Tuesday, October 30, 2012

ભ્રષ્ટાચાર સામે જંગ: અમેરિકા, ચીન, ભારત


પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની સાથે જ ભ્રષ્ટાચાર ભળેલો છે. વ્યાપક અર્થમાં ભ્રષ્ટાચારનો સીધો સંબંધ લાલચ સાથે છે અને ‘સુધરેલી’ માનવજાતના સંદર્ભે તેનો સંબંધ નાગરિકમૂલ્યો, સામાજિક મૂલ્યો તથા કાયદાપાલન સાથે છે. એટલે જ, કોઇ પ્રદેશ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત હોવાનો દાવો કરી શકે નહીં. છતાં, દેશ-પ્રદેશ પ્રમાણે ભ્રષ્ટાચારની માત્રા  બદલાતી રહે છે.

ભારતમાં ભ્રષ્ટાચારનો ઉપાડો છેલ્લા થોડા સમયથી સતત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અન્ના હજારેએ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કે ઘટાડવા જનલોકપાલ ખરડાની માગણીકરી એ હવે ભૂલાયેલો ભૂતકાળ છે. પરંતુ એ નિમિત્તે બીજા દેશ ભ્રષ્ટાચાર સાથે કેવી રીતે કામ પાડે છે અને તેમાં કેટલી સફળતા મેળવે છે, તે જોવા જેવું છે. એ વિગતો જાણ્યા પછી, ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ સાથે સંકળાયેલી કેટલીક મુગ્ધ માન્યતાઓ દૂર થાય તો પણ ઘણું.

ચીની ઇલાજઃ સજા-એ-મૌત

ચીન અને અમેરિકા ગુજરાત-ભારત માટે બે કાયમી સંદર્ભબિંદુઓ હોય છે- ચાહે તે લશ્કરી તાકાતની વાત હોય કે આર્થિક મહાસત્તા બનવાનો મુદ્દો. ભ્રષ્ટાચારના મુકાબલાના મુદ્દે પણ આ દેશો વિશેની થોડી જાણકારી ઉપયોગી નીવડે એવી છે. કારણ કે બન્નેની દિશા  સાવ અલગ અને એટલે જ પરિણામ પણ સાવ જુદાં છે. વળી, બન્ને દેશો ભ્રષ્ટાચારના મુદ્દે તાજેતાજા સમાચારમાં છે.

ચીનમાં એકહથ્થુ સત્તા ભોગવતો સામ્યવાદી પક્ષ ભ્રષ્ટાચારના મામલે કડક કાર્યવાહીની વાતો - અને ઘણી વાર અમલ- કરવા માટે જાણીતો છે. બહુ જૂની વાત નથી. હજુ ગયા વર્ષના જુલાઇ મહિનામાં બે ઉપનગરપતિ- વાઇસ મેયરને કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર બદલ ગુનેગાર ઠેરવીને મોતની સજા આપવામાં આવી. ત્યાર પહેલાં ૨૦૧૦માં ચોંગકિંગ શહેરના પોલીસ વડાને અને ૨૦૦૭માં ફુડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ વડાને પણ ભ્રષ્ટાચારના ગુના બદલ મૃત્યુદંડ આપવામાં આવ્યો. એ જ વર્ષે શાંઘાઇમાં પક્ષના વડા અને પોલીટ બ્યુરોના સભ્ય જેવો મોભાદાર હોદ્દો ધરાવતા ચેન લિઆંગ્યુને પેન્શન ભંડોળમાં ગોટાળા કરવા બદલ ૧૮ વર્ષની જેલની સજા થઇ. ચીનના પ્રમુખ હુ જિન્તાઓએ તેમના પક્ષના સભ્યોને કહ્યું કે ‘ભ્રષ્ટાચાર સામેની લડત સામ્યવાદી પક્ષના અસ્તિત્ત્વ માટે ચાવીરૂપ છે.’

આટલું વાંચીને કોઇ પણ ભારતીયને વિચાર આવે કે ‘કેટલું સારું કહેવાય! ભ્રષ્ટાચારના ગુનામાં ભારતે ચીનનું અનુકરણ કરવું જોઇએ. ગમે તેવા મોટા ગુનેગારની શેહશરમ નહીં અને ગુનો સાબીત થાય એટલે ભ્રષ્ટાચારીને મોતની સજા જ આપી દેવાની. ભલે એ થોડી ઘાતકી લાગે, પણ એનાથી કેવો સજ્જડ દાખલો બેસી જાય. આવું બે-ચાર વાર થાય, પછી કોઇની મજાલ છે કે ભ્રષ્ટાચાર આચરવાની હિંમત કરે?’

પાનના ગલ્લે-ચાની કીટલી પર અને ઘણી વાર તેની ગરજ સારતી ‘ફેસબુક’ પર કે કેટલીક કટારોમાં આવું કહીને તાળીઓ ઉઘરાવી શકાય, પરંતુ મૃત્યુદંડ જેવી કડક સજાઓનો કેટલો દાખલો બેસે છે, એ જાણવા માટે ચીનનું સમગ્ર ચિત્ર જાણવું જરૂરી છે. આકરામાં આકરી સજા થવા છતાં, ચીનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઉપરથી નીચે સુધી ભયંકર હદે વધી ગયું છે. બી.બી.સી.ના એક અહેવાલ પ્રમાણે, ફક્ત વર્ષ ૨૦૦૯માં ૧ લાખથી પણ વઘુ અફસરો ભ્રષ્ટાચારના આરોપમાં ગુનેગાર પુરવાર થયા હતા. દસ લાખ યુઆન (આશરે દોઢ લાખ અમેરિકન ડોલર) કરતાં વઘુ રકમનો ભ્રષ્ટાચાર કરનારા અફસરોનું પ્રમાણ પણ વઘ્યું હતું. વિકાસના નામે થઇ રહેલી જમીન અને સંસાધનોની સોદાબાજીઓમાં ખાટી ગયેલા અફસરો અને આગેવાનોની સંખ્યા પણ મોટી હતી.

વિશિષ્ટ વિરોધાભાસનાં કારણ

એક તરફ કડકમાં કડક સજા અને બીજી તરફ ભ્રષ્ટાચારના વધતા કિસ્સા- આવો વિરોધાભાસ કેમ? તેનું એક કારણ લેખના આરંભે જ જણાવ્યું છે. બીજું મોટું કારણ એ કે ચીનમાં સજા ગુનો જોઇને નહીં, પણ ગુનેગારને જોઇને કરવામાં આવે છે. કારણ કે ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહી કરતું તંત્ર જાસુસી ખાતાની જેમ વિગતો જાહેર કરવા બંધાયેલું નથી. કેટલા લોકોને સજા થઇ, એના આંકડા જેવી પ્રાથમિક માહિતી પણ ચીન આપતું નથી. એટલે, સત્તાધીશોની કૃપાદૃષ્ટિ હોય ત્યાં સુધી ભ્રષ્ટાચાર બેરોકટોક ચાલુ રહે છે. પરંતુ શાંઘાઇના નેતા ચેન લિઆંગ્યુ પ્રમુખ હુ જિન્તાઓના હરીફ તરીકે મજબૂત બનતા લાગે, ત્યારે તેમને ભ્રષ્ટાચારના (સંભવતઃ સાચા) આરોપો બદલ ૧૮ વર્ષની સજા થઇ જાય છે.

બો સિલાય જેવા ચીનના ‘વિકાસપુરૂષ’ વિદેશી મૂડીરોકાણ અને ઝાકઝમાળથી રાષ્ટ્રિય નેતાગીરીને આંજી શકે છે અને તેમના પર થયેલા ભ્રષ્ટાચારના આરોપ નજરઅંદાજ થઇ જાય છે. તેમના જ એક મળતીયા પોલીસવડા અમેરિકાની એલચીકચેરીમાં જઇને વટાણા વેરી નાખે- અને તેમાં એવું પણ જાણવા મળે કે રાષ્ટ્રિય નેતા થવા ઉત્સુક બો  દેશના ટોચના નેતાઓના ફોન ટેપ કરાવતા હતા, ત્યારે પણ બો વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી થતી નથી. છેક ગયા સપ્તાહે આખરે બોને પક્ષના સભ્યપદેથી દૂર કરાતાં, તેમની સામેની કાયદેસર કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે. પરંતુ દેખીતું છે કે બે શહેરોના ઉપનગરપતિઓને ભ્રષ્ટાચારની સજા કરવા માટે જેવો ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો કે બોના મળતીયા પોલીસવડાને જે રીતે મોતની સજા આપી દેવામાં આવી, એવું બોના કિસ્સામાં બન્યું નહીં. કારણ કે તે પક્ષના એકદમ ટોચના સંગઠનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.

હદ તો ત્યારે આવી કે ‘ભ્રષ્ટાચાર શાસક પક્ષ સામેનો સૌથી મોટો પડકાર છે’ એવું કહેનારા ચીનના વર્તમાન પ્રીમિયર  વન જિઆબાઉના શાસન દરમિયાન તેમના પરિવારજનોએ અઢળક સંપત્તિ એકઠી કરી હોવાના આરોપ ગયા અઠવાડિયે થયા. એટલું જ નહીં, આવતા મહિને ચીનમાં થનારા દસવર્ષીય સત્તા પરિવર્તનમાં પક્ષના જનરલ સેક્રેટરી તરીકે જેમનું નામ બોલાય છે, તે શી જિનપંિગ ઉપર પણ અઢળક (અપ્રમાણસરની) સંપત્તિના આરોપ વિદેશી પ્રસાર માઘ્યમોમાં ચમક્યા છે. દેખીતી રીતે જ ચીની વેબસાઇટો અને પ્રસાર માઘ્યમો આ સમાચારો પર ઢાંકપિછોડો કરવાની પૂરતી કોશિશ કરી રહ્યાં છે.

ભ્રષ્ટાચાર જેવા ગુનામાં મૃત્યુદંડ જેવી સજા આપવા માટે એકહથ્થુ શાસનવ્યવસ્થા જરૂરી છે- અને એક વાર એવી ‘વ્યવસ્થા’ આવે તો પછી ભ્રષ્ટાચારી કોણ, તે પણ એ વ્યવસ્થા જ નક્કી કરે છે. એટલે ભ્રષ્ટાચારનિવારણનો અને ન્યાયનો મૂળભૂત આશય માર્યો જાય છે.

અમેરિકાઃ કાયદાનો અમલ

યોગાનુયોગે અમેરિકાનું ન્યાયતંત્ર પણ ગત સપ્તાહે રજત ગુપ્તાના ચુકાદા બદલ ચર્ચામાં રહ્યું. વોલ સ્ટ્રીટના માંધાતા, મેકિન્ઝી કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ અને ‘ઇન્ડિયન બિઝનેસ સ્કૂલ’, ‘અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન’  જેવી સંસ્થાઓના સ્થાપક તરીકે રજત ગુપ્તા અમેરિકાના જાહેર જીવનમાં મોટી હસ્તી ગણાતા હતા. મેકિન્ઝી જેવી મસમોટી કંપનીના વડા તરીકે નિમણૂંક પામનારા તે પહેલા ભારતીય હતા. શિક્ષણ-આરોગ્ય સહિતનાં ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે ચાલતી સેવાપ્રવૃત્તિમાં સામેલગીરીને કારણે તેમને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા મળી હતી.  એટલે તેમની પર ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ના- બીજા (મિત્ર)ને ફાયદો કરાવવા માટે ગુપ્ત માહિતી આપવાના- અને છેતરપીંડીના આરોપો થયા, ત્યારે અમેરિકા ઉપરાંત ભારતમાં પણ સૌને આઘાત લાગ્યો. એક વાર તેમની ધરપકડ અને જામીન પર છૂટકારો થયા પછી, ગુપ્તાના વકીલે નિર્દોષતાનું ગાણું ચાલુ રાખ્યું. પણ તેમની ગરબડોના પુરાવા મળી આવ્યા પછી ગુપ્તા પરનો આરોપ સંગીન જણાવા લાગ્યો. તેમને સજા પડે એ પણ નક્કી થઇ ગયું.

પરંતુ રજત ગુપ્તા એવી હસ્તી હતા કે જેમના બચાવમાં બિલ ગેટ્‌સ અને સંયુક્ત રાષ્ટ્‌સંઘના ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાનથી માંડીને દીપક ચોપડા અને મુકેશ અંબાણી જેવા પોતપોતાના ક્ષેત્રના ૪૦૦ મહારથીઓએ ગુપ્તા સાથે નરમાશથી કામ લેવા ન્યાયતંત્રને વિનંતી કરી. એવું પણ સૂચવવામાં આવ્યું કે સજારૂપે ગુપ્તાને રવાન્ડા જેવા કોઇ દેશમાં સમાજસેવા માટે મોકલી આપવા. એ દેશમાં પડનારી અગવડો તેમના માટે સજારૂપ બનશે અને ગુપ્તાની પ્રતિભાને કારણે તેમની કામગીરીથી એ દેશને લાભ થશે.

અમેરિકન જજ રાયકાફે ભ્રષ્ટાચારવિરોધના ઉભરા કે પાઠ ભણાવી દેવાના ઉત્સાહ વિના, પણ ન્યાયની પ્રક્રિયા અને તેના હાર્દને ઘ્યાનમાં રાખીને ગુપ્તાને બે વર્ષની જેલ અને ૫૦ લાખ ડોલરના દંડનો ચુકાદો આપ્યો. તેમણે ગુપ્તાની વિશિષ્ટ સેવાઓની નોંધ લીધી અને કહ્યું કે તેમનો ગુનો તેમની ભૂતકાળની પ્રતિષ્ઠા કરતાં સાવ વિપરીત છે. છતાં ગુનો એ ગુનો. ન્યાયપ્રક્રિયાનું હાર્દ સમજાવતાં તેમણે કહ્યું કે ગુનાની ગંભીરતા સ્થાપિત કરવા, કાયદા પ્રત્યે લોકોના મનમાં આદર જગાડવા, ગુનેગારને ભવિષ્યમાં બીજો ગુનો કરતાં અટકાવવા- તેનાથી સમાજને બચાવવા ગુનેગારને સજા આપવી જરૂરી છે. આ કારણોમાંથી ગુનાના પુનરાવર્તન માટે ગુપ્તાને સજા કરવાની જરૂર નથી. કારણ કે તેમના જેવા માણસ માટે બદનામી જ પૂરતી છે. પરંતુ ‘ઇનસાઇડર ટ્રેડંિગ’ જેવા ગુનામાં લોકો પકડાતા ન હોય અને તેનો છોછ પણ લોકોના મનમાંથી નીકળી ગયો હોય, ત્યારે દાખલો બેસાડવા માટે પણ અર્થપૂર્ણ સજા થવી જોઇએ.

અમેરિકામાં ભ્રષ્ટાચારના કિસ્સા સામે લડવા માટે કોઇ અલાયદું માળખું નથી. સરકારી ભ્રષ્ટાચાર નિવારવા માટે સ્થપાયેલી ‘ઓફિસ ઓફ ગવર્ન્મેન્ટ એથિક્સ’ જુદા જુદા સરકારી વિભાગોની મદદથી અને તેમની કામગીરીના સંકલનથી જ ચાલે છે. આ ઓફિસનું કામ વિવિધ આચારસંહિતાઓ અને તેના ભંગ માટેના દંડ નક્કી કરવાનું છે. જાહેર સેવકથી શું થાય અને શું ન થાય, તે આ કચેરી નક્કી કરે છે. એટલે કે, તેનું કામ ભ્રષ્ટાચારને અટકાવવાનું છે. પરંતુ એક વાર ભ્રષ્ટાચારનો કિસ્સો બની જાય, તો એ વિશેનો પોતાનો અહેવાલ કે પુરાવા આ કચેરી ન્યાયતંત્રને અને સંસદને આપી દે છે. ત્યાંથી એનું કામ પૂરું. પછીની કાર્યવાહી માટે અમેરિકામાં પૂરતા કાયદા છે, જેનો અમલ કરનારા જસ્ટિસ રાયકોફ જેવા ન્યાયાધીશો પણ છે.

ભ્રષ્ટાચારવિરોધી કાયદા ફક્ત અમેરિકામાં જ નહીં, ભારત સહિતના દેશોમાં અસ્તિત્ત્વ ધરાવે છે. ખરી મુશ્કેલી તેના અમલની છે. સાથોસાથ, રજત ગુપ્તાના કેસમાં જોવા મળ્યું તેમ, ભ્રષ્ટાચારને સામાજિક સ્વીકૃતિ ન મળે એ પણ સ્વસ્થ નાગરિક સમાજનું લક્ષણ છે. ભ્રષ્ટાચારવિરોધી કાયદાના અમલની સાથોસાથ ભ્રષ્ટાચારને સામાજિક રાહે જાકારો આપવામાં પણ ‘વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા’એ ઘણું કામ કરવાનું રહે છે. એ ન થાય ત્યાં લગી વઘુ જોગવાઇઓ કે નવાં માળખાં ઊભાં કરવાથી શું વળશે? એ વિચારવા જેવું છે.

No comments:

Post a Comment