Tuesday, December 18, 2012

વિકલ્પઃ હોતા નથી, ઉભા થાય છે


કેન્દ્ર અને રાજ્યના રાજકારણમાં વિકલ્પનો અભાવ ભારતમાં પહેલેથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. આઝાદીની લડતમાં કોંગ્રેસની મજબૂત ભૂમિકાને અને જવાહરલાલ નેહરુના ચુંબકીય વ્યક્તિત્વને કારણે ઘણા સમય સુધી એમ મનાતું રહ્યું કે નેહરુ અને કોંગ્રેસનો કોઇ વિકલ્પ નથી.

‘નેહરુ પછી કોણ?’ એ આઝાદીના એકાદ દાયકા પછીના સૌથી વઘુ પૂછાતા પ્રશ્નોમાંનો એક હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાનું નામ ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં કેટલા લોકોએ સાંભળ્યું હશે?  ઉંમર અને અનુભવમાં તેમનાથી વરિષ્ઠ એવા મોરારજી દેસાઇ સહિતના ઘણા નેતાઓ મોજૂદ હતા. છતાં, તેમાંના કોઇને નેહરુનો વિકલ્પ ગણવાનો પ્રશ્ન ન હોય, તો નેહરુ જેવા કરિશ્માઇ વ્યક્તિત્વના વિકલ્પ બનવાનું સીધાસાદા લાલબહાદુર શાસ્ત્રીનું શું ગજું?

***

પાકિસ્તાન સાથેના ૧૯૬૫ના યુદ્ધમાં ભવ્ય જીત પછી લાલબહાદુર શાસ્ત્રીનું રશિયામાં અચાનક અવસાન થશે અને તેમનાં મંત્રીમંડળનાં સભ્ય ઇંદિરા ગાંધી શાસ્ત્રીનો વિકલ્પ બની જશે, એવું કોણે કલ્પ્યું હશે? પિતાને લીધે રાજકીય પાઠ શીખવાની ઇંદિરા ગાંધીની શરૂઆત ભલે વહેલી થઇ ગઇ હોય, પણ ઔપચારિક પ્રવેશ પછી ઘણા સમય સુધી તેમની છાપ ‘ગૂંગી ગુડિયા’થી વિશેષ ન હતી. નેહરુનો વિકલ્પ તો બહુ દૂરની વાત રહી, તેમનાં ઉત્તરાધિકારી બનવાનાં લક્ષણ તેમનામાં દેખાતાં ન હતાં. પાછળથી સિન્ડિકેટ તરીકે અલગ થયેલા ‘અસલી’ કોંગ્રેસીઓના જૂથમાં અનુભવ, પ્રભાવ કે પક્ષ પર પકડની રીતે ઇંદિરા ગાંધીનો ગજ કોઇ રીતે વાગે તેમ ન હતો.

***

ઇંદિરા ગાંધીની હત્યા થઇ તે પહેલાં રાજીવ ગાંધી એર ઇન્ડિયાનાં વિમાન ઉડાડતા હતા અને ઇંદિરાના રાજકીય વારસ બની શકે એવા પુત્ર સંજય ગાંધી ક્યારના મૃત્યુ પામી ચૂક્યા હતા. સંજય અને તેમનાં મહત્ત્વાકાંક્ષી પત્ની મેનકા ગાંધી કરતાં સોનિયા- રાજીવનું તંત્ર સાવ જુદું હતું. બન્નેને રાજકારણ ફાવતું ન હતું, ગમતું ન હતું અને દરબારી રાજકારણમાં મૂંઝારો અનુભવે એવા એ જીવ હતા. ઇંદિરા ગાંધીની હત્યાની ક્ષણ સુધી કોંગ્રેસમાં કોઇએ સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય કે ઇંદિરા ગાંધીનો વિકલ્પ- વિકલ્પ નહીં પણ સ્થાનપૂરક- રાજીવ ગાંધી બનશે.

***

ઇંદિરા ગાંધીની હત્યા પછી કેવળ લોહીના સંબંધની રૂએ રાજીવ ગાંધી લોકશાહી દેશના વડાપ્રધાન બન્યા, એ વંશવાદી રાજકારણની કમનસીબ ઘટના હતી, પરંતુ રાજીવ ગાંધીની હત્યા થયા પછી સોનિયા ગાંધીએ પોતે રાજકારણથી દૂર રહેવાનું અને સંતાનોને પણ રાજકારણથી દૂર રાખવાનું નક્કી કર્યું. એટલે કોંગ્રેસ પક્ષ માટે ફરી એક વાર અસ્તિત્ત્વનો સવાલ આવી ઊભો.

આઝાદી પછીના દોઢેક દાયકા સુધી જવાહરલાલ નેહરુના એકધારા અને એકચક્રી શાસન પછી, લાલબહાદુર શાસ્ત્રીનો સમયગાળો બાદ કરીએ તો, ઇંદિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. એટલે કોંગ્રેસ નેહરુ-ગાંધી પરિવારને વફાદાર પક્ષ  બની રહી. ‘નેહરુ-ગાંધી પરિવાર’ એવો પ્રયોગ કરતી વખતે એટલું યાદ કરી લઇએ કે તેમાં આવતો ‘ગાંધી’ શબ્દ મોહનદાસ ગાંધીમાંથી નહીં, પણ પારસી ફિરોઝ ગાંધીમાંથી આવ્યો છે.
 વાત નેહરુ-ગાંધી પરિવાર આશ્રિત કોંગ્રેસની ચાલતી હતી.  રાજીવ ગાંધીના અપમૃત્યુ અને સોનિયા ગાંધીના ઇન્કાર પછી પરિવારકેન્દ્રી બનેલા પક્ષનો પાયો હચમચી ગયો. બત્રીસ શું, ચોસઠ લક્ષણો માણસ પણ કોંગ્રેસ માટે ગાંધી-નેહરુ પરિવારનો વિકલ્પ કેવી રીતે હોઇ શકે? અને તે પણ એવા સમયે જ્યારે કોંગ્રેસની બહુમતીનો યુગ સમાપ્ત થઇ ચૂક્યો હોય ત્યારે?

***

નેવુના દાયકામાં એચ.ડી.દેવેગૌડાનું નામ કયા ઉત્તર ભારતીયે સાંભળ્યું હશે? વડાપ્રધાનપદના વૈકલ્પિક ઉમેદવાર તરીકે તેમનું નામ કલ્પવું એ તો બહુ પછીની વાત થઇ. ઇન્દરકુમાર ગુજરાલનું નામ પ્રમાણમાં ઘણું જાણીતું. ઇંદિરા ગાંધીના મંત્રીમંડળમાં તે માહિતી-પ્રસારણ પ્રધાન હતા. કટોકટીના શરૂઆતના તબક્કા સુધી આ હોદ્દે રહ્યા પછી, સંજય ગાંધીની તરંગલીલાઓને અનુકૂળ ન થઇ શક્યા. એટલે ગુજરાલને રાજદૂત તરીકે રશિયા રવાના કરી દેવામાં આવ્યા. ત્યાર પહેલાં કે પછી મૃદુભાષી અને મૃદુ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાલ કદી વડાપ્રધાનના હોદ્દા માટેનો વિકલ્પ ગણાતા ન હતા. ગુજરાલે પોતે પણ એવી મહત્ત્વાકાંક્ષા સેવી હશે કે કેમ એ સવાલ.

***

આગળ આલેખેલી તમામ કથાઓમાં પછી શું થયું, એ ઘણા જાણતા જ હશે. છતાં આ લેખના મુદ્દાના લાભાર્થે અને સંદર્ભે તાજું કરી લઇએ.  

કોઇ રીતે જવાહરલાલ નેહરુનો વિકલ્પ ન જણાતા લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા અને પાકિસ્તાન સામે ૧૯૬૫નું યુદ્ધ જીતીને તેમણે ‘વામન કદ ધરાવતા વિરાટ વડાપ્રધાન’ જેવો દરજ્જો હાંસલ કર્યો. તેમના બહુ પ્રખ્યાત સૂત્ર જય જવાન, જય કિસાનમાં નારાબાજી કેટલી ને નક્કરતા કેટલી એની તપાસ હાલ જવા દઇએ તો પણ, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે ગાંધીવાદી સાદગીમાં માનતા ધોતીધારી શાસ્ત્રી દેશને મજબૂત નેતાગીરી પૂરી પાડી શક્યા. રશિયામાં પાકિસ્તાન સાથેની વાટાઘાટો વખતે રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુથી શાસ્ત્રીની ફરતે રહેલું તેજવર્તુળ જળવાઇ રહ્યું.

ગૂંગી ગુડિયા ઇંદિરા ગાંધી માહિતી-પ્રસારણ ખાતાનાં પ્રધાન તરીકે પોતાની મહત્ત્વાકાંક્ષાની પાંખો પ્રસારે, એ નાટ્યાત્મક યોગાનુયોગ ગણાય. કોંગ્રેસના ભાગલા પાડીને જૂના જોગીઓને ઠેકાણે પાડી દેવાથી માંડીને રાજવીઓનાં સાલિયાણાં નાબૂદ કરવાનાં કે બેન્કોનું રાષ્ટ્રિયકરણ કરવા જેવાં પગલાં ઇંદિરાએ મક્કમતાથી લીધાં. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં આંતરરાષ્ટ્રિય મંચ પર ઇંદિરા ગાંધીનાં માનમોભો વધવા લાગ્યાં હતાં. રશિયા-અમેરિકા જેવી બે મહાસત્તાઓના પ્રમુખો સાથે મુલાકાત વખતે ઇંદિરા ગાંધીએ પોતે કઇ માટીનાં બનેલાં છે તે બતાવી આપ્યું. રશિયા સાથેની સમજૂતીના પ્રતાપે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અમેરિકા થોડો સમય સખણું રહ્યું અને અલગ રાષ્ટ્ર તરીકે બાંગલાદેશનો જન્મ થયો.

ઇંદિરા ગાંધી પર પ્રશંસાનો વરસાદ વરસ્યો. પરંતુ જોતજોતાંમાં તે આપખુદશાહી તરફ આગળ વધવા લાગ્યાં.  તેમાં સંજય ગાંધીનું બેફામપણું ભળ્યું. એક પણ બંધારણીય હોદ્દા વગર સંજય ગાંધી સરકારના સર્વેસર્વા બન્યા. કટોકટી લદાઇ. પછી ચૂંટણી થઇ. ઇંદિરા હાર્યાં. પણ જનતા સરકાર લાંબું ટકી નહીં અને ઇંદિરા ગાંધી ફરી જીત્યાં. કોઇ કાળે વડાપ્રધાનપદના વિકલ્પની યાદીમાં ન મૂકી શકાય એવાં ઇંદિરા ગાંધી, તેમના મંત્રીમંડળમાં ‘એક માત્ર મરદ’નું બિરૂદ પામ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ટોપીધારીઓ ચહેરા પર તાબેદારીના ભાવ સાથે ઇંદિરા ગાંધીની સામે ઉભા હોય, એવી રધુ રાયની જાણીતી તસવીર, પિતાની આંગળી પકડીને રાજકારણમાં આવેલાં ઇંદિરા ગાંધીનું રૂપાંતર સમજાવવા માટે પૂરતી હતી.

માતા ઇંદિરાના મૃત્યુ પછી સહાનુભૂતિના મોજા પર સવાર થઇને વડાપ્રધાન બનેલા રાજીવ ગાંધીને મરચું પહેલાં લીલું ઉગે ને પછી લાલ થાય, એટલો ખ્યાલ પણ ન હતો. દૂનસ્કૂલમાં ભણેલા રાજીવને મિત્રમંડળી હતી ખરી, પણ તેમાં રીઢા રાજકારણી ઓછા. સામ પિત્રોડા જેવા ટેકનોક્રેટ રાજીવ ગાંધીના કારણે સરકારમાં સંકળાયા અને ભારતમાં ટેલીફોન ક્રાંતિ આણવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી. શ્રીલંકામાં તમિલ ટાઇગર્સ સામે લડવા માટે ભારતીય સૈન્ય મોકલવા જેવા ને શાહબાનો ચુકાદા અંગે પક્ષપાતભર્યા વલણ જેવા કેટલાક ભયંકર નિર્ણય લેનાર રાજીવ ગાંધી ભારતમાં કમ્પ્યુટર અને ટેલીફોન યુગના પહેલા નેતા બન્યા અને એવી કારકિર્દી અપનાવી, જે તેમની વિકલ્પયાદીમાં કદી હતી જ નહીં.

તેમના મૃત્યુ પછી ગાંધી પરિવારનો વડાપ્રધાનપદ સાથેનો નાતો છૂટી ગયો, છતાં કોંગ્રેસના વડાપ્રધાન તરીકે નરસિંહરાવ આવ્યા અને રહ્યા. એટલું જ નહીં, નેહરુ-ગાંધી પરિવારની બહારના કોંગ્રેસી વડાપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરાં કરનાર પહેલા નેતા બન્યા. તેમના શાસન દરમિયાન દેશ પર લાંબા ગાળાની અસરો છોડી જનારી બે ઘટનાઓ બની. એ બન્નેમાં તે સીધી કે આડકતરી રીતે જવાબદાર હતા.  છેડે આવી ગયેલા ભારતના અર્થતંત્રને ઉદારીકરણ-ખાનગીકરણ-વૈશ્વિકીકરણનાં પગલાં દ્વારા તેમણે અને તેમના નાણાં મંત્રી મનમોહનસંિઘે ઉગાર્યું. એમ કર્યા વિના છૂટકો પણ ન હતો. બીજી ઘટના બાબરી મસ્જિદ તોડી પડાઇ એ હતી. તેમાં નરસંિહરાવે નિષ્ક્રિય રહીને સાથ આપ્યો. આ બન્ને પગલાંમાં સંકળાયેલા નરસિંહરાવ એક એવા નેતા હતા, જે વડાપ્રધાન બનતાં પહેલાંના અરસામાં ભાગ્યે જ વડાપ્રધાનપદના વિકલ્પ માટે ગણતરીમાં લેવાયા હશે.

***

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પહેલી વાર મત આપી રહેલા મતદારોને કદાચ ખ્યાલ ન હોય, પણ ૨૦૦૧માં ગુજરાતમાં કેશુભાઇ પટેલ ભાજપ સરકારના મુખ્ય મંત્રી હતા, ત્યારે પક્ષમાં સંગઠનનું કામ કરતા નરેન્દ્ર મોદીનું નામ મુખ્ય મંત્રી તરીકે ક્યાંય સંભળાયું ન હતું. અંતરંગ વર્તુળો તેમની મહત્ત્વાકાંક્ષાથી પરિચિત હોય તો જુદી વાત છે,  પણ બહારની ચર્ચામાં ગુજરાતના મુખ્ય મંત્રીપદની અથવા કેશુભાઇ પટેલ પછી કોણની વાત આવે ત્યારે હરેન પંડ્યા સહિતનાં કેટલાંક નામ લેવાતાં હતાં. પરંતુ ૨૦૦૧માં ભૂકંપ પછીના રાજકીય ઘટનાક્રમમાં એવી કળા થઇ કે જેમનું નામ કદી વિકલ્પ તરીકે ઉભર્યું જ ન હતું એવા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.

આટલાં ઉદાહરણ પરથી એટલું સ્પષ્ટ થઇ જવું જોઇએ કે વાત પક્ષની હોય, વ્યક્તિની હોય કે પરિવારની, તેનો કોઇ વિકલ્પ નથી એવું મતદારોએ માની લેવું નહીં. વિકલ્પ નહીં હોવાનો પ્રચાર સંબંધિત નેતાઓ પોતાના લાભાર્થે કરાવે છે અને લોકોને ઠસાવવાનો પ્રયાસ કરે છે કે તેમના વિના રાજ્યનો કે દેશનો ઉદ્ધાર નથી. બીજી પદ્ધતિમાં, પોતાના સંભવિત તમામ વિકલ્પોને ઠેકાણે પાડી દઇને પછી, પોતાનો કોઇ વિકલ્પ નથી એવો પ્રચાર આદરવામાં આવે છે. રાજકારણના ધંધામાં બધા ગોરખધંધા ચાલી જાય છે, પણ મતદાર તરીકે આપણે, નાગરિકોએ, શા માટે રાજકીય પ્રચારથી મૂરખ બનવું જોઇએ? કોઇના પ્રત્યે ભક્તિ હોય તો જુદી વાત છે, પણ ‘તમે જ કહો. એમનો કોઇ વિકલ્પ છે ખરો?’ એવું કહીને પોતાની ભક્તિને રાજકીય વાસ્તવિકતાના વાઘા પહેરાવવાનું  કેટલું યોગ્ય ગણાય? આગળનાં ઉદાહરણ પરથી તેનો જવાબ મેળવી શકાય છે. રાજકારણમાં વિકલ્પો હોતા નથી. સમય અને સંજોગો વિકલ્પ પેદા કરે છે.

16 comments:

  1. સરસ, સંતુલિત અને સચોટ

    ReplyDelete
  2. samay ane sanjogo pramane vikalpo peda thay chhe te sachu pan darek vikalp yogy j sabit thay tevu to nathi ne? te to peli kehvat chhe ne ke`Nibde Vakhan` em kaam par thij vyakti ni olakh thay chhe, ane gujarat ni praja ne vyakti ni olakh thai gai chhe, tenu parinaam pan 20th e badha ni same hashe. koi na kehvathi koi nirnay nathi kartu pan praja je jove chhe te pramanej samjhi ne nirnay kare chhe, vikas thay chhe te aapda desh maaj nai duniya ma pan loko ne dekhay chhe chhata khabar nai kem aapde aankhe pata bandhi leva chhe????????

    ReplyDelete
  3. એવો પ્રયાસ માત્ર કોંગ્રેસ માં ગાંધી-ફેમિલી વાળા કરે છે.
    ઉર્વીશભાઇ,જનતા-જનાર્દન લેખકો, કોલમિસ્ટો, પત્રકારો કરતાં લાખગણી
    બુધ્ધિશાળી, સમઝદાર અને દૂરદર્શી હોય છે.


    ReplyDelete
  4. Very good information sirji but all vikalp u said after death and all belongs to congress of Gandhi parivar.. and for Gujarat if one person right now replace modi I am against modi.. but the people who wait to take place of modi are corrupted and past proove them.. shankarsinh what he did in his past just for his own ego he put Gujarat in political dilemma. And becoz of that what party he created no one remember and he knew he can't survive in like that so join congress.. keshubhai ek pag kabar ma ne c.m. banavu chhe ane e pan gyati vad bhadakavi ne.. shaktisinh I know him very well... is there any other name who replace.. pls suggest I will start campaign it's very easy to write two page.. against but before that give replacement otherwise pls don't write.. I m not modi bhakt u can c I am against all who forget people for five years.. but need one leader who is better than other..but unfortunately don't have and I m sure if any u definitely mention here but u know that fact so u just keep question mark... pls add name or suggest replacement...

    ReplyDelete
  5. ગુજરાતના વિકાસ માટે નરી નરેન્દ્ર મોદીને ક્રેડીટ આપતા ગાંડિયાઓ તથા મોદીનો કોઈ વિકલ્પ નથી એવું માનતા-મનાવતા એવા જ બીજા ગાંડીયાઓ -- એમ બેઉનું પાયાનું પ્રૌઢશિક્ષણ થઇ શકે એવા લેખો માટે તમ બેઉ પત્રકાર મિત્રોને (રમેશ ઓઝા અને ઉર્વીશ કોઠારી) ખૂબ ખૂબ અભિનંદન.

    ReplyDelete
  6. But now no point to write a such article as the person will retain his 3rd term in gujarat (the 'Person' whom you dislkie and trying to point a finger in this article)

    ReplyDelete
  7. So basically you are suggesting that Rajeev Gandhi was or Rahul Gandhi is better option? Option should be reliable not just an option for the sake of filling the void.

    ReplyDelete
  8. ભાઇ, મને એમ કે ગુજરાતીમાં લખેલું બધાને સમજાઇ જશે. ચોખ્ખુંચણાક મથાળું લખ્યું છે કે વિકલ્પ હોતા નથી, ઉભા થાય છે. એમાં મારે લેખથી વધીને શું કહેવાનું હોય? જે કહેવાનું હોય તે લખેલું જ છે. એ ન સમજાય તો પોતપોતાના ચશ્મા કાઢીને વાંચવા વિનંતી.

    ReplyDelete
  9. Anonymous12:12:00 AM

    Urvish bhai, tame lekh lakho ne , ketlak Madada ni jem suta loko uthi ne, tamke avu keh che, ke bhut chu daravi daish. hahahha :)

    Pan hu last month Ahmedabad, Gujarat avelo tyare me joyu, apdi praja ne je mota mota TAYAFA ne DadaGiri, ne ek hathu raj kare avu vadhare pasand che, Kadach apde badha "Public Interst" nam no word bhuli gaya lage che. Je olu jaherat ma ave ne "Jan Hit me Jari" ne e to thik apde to bhuli gaya pan apda netao pan bhuli gaya. Have praja ne samjava jevi nathi ne na SAMAJVI rahi. Bas ek Gadariya Pravah ni jem vahya kare che, pontani 2 pai pan mukta nathi, bas dode jay che crazy ni jem.

    Tamara lekho no chahak,
    Astu.

    ReplyDelete
  10. Satish Patel3:19:00 AM

    Urvishbhai congresh ma chalta vansvad ne to congrese hatavani jarur Che, ane Jem tame kahiyu replacement to hoy j che Bas congers Na neta o ne samjavu jove .
    Baki Modi sir Na replacement ni jarur to BJP ne atyare nathi lagti, ha gujarat ni public ne hase to badlavi lese...

    ReplyDelete
  11. સમય અને સંજોગથી પેદા થયેલ કે પોતાની આગવી વિચારસરણીમાં અખૂટ શ્રધ્ધા - જે કંઇ પણ કારણ હોય, વિકલ્પમાંથી 'પ્રથમ પસંદગી' બનવા માટે/ બની રહેવા માટે 'સ્વ'ના પરિઘની બહાર, ટુંકા ગાળઓના લાભની સામે લાંબા ગાળાના ગેરલાભ જણાતા દ્ર્ષ્ટિકોણને પણ અપનાવવો પડે.

    ReplyDelete
  12. Anonymous3:35:00 PM

    ઉર્વીશભાઈ તમારા લેખો એટલા સચોટ અને વાસ્તવિકતા નું આલેખન કરતા હોય છે કે ક્યારેક એવો વિચાર આવે કે જેમ ફીઝીક્સ માં વિવધ એકમ હોય છે તેવીરીતે એક ઉર્વીસએકમ નક્કી થવો જોઈએ . આ લેખ આટલો ઉર્વીશ એકમ ઓછો છે કે આટલો વધારે। હા હા

    Rajesh Mahemdabad Nadiad

    ReplyDelete
  13. ફેસબુક પર પણ કોઈએ લખેલું જ છે તેમ આપે આ લેખ થોડો વહેલો લખ્યો હોત તો સારું હોત.બાકી ચુંટણી પતી ગયા પછી આ લેખ તો સરસ જ છે પણ તે કદાચ તેની અસર નહીં પાડી શકે.

    ReplyDelete
  14. Absolutely love this piece Urvish. You have touched upon the scales of history and the seeming inevitability of TINA in your inimitable style. How most people will digest this is another matter altogether.

    ReplyDelete
  15. Excellent one.. timely...

    In the continuation of your peoplograph... Modi is currently suggesting there is no option to him.. the same principle is eligible for him also, option will be there when he will not be there.

    Vishal

    ReplyDelete
  16. Anonymous9:40:00 PM

    Excellent Article...


    It is a matter of time...

    History proves,
    TINA
    (there is no alternative)...

    unknowingly changes to

    TAMA
    (there are many alternatives)...

    ReplyDelete