Wednesday, November 21, 2012

ઇન્ટરનેટ પર અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યઃ મજા અને સજા


(નોંધઃ ફેસબુક-ટ્વીટર પર લખાણ સામે આત્યંતિક પોલીસ કાર્યવાહીના પ્રમાણમાં નવા અને આવી રહેલા પ્રવાહ વિશે શનિવારે આ લેખ લખીને આપ્યો ત્યારે ખ્યાલ ન હતો કે બાળ ઠાકરેના અવસાન નિમિત્તે ભારતમાં પણ એ મુદ્દો ગરમાગરમ ચર્ચાનો વિષય બનશે.)

ઇન્ટરનેટની સુવિધા ગણ્યા-ગાંઠ્‌યા સંશોધકોને બદલે વ્યાપક જનસમુદાય સુધી પહોંચી ત્યારથી તેના ‘ચાલ, ચરિત્ર અને ચહેરા’માં અનેક પરિવર્તન આવ્યાં છે. છતાં, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની તેની ધરી બદલાઇ નથી. ‘લોકશાહી’ની જેમ ‘ઇન્ટરનેટ’ બોલતાં-લખતાં વેંત મનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ખ્યાલ પ્રગટે છે. તેના વિના ઇન્ટરનેટ - અને લોકશાહી- ફિક્કાં લાગે છે.

વેબસાઇટ અને બ્લોગથી શરૂ થયેલી ઇન્ટરનેટની યાત્રા હવે ફેસબુક/Facebook-ટ્‌વીટર/Twitter જેવા સોશ્યલ નેટવર્કિંગ-માઇક્રોબ્લોગિંગ માઘ્યમો થકી અભૂતપૂર્વ માત્રામાં લોકોને અભિવ્યક્તિની તક આપી રહી છે. છેક એકવીસમી સદીની શરૂઆત સુધી ઇન્ટરનેટના ઉપયોગ માટે કમ્પ્યુટર જરૂરી હતાં. પરંતુ મોબાઇલ ફોન અને ટેબ્લેટની ક્રાંતિકારક સુવિધાઓ થકી, ઇન્ટરનેટ લોકોના મોટા સમુહ સુધી પહોંચી શક્યું છે. મોબાઇલ-ઇન્ટરનેટ જેટલી ઝડપથી ભાગ્યે જ બીજી કોઇ હાઇ-ટેક શોધ, તમામ આર્થિક સમુદાયો સુધી પહોંચી હશે.

તેનાં સારાં-નરસાં પરિણામ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્‌સ પર જોઇ શકાય છે. બધાના હાથમાં એક-એક માઇક આવી જાય ત્યારે શું થાય? લોકશાહી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ આ સ્થિતિ બહુ ઇચ્છનીય છે. અગાઉ માહિતી અને અભિપ્રાયો પર સ્થાપિત અને જંગી માળખું ધરાવતાં પ્રસાર માઘ્યમોનો એકાધિકાર હતો. એને બદલે દરેક વ્યક્તિ, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ‘હરતું ફરતું પ્રસાર માઘ્યમ’ બની શકે છે. તેની પાસે માહિતી, અભિપ્રાય, ફોટો, વિડીયો - આ બઘું જ દુનિયા સમક્ષ મૂકવાની સુવિધા છે અને તે પણ મફત અથવા નજીવી કિંમતે અને કોઇની દખલગીરી વગર.

દરેક સ્વતંત્રતાની સાથે સ્વચ્છંદતાનું ભયસ્થાન સંકળાયેલું હોય છે. અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય કદી અમર્યાદ હોઇ શકતું નથી, એ વાત ઘણી વાર ભૂલી જવામાં આવે છે. ફેસબુક-ટ્‌વીટર જેવાં માઘ્યમો જાહેર કહેવાય કે અંગત, એ વિશે પણ પૂરેપૂરી સ્પષ્ટતા હજુ જોવા મળતી નથી. તેને કારણે પોતાના જીવનની અંગતતમ વાતો-લાગણીઓથી માંડીને પોતાના મનમાં રહેલી અનેક ગ્રંથિઓ અને બિમારીઓ લોકો જાણ્યે-અજાણ્યે આ માઘ્યમો પર ઠાલવતા રહે છે. આ પ્રકારના ‘અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય’માં બેફામપણાનું તત્ત્વ ભળે ત્યારે પાનના ગલ્લે કે ચાની કીટલી પર પણ ન થાય એ જાતની ગાળાગાળી કે બેહૂદી ‘ચર્ચા’ઓ થાય છે અને તેના બચાવમાં ‘લોકશાહી મૂલ્યો’, ‘મતભેદ-સ્વાતંત્ર્ય’ અને ‘સહિષ્ણુતા’ જેવા ભવ્ય શબ્દો ટાંકવામાં આવે છે. બહારની દુનિયામાં રાજકારણ કે ઉદ્યોગજગતમાં બને છે તેમ, ઇન્ટરનેટ પર વ્યક્તિગત ધોરણે પોતાના ધારી લીધેલા દુશ્મનો કે વિરોધીઓ સામે ઝેરીલી ઝુંબેશો ચલાવવા માટે પાળેલા પાયદળને છૂટું મૂકી દેવામાં આવે છે.

આ બઘું ‘અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય’ની વ્યાખ્યામાં આવી જાય? કે તેને બહારની-વાસ્તવિક દુનિયાના તકાદા લાગુ પડે? સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર થતાં ઘણાં આદાનપ્રદાન એવાં હોય છે કે જે કેવળ અપ્રત્યક્ષ સ્વરૂપે જ થઇ શકે. સામસામે વાત કરવાની હોય તો મોટા ભાગના લોકો એવા બેફામ વાણીવિલાસની હિંમત ન કરે અથવા કરે તો મારામારીની તૈયારી રાખીને કરે. ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં એવી ચિંતા કરવાની હોતી નથી. એટલે અસલી દુનિયાનાં સભ્યતા-શિષ્ટાચારના અને જાહેર વર્તણૂંકના નિયમો પણ જાણે નડતા નથી.

આ સ્થિતિમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. ઇન્ટરનેટ પરના બેફામ વાણીવિલાસ સામે કાયદાનો સહારો લેવાનું ચલણ વઘ્યું છે. જૂના અથવા આ માઘ્યમને ઘ્યાનમાં રાખીને સુધારાયેલા કાયદા પ્રમાણે, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરનારને અદાલતોમાં સજા પણ મળવા લાગી છે- અને આવું ઇન્ટરનેટ પર લોખંડી સકંજો રાખનારા ચીન જેવા દેશમાં નહીં, પણ ઉદારમતવાદી બ્રિટન જેવા દેશોમાં બની રહ્યું છે.

‘સ્વાતંત્ર્ય’ના ઝંડા સામે કાયદાનો દંડો

ઓક્ટોબર મહિનામાં ૨૦ વર્ષના એક યુવાને છ બ્રિટિશ સૈનિકોના મૃત્યુ વિશે પોતાનો અભિપ્રાય આપતાં ફેસબુક પર લખ્યું :‘ઓલ સોલ્જર્સ શુડ ડાઇ એન્ડ ગો ટુ હેલ.’ (બધા સૈનિકો મરે ને જહન્નમમાં જાય.) આવું લખવા બદલ તેની સામે કેસ થયો. અદાલતે તેને ૨૪૦ કલાકની કમ્યુનિટી સર્વિસ (સમાજસેવા) અને ૩૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યાં.

આ ભાઇ જરા નસીબવાળો હતો કે તેને જેલની સજા ન થઇ. બાકી, ભૂતકાળમાં લોકોને ઉત્સાહમાં આવીને ફેસબુક પર કંઇક ભરડી માર્યા પછી જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે. બ્રિટનમાં એક બાળકીનું અપહરણ થયું ત્યારે તેને લગતી વાહિયાત જોક્સ ૧૯ વર્ષના એક છોકરાએ પોતાના ફેસબુક પેજ પર લખી પાડી. એ વાંચીને કેટલાક   લોકો એટલા ઉશ્કેરાયા કે તેમણે છોકરાના ઘરે હલ્લો બોલાવ્યો. પોલીસ આવી અને છોકરાની સલામતી ખાતર તેને પોતાની સાથે લઇ ગઇ.

કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે બચાવપક્ષના વકીલે કહ્યું કે ‘પીધેલી અવસ્થાની ક્ષણિક મૂર્ખામીથી દોરાઇને આ ભાઇએ કંઇક લખી દીઘું, એમાં તો એને અપહરણકાર પછીના તરતના ક્રમનો ગુનેગાર બનાવી દેવામાં આવ્યો છે.’ પરંતુ અદાલતે તેમનો બચાવ માન્ય રાખ્યો નહીં અને છોકરાને ૧૨ અઠવાડિયાંની જેલની સજા આપી. ત્યાર પહેલાં એક કાળો ફૂટબોલ ખેલાડી ચાલુ રમતે મેદાનમાં હૃદયરોગનો હુમલો આવતાં બેહોશ થઇ ગયો ત્યારે એક વિદ્યાર્થીએ ટ્‌વીટર પર કાળા ખેલાડી વિશે બેફામ ટીપ્પણીઓ કરી. તેમાં ધીક્કારની સાથેસાથે કાળા-ગોરાના વંશીય ભેદભાવનું તત્ત્વ પણ હતું. તેને આશરે બે મહિના (૫૬ દિવસ)ની જેલની સજા થઇ.

અલબત્ત, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ચર્ચા સાથે બ્રિટનમાં સૌથી ગાજેલો કેસ ‘ટ્‌વીટર જોક ટ્રાયલ’/ twitter joke trial હતો. જાન્યુઆરી, ૨૦૧૦માં પોલ ચેમ્બર્સે હિમવર્ષાને કારણે એરપોર્ટ બંધ થઇ જતાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા નહીં જઇ શકાય, તેની નિરાશા વ્યક્ત કરતાં ટ્‌વીટર પર તેણે એમ પણ લખ્યું કે ‘હું એરપોર્ટને ફૂંકી મારીશ.’ એ તો ટ્‌વીટર પર હૈયાવરાળ ઠાલવીને ભૂલી ગયો, પણ અઠવાડિયા પછી ત્રાસવાદવિરોધી દળની પોલીસ તેને શોધતી ઓફિસે આવી પહોંચી. ૨૬ વર્ષનો ચેમ્બર્સ ફાઇનાન્શ્યલ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. તેને ઉપાડીને આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. એટલેેથી સંતોષ ન થતાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. નીચલી અદાલતે ચેમ્બર્સને દોષી ઠેરવીને જેલ અને દંડની સજા ફટકારી. કેસ થવાને કારણે ચેમ્બર્સની નોકરી ગઇ, અદાલતી કાર્યવાહીમાં સારો એવો ખર્ચ થયો ને બીજે નોકરી મેળવવામાં મુશ્કેલી ઊભી થાય એવો ગુનાઇત ભૂતકાળ પણ લમણે લખાયો.

અલબત્ત, ચેમ્બરર્સના કિસ્સામાં  કીડી પર કટક જેવું બન્યું હતું. તેણે ટ્‌વીટર પર પોતાની નિરાશાનું કારણ લખ્યા પછી એરપોર્ટ ઉડાડી મૂકવાની વાત કરી હતી, જેનો જડ શબ્દાર્થ છોડીને ઘ્વનિ સમજવામાં આવે તો એ સ્પષ્ટ હતું કે તેનો ઇરાદો એરપોર્ટ ફૂંકી મારવાનો ન હતો. તેમ છતાં, પોલીસે અને અદાલતે આકરું વલણ લીઘું એટલે ચેમ્બર્સની તરફેણમાં ઇન્ટરનેટ પર ઝુંબેશ ચાલુ થઇ. બ્રિટનની કેટલીક નામી હસ્તીઓ પણ ચેમ્બર્સના બચાવમાં અને પોલીસની વઘુ પડતી આક્રમકતાના વિરોધમાં ખુલીને બહાર આવી. આખરે, આ વર્ષના જુલાઇ મહિનામાં હાઇકોર્ટમાં કરેલી અપીલમાં ચેમ્બર્સ કેસ જીતી ગયો. હાઇકોર્ટે પણ કાયદાને આટલી જડ કડકાઇથી કામ ન લેવા જણાવ્યું.

બ્રિટનમાં ઇન્ટરનેટ પરની બેફામ વર્તણૂંક કે લુખ્ખાગીરી સંબંધે કરાતા કેસ અને તેમાં થતી સજાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અહેવાલો પ્રમાણે, વર્ષ ૨૦૦૭માં આ પ્રકારે સજા મેળવનારા લોકોની સંખ્યા ૪૯૮ હતી. ૨૦૦૯માં તે ૮૦૦નો આંકડો પાર કરી ગઇ. ગયા વર્ષે ૧,૨૦૦થી પણ વધારે લોકોને અદાલતે ઇન્ટરનેટ પર કાયદાનો ભંગ થાય એવું વર્તન કરવા બદલ દોષી ઠરાવ્યા છે અને એ રીતે, ઓનલાઇન તથા ઓફલાઇન દુનિયા વચ્ચેનો ભેદ ભૂંસી કાઢ્‌યો છે.

આ બધી સજાઓ બ્રિટનના ‘કમ્યુનિકેશન્સ એક્ટ, ૨૦૦૩’/ Communications Act w003 ની કલમ ૧૨૭ અંતર્ગત થાય છે. તેમાં ‘પબ્લિક ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ નેટવર્ક’ (ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના જાહેર માળખા) દ્વારા નીતાંત અપમાનજનક, અભદ્ર, અશ્વ્લીલ કે ડરાવે-ધમકાવે એવી સામગ્રી અથવા સંદેશો મોકલવાનો ગુનો  આવરી લેવામાં આવ્યો છે. આ વ્યાખ્યામાં બીજાને અસુખ, અગવડ કે ઉચાટ થાય એવી સામગ્રીને પણ સામેલ કરવામાં આવે છે. તેમાં દોષી પુરવાર થનારને વઘુમાં વઘુ છ મહિનાની સજા અને પાંચ હજાર પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે.

નાગરિક અધિકારોના રક્ષણ માટે તત્પર જૂથો કાયદાની આ ગતિથી ચિંતિત છે. કેમ કે, ચેમ્બર્સના કિસ્સામાં બન્યું તેમ, ઘ્વન્યાર્થને બદલે શબ્દાર્થને પકડી રાખવામાં આવે તો ફેસબુક-ટ્‌વીટર પર મુકાતી ઘણી સામગ્રી કાયદાના દાયરામાં આવી જાય. એ સંજોગોમાં કટાક્ષ-મસ્તી -થોડી હદ વટાવતી રમૂજોનો પણ ભોગ લેવાઇ જાય અથવા તે ગુનામાં ગણાઇ જાય. આ સ્થિતિ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો પર્યાય ગણાતા ઇન્ટરનેટને લીધે આવે, એ ભારે વક્રતા કહેવાય. તેનો દુરુપયોગ પણ છૂટથી થઇ શકે.

બ્રિટનની સરખામણીમાં અમેરિકામાં ઇન્ટરનેટ પર વ્યાપક છૂટછાટો પ્રવર્તે છે. અમેરિકાના બંધારણના પહેલા સુધારામાં મળેલો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર ઇન્ટરનેટને પણ લાગુ પડતો હોવાનો ચુકાદો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આપેલો છે. જર્મની જેવા દેશોમાં બીજું બઘું સ્વાતંત્ર્ય ખરું, પણ યહૂદીઓના જનસંહારને લઇને કોઇ મસ્તી ચાલતી નથી. તેની સામે સરકાર કડક હાથે કામ લે છે અને ટ્‌વીટર-ફેસબુક જેવી વેબસાઇટો આ બાબતમાં સ્થાનિક સરકારોના હુકમનું આજ્ઞાંકિત બનીને પાલન કરે છે.

ફેસબુક-ટ્‌વીટર જેવાં માઘ્યમોમાં અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો લાભ લેતી વખતે બહેતર એ જ છે કે એ જાહેર મંચ છે એટલું યાદ રાખવું.  અદાલતમાં આરોપી કે ફરિયાદીની વર્તણૂંક અથવા તેની માનસિકતાના પુરાવા તરીકે તેના ફેસબુક કે ટ્‌વીટર એકાઉન્ટર પરની સામગ્રી ખપમાં લઇ શકાય છે અને અદાલત તેને માન્ય પણ રાખી શકે છે. એટલે, ફેસબુક-ટ્‌વીટર પર પથરા ફેંકીને નાસી જવાથી કાયદેસર રીતે કોઇ આપણું કશું બગાડી લેવાનું નથી કે આપણી ક્યાંય નોંધ રહેવાની નથી, એવું પણ માની ન લેવું.

ઇન્ટરનેટના રૂપમાં મળેલી અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ભેટનું રક્ષણ કરવામાં રાખીએ, એટલી જ જાગૃતિ તેને લાયક બનવામાં પણ રાખીએ તો એ બમણી ફાયદાકારક નીવડશે.

2 comments:

  1. very good article..urvishbhai,
    freedom of expression also carries with it a duty or a responsibility to the society.It cannot be an unbridled expression. It has to be subject to such reasonable restrictions as the society may deem fit in the larger interest. Article 19 of the Indian Constitution gives to every citizen, the right of freedom of speech and expression. This right is not absolute. Reasonable restrictions on the exercise of this right can be imposed on the grounds of: (i) the security of the State, (ii) friendly relations with foreign States, (iii) incitement to offence, public order, decency or morality, defamation and contempt of court.Thus, the right to freedom of expression is a valuable right of man. It is a fruit of democracy. It should be enjoyed, nursed and preserved. However, it should not be allowed to be misused as a licence by any person.

    ReplyDelete
    Replies
    1. Anonymous11:14:00 AM

      Mazharbhai, your letters in spirit are ok in terms of Constitution. How you unlike Maharashtra Police missed the provocative statements of leader/s which hijacked the mindset of Maharastrian Society.

      Chairman of Press Council of India's view in my perspective is more vocal and valid.

      Delete