમાં જોડાવાનું આવે તો તેમને બિલકુલ ખચકાટ થતો નથી અને બીજી સવારે વળી જે પક્ષમાંથી આવ્યા હતા, ત્યાં જ પાછા થવાનું થાય તો? કશો વાંધો નહીં. જીવ અને શિવને એકાકાર ગણતા પક્ષપલટુઓને બધા મનુષ્યોમાં ઇશ્વરનો અને બધા પક્ષોમાં સત્તાનો વાસ દેખાય છે. ‘સબ ભૂમિ ગોપાલકી’ની જેમ તેમની જીવનફિલસૂફી છેઃ‘સબ ભૂમિ સરકારકી’ અને ‘સબ પાર્ટી ગોપાલકી’.

હરિના મારગની જેમ પક્ષપલટાનો પંથ શૂરાનો છે. કાયર-કાચાપોચા કે લોકનિંદાથી ડરનારા એ રસ્તે કદમ માંડી શકતા નથી. પોતાની હિંમતના અભાવને તે વફાદારી અને નિષ્ઠા જેવા રૂપાળા વાઘા પહેરાવીને દુનિયા સમક્ષ રજૂ કરે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા, તે પાટલીબદલુઓના મનમાં અપરાધભાવ જગાડવાની કોશિશ કરે છે. પરંતુ ‘કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહીં હમારી’નો મિજાજ ધરાવતા પલટુઓ આવી જાળમાં ફસાતા નથી. પોતાના કર્તૃત્વ વિશે તે એટલા આશ્વસ્ત હોય છે કે હસતા મોંઢે ટીકા અને લોકનિંદા ખમી લે છે. પત્રકારોના અણીયાળા સવાલથી બહુ તો તેમના મનમાં કરૂણા ઉપજે (કે ‘આ અબુધ જીવો અમારી ફિલસૂફી ક્યારે સમજશે?’), પણ તેમની સ્થિતપ્રજ્ઞતાના ગઢમાં ગાબડું પડતું નથી.

રાણાને છોડીને કૃષ્ણને વરી ચૂકેલાં મીરાબાઇની લોકોએ ઓછી ટીકા કરી હતી? લોકનિંદાથી તેમને ડર નહીં લાગ્યો હોય? છતાં, તેમણે કૃષ્ણનો માર્ગ છોડ્યો? નરસિંહ મહેતાએ તેમના રૂઢિચુસ્ત જ્ઞાતિજનોનાં મહેણાંટોણાં તરફ જરાય ઘ્યાન આપ્યું હતું? એવી જ રીતે, લોકો ગમે તેટલી નિંદા કરે કે હાંસી ઉડાવે, પક્ષપલટુઓ ‘બધા પક્ષો મારા છે ને હું બધા પક્ષોનો છું’ એવી વિશાળ સમદૃષ્ટિ છોડી દેતા નથી. કમ સે કમ હાંસી-નીંદા-શરમની લાગણીઓથી પર થઇ જવાની બાબતમાં, તેમને મીરા-નરસંિહની સમકક્ષ ગણવા પડે.

પક્ષપલટા કરનાર માટે ચુનંદાં વિશેષણ વાપરવામાં આવે છે. કોઇ તેમને વારંવાર રંગ બદલતા કાચીંડા કહે છે, તો કોઇ તકસાઘુ પાટલીબદલુ. ‘સમાજસુધારક’ કે ‘રાજકીય પરિવર્તનના મશાલચી’ તરીકે તેમની ઓળખ બહુ થોડા લોકો કરી શકે છે. ગુજરાતની ચૂંટણીની વાત કરીએ તો, બધા પક્ષમાં એવા ઉમેદવાર છે, જે હાઇકમાન્ડની હાયની હાયહાય કર્યા વિના બીજા પક્ષમાં જોડાઇ ગયા. તેમની આ બહાદુરી મહાવીરચક્ર કે પરમવીરચક્ર પ્રકારની ભલે ન હોય, પણ ઓગણીસમી સદીના સમાજસુધારકોની યાદ અપાવે એવી અવશ્ય છે.

સમજુ લોકો કહે છે કે બધા પક્ષ સરખા છે. તેમની વચ્ચે આદર્શોનો કે સિદ્ધાંતોનો કશો તફાવત રહ્યો નથી.  આ વાત ‘સચિન તેંડુલકરે નિવૃત્તિ લેવી જોઇએ’ એવી માગણી કરતાં પણ વધારે ચવાયેલી-ઘસાયેલી છે. છતાં, લોકો ચૂંટણીટાણે આ વાતને ભૂલી ન જાય અને બરાબર યાદ રાખે તે સમાજહિતમાં અને લોકશાહીના હિતમાં જરૂરી છે.    ‘બદ્ધા ચોર છે’ પ્રકારનો ઉપદેશ અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ આપી આપીને થાકી ગયા. એ લોકો ગમે એવા તો પણ બહારના માણસ. તેમની ટીકાનું વજૂદ કેટલું? પણ આ જ લાગણી રાજકીય પક્ષની અંદર રહેલો કોઇ નેતા વ્યક્ત કરે ત્યારે તેનું વજન બદલાઇ જાય.

એટલે સમાજહિતમાં માથે કોઇ પણ પક્ષની ટોપી પહેરી લેવા તત્પર લોકો મેદાને પડે છે. તે સવારે એક પક્ષમાં હોય છે ને સાંજે બીજા પક્ષમાં. ગઇ ચૂંટણી એક પક્ષની ટિકીટ પરથી લડ્યા હોય તો આ ચૂંટણી બીજા પક્ષની ટિકીટ પરથી લડે છે. સામાન્ય લોકો આ ચેષ્ટાને તકવાદ, બેશરમી અને સિદ્ધાંતહીનતા ગણે છે. પણ આ રીતે પોલેરોઇડ કેમેરામાંથી બહાર આવતી ફોટોપ્રિન્ટની ઝડપે પક્ષ બદલનારાનો સાંકેતિક સંદેશો બહુ સ્પષ્ટ હોય છે. તે બોલ્યા વગર, પોતાનાં પગલાંથી ગાઇવગાડીને કહે છે કે ‘જુઓ, જુઓ, હું કાલે ફલાણા પક્ષમાં હતો ને આજે ઢીકણા પક્ષમાં છું. છતાં, તેમણે મને ટિકિટ આપી દીધી છે. તમે જ વિચારો, આવા પક્ષો પર કેટલો વિશ્વાસ રખાય?’ એ જુદી વાત છે કે મોટા ભાગના લોકો સંકેતો ઉકેલવામાં ‘ઢ’ હોવાથી અને ભારતમાં હંમેશાં મૂળ તત્ત્વ કરતાં ત્યાં પહોંચાડનારી નિસરણીનું વધારે મહત્ત્વ હોવાથી, આખી ચર્ચા પક્ષપલટુઓને ભાંડવામાં અટવાઇ-ખોટકાઇ જાય છે.

ચૂંટણીશાહી બની ગયલી લોકશાહીની મર્યાદાઓ અંગે લોકોને જાગ્રત કરવા માટે અંગત ટીકા, ઉપાલંભ, મજાકમશ્કરી સહન કરનારા લોકો માટે ‘પાટલીબદલુ’ કે ‘મિર્ઝાપુરી લોટા’ જેવા તુચ્છકારસૂચક શબ્દ વપરાય, તે લોકશાહીપ્રેમીઓ માટે શોભાસ્પદ નથી. જાતની પરવા કર્યા વિના કે પક્ષોના હાઇકમાન્ડોના આદેશ ગણકાર્યા વિના, કેવળ લોકશાહીની તંદુરસ્તીની ચિંતા કરનારા વઘુ માનના અધિકારી છે. છૂપાઇને લડનારા માટે ‘શિખંડી’ જેવો પ્રયોગ થાય છે, તેમ યુદ્ધટાણે પક્ષપલટો કરનાર બહાદુરોનેે ‘વિભીષણ’ કહી શકાય.

અસલી વિભીષણની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા વિશે કેટલા લોકો જાણતા હશે? પણ રામાયણમાં તેનું માહત્મ્ય જ એ છે કે યોગ્ય સમયે તેમણે સગા ભાઇની શરમ ન ભરી અને અંતરાત્માનો અવાજ સાંભળીને ભાઇના હરીફના પક્ષે જોડાઇ ગયા. પક્ષપલટાનો આ જ ખરો સ્પિરિટ છે. ગુજરાતના ચૂંટણીપ્રચાર દરમિયાન રામ અને રાવણનાં, વાનર અને ઉંદરનાં પ્રતીકોનો છૂટથી ઉપયોગ થયો, પણ વિભીષણો ઉપેક્ષિત રહ્યા છે. વઘુ સાચું તો એ છે કે ઉપેક્ષાએ જ તેમને વિભીષણ બનાવ્યા છે.

ગુજરાતના ચિંતકોથી માંડીને કથાકારો સુધીના લોકો પાસેથી વિભીષણ-મહિમા સાંભળવો છે? તો એકાદ વિભીષણ મુખ્ય મંત્રી બને ત્યાં સુધી રાહ જુઓ.

3 comments:

  1. મીરઝાપુરી લોટા અને ઢ માં મહાન ગુણ હોય છે. ગમે એવી પરીસ્થીતીમાં એ સ્થીર રહે છે અને સુધરતા નથી. છેલ્લા ૨-૩ હજાર વરસનો ઈતીહાસ જુઓ ઢ માં જરા પણ ફેરફાર નથી થયો અને ઢ નો આકાર ઢ જ રહ્યો છે.....

    ReplyDelete
  2. Anonymous8:27:00 PM

    kya kahooN iss ko maiN badbakHti-e-nation kay siwa
    iss ko aata nahiN ab kuchh imitation kay siwa - by Akbar Allahabadi.

    ReplyDelete
  3. yes, you really are master of satire.in this topical piece, you are creatively scathing at the chameleons that have mastered the art of changing colors. and the innocent voters therefore must thank you, now that you have dyed their hides with some dark hue for their easy and instant identification. i believe, satire is the best and most effective device to educate people, be it in literature or journalism.

    ReplyDelete