Sunday, October 21, 2012

બી.એમ.વ્યાસે રાજ કપૂરને કહ્યું હતું, ‘તુમ અપને ઉપર હી કેમેરા રખતે હો. ફિર હમારા ક્રેડિટ કૈસે બનેગા?’

B.M.Vyas as Gandhi / ગાંધીજીની ભૂમિકામાં બી.એમ.વ્યાસ...
..અને અત્યારે /Latest photo of B.M.Vyas

‘પૃથ્વી થિએટર્સ’ના પહેલા નાટક ‘શકુંતલા’માં બી.એમ.વ્યાસને કણ્વ ૠષિની ભૂમિકા તો મળી ગઇ. કડકડાટ સંસ્કૃત અને સડસડાટ ડાયલોગ બોલતા યુવાન વ્યાસ પર પૃથ્વીરાજ કપૂર પ્રસન્ન હતા. પણ નાટકની રજૂઆત પહેલાં વ્યાસ ટાઇફોઇડમાં પટકાયા. પહેલા શૉ સુધીમાં સાજા તો થયા, પણ અશક્તિ બહુ લાગતી હતી. સ્ટેજ પર ઉતરતી વખતે તેમના હાથ ઘુ્રજતા હતા. રાજસ્થાનમાં નાટકો કામ કરી ચૂકેલા વ્યાસે પોતાની ઘુ્રજારીને વૃદ્ધ કણ્વ ૠષિના પાત્રની લાક્ષણિકતા બનાવી દીધી. ઘુ્રજતા હાથની સાથે તે માથું પણ ચોક્કસ રીતે હલાવવા લાગ્યા.

એ જોઇને પૃથ્વીરાજ કપૂર નવાઇ પામ્યા. ઇન્ટરવલમાં કહે,‘તમને આવું તો શીખવ્યું ન હતું, પણ સરસ લાગે છે. કેવી રીતે કર્યું?’

નાટક પૂરું થતાં, ‘બોમ્બે ટોકીઝ’નાં માલિકણ દેવિકા રાણી પૃથ્વીરાજ કપૂર પાસે પહોંચ્યાં અને કહે, ‘કણ્વ કિસને કિયા?’

એ યાદ કરીને, પાંચ વર્ષ પહેલાંની મુલાકાત વખતે ૮૭ વર્ષના બી.એમ.વ્યાસના ફક્ત હોઠ નહીં, આખા ચહેરા પર સ્મિત પથરાઇ ગયું. ‘હું કેન્ટિનમાં ચા પીવા ગયો હતો. મને કોઇ બોલાવવા આવ્યું. મને જોઇને દેવિકા રાણી પૃથ્વીરાજને કહે,‘ઇન્હોંને કિયા? વેરી યંગ બોય.’

‘હું એ વખતે ૨૪ વર્ષનો હતો.’ બી.એમ.વ્યાસે કહ્યું, ‘ નાટક જોયા પછી દેવિકા રાણીએ મને તેમની ફિલ્મ ‘દશેરા’માં પટવારીના રોલમાં લીધો. કોન્ટ્રાક્ટ પર સહી થઇ ગઇ હતી. (અભિનેતા) જયરાજ ફિલ્મનું ડાયરેક્શન કરવાના હતા. પણ દેવિકા રાણી રશિયન કલાકાર સાથે લગ્ન કરીને જતાં રહ્યાં અને ફિલ્મ અઘૂરી રહી.’

‘પૃથ્વી થિએટર્સ’નાં નાટકોની સાથે ફિલ્મોમાં કામની છૂટ હતી. અસલમાં બી.એમ.વ્યાસ ગાયક બનવા ઇચ્છતા હતા. ચંદુલાલ શાહના ‘રણજિત મુવિટોન’ની એક ફિલ્મ ‘ભરથરી’માં તેમણે એક ગીત ગાયું (‘અલખ નિરંજન, જય જય જય મનરંજન’), જે પિક્ચરમાં ગોરખનાથ બનતા અરુણકુમાર (ગોવિંદાના પિતા) પર પિક્ચરાઇઝ થયું હતું. ‘રણજિત’ની બીજી ફિલ્મ ‘મુમતાઝમહલ’ બનતી હતી. તેમાં પણ બી.એમ.વ્યાસને એક ગીત આપવાનું નક્કી થયું.

‘એક દિવસ સ્ટુડિયો પરથી રેકોર્ડિસ્ટ ગાડી લઇને મારા કાલબાદેવીના ઘરે આવ્યો. એ ગીતકાર પં.ઇન્દ્રનો ભાઇ હતો. અમે પહોંચ્યા ત્યારે સાજિંદા તૈયાર હતા. ખેમચંદ પ્રકાશ કહે, આ રહ્યું ગીત. કોઇ રીહર્સલ નહીં થાય. તમારી રીતે ગાવ.’

બી.એમ.વ્યાસે ૧૯૪૪માં ગાયેલા એ ગીતની ઝલક ૨૦૦૮માં ફરી, એવા જ આરોહઅવરોહ સાથે ગાઇ બતાવી. ‘પૂરવસે સૂરજ નીકલા’ એવા તેના શબ્દો હતો. અચાનક શું થયું, તે સંગીતકાર ખેમચંદ પ્રકાશ કહે,‘હું પણ આ ગીત ગાઇશ.’

એ પ્રસંગનું વર્ણન કરતાં વ્યાસજીએ કહ્યું,‘ખેમચંદ ચલમ તો પીતા જ હતા. એ વખતે શરાબ આવ્યો. તેમણે અને બીજા કેટલાક સાજિંદાઓએ એક બોટલ પૂરી કરી. પછી ખેમચંદે ગાયું. ગાતાં વચ્ચે ખાંસી આવી ગઇ. એટલે કટ. બીજી બોટલ આવી. ખેમચંદે ફરી ગાયું. એમ કરીને રેકોર્ડિંગ પૂરું થયું. બીજા દિવસે ચંદુલાલ શાહે મારું અને ખેમચંદજીનું- બન્નેનાં ગીત સાંભળ્યાં. પણ છેવટે ફિલ્મ માટે એ ગીત માસ્ટર અશરફખાને ગાયું.’

બી.એમ.વ્યાસનાં અંગત સંસ્મરણોમાંથી ફિલ્મસંગીતના ઇતિહાસની ઝીણી પણ અજાણી વિગતો ખુલી રહી હતી. તેમણે કહ્યું, ‘એક પિક્ચર હતું ‘નૌલખા હાર’. એનો હીરો ગુજરાતી હતો, ગીતો (વચેટ ભાઇ) ભરત વ્યાસનાં ગીતો હતાં અને સંગીત માટે કલકત્તાથી ખાસ આર.સી.બોરાલને બોલાવ્યા હતા. તેમણે મારો અવાજ સાંભળીને ભરત વ્યાસને કહ્યું,‘આપને ઇનકો એક્ટિંગમેં ક્યૂં ડાલા? યે અચ્છા ગાતેં હૈ. મૈં એક ગાના લુંગા.’

‘હમરાઝ’ના હિંદી ફિલ્મ ગીતકોશમાં ‘નૌલખા હાર’ (૧૯૫૩)નું સંગીત ભોલા શ્રેષ્ઠના નામે છે. વ્યાસજીના મતે, ‘ભોલાએ હિંદી ન જાણતા બોરાલને મદદ કરી હશે. કદાચ થોડી ટ્યુન પણ બનાવી હોય, પણ મારા ગીતની ટ્યુન આર.સી.બોરાલની હતી.’ આ ગીતનો ઉલ્લેખ જોકે ગીતકોશમાં મળતો નથી. ‘ગુજરાતી હીરો’ તરીકે ‘અરવિંદ’ નું નામ છે, જે અરવિંદ પંડ્યા હોઇ શકે.

જયંત દેસાઇની ફિલ્મ ‘મહારાણા પ્રતાપ’ (૧૯૪૬)માં ‘પૃથ્વી થિએટર્સ’ના સાથી સંગીતકાર રામ ગાંગુલીનું સંગીત હતું. તેમાં પણ પોતે એક ગીત ગાયું હોવાનું બી.એમ.વ્યાસે જણાવ્યું હતું. (ગીતકોશમાં એનો ઉલ્લેખ નથી.)
B.M.Vyas as Ravan / રાવણની ભૂમિકામાં બી.એમ.વ્યાસ
તેમની કારકિર્દી અલબત્ત અભિનેતા તરીકે જામી. ‘પૃથ્વી થિએટર્સ’ના ‘શકુંતલા’ નાટકમાં કણ્વની ભૂમિકાનો એમાં ઘણો ફાળો હતો. સાથોસાથ, યુવાન બી.એમ.વ્યાસને વૃદ્ધ પાત્રો મળવા લાગ્યાં, એ કણ્વની સફળ ભૂમિકાથી થયેલું નુકસાન હતું. પૃથ્વીરાજનાં ‘દીવાર’, ‘પઠાણ’, ‘આહુતિ’, ‘ગદ્દાર’ જેવાં નાટકોમાં કામ કરીને બી.એમ.વ્યાસ હિંદી ઉપરાંત ઉર્દુમાં પણ સંવાદો બોલતા થઇ ગયા. એક નાટકમાં તેમણે ભજવેલી મૌલાનાની ભૂમિકાથી પ્રભાવિત થઇને કેદાર શર્માએ તેમને ‘શોખિયાં’(૧૯૫૧) ફિલ્મમાં બાબા ગનીનું પાત્ર આપ્યું. એ ફિલ્મનો એક લાંબો લચ્છાદાર ઉર્દુ સંવાદ મુલાકાત દરમિયાન બી.એમ.વ્યાસે જે રીતે બોલી બતાવ્યો, એ જોઇને ફક્ત તેમની યાદશક્તિ કે તંદુરસ્તી માટે નહીં, જુસ્સા માટે પણ માન થાય.

ફિલ્મોમાં કામ મળવા લાગ્યું, એટલે ‘પૃથ્વી થિએટર્સ’માં ખાડા પડતા હતા. ત્યાં બી.એમ.વ્યાસ માસિક રૂ.૭૫થી શરૂ કરીને રૂ.૩૦૦ સુધી પહોંચ્યા હતા, પણ તેમની અને (રાજ કપુરના ડાન્સ ડાયરેક્ટર બનેલા) સત્યનારાયણની ગેરહાજરીને કારણે, મેનેજરના આગ્રહથી પૃથ્વીરાજે એ બન્નેને નોટિસ આપી. તેમાં લખ્યું હતું, ‘આપકે પંખ આ ગયે હૈં. આપ ફિલ્મલાઇનમેં ઉડીયે. દો રૂપિયા મહિના ફિર ભી આપકો પૃથ્વી થિએટર્સસે મિલેગા ઔર આપ ગાડી લેકે નીકલેં તો મુઝે લિફ્‌ટ દીજીયે. કભી ભી કામ કરના ચાહેં તો સ્વાગત હૈ..મેરી શુભકામના હૈ.’

રાજ કપુર અને સજ્જન જેવા કલાકારો અગાઉ ‘પૃથ્વી થિએટર્સ’ છોડી ચૂક્યા હતા- અને પૃથ્વીરાજે જ્યારે પણ કામ કરવું હોય ત્યારે ‘પૃથ્વી’ના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. એટલે બી.એમ. વ્યાસના મનમાં ખટકો ન હતો. રાજ કપુરે તો તેમને ‘બરસાત’માં નરગીસના પિતાની ભૂમિકા પણ આપી હતી.

મઝાની વાત એ છે કે આ ગાળામાં બી.એમ.વ્યાસને બ્રિજમોહન અથવા વ્યાસ - એ નામે ક્રેડિટ મળતી હતી, પણ લોકોના મનમાં નામ નોંધાતું ન હતું. એટલે ‘રાજરાની’ (૧૯૫૦)માં તેમણે આખા નામનો આગ્રહ રાખ્યો. પેપરમાં ફિલ્મની જાહેરખબર આપવાની આવી, એટલે નિર્માતા શેઠ જગતનારાયણના મેનેજર કહે,‘તમારું આટલું લાંબું નામ- બ્રિજમોહન વ્યાસ- કેવી રીતે આપવું? કંઇક ટૂંકું કરો.’  વ્યાસજીએ કહ્યું,‘એ વખતે મને એક નિર્માતા યાદ આવ્યા. એમનું નામ વી.એમ.વ્યાસ હતું, એટલે મેં મારું નામ રાખ્યું ઃ બી.એમ.વ્યાસ’.

‘બરસાત’માં રૂ.૧ હજાર અને ‘બૈજુ બાવરા’માં રૂ.૨ હજાર મહેનતાણું મેળવનાર બી.એમ.વ્યાસને ‘આવારા’માં એક ભૂમિકા મળી. ‘રાજ કપૂરે મને રોલ સંભળાવ્યો એટલે મેં કહ્યું કે તુમ અપને ઉપર હી કેમેરા રખતે હો. ફિર હમારા ક્રેડિટ કૈસે બનેગા? બડા રોલ દો.’ (‘પૃથ્વી થિએટર્સ’ના સંબંધના નાતે વ્યાસજી રાજ કપૂરને આવું કહી શકે એમ હતા.) રાજ કપૂરે કહ્યું, ‘બડા રોલ પાપાજી કર રહે હૈં. મૈં આપકો ઐસા રોલ દેતા હું કિ આપ પાપાજીકો ડાંટતે હો.’

બી.એમ.વ્યાસે રાજ કપૂરને કહ્યું,‘ઉસસે ક્યા હોતા હૈ? સીન દો હી હૈ.’ પછી ફ્‌લેશબેકમાંથી બહાર આવીને વ્યાસજીએ કહ્યું,‘રાજ કપૂરનું પિક્ચર છે. બે સીન તો બે સીન. લોકો જોશે તો ખરા. એમ વિચારીને મેં હા પાડી. એટલે રાજ કપૂરે કહ્યું, કાલા ઘોડા (રાજ કપૂરના દરજીને ત્યાં) સૂટનું માપ આપીને આવી જાવ.’ આટલી ભૂમિકાનું તેમને રૂ.૨ હજાર મહેનતાણું મળ્યું.

‘પૃથ્વી થિએટર્સ’માંથી કંઇક માથાકૂટ પછી છૂટા થયેલા રમેશ સહગલે બી.એમ.વ્યાસને કહ્યું હતું,‘થિએટર છોડ દો. રોલ દિલવા દુંગા. ૧ એક હજાર રૂપિયા દિલવાઉંગા.’ પણ વ્યાસજીએ ‘પૃથ્વી થિએટર’ ન છોડ્યું. રમેશ સહગલ ચેતન આનંદ સાથે જોડાયા ત્યારે તેમના સૂચનથી ચેતન આનંદે મહિને રૂ.૧ હજારના પગારે બી.એમ.વ્યાસને ‘નીચા નગર’માં કામ આપ્યું, જે ત્રણ-ચાર મહિના ચાલ્યું. વી.શાંતારામની યાદગાર ફિલ્મ ‘દો આંખે, બારહ હાથ’માં વ્યાસ છમાંના એક કેદી બન્યા. મહેનતાણું મહિને રૂ.૩૦૦, જે લગભગ બે વર્ષ માટે મળ્યું. આમીરખાનના પિતા તાહિરખાન નાટકના કલાકાર તરીકે વ્યાસજીને ઓળખે. તેમના સૂચનથી ભાઇ નાસીરખાને ‘તુમસા નહીં દેખા’માં રોલ આપ્યો. હરીશ રધુવંશીએ તૈયાર કરેલી ફિલ્મોગ્રાફી પ્રમાણે, પાંચ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. દક્ષિણના નિર્માતાની ફિલ્મ ‘દુલ્હે’માં મળેલું રૂ.૧૫ હજારનું મહેનતાણું અભિનેતા વ્યાસજીની કારકિર્દીની સૌથી મોટી રકમ હતી.

આ બધી પ્રતિષ્ઠિત ફિલ્મો ઉપરાંત ‘સંપૂર્ણ રામાયણ’માં રાવણ તરીકે બી.એમ.વ્યાસ અત્યંત લોકપ્રિય બન્યા. કઠણાઇ એ થઇ કે ‘સંપૂર્ણ રામાયણ’ પછી તેમની પર ‘પૌરાણિક’ રોલનો ઠપ્પો લાગી જતો, ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’માં ચોરના સરદાર બને એટલે ‘ફેન્ટસી’ ફિલ્મોનાં કામ આવી પડતાં અને ‘ચંદ્રગુપ્ત’માં કામ કરે એટલે ઐતિહાસિક ભૂમિકાઓમાં ગણતરી થતી. એક યા બીજા સિક્કાને કારણે મુખ્ય ભૂમિકા કરવાની બી.એમ.વ્યાસને કદી તક મળી નહીં.
B.M.Byas (L) with Bharat Vyas/ બી.એમ.વ્યાસ અને ભરત વ્યાસ
ભલું થજો ગીતકાર ભાઇ ભરત વ્યાસનું. ‘કવિરાજા કવિતાકે અબ મત કાન મરોડો, ધંધેકી કુછ બાત કરો, કુછ પૈસે જોડો’ (‘નવરંગ’) લખનાર ભરત વ્યાસે આગ્રહ કરીને વીલેપાર્લેમાં મીઠીબાઇ કોલેજની સામેના મુખ્ય રસ્તા પર જમીન લેવડાવી. તેમનું પોતાનું ઘર પણ થોડા પ્લોટ દૂર હતું. એ જમીન પર શક્તિ પ્રમાણે બાંધેલું ઘર, પાંચ વર્ષ પહેલાં અમારી મુલાકાત વખતે સોનાના ટુકડા જેવું બની ચૂક્યું હતું. હાલમાં બી.એમ.વ્યાસ એ ઘર કાઢીને પરિવાર સાથે કલ્યાણમાં રહે છે. પૃથ્વીરાજ કપૂરની શતાબ્દિ નિમિત્તે ‘પૃથ્વી થિએટર્સ’માં યોજાયેલા સમારંભમાં સંજના કપૂરે વ્યાસજીને ખાસ આગ્રહથી બોલાવ્યા, સન્માન્યા અને તેમની પાસે એક ગીત પણ ગવડાવ્યું. એ સિવાય મોટા ભાગનો ફિલ્મઉદ્યોગ ભલે તેમને ભૂલી ચૂક્યો હોય, પણ આવતી કાલે ૯૨ વર્ષ પૂરાં કરીને ૯૩મા વર્ષમાં પ્રવેશનાર વ્યાસજીના ચાહકોની યાદદાસ્ત એટલી તકલાદી નથી.

2 comments:

  1. Very good article... Urvish. In my mind B M Vyasji is fixed as Ravan since the first film I remember seeing is probably Sampoorn Ramayan. It had run for more than 25 weeks in Pratap Talkies of Baroda.
    There I heard for the first time famous Darbar Band of Baroda. It was, on that evening of Sunday of the 25th week, playing songs from films like Junglee of those years in its compound, I distinctly remember. Convey my Happy Birthday Wishes to the real veteran of Hindi Cinema.

    ReplyDelete
  2. What a great summing-up piece! Enjoyed all the tidbits!

    ReplyDelete