Monday, November 26, 2012

બાળ ઠાકરેઃ રાજકારણ અને સમાજકારણનું સરવૈયું

(24-11-2012)
બાળ ઠાકરેએ ૧૯૬૬માં ‘શિવસેના’ની રચના કરી, ત્યારે તેમણે આપેલું સૂત્ર હતુ: ‘એંશી ટક્કે સમાજકારણ આણિ વીસ ટક્કે રાજકારણ.’ ગયા સપ્તાહે ઠાકરેનું અવસાન થતાં, તેમના જ આપેલા સૂત્રના આધારે સાડા ચાર દાયકાની તેમની જાહેર કારકિર્દીનો હિસાબ માંડી શકાય.

વારસાનો તત્કાળ પરચો

બાળ ઠાકરેનું ૧૭ નવેમ્બર, ૨૦૧૨ના રોજ ૮૫ વર્ષની પાકટ વયે લાંબી બિમારી પછી અવસાન થયું. તેમના રાજકારણ-સમાજકારણનો સહિયારો વારસો એવો કે બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવે શિવસૈનિકોને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી.

ગમે તેવા મહાન નેતાનું પાકટ વયે, બિમારી પછી, કુદરતી મૃત્યુ થાય તો તેમના અનુયાયીઓ કે ભક્તોને આઘાત લાગી શકે, તે શોકના મહાસાગરમાં ડૂબી શકે, માથે મુંડો કરાવે, દક્ષિણ ભારતની ઘેલછાભરી પરંપરા પ્રમાણે, ચાહકો પોતાના પ્રિય નેતા-અભિનેતા પાછળ કદાચ આત્મહત્યા કરે...પરંતુ સરેરાશ શિવસૈનિકોને તેમની વિવિધ લાગણી  ધાંધલ- ધાકધમકી- હલ્લો- બંધ જેવા રસ્તે અભિવ્યક્ત કરવાનું વધારે ફાવે છે. ઠાકરે સિનિયરના મૃત્યુનો શોક પણ એ પરંપરામાં વ્યક્ત ન થઇ જાય, એ માટે તેમને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી.

- અને ટીવી પર શિવસેનાના પ્રવક્તાએ  ગંભીરતાપૂર્વક કહ્યું કે આવી ભવ્ય અપીલ કરવા બદલ ઉદ્ધવ ઠાકરેની શાંતિપ્રિયતા બિરદાવવી જોઇએ.

શિવસેના-સ્પેશ્યલ વક્રતા આટલેથી અટકતી નથી. થાણેની એક છોકરીએ ‘ફેસબુક’ પર ‘પરાણે બંધ’નો વિરોધ કર્યો અને બીજી છોકરીએ આ વિધાન ‘લાઇક’ કર્યું, તો એ બન્ને સામે પોલીસ ફરિયાદ થઇ. લખનાર છોકરીના કાકાના દવાખાને શિવસૈનિકોએ તોડફોડ મચાવી. પોલીસે તત્કાળ બન્ને છોકરીઓની ધરપકડ કરી. આરોપઃ ધિક્કાર કે શત્રુવટ ફેલાય એવાં વિધાન કરવાં.

યાદ રહે કે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની નહીં, પણ કોંગ્રેસ-એનસીપીની સરકાર છે. એ પણ યાદ રાખવું જોઇએ કે છોકરીઓ સામે લાગુ પડાયેલી કલમો ભારતના રાજકારણમાં સૌથી વધારે  કદાચ બાળ ઠાકરેને લાગુ પાડી શકાય એમ હતી. છતાં, શિવસેનાના સાથી પક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ-એનસીપી જેવા પક્ષો ઠાકરેના બેફામપણા સામે આંખ આડા કાન કરતા રહ્યા અને તેમનું અનિષ્ટમૂલ્ય ઉત્તરોત્તર વધારતા રહ્યા.

બાળ ઠાકરેના અવસાન પછી ઠલવાયેલી અંજલિઓ વાંચીને લાગે, જાણે કોઇ મહાશૂરવીર અને સાચાબોલા-આખાબોલા જણે વિદાય લીધી છે. પરંતુ મોટા ભાગની અંજલિઓનું ‘ગુજરાતી’ કરવું હોય તો આટલું જ થાયઃ ‘અમારે પણ મુંબઇમાં રહેવાનું છે.’ કાઉન્સિલના આખાબોલા-વિવાદપ્રિય અઘ્યક્ષ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કાત્જુ લખી શક્યા, ‘દિલગીર છું કે હું બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી શકતો નથી.’

ઔચિત્યભંગનો સિલસિલો

ભારતનાં બંધારણ અને લોકશાહીમાં વિશ્વાસ નહીં ધરાવનારા અને ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીને સમર્થન આપનારા- હિટલર પ્રત્યે આદરભાવ ધરાવનાર બાળ ઠાકરેનું અવસાન થયું, ત્યારે પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. તેમના મૃતદેહને રાષ્ટ્રઘ્વજ વડે લપેટવામાં આવ્યો અને અગ્નિસંસ્કાર શિવાજી પાર્કના ખુલ્લા મેદાનમાં કરવામાં આવ્યો.

આ તમામ નિર્ણયો વિવાદાસ્પદ અને ખોટો ચીલો પાડે એવા છે. બાળ ઠાકરેએ આજીવન બંધારણીય કે લોકશાહી ઢબે એક પણ હોદ્દો ભોગવ્યો ન હતો. બલ્કે, તે એવા અપવાદરૂપ રાજકારણી છે જેમનો મતાધિકાર ૬ વર્ષ માટે છીનવી લેવાયો હતો. આ નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત- ચૂંટણીપંચ અને ભારતના રાષ્ટ્રપતિ જેવા ત્રણ, બંધારણીય દૃષ્ટિએ સ્વતંત્ર રીતે સર્વોચ્ચ એવા પક્ષકારો સામેલ હતા. છતાં, આટલું મોટું કલંક ઠાકરેના મૂલ્યાંકન વખતે લગભગ ભૂલી જવામાં આવ્યું.

મુંબઇ (ઉત્તર-પશ્ચિમ)ની વિધાનસભા બેઠક પર ૧૯૮૬માં થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના જૂના જોગી પ્રભાકર કુંતે સામે શિવ સેનાના રમેશ પ્રભુ ઊભા હતા. પ્રભુના ચૂંટણીપ્રચાર દરમિયાન ઠાકરેએ રાબેતા મુજબ ઉશ્કેરણીજનક પ્રવચનો કર્યાં. ચૂંટણીમાં પરાજિત કુંતેએ ઠાકરેનાં ત્રણ પ્રવચનો ટાંકીને હાઇકોર્ટમાં કેસ કર્યો. ત્યાં જસ્ટિસ ભરૂચાએ ૧૯૮૭માં ઠાકરેને દોષી ઠરાવીને તેમનો મતાધિકાર અને ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર રદ કરવા સૂચવ્યું. ઠાકરે સુપ્રીમ કોર્ટમાં ગયા અને ત્યાં પણ હાર્યા. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૫ના રોજ સુપ્રીમ કોર્ટે ઠાકરેનો મતાધિકાર અને ઉમેદવારી-અધિકાર છીનવી લેવાની રાષ્ટ્રપતિને સલાહ આપી.

રાષ્ટ્રપતિએ તેનો અમલ કરવાને બદલે ચૂંટણીપંચને આખા મામલાની તપાસ કરવા કહ્યું. પંચે મુખ્ય ચૂંટણી કમિશનર એમ.એસ.ગીલ અને બીજા ચૂંટણી કમિશનર લિંગ્દોહની બનેલી સમિતિ નીમી. સમિતિએ પોતાનો અહેવાલ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૯૮ના રોજ રાષ્ટ્રપતિને સુપ્રત કર્યો. ત્યાર પછી ૧૭ જુલાઇ, ૧૯૯૯ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન્‌ની મંજૂરીથી, બાળ ઠાકરેનાં મતાધિકાર અને ઉમેદવારી-અધિકાર ૬ વર્ષ માટે છીનવી લીધાં. ઉદારતા ફક્ત એટલી દાખવી કે ૬ વર્ષની ગણતરી સુપ્રીમ કોર્ટના ચુકાદાની તારીખ (૧૧-૧૨-૧૯૯૫)થી ગણવામાં આવી. એટલે અસરકારક રીતે ઠાકરેને લગભગ બે વર્ષ માટે (૧૦-૧૨-૨૦૦૧ સુધી) મતાધિકાર-ઉમેદવારી અધિકારથી વંચિત રહેવું પડ્યું.

આવી ગંભીર બંધારણીય સજા મેળવી ચૂકેલા અને એક પણ બંધારણીય હોદ્દો ન ધરાવનાર નેતાના મૃતદેહને રાષ્ટ્રિય સન્માન આપવામાં ને તેને ત્રિરંગો લપેટવામાં કેટલું ઔચિત્ય છે? એ પોતાની જાતને દેશપ્રેમી ગણાવતા સૌએ વિચારવાનું છે.

ઔચિત્યનો બીજો મુદ્દો જાહેરમાં અગ્નિસંસ્કારને લગતો છે. લોકમાન્ય ટિળકનું અવસાન થયું ત્યારે ચોપાટી પર તેમના અગ્નિસંસ્કાર થયા હતા. એવો બીજો પ્રસંગ સરદાર પટેલના મૃત્યુ ટાણે ઊભો થયો. તેમણે મેળવેલો લોકાદર અને ભારતના રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાનને  ઘ્યાનમાં રાખતાં, ઠાકરે સાથેની તેમની સરખામણી બેહૂદી લાગે. છતાં,  આ કિસ્સા પૂરતી એટલા માટે કરવી પડે કે સરદારના મૃત્યુ વખતે એવી લાગણી હતી કે ટિળકની જેમ તેમના પણ ચોપાટી પર અગ્નિસંસ્કાર કરવા. પરંતુ સરદારના ચરિત્રકાર રાજમોહન ગાંધીની નોંધ પ્રમાણે, સરદારના પરિવારને એ યોગ્ય ન લાગ્યું. એટલે સોનાપુર સ્મશાનમાં સરદારની અંતિમ વિધિ થઇ.

સરદારને જાહેરમાં અંતિમ વિધિનું માન ન મળ્યું, એની પાછળ ઘણાને નેહરુનો સરદાર પ્રત્યેનો દ્વેષ દેખાયો. એ આશંકા સાચી હોય તો પણ, સરદારને ઓળખનારા સલામતીપૂર્વક ધારી શકે કે ખુદ સરદારે જાહેરમાં અંતિમ વિધિનો ચીલો પાડ્યો ન હોત.

બદલાતા સાથી, બદલાતા દુશ્મન

બાળ ઠાકરેના ‘સમાજકારણ’ની શરૂઆત  મરાઠી અસ્મિતાની સાથે ગુજરાતીઓને ભાંડવાથી અને તેમનાં માલમિલકત પર હુમલા કરવાથી થઇ. અત્યારે વાસ્તવિક અને વર્ચ્યુઅલ વિશ્વમાં (ફેસબુક-ટ્‌વીટર-બ્લોગ જગતમાં) રાજકીય હિંદુત્વના વેતનધારી કે અવેતન પ્યાદાં બનેલા ઘણા ગુજરાતી ઉત્સાહીઓ આ વાત જાણતા નથી અથવા યાદ કરવા માગતા નથી. પરંતુ એ સમયે મુંબઇમાં રહેતા ગુજરાતીઓને ઠાકરે અને શિવસેનાના ધિક્કાર અને ગુંડાગીરીનો પાકો અનુભવ થયો હતો.

એવી જ રીતે, અલગ મહારાષ્ટ્ર થયા પછી કર્ણાટક સાથેના સરહદ વિવાદ વખતે ઠાકરેએ તમામ દક્ષિણ ભારતીયોને ‘મદ્રાસી’ અને ‘લુંગી’ જેવાં નામથી ઘુત્કારીને તેમની પર હુમલા શરૂ કર્યા. ઘણાં ઉડીપી રેસ્ટોરાં અને દક્ષિણ ભારતીય ફિલ્મનિર્માતાઓની ફિલ્મોને શિવસેનાની ગુંડાગીરીનો ભોગ બનવું પડ્યું.  એ સમયે તેમણે પ્રચલિત કરેલું એક સૂત્ર હતું: ‘લુંગી હટાઓ, પુંગી બજાઓ’. દરમિયાન, હળાહળ કોમવાદ, ધિક્કાર અને હિંસા, તેમના રાજકારણ કહો તો રાજકારણ અને સમાજકારણ કહો તો સમાજકારણમાં હાડોહાડ વ્યાપી ચૂક્યાં હતાં. ૧૯૬૯-૭૦ના અરસામાં દક્ષિણીઓની સાથોસાથ મુસ્લિમો પણ સેનાની ધિક્કારઝુંબેશનો ભોગ બન્યા. ભીવંડી અને જલગાંવમાં થયેલાં રમખાણો માટે શિવસેના તરફ આંગળી ચીંધાઇ હતી.

સંઘ પરિવારનો ઠાકરે એન્ડ પાર્ટી સામે વિરોધ હોવા છતાં, ભાજપ દ્વારા નવેસરથી પ્રતિષ્ઠિત મુસ્લિમવિરોધી હિંદુત્વના રાજકારણમાં ઠાકરે જાતે ‘હિંદુહૃદયસમ્રાટ’ બની બેઠા. ગુજરાતીઓ-દક્ષિણ ભારતીયો કે ત્યાર પછીના અરસામાં ઉત્તર ભારતીયો પ્રત્યે ધિક્કાર દર્શાવવામાં ઠાકરેનું કયું હિંદુત્વ કામ કરતું હતું, એ કોઇએ પૂછ્‌યું નહીં. મરાઠવાડા યુનિવર્સિટીને ડો.આંબેડકરનું નામકરણ કરવાના મુદ્દે અને ડો.આંબેડકરના પુસ્તક ‘રીડલ્સ ઓફ હિંદુઇઝમ’ના પુનઃપ્રકાશન પ્રસંગે દલિતો તેમના હિંસક વાણીવિલાસનું નિશાન બન્યા. ઠાકરેને મન કદાચ શિવસેનામાં જોડાય અથવા તેમનાં પાયલાગણે આવે એટલા જ લોકો ‘હિંદુ’ અથવા ‘દેશભક્ત’ હતા.

રાજકીય કારકિર્દીની શરૂઆતથી ઠાકરે અને તેમના કઠપૂતળી પક્ષ શિવસેનાએ રાજકીય વિચારસરણી કે સિદ્ધાંતો જેવું કંઇ સમ ખાવા પૂરતું પણ રાખ્યું ન હતું. શરૂઆતના ગાળામાં મુંબઇમાં કામદારો પરનું ડાબેરીઓનુંવર્ચસ્વ તોડવા માટે કોંગ્રેસે શિવસેનાનો ઉપયોગ કર્યો અને તેને પ્રોત્સાહન આપ્યું. બદલામાં સેનાએ ખૂનખરાબાથી માંડીને તમામ રસ્તા અપનાવીને ડાબેરીઓનો સફાયો કરી દીધો. ‘હિંદુહૃદયસમ્રાટ’ બે વાર મુસ્લિમ લીગ સાથે સગવડીયું જોડાણ કરી ચૂક્યા હતા. કોંગ્રેસ પ્રત્યેનો તેમનો પ્રેમ કટોકટી વખતે પણ જળવાયેલો રહ્યો. આગળ જતાં કેન્દ્રિય મંત્રી બનેલા કોંગ્રેસી મુરલી દેવરા સિત્તેરના દાયકામાં શિવ સેનાના ટેકાથી મુંબઇના મેયર બન્યા હતા. શરદ પવાર સાથે પણ ઠાકરેને જાહેરમાં ગાળાગાળી અને અંગત ધોરણે મૈત્રીના સંબંધ રહ્યા. રામ જન્મભૂમિ ઝુંબેશના પગલે સર્જાયેલા હિંદુત્વના મોજા પછી શિવસેનાની પહોંચ મ્યુનિસિપલ કોર્પોરેશનથી વિધાનસભા સુધી પહોંચી. ભાજપ સાથે યુતિ રચીને શિવ સેનાએ ૧૯૯૫માં મહારાષ્ટ્રમાં સરકાર સ્થાપી, પરંતુ ત્યાર પછી એવી સફળતાનું પુનરાવર્તન થઇ શક્યું નહીં. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા જેવા વિસ્તારોમાં શિવસેનાને કદી એક હદથી વધારે સફળતા ન મળી.

છતાં, બેફામ વાણીવર્તન, નમાલા વિપક્ષો, કરોડરજ્જુ વગરના સત્તાધીશો, ઝનૂની અનુયાયીઓ, સનસનાટીપ્રિય પ્રસાર માઘ્યમો જેવાં અનેક પરિબળોના પ્રતાપે બાળ ઠાકરે રાષ્ટ્રિય નેતા તરીકે ઉભર્યા અને પૂરા રાજકીય સન્માન સાથે વિદાય પામ્યા.

13 comments:

  1. an eye-opener piece substantiated with all the cons and no pros for the deceased made worthy of such great public and national honor! excellent write up, only a real patriot and humanist can write so honestly, candidly and boldly. great salute, urvish.

    ReplyDelete
  2. OK.
    we do not have that kind of regional parties,regional leaders who can seat together at time comes in Gujarat.
    we should remember - 1. shivsena supported Pratibhadevi as President, 2. leaders of NCP were there, 2.Congress is also in Government,3. chief minister is from Congress only.4. Govt only to give so called Rajkiya sanman. All these shows regionalism only.

    ReplyDelete
  3. Excellent article and even the ardent supporters of Thackeray might not have known these hues and colours of him. Regionalism is dangerous trend in national politics for this country and it is a major contradiction for any leader who claims to be promoting patriotism and hindutva. But the blindness of the believers! So what's next now? Probably a demand to give him 'Bharat Ratna' (which is a contradiction in itself).

    Secondly, one can not appreciate the so-call frankness, resolve or determination of such leaders. Because every dictator or extremist in the world had these qualities. But more importantly - 'for what kind of values one is frank, determined and resolved' - thats what makes the great leader.

    ReplyDelete
  4. Anonymous1:19:00 PM

    Urvish bhai, Indian People memories are short terms, people join the band wagon very easily, Lots of people know about this RACIST MAN true colour , but you are the one who got the courage to write like this, and you will see how many people join and agree with you..:-)now, Before..everyone was say or said "THAKARE IS THE MAN"
    but Truth is THAKARE is the man Without any BALLS .... or BULLY ... or INDIAN VERSION OF TALIBAN .

    ReplyDelete
  5. ઊર્વીશ ભાઈ. સચોટ સંક્ષિપ્ત અને સંતુલિત ટોન વાળો લેખ. ભાઈ હ્રુતુલની કોમેન્ટ પણ સારી પાદપૂર્તિ કરે છે.સૌર ભટ્ટ ની કમેન્ટ અન-ઇન્ટેન્શનલ વિનોદ આપી રહી છે.

    ReplyDelete
  6. પરંતુ મોટા ભાગની અંજલિઓનું ‘ગુજરાતી’ કરવું હોય તો આટલું જ થાયઃ ‘અમારે પણ મુંબઇમાં રહેવાનું છે.’

    Very, very good and honest piece. What is yet stranger is that despite his early antagonism towards Gujaratis, he is quite hero to a substantial lot. Inexplicable, that.

    ReplyDelete
  7. Truly agree with your opinion. Tamari pashe thi aava lekh ni j apeksha hati.
    FYI: Labels ma Bal Thakare nu j nam rahi gayu 6e.

    ReplyDelete
  8. ભરતકુમાર ઝાલા3:30:00 PM

    પ્રચાર- પ્રસાર માધ્યમો દ્વારા બનાવી બેઠેલા બાળાસાહેબની વિદાય પર અપાયેલી અંજલિઓના મહાસાગરમાં એક તદ્દન આગવી ને સાચી ર્દષ્ટિથી પોંખાયેલો આપનો લેખ વાંચીને ખૂબ આનંદ થયો. ઘેલા કટારલેખકોની જમાતમાં આવા લેખો જ તમને અલગ તારવી આપે છે.

    ReplyDelete
  9. ઉર્વીશભાઈ હંમેશની જેમ બોલ્ડ અને હટકે લેખ.--ગમ્યો. નીરવ ઠક્કર.

    ReplyDelete
  10. Anonymous12:12:00 AM

    All details are copies from recent Gujarati magazine "Abhiyan"

    ReplyDelete
  11. @ii (^^): really? will have to see abhiyaan:-)

    ReplyDelete
  12. Anonymous4:52:00 AM

    Excellent.It is not a copy of Abhiyan.Your true analysis and historical knowledge of socio political history.
    I hope better a good daily like Gujarat Mitra learn some thing and give the factual accountability.

    ReplyDelete