Tuesday, December 25, 2012

પરિણામોઃ ટાઢા પહોરે નહીં, ઠંડા કલેજે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાગલગાટ ત્રીજી વાર મુખ્ય મંત્રી મોદી વિજયી થયા. અગાઉની બેઠકસંખ્યામાં ફક્ત બે જ બેઠકોનો ઘટાડો થયો, જે તેમની જીતની સામે નગણ્ય કહેવાય. રાજનેતાઓ પ્રત્યે લોકોનાં તીવ્ર અવિશ્વાસ, અભાવ અને અણગમાની વચ્ચે સતત ત્રીજી વાર જીત મેળવવી એ મુખ્ય મંત્રીની સિદ્ધિ છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકામાં બીજા કોઇ મુખ્ય મંત્રી આ કામ કરી શક્યા નથી.

રાજકારણ અને સમાજકારણમાં મુખ્ય મંત્રી મોદી સામસામા છેડાના અભિપ્રાયો અને મતભેદ પેદા કરનાર પાત્ર બની રહ્યા છે. આ સિલસિલાની શરૂઆત ૨૦૦૨થી થઇ, જેનો ઉલ્લેખમાત્ર તેમના ભક્તોને વસમો લાગે છે અને ૧૯૮૪નાં શીખ રમખાણો જેવો કોંગ્રેસ પ્રાયોજિત ધૃણાસ્પદ હત્યાકાંડ યાદ કરીને, તેની ‘છત્રછાયા’માં ભક્તોને શરણું શોધવું પડે છે. ૨૦૦૨ પછીનાં ૧૦ વર્ષમાં કોમી ઉપરાંતનાં ઘણા મુદ્દા અને પરિબળ ઉમેરાયાં છે. મુખ્ય મંત્રીએ ભારતીય લોકશાહી ઢબે ત્રણ-ત્રણ ચૂંટણીઓમાં મેળવેલી સફળતાનો રંગ પણ તેમાં ભળ્યો છે. એટલે, તેમના વિજયની સિદ્ધિને સંપૂર્ણપણે પ્રમાણ્યા પછી- બાળપણની રમતમાં કહેતા હતા તેમ, એ સિદ્ધિને ‘ગોખલામાં મૂકીને’- ઠંડા કલેજે ચૂંટણીનાં પરિણામ વિશે વિચારવું જરૂરી છે.

મુખ્ય મંત્રીના ચાહકો માટે તો એ જીતી ગયા એટલે થયું. તેનાથી આગળની ચર્ચા તેમને નિરર્થક બૌદ્ધિક વ્યાયામ અથવા મુખ્ય મંત્રીનું માહત્મ્ય ઘટાડવાની કવાયત લાગી શકે છે. મુખ્ય મંત્રીની ઘણી સફળતાઓમાંની એક એ છે કે થોડા દાયકા પહેલાં સુધી જે ગુજરાતની અસ્મિતામાં ‘બૌદ્ધિક’ હોવું માનભર્યું ગણાતું હતું, એ ગુજરાતના નવા અસ્મિતાભાનમાં ‘બૌદ્ધિક’શબ્દને તેમણે અપશબ્દ બનાવી દીધો છે. તેમની આ બિનસત્તાવાર ઝુંબેશમાં ચિંતાજનક ચિંતકોથી માંડીને સઘન સારવારની જરૂર ધરાવતા મનોવિકૃતોની આખી પલટન હોંશેહોંશે જોડાયેલી છે. ‘બૌદ્ધિક નહીં, હમ બુદ્ધુ હૈં’ એવાં ટી-શર્ટ મુખ્ય મંત્રી તૈયાર કરાવે, તો ગુજરાતમાં એક આખી જમાત ગૌરવભેર તેને પહેરીને ફરવા તલપાપડ હોય.

રાજકીય પક્ષબાજી કે ફેસબુકિયા હુંસાતુંસીમાં પડ્યા વિના, વાસ્તવિકતાની નજીક પહોંચવાનો ઉત્તમ રસ્તો છે નક્કર વિગતો અને આંકડા.


આશ્વાસન નહીં, આંકડા

‘મુખ્ય મંત્રીના ટીકાકારો ગુજરાતવિરોધી અને કોંગ્રેસી છે’ એવા અંધ ઝનૂનથી પ્રભાવિત થયા વિના કે ‘જીત્યા તેમાં શી ધાડ મારી?’ એવી ટીકાખોરી વિના, માત્ર વિગતો અને હકીકતોના પ્રકાશમાં ચૂંટણીનાં પરિણામ શું કહે છે?

આ ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું, પણ દેખીતું છે કે તે એકતરફી મોજું ન હતું. આ વાતની સાદી સાબિતી ભાજપ-કોંગ્રેસને મળેલા મતની ટકાવારી પરથી મળે છે. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપને કુલ મતમાંથી ૪૯.૮૫ ટકા મત મળ્યા હતા. ૨૦૦૭ની ચૂંટણીમાં એ પ્રમાણ ૪૯.૧૨ ટકા હતું અને ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપનો મતહિસ્સો  ૪૮.૩૦ ટકા થયો.

એટલે કે, ૫૦ ટકાથી પણ વધારે મત ભાજપની વિરુદ્ધમાં પડ્યા, એવી આંકડાકીય દલીલ થઇ શકે. પણ ભારતની ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જે સૌથી આગળ તે વિજેતા) પ્રકારની ચૂંટણી પદ્ધતિમાં એ દલીલનું કશું મહત્ત્વ નથી. ઉપરાંત, ભાજપનો ૪૮.૩૦ ટકા મતહિસ્સો કોઇ પણ દૃષ્ટિએ મજબૂત કહેવાય.

કોંગ્રેસ ભાજપના મતહિસ્સામાં થયેલા મામૂલી ઘટાડાનો સંતોષ લે તો એ ઠાલું આશ્વાસન ગણાય, પરંતુ કેવળ અભ્યાસની રીતે વિચારતાં, આ ચૂંટણીમાં ૬ કરોડ ગુજરાતીઓએ કોંગ્રેસને જાકારો આપ્યો ને ભાજપને ચૂંટી કાઢ્‌યો એવું કહી શકાય?

આંકડા ઘ્યાનમાં રાખતાં, જવાબ છેઃ ના. ૨૦૦૨માં કુલ મતદાનમાંથી કોંગ્રેસને ૩૯.૨૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૭માં તે ઘટીને ૩૮ ટકા થયા અને આ ચૂંટણીમાં ભારે મતદાન છતાં કોંગ્રેસનો મતહિસ્સો વધીને ૪૦.૮૧ ટકા થયો. આગળ જણાવ્યું તેમ, કોંગ્રેસે આવા આંકડાથી આશ્વાસન લેવાપણું ન હોય, પણ સમીક્ષકો-વિશ્લેષકો આ આંકડા નજરઅંદાજ કરી શકે નહીં.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ વખતે સૌથી વધારે મતદાન થયું. સરેરાશ કરતાં દસેક ટકા વધારે. તેમાં ‘યુવા મતદારો, મહિલા મતદારો અને શહેરી મતદારોએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા, એટલે ભાજપની જીત થઇ’ એવું કહેવાય છે. તેના બે અર્થ થાયઃ

૧) મતદાન અગાઉના જેટલું જ થયું હોત તો, ભાજપનો મતહિસ્સો ઘટ્યો હોત અને તેને થોડી તકલીફ પડત. વધારાના દસ ટકા મતદાનમાંથી મોટા ભાગનું ભાજપની તરફેણમાં થતાં, સાઠેક ટકા મતદાનમાં ભાજપને પડેલી ખોટ સરભર થઇ ગઇ.

૨) મતદાનની ટકાવારી સાઠ ટકા હોય કે સિત્તેર ટકા, મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાયેલા જ રહ્યા. નવા દસ ટકા મતદારોમાં પણ ભાજપ પ્રત્યેનો ધારવામાં આવે છે એવો વિશેષ ઝુકાવ જોવા ન મળ્યો.

ઉપરની બન્ને પરિસ્થિતિ પરથી સ્પષ્ટ છે કે મતસંખ્યામાં દસેક ટકાનો વધારો થયો, તેમ ફક્ત ભાજપના જ નહીં, કોંગ્રેસના મત પણ સમપ્રમાણમાં વઘ્યા. એટલે બન્ને વચ્ચેનો તફાવત જળવાઇ રહ્યો ને કોંગ્રેસ હારી. ધારો કે કોંગ્રેસને મળેલા મતની સંખ્યામાં દસેક ટકાના હિસાબે વધારો ન થયો હોત તો? કોંગ્રેસનો મતહિસ્સો ઘટત અને કદાચ તેની વધારે આકરી હાર થઇ હોત.

સાર એટલો કે ભાજપે કોંગ્રેસ સાથેના મતહિસ્સાનો નિર્ણાયક તફાવત જાળવી રાખ્યો, પણ કોંગ્રેસનું એક પક્ષ તરીકે લોકોએ ધોવાણ કરી નાખ્યું એવું કહેવું અઘરું છે. કોંગ્રેસ માટે શરમજનક હોય તો તેની ટોચની નેતાગીરીની હાર. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ - સૌ પોતપોતાની રીતે પોતપોતાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણતા ને ખાનગી રાહે કદાચ ગણાવતા પણ હશે. આ ચૂંટણીમાં તે ફક્ત પોતે જીતવા ઉપરાંત પક્ષને જીતાડે એવી તેમના પક્ષની અપેક્ષા હશે. અગાઉ જોયું તેમ, કોઇના તરફી મોજા વિના ભારે મતદાન થયું. છતાં, ટોચના ત્રણ નેતાઓ નવા નિશાળીયાની જેમ હારી ગયા.

આંતરિક વ્યૂહરચનાના અને જમીની સંપર્કના નામે તેમના ખાતે કેવું મોટું મીંડું હશે? સ્થાનિક પરિબળો અને જ્ઞાતિનાં પરિબળો ગણતરીમાં લઇએ તો પણ, મુખ્ય મંત્રીપદના સંભવિત ઉમેદવાર જેવા નેતાઓ વિધાનસભામાં ન પહોંચી શકે તે કોઠીમાં મોં નાખ્યા પછી, એ કોઠી રસ્તા વચ્ચે લાવીને રડવા જેવી વાત કહેવાય.

ગુજરાતમાં ભારે મતદાન થવા છતાં, તે અગાઉની જૂની સરેરાશ પ્રમાણે કોઇ એક પક્ષની તરફેણમાં નહીં, પણ વહેંચાયેલું રહ્યું તેનો બીજો નક્કર પુરાવોઃ ભાજપના સાત મંત્રીઓ અને પ્રદેશપ્રમુખ હારી ગયા. વરસાદની જેમ ચૂંટણીનાં પરિણામ પર અનેક પરિબળોની એવી ઓછીવત્તી અસર હોય છે કે તેમાં એક ને એક બે જેવું ગણિત શક્ય બનતું નથી. છતાં, એ લોકોની હારથી એટલું તો સ્પષ્ટ છે કે આ ચૂંટણીમાં થયેલું મતદાન કોઇ એક પક્ષના વિજયવાવટા કે પરાજયવાવટા ખોડવા માટેનું ન હતું.

વિકલ્પના વાંધા

ચૂંટણીનાં પરિણામો પછી સાવ સાદું નાગરિકશાસ્ત્ર પણ કેવું ભૂલાઇ જાય તેનો નમૂનોઃ  એક દલીલ એવી થઇ કે ‘અમિત શાહને કોઇ મોટા ગુનેગાર હોય એમ ચિતરનાર એક જૂથે અમિત શાહને મળેલા જનાદેશને ઘ્યાને લેવો જરૂરી બની ગયો છે.’

અમિત શાહને સાંકળતા કેસની ચર્ચા અહીં અસ્થાને છે, પરંતુ એક તરફ રાજકારણના અપરાધીકરણ વિશે  અને અપરાધી ભૂતકાળ-વર્તમાનકાળ ધરાવનારા ઉમેદવારો વિશે કકળાટ ચાલતો હોય, ત્યારે કોઇ આરોપી કેવળ ચૂંટણી જીતી જાય એટલે તેની સામેના આરોપ જાણે મોળા પડી ગયા હોય એવું અર્થઘટન કેટલું સગવડીયું અને ઉપરચોટીયું ગણાય? દૂરના ભૂતકાળમાં અમદાવાદનો ગુંડો લતીફ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક સાથે પાંચ-પાંચ બેઠકો પરથી જીત્યો હતો. આગળ કરાયેલી દલીલ માનીએ તો, જીત પછી લતીફને ગુંડો કહેતાં પહેલાં પણ તેને મળેલા જનાદેશને ઘ્યાને લેવો જરૂરી ન બની જાય?

સમજ્યા વિના મુખ્ય મંત્રીની ટીકા કરનારા કેટલાક તેમની ત્રીજી વારની જીતથી અચાનક તેમની સિદ્ધિઓનાં ગુણગાન ગાવાની મુદ્રામાં આવી ગયા. લાગલગાટ ત્રણ વાર ચૂંટણી જીતવી એ જાણે ભારતવર્ષમાં કોઇ નેતાએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ હોય એવી અંજલિઓ તેમણે આપી. સળંગ ત્રણ વાર જીતનો ભાજપમાં અને ગુજરાતમાં આ પહેલો બનાવ હોવાથી, તે ચોક્કસ નોંધપાત્ર અને મોટી સિદ્ધિ છે, પરંતુ ગુજરાતને બદલે સમગ્ર રાજકારણની વાત થતી હોય ત્યારે દિલ્હીમાં શીલા દીક્ષિતની હેટ ટ્રિક અને પશ્ચિમ બંગાળમાં હવે ઉખડી ગયેલું, પણ લગભગ સાડા ત્રણ દાયકા સુધી ચાલેલું ડાબેરી શાસન યાદ કરવું પડે.

આ જાતના વિક્રમો માટે કેવળ જનાદેશ કે લોકોનો પ્રેમ જવાબદાર હોતા નથી. મહાન કે આદર્શ નહીં તો પણ, ધોરણસરના વિકલ્પ તરીકે ઉભરવામાં નિષ્ફળ ગયેલો વિરોધપક્ષ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. ગુજરાતમાં ૨૦૦૨ની હિંસાથી ભાજપની ‘બી-ટીમ’ જેવી બની ગયેલી કોંગ્રેસ આટલી દિશાશૂન્ય અને પરાધીન હોવા છતાં, તેને  ભાજપના ૧ કરોડ ૩૧ લાખ મતની સરખામણીમાં ૧ કરોડ ૬ લાખ મત મળ્યા છે. તો ગુજરાત કોંગ્રેસમાં કોઇ સબળ નેતૃત્વ ઊભું થાય, દલિતો-મુસ્લિમોને ગુમાવેલી વોટબેન્ક તરીકે જોવાને બદલે, કોંગ્રેસ તેમની મૂળભૂત સમસ્યાઓ ઓળખે અને તેના ઉકેલની દિશામાં કામ કરે, પ્રગતિશીલ મુસ્લિમ નેતાગીરીનું સંવર્ધન કરે અને તેને ઉત્તેજન આપે, હિંદુ તરીકે ખપવાની લ્હાયમાં રાજકીય હિંદુત્વ ભણી વળ્યા પછી પણ ઠેરના ઠેર રહેલા દલિતોને તેમના નાગરિક અધિકાર માટેની લડતમાં ટેકો આપે, થાનગઢ જેવા હત્યાકાંડ વખતે એક યા બીજી વોટબેન્ક નારાજ થશે તેની પરવા કર્યા વિના ન્યાય માટેની લડતમાં જોડાય.. આ દિશામાં કોંગ્રેસ આગળ વધે તો તે ધોરણસરનો વિકલ્પ બની શકે.

કોંગ્રેસ આક્ષેપબાજી કરવાને બદલે આત્મખોજ કરે અને ભાજપની નબળાઇઓ શોધીને બેસી રહેવાને બદલે પોતાની તાકાત વધારવામાં ઘ્યાન આપે, તો આશરે ૨.૭૧ કરોડ મતદાતાઓમાંથી ૧.૦૬ કરોડ જેટલા ગુજરાતી મતદાતાઓ હજુ એક યા બીજા કારણસર, કોંગ્રેસ પ્રત્યેના પ્રેમને લીધે કે સત્તાવિરોધી લાગણીને કારણે કે ભાજપ-મુખ્ય મંત્રી પ્રત્યેની ફરિયાદને લીધે કે વ્યવસ્થિત ત્રીજો વિકલ્પ ન હોવાને કારણે કોંગ્રેસને મત આપે છે. તેમણે કોંગ્રેસના નામનું નાહી નાખ્યું નથી. કોંગ્રેસના નેતાઓની મનોદશા એવી હોય તો જુદી વાત છે.

19 comments:

  1. કોંગ્રેસની સહુથી મોટી ભૂલ એ હતી કે તે કેશુભાઇ ઉપર વધારે પડતી આશા રાખી બેસી હતી. એ મૂળ મુદ્દો ભૂલી ગઇ કે શિખર પર પહોંચવા માટે જાતે આગળ વધવું પડે છે. ત્રાહિત વ્યક્તિ શિખર ઉપર બેઠેલાને ગબડાવે તેની રાહ જોતા રહીયે તો જનતા તમારા નસીબમાં વધુ ૫ વર્ષ રાહ જોવાનું લખી આપે છે.

    કોંગ્રેસ માટે બીજો મહત્વનો મુદ્દો એ છે કે લગભગ ૧૦ જેટલી બેઠકો તે માંડ માંડ જીતી છે. ૧૦૦૦૦ જેટલા ઓછા મર્જીનથી જીતેલી બેઠકો હકીકતે તેની 'જીત' નથી, પણ 'નસીબ' છે. કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓના માર્જીન પણ શરમજનક છે. વિઠ્ઠલ રાદડીયા ૨૦૦૦ કરતાં ઓછા મતથી જીત્યા, જ્યારે શંકરસિંહ ૧૦૦૦૦ કરતાં ઓછા મતથી જીત્યા, જે કુલ મતદાનના માંડ ૨% હશે. સામાપક્ષે અર્જુનભાઇ અને શક્તિસિંહ બહુ મોટા માર્જીનથી હાર્યા.

    આ બાબત કોંગ્રેસ માટે ચિંતાજનક છે. તેનો અર્થ એમ જ નીકળે કે કોંગ્રેસના નેતાઓ રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા, એવું ગુજરાતની પ્રજાને લાગ્યું. આ ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર વધુ સરસ હતો. પણ મુદ્દાનો અતિરેક થઇ ગયો. કોંગ્રેસે પ્રચારમાં ફક્ત માર્કેટીંગથી સંતોષ માન્યો અને ગ્રાઉન્ડવર્કની ઉપેક્ષા કરી. ઘરના ઘર અને બીજા લાગણીના વિષયોથી ટોળું એકઠું થાય, સમર્થકો નહીં.

    નરેન્દ્ર મોદી પર લગામ રાખવા મજબૂત કોંગ્રેસ જરૂરી છે. પણ કોંગ્રેસ પોતાની નબળાઇ પ્રત્યે જે ઉપેક્ષા દાખવી રહી છે અને ૧% મત વધ્યા એનો મિથ્યા સંતોષ લઇ રહી છે તે બાબત કોંગ્રેસ અને લોકશાહી બન્ને માટે ચિંતાજનક છે.

    ReplyDelete
    Replies
    1. Anonymous8:47:00 PM

      ગુજરાત માં કોન્ગ્રેસ્સ ના પડતી અને રકાસ ના કારણો જાણવા માં પક્ષ માં કોઈ વલણ રાજ્ય અને રાષ્ટ્ર કારોબારી ને રસ છે? અ એક મોટો પ્રશ્ન છે। Advisory Council!!! Role and Responsibility! ?

      Delete
    2. Anonymous7:37:00 AM

      કૃતેશભાઈ/ ઉર્વીશભાઈ: એક ઈમાનદારી નો પ્રયત્ન દરેક ગુજરાતી નાગરિક તરફથી Internet/બ્લોગ, જેથી ગુજરાત રાજ્ય ના અસલ રાજકારણ નો ઈતિહાસ અને ભવિષ્ય ની રણ-નીતિ જે 2 પક્ષોની Friendly Match ના હોય પણ,'ચક દે ઇન્ડિયા' ની માફક, 'ચક દે ગુજરાત'નો અનુભવ થાય જેથી કરી ને સ્વસ્થ રાજકારણ અને સ્વસ્થ ગુજરાત ની કલ્પના કરી શકાય।

      Delete
  2. सदभावना पर्व, गरीब कल्याण मेला, रोजगार मेला, खेलकूद कुंभ, तीन आयामी रैली और ना जाने क्या क्या तमाशे के बाद भी मतों मे बढ़ोतरी ना होना आश्चर्य का विषय है. गुड गवर्नेन्स के बावजूद इतने सारे मंत्री चुनाव कैसे हार गये? किसी अच्छे नेता तथा व्यवस्थित प्रचार के न होते हुए भी कोंग्रेस व विपक्ष को मिले वोट मोदी को नकारने वाले वोट ही माने जाने चाहियें. भले ही बैठकें मिलने पर भाजप खुशी मनाले, हक़ीकत में यह मोदी व भाजप की हार है.

    ReplyDelete
    Replies
    1. અશોકભાઇ, જનાદેશને સ્વિકારતા શીખો. મોદીને મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રજાએ તક આપી છે, એ તમારા માટે કડવી તો કડવી પણ વાસ્તવિક્તા છે. કોંગ્રેસ જો આવા શુલ્લક ૧% મત વધ્યા એનાથી રાજી થતી હોય તો જાણિ લો કે હજી ભાજપા અને કોગ્રેસ વચ્ચે ૯%નું અંતર છે. એનો અર્થ એ થયો કે હજી ૯ ચૂંટણી સુધી કોંગ્રેસે રાહ જોવી પડશે એટલેકે ૪૫ વર્ષ.

      આવા અર્થહીન આશ્વાસન લેવાને સ્થાને કોંગેસ પ્રજાના આદેશને સ્વીકારે અને રચનાત્મક વિપક્ષની ભૂમીકા ભજવે, તો કદાચ તેનો વનવાસ પૂરો થાય.

      Delete
  3. આ ચુંટણી નું વિવેચન છે કે કોંગ્રેસની નિષ્ફળતા ને યોગ્ય ઠરાવતી બહાનાબાજી? વોટબેંક સાચવવી, ન સાચવી, એઈ બધી બહાનાબાજી? ભાજપ ના મત ની ટકાવારી, ભાજપ જીત્યું વધારે વોટીંગ થયું હોત કે થયું છે એટલે નુકસાન, ફાયદો, આ બધામાં ઉર્વીશભાઈ કેમ ભૂલો છો કે મતદાતા ને પણ પોતાની અક્કલ હોય છે, હું કોઈ ભાજપ કે કોંગ્રેસ નો ટેકેદાર નથી, અને કોને કેટલા મત કેમ અને શા માટે મળ્યા એની પિષ્ટપેષણ કરતો નથી પણ આપે એક વાત નોંધી હશે, શ્રી મોદીએ વિકાસ, અમે મતદારો માટે તેમની સરકારે શું કર્યું તેની વાત કરી ત્યારે કોંગ્રેસ 2002 ના તોફાન, અને મોદીએ શું નથી કર્યું, કેટલા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો, ઉદ્યોગોની જમીનો વ,વ, કહી અને મોદીની નિષ્ફળતાઓ જ બતાવવા સિવાય કશું જ કર્યું નહિ અને કેન્દ્ર સરકારે જે કર્યું છે તે બધું પોતાની સફળતામાં બતાવ્યું, હથેળીમાં ચાંદ બતાવ્યા, અને આખું વર્ષ કે બધા વર્ષો પોતાના સ્વાર્થની પૂર્તિ કરવામાં કાઢ્યા છે, મોદી સરકારે બધું જ સો ટકા કર્યું ન હોય ભલે ને ફક્ત પાંચ દસ ટકા જ વિકાસ કર્યો હોય પણ એ વિકાસ ને વિકાસ ગણ્યા સિવાય અને વધુ સારું કેમ થઇ શકે તે વાત કરવાને બદલે નાના નાના છીંડા શોધવામાં જે શક્તિ બગાડી તે જ કારણે જનતા વિમુખ થઇ તે આપે નોંધ્યું? (2) જ્યાં બધું કોમવાદ ના પ્રશ્ને થાળે પડી ગયું છે ત્યાં તેની જ વાતો કરીને ઘા ખોતરવા સિવાય જે કઈ સારું થઇ શકે તેની વાત કરી ને જનતાને વિશ્વાસમાં લઇ શકાઈ હોત, જયારે મોટા કરે તે લીલા ના ન્યાયે શીખો સામેના કોંગ્રેસના પ્રધાનોએ લીધેલ નેતાગીરી વાળા હુલ્લડો ભૂલીને 2002 ના હુલ્લડ માટે બોલ્યા કરી પોતાના બે મોન્થાની વાતોમાં લોકોએ વિશ્વાસ ન મુક્યો અને ન મૂકી શકે એ સમજવાની અશક્તિને આપ ટેકો આપો છો એ નવાઈની વાત છે, (3) જ્યાં કેન્દ્ર સરકાર જ્યાં કોંગ્રેસી સરકાર છે એના પુરવાર થયેલા ભ્રષ્ટાચાર સામે મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી અને કોર્ટ કેસ કરવાને બદલે ફક્ત ગાળાગાળી કરવી એ કઈ રાજનીતિ છે એ જનતા સમજી ગયી એમાં આપને શું વાંધી આવ્યો કે આપ મતોની ટકાવારી બતાવી ને કોંગ્રેસની હારને જીતમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છો? (3) જયારે કોંગ્રેસ દિશાભાન ભૂલી ગઈ છે, જેનો પોતાની હાથ નીચેની મશીનરી ઉપર કંટ્રોલ રહ્યો નથી, એ મશીનરીના આધારે મત મેળવવાનો પ્રયત્ન, વિરોધીઓને કચડી નાંખવા માટે તેનો ઉપયોગ, જનતાના પ્રશ્નો સાંભળ્યા વગર, નેતાગીરી સાચવવાનો રસ્તો વ, જનતાને વિમુખ કરે એમાં કોનો વાંક? આપ એ વાત સાથે સહમત નહિ જ થાઓ કે વોલમાર્ટ બાબતે, બળાત્કાર મામલે, વડાપ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ પોતાને જનતા સાથે વાત કરવામાં પોતાનું અપમાન સમજીને મૂંગા રહે, તેને જનતા સ્વીકારે નહિ તે સ્વાભાવિક છે, આ એ જ લોકો છે જે હવે વિચાર કરી શકે છે અને આપ જેવા સાક્ષરો ભલે સ્વીકારો પણ લોકો એમને માલિક ગણી ને ગુલામી સ્વીકારવા તૈયાર નથી અને શ્રી મોદીને જે મત નથી મળ્યા તે કોંગ્રેસ પ્રત્યેના પ્રેમ ને કરને નહિ પણ વિકાસમાં પોતાને જોઈતો હિસ્સો નથી મળ્યો તેના છે અને હજી મોદીએ કહ્યું નથી કે સંપૂર્ણ વિકાસ થઇ ગયો છે, બાકી તો કોંગ્રેસ પાસે કોઈ પ્રોગ્રામ નથી, કોઈ દોરવાની આપી શકે તેઓ નેતા નથી, અને ભૂખ્યા વરુ જેવી માનસિક સ્થિતિ છે, ત્યારે કોણ ભરોસો મુકે? આપતો મહાન સાક્ષર છો, ફેસબુક ઉપર પણ આપ કોઈને જવાબ આપવા તૈયાર નથી, અને કોંગ્રેસના પેતીવાજા જેવા ગુજરત સમાચારને સેવા આપો છો, અને ઈચ્છો છો કે આપ જે કહો તે જ લોકો માને--- અને એ જ વાસ્તવિકતા છે,

    ReplyDelete
  4. ભાઇ કબીર. તમે ખરેખર મહાન છો. એટલે જ, લેખમાં જે લખાયું છે છે એ વિશે નહીં, પણ ધરાર તમારે જે કહેવું હતું એ જ તમે કહ્યું છે.

    તમે કેટલા તટસ્થ છો એ તમે ન કહ્યું હોત તો પણ સૌ કોઇ સમજી શકત.
    આપ સરખા મહાન સાક્ષરને જવાબ આપવાનું મારું ગજું નથી.

    ReplyDelete
    Replies
    1. કબીરભાઇની સાથે અશોકભાઇની તટસ્થતા પર પણ તમે પ્રશ્ન કર્યો હોત તો તમારી તટસ્થતા ગળે ઉતારવી સહેલી બનત.

      Delete
  5. ઉર્વીશ, એક વાત તો માનવી પડે : કોંગ્રેસ, જીપીપી, એનસીપી, બીએસપી, ડાબેરીઓ સમેત તમામ વિરોધ પક્ષો, મોટા ભાગના ગુજરાતી સમેત આખો અંગ્રેજી મીડિયા, કેન્દ્ર સરકાર અને તેની સંસ્થાઓ, હાયર જ્યુડીશિઅરી, તમામ એનજીઓ, પ્રગતિશીલ-લોકશાહીવાદી-વિવેક્બુદ્ધીવાદી સંસ્થાઓ, નાગરિક સંગઠનો, નારીવાદી સંગઠનો, દલિતો, મુસલમાનો -- આ સૌ મોદીની રાજ્ય ચલાવવાની રીતરસમોની પ્રચ્છન્ન કે પ્રગટ રીતે ભરપૂર ટીકાકાર રહ્યાં અને થાય એટલું જોરપૂર્વક-ભારપૂર્વક કહેતા રહ્યા કે મોદી કેવળ માલેતુજારોના વિકાસ માટે જ કામ કરે છે, પોતાને મહાનાયક તરીકે પ્રોજેક્ટ કરવા માટે સરકારની તિજોરી ખાલી કરે છે, વગેરે વગેરે અને છતાં મોદી હેટ્રિક કરી શકે છે ! તમારે, મારે અને આપણા જેવા મોદીના સૌ ટીકાકારોએ એ વાત તો સ્વીકારવી પડશે કે ઝાઝેરા મતદારો મોદીના રાજકારણને માન્ય ગણે છે અને એવા દિવાસ્વપ્નોમાં રાચે છે કે આવો 'મહાન ગુજરાતી' ભારતનો વડોપ્રધાન બને તો સરદારથી પણ વડેરો આ સુપરમેન પાકિસ્તાન, ચીન, અમેરિકા, રશિયા એવા સૌના દાંત ખાટા કરી દે અને માથાભારે ગણાતા મુસલમાનોને તો હમેશને માટે મિયાની મીંદડી જેવા ડાહ્યા ડમરા બનાવી મૂકે, ભારતને મહાસત્તા બનાવીને એની વેદકલીન અસ્મિતા પુનઃ સ્થાપિત કરી શકે. ઉર્વીશ, આ 'શાણી ગુજરાતી' પ્રજાને એના દિવાસ્વપ્નો માણવાનો ભરપૂર લ્હાવો મળવો જોઈએ. હું તો માનું છું કે હવે સૌએ ચૂપચાપ થઈને, મોદીને વડાપ્રધાન બનાવવાની આ પ્રજાની ઘેલછાનો ઈલાજ કરવાનો પ્રયત્ન છોડીને, એને એના કરતૂતના ફળ ચાખવાનો ભરપૂર મોકો આપવો જોઈએ. જે પ્રજાને હિટલર કે મુસોલીની જેવા મહાનાયકો જોઈએ છે તેને એમનો રક્તરંજિત ઈતિહાસ અને અંધારું ભવિષ્ય મુબારક. અલબત્ત, આ દેશના નાગરિક રૂપે જન્મ્યા છીએ એટલે આજની અને આવનારી પેઢીઓએ પણ, આ દેશની આ સાહસિક પ્રજાઓ જે આપણા દેશબાંધવો છે તેમની ઘેલછા થકી સર્જાનાર કરુણાન્તીકાઓ ભોગવવાની થશે. we can meanwhile live in these consolatory axioms : people yearn for peace and order only after the gravest of anarchies, people yearn for dawn only after the darkest of nights.

    ReplyDelete
  6. ભાઇ કબીર....
    1) "...શ્રી મોદીએ વિકાસ, અમે મતદારો માટે તેમની સરકારે શું કર્યું તેની વાત કરી ત્યારે કોંગ્રેસ 2002 ના તોફાન, અને મોદીએ શું નથી કર્યું, કેટલા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો, ઉદ્યોગોની જમીનો વ,વ, કહી અને મોદીની નિષ્ફળતાઓ જ બતાવવા સિવાય કશું જ કર્યું નહિ..." શું એટલે એ મુદ્દા મુદ્દા જ નથી, શું શ્રી મોદી ની જવાબદારી નથી?? મોટા કરે એ લીલા અને નાના કરે એ છિનાળું??

    2) "...અને કેન્દ્ર સરકારે જે કર્યું છે તે બધું પોતાની સફળતામાં બતાવ્યું, હથેળીમાં ચાંદ બતાવ્યા, અને આખું વર્ષ કે બધા વર્ષો પોતાના સ્વાર્થની પૂર્તિ કરવામાં કાઢ્યા છે..."તમારી ઉંમર નું અનુમાન તો નથી કાઢી શકતો પણ એટલું ચોક્કસ સમજી શકું છું કે ઈતિહાસ ના વાચક તો નથી જ... ભારત આઝાદ થયું ત્યારે ટાંકણી પણ આયાત કરવી પડતી હતી, અત્યારે આખું વિશ્વ ભારતને સૌથી મોટા બજાર તરીકે જોવે છે...

    ReplyDelete
    Replies
    1. 'આખું વિશ્વ ભારતને સૌથી મોટા બજાર તરીકે જોવે છે.' એ સિદ્ધિ છે? યુરોપે ભારતને ૧૮મી સદીમાં બજાર બનાવ્યું એટલે આપણે માથે ૨૦૦ વર્ષની ગુલામી લખાઇ.

      તમારા મતે હવે કેન્દ્ર સરકાર ભારતને વિશ્વનું સહુથી મોટું બજાર બનાવ્યું હોય, અને તમને એ સિદ્ધી દેખાતી હોય તો વિચારજો, ભવિષ્ય શું હશે. ઇતિહાસને તો પુનરાવર્તન કરવાની આદત છે. હકીકતમાં ભારતને બજાર નહીં, તાકાત બનાવવાની જરૂર છે.

      રહી વાત, '2002 ના તોફાન, અને મોદીએ શું નથી કર્યું, કેટલા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો, ઉદ્યોગોની જમીનો' વગેરે મુદ્દાની, તો કોંગ્રેસ આ મુદ્દે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ માં ચૂંટણી લડી અને ખરાબ રીતે હારી. તેજ બતાવે છે કે ગુજરાતીઓએ તે મુદ્દા ફગાવી દીધા છે. હજી કોંગ્રેસ એ મુદ્દા પકડી રાખવા તૈયાર હોય તો ધન્ય છે, ૨૦૧૭માં ફરી હારશે.

      કોંગ્રેસ ખંડનાત્મક વિરોધ કરી બીજાની લીટી નાની કરવા કરતા રચનાત્મક વિરોધ કરી પોતાની લીટી મોટી કરે. તોજ તેના માટે કંઇક ભવિષ્ય છે. નહીતર કોંગ્રેસભવને ખંભાતી તાળા શોધવા જોઇએ.

      Delete
    2. પ્રિય કૃતેશ, મને તમારો અભિગમ ગમ્યો... તમે જે લખ્યું તેનો મતલબ એ કે ગુજરાત સરકાર Vibrant Gujarat ના so called રોકાણ અને MOU ને સિદ્ધિ ગણાવે છે તે પણ સિદ્ધિ નથી જ, કારણકે Vibrant Gujarat નો USP Investment, (mostly FDI) જ છે......

      ગુજરાત ના ચૂંટણી પ્રચાર માં જે વાત ઈરાદાપૂર્વક દબાવી દેવામાં આવી હતી તે FDI નો વિરોધ ગુજરાત સરકાર કરી રહી છે પણ, લખી રાખો કે 2015-2016 માં ગુજરાત માં Wal-Mart ના શોરૂમ હશે...

      Delete
    3. અને હા રહી વાત માનીતા ઉદ્યોગપતિઓને જમીન ફાળવવાની વાત, તો આ જ મુદ્દા ને એવી રીતે justify કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે "congress ના શાસન માં સૌથી વધારે ગોચર વેચાયું છે" મતલબ કે ગોચર વેચાયું કે વહેંચાયું તે મુદ્દો તો છે જ,... તેવી જમીન નું શું કે જે ગોચર નહોતી તોપણ રાહત દરે અપાયેલી છે!!!

      I hope આ મુદ્દા ની આપને ખબર જ હશે,...

      Delete
  7. bhai Krutesh, if you're still into business of issuing me certificates of 'તટસ્થતા', you should have realized by know the irrelevance of your activity:-)

    ReplyDelete
  8. Who am I to issue such certificate? I am just a reader of your blog. I admire your many thoughts and criticize a few. Hence, whatever I say or comment is my opinion or feedback to your post. It is nothing against you personally. But I feel that, if I don't agree to your thoughts, I have all rights to criticize you, as your reader. If you don't want me to do so, tell me. i'll stop.

    ReplyDelete
  9. Of course, yes Krutesh, but then don't summon me to prove my 'objectivity' when i comment on so called Kabir's comment.
    I think that's a far fetched understanding of one's rights.

    ReplyDelete
  10. કોંગ્રેસે એના મુદ્દાઓ અને વિરોધ મીડિયા પૂરતા રાખ્યા વગર જો રસ્તા ઉપર લયી ગયી હોત તો કદાચ ૯% ના અંતર માટે ૫ વર્ષ બીજી રાહ જોવીના પડી હોત ...
    હજી પણ મુદ્દાઓ અને વિરોધના મુદ્દાઓ અકબંધ જ છે..
    સકારાત્મ્ક વિરોધ એટલે શું ??
    બિનજરૂરી વાણીવિલાસ મુખ્યમંત્રીએ પણ કર્યાજ છે. તો શું સત્તા પક્ષે સકારત્મક રીતે વિરોધપક્ષનો વિરોધ કર્યો ??
    આ ચર્ચા માં કદાચ તટસ્થા જળવાય નહિ ...

    કોંગ્રેસ પોલીટીકલ મેનેજરો ને થોડો વિરામ આપીને નેતાઓ અને કાર્યકરોને સક્રિય કરીને જનઆંદોલન દ્વારા વિરોધ કરી જનતાની અંજાઈ ગયેલી આખો ખોલવા માં સફળ થાય તે જરૂરી છે . અને એના માટે જરૂર છે વધુ એક નવનિર્માણ ની !!

    જો એ થાય તો ૪૫ વર્ષ નહિ પણ કદાચ ૪૫ મહિના પહેલાજ મુખ્યમંત્રીને એમનો "૩ડી" નહિ પણ "૪ડી" અવતાર લાવો પડે!

    ~મૌલીન







    ReplyDelete
  11. લેખ તો ગમ્યો જ સાથે નીરવભાઈની કમેન્ટ પણ ગમી.

    ReplyDelete