Wednesday, October 17, 2012

જમાઇઃ (દસમો) ગ્રહ કે ઉપગ્રહ?


મિલમાલિકોના અમદાવાદમાં એક આખી સોસાયટીનું નામ  ‘જમાઇપુરા‘ હોવાનું સાંભળ્યું હતું. કારણ કે તેમાં શેઠોએ શાનથી પોતાના જમાઇઓને  વસાવ્યા હતા. દિલ્હીમાં જમાઇઓને સમર્પીત કોઇ રસ્તો છે કે કેમ? હોય તો હજુ સુધી જાણવા મળ્યું નથી. મર્હૂમ ફિરોઝ ગાંધી તેમના સસરા જવાહરલાલ નેહરુની સામે પડવાને બદલે સાથે રહ્યા હોત તો દિલ્હીમાં એકાદ રસ્તાનું નામ ‘દામાદ માર્ગ’ પડવાની પૂરી સંભાવનાઓ રહેત.

વિદેશી લેખકો-ચિત્રકારોએ સુપરમેન ને સ્પાઇડરમેન જેવાં કાલ્પનિક પાત્રો શોઘ્યાં, તે પહેલાં ભારતીય સમાજવ્યવસ્થામાં એ બધાને ટક્કર મારે એવું ‘સુપર’ પાત્ર શોધાઇ ચૂક્યું હતું: જામાતૃ ઉર્ફે જમાઇ ઉર્ફે દામાદ. ફેન્ટમની કથાઓથી પરિચિત વાચકો જાણતા હશે કે ફેન્ટમ કોઇ એક વ્યક્તિનું નામ નથી. ફેન્ટમ બીજા સુપરહીરોની જેમ અમર પણ નથી. એક ફેન્ટમ મૃત્યુ પામે એટલે તેની જગ્યા નકાબ પહેરી લેનાર અનુગામી ફેન્ટમ બની જાય છે. ભારતના સામાજિક સુપરહીરો જમાઇના મામલે પણ એવું જ છેઃ જમાઇ કોઇ એક ચોક્કસ વ્યક્તિનું નામ નથી. લગ્ન કરનાર દરેક યુવક હોદ્દાની રૂએ જમાઇ બની જાય છે. એ બીજા માણસો જેવો જ માણસ છે. તેનામાં દેખીતી રીતે સુપરપાવર જેવાં કોઇ લક્ષણ દેખાતાં નથી. એમ તો, સુપરમેન કે સ્પાઇડરમેન ‘સિવિલ ડ્રેસ’માં હોય ત્યારે ક્યાં સુપરહીરો જેવા લાગે છે?

સંસ્કૃતમાં- એટલે કે પ્રચલિત સમીકરણ પ્રમાણે ‘શાસ્ત્રોમાં’- જમાઇને દસમો ગ્રહ ગણાવ્યો છે. અમસ્તું ભારત ખગોળવિદ્યામાં પહેલેથી આગળ. એટલે ભારતીયોને આવી ઉપમા સૂઝે તેની નવાઇ ન લાગવી જોઇએ. જમાઇને આ બહુમાન આપવા પાછળ જોકે ખગોળ નહીં, પણ જ્યોતિષ જવાબદાર છે. જ્યોતિષ પ્રમાણે, માણસના ગ્રહો સીધા ચાલે તો વાંધો નહીં, પણ જો ગ્રહો વંકાયા તો માણસ હેરાન થઇ જાય. (જ્યોતિષીઓને જલસા થઇ જાય એ જુદી વાત થઇ.)

ગ્રહો સામાન્ય રીતે સીધા ચાલવા જાણીતા નથી. થોડી છૂટછાટ સાથે કહી શકાય કે વંકાતા ગ્રહોની જ નોંધ લેવાય છે અને તેમને ભાવ મળે છે. જ્યોતિષ અને ખગોળ - બન્ને શાસ્ત્રોથી અપરિચિત એવા જમાઇઓ પણ આ હકીકત બરાબર જાણતા હોય છે. એટલે જૂના વખતમાં- અને ઘણા કિસ્સામાં હજુ પણ- વંકાવું એ જમાઇનો ધર્મ છે એવું સ્વીકારાયેલું છે.

સમાચારની જૂની ને જાણીતી વ્યાખ્યા છે,‘કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે.’ આ વાત પૂરેપૂરી સાચી નથી. રાહુલ ગાંધીને કે નીતિન ગડકરીને કે જયલલિતા માણસ છે તેનો ભાગ્યે જ ઇન્કાર થઇ શકે. છતાં તેમને કૂતરું કરડે તો એ ચોક્કસ સમાચાર કહેવાય. આ જ તરાહ પર સમાચારની સામાજિક વ્યાખ્યા કરી શકાયઃ ‘જમાઇ સાસરિયાંને કનડે એ સમાચાર નથી, પણ સાસરિયાં જમાઇને કનડે તે સમાચાર છે.’ આ વ્યાખ્યા હવે પૂરેપૂરી પ્રસ્તુત નથી. છતાં, ઘણા જમાઇઓને- અને તેમનાં સાસરિયાંને પણ- લાગે છે કે જમાઇનું જમાઇપણું વંકાવામાં સમાયેલું છે. ઊંડા ઉતરી ગયેલા સંસ્કારને પરિણામે, ઘણી વાર બને છે પણ એવું કે તીખાશ વગરના મરચાની કે ખારાશ વગરના મીઠાની તેમ જમાઇપણા વગરના જમાઇની પણ કદર થતી નથી. આપણી સૂર્યમાળામાં પ્લુટોને જેમ એક વાર ગ્રહ ગણ્યા પછી તેનામાં યથાયોગ્ય લક્ષણ ન દેખાતાં ગ્રહ તરીકેનો તેનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો, એવું કેટલીક વાર જમાઇસિદ્ધ વિશેષાધિકારોનો ભોગવટો ન કરતા જમાઇઓની બાબતમાં પણ બને છે.

પહેલાંના સમયમાં જમાઇઓના નામ પાછળ લાલ, ચંદ્ર, શેઠ, કુમાર જેવાં લટકણિયાં માનાર્થે લગાડવામાં આવતાં હતાં. ઘણા જમાઇઓ માટે તે ‘રાયબહાદુર’ કે ‘સર’ જેવા ખિતાબોની ગરજ સારતાં. ‘ફલાણાભાઇ’ને બદલે ‘ફલાણાચંદ્ર’ કે ‘ફલાણાલાલ’, ભલે લાગવા ખાતર તો એવી રીતે પણ, કેવું ભવ્ય લાગતું? જમાઇનું નામ બોલતાં મોઢું ભરાઇ આવતું અને બોલનાર-સાંભળનાર એમ બન્ને પક્ષેથી ગૌરવના ફુવારા ઉડતા હતા. જમાઇ અને ખગોળશાસ્ત્ર વચ્ચે સંબંધ  સ્થાપવા ઉત્સુક લોકો ‘ચંદ્ર’ શબ્દને શબ્દાર્થમાં લેતા હતા અને જમાઇની ગેરહાજરીમાં એવું અર્થઘટન કરતા કે ‘આ જમાઇ સાસરીપક્ષનો ઉપગ્રહ હોય તેમ સાસરિયાંની આજુબાજુ જ ફર્યા કરે છે.’

પોતાના જમાઇ ‘કુછ ખાસ’ છે એવી લાગણી દેખીતી રીતે પિતૃસત્તાક માનસિકતાની નીપજ લાગે, પરંતુ તેની પાછળ ઘણી વાર  ‘અમારી પસંદગી કંઇ જેવીતેવી હોય?’ - એવું કન્યાપક્ષનું ગૌરવભાન પણ કામ કરી જતું. ગુજરાતના નાગરિકો જાણે છે કે ગૌરવને ફાયદા સાથે કશો સંબંધ હોવો જરૂરી નથી. બલ્કે, નુકસાન થતું હોય તો પણ, ગૌરવ લેવાની એકેય તક ચૂકવી જોઇએ નહીં. એ જ ક્રમ જમાઇચાલીસામાં લાગુ પાડવામાં આવતો હતો. હજુ આ રિવાજ ભૂતકાળ બન્યો નથી.

પિતૃસત્તાક એવા ભારતમાં પત્નીના ભાઇ ઉર્ફે સાળાની પૂરતી બદનામી થઇ ચૂકી છે, પરંતુ જમાઇને હંમેશાં માનાર્થે ઉલ્લેખવામાં આવે છે. (મુખ્યત્વે સરકારી નોકરીમાં) કામ કરવાનું બને ત્યાં સુધી ટાળતા અને પગાર ઉપરાંત તમામ સુવિધાઓ લેવામાં ઉત્સાહી લોકોને માનાર્થે ‘સરકારના જમાઇ’ તરીકે ઓળખવામાં આવે છે. જમાઇને કંઇ પણ કરવાનું (અથવા તો નહીં કરવાનું), છતાં પૂરો લાભ ખાટવાનું લાયસન્સ છે, એવું આ પ્રયોગ થકી સ્વીકારી લેવાયું છે. તેમની સરખામણીમાં પત્નીનો ભાઇ સાળો સત્તાના અને સંબંધના દુરુપયોગ માટે ગવાયેલો છે. ‘સધરા જેસંગનો સાળો’ અને ‘સધરા જેસંગના સાળાનો સાળો’ એવી નવલકથાઓ લખાય છે ને ‘શેઠનો સાળો’ જેવા શબ્દપ્રયોગો થાય છે, પણ ‘સધરા જેસંગના જમાઇનો જમાઇ’ કે ‘બોસનો જમાઇ’ જેવો શબ્દપ્રયોગ સાંભળ્યો છે કદી? જમાઇ માટે કંઇક ટીકા-કંઇક હાંસીના ભાવથી વપરાતો એકમાત્ર પ્રયોગ ‘ઘરજમાઇ’ પણ બદલાયેલા સમયમાં આઘુનિકતા, પ્રગતિશીલતા અને સ્ત્રીસમાનતા જેવા ગુણ દર્શાવનારો બન્યો છે.

વર્તમાન સમયમાં જોવા મળતા જમાઇઓના કેટલાક પ્રચલિત પ્રકારઃ (નોંધઃ આ યાદીમાં સૌ પોતપોતાના અનુભવ પ્રમાણે સુધારાવધારાઉમેરા કરી શકે છે.)

પુત્રવત્‌ ‘કુમાર’:  ‘સુધરેલા’ કે ‘મોડર્ન’ પરિવારોમાં જમાઇ ‘છોકરા જેવો’ હોવાનું ભારે ગૌરવથી જાહેર કરવામાં આવે છે. આઘુનિક દેખાવાના શોખીન જમાઇઓ આ ઓળખને હોંશથી અપનાવે છે. આ પ્રકારનો દેખીતો અર્થ સૌ જાણે છેઃ એવો જમાઇ જેની હાજરીનો ઘરમાં ભાર ન લાગે અને જેના માટે લાલ જાજમ પાથરવી ન પડે.

પરંતુ પુત્રોના માતાપિતા સાથેના સંબંધોનાં બદલાતાં ગણિત જોતાં,  બીજાં અર્થઘટનો માટે પણ અવકાશ રહે છે. જેમ કે, એક નાટકીય સંવાદમાં ઔરંગઝેબ શિવાજીને કહે છે કે ‘હું તમને મારા ભાઇ જેવા ગણું છું.’ જવાબમાં શિવાજી કહે છે,‘તમે તમારા ભાઇઓ સાથે કેવો વર્તાવ કર્યો હતો એનો મને બરાબર ખ્યાલ છે.’ (ઔરંગઝેબે પોતાના ભાઇઓને મારી નાખ્યા હતા).

એટલે જમાઇ ‘છોકરા જેવો’ છે એ જાહેરાત સાંભળ્યા પછી, છોકરા કેવા છે એની તપાસ કરવા જેવી લાગે તો શરમાવું નહીં.

છાપરે ચડાવેલા ‘કુમાર’: મઘુ રાયના જાણીતા નાટકનું નામ ‘કુમારની અગાસી’ છે, પણ ઘણા ‘કુમારો’ ઉર્ફે જમાઇઓને સાસરિયાં દ્વારા જે રીતે છાપરે ચઢાવવામાં આવે છે, એ જોતાં ‘કુમારનું છાપરું’ જેવા કોઈ સામાજિક પ્લોટ માટે પૂરતો અવકાશ છે. બોસની ટેવો બગાડતા કર્મચારીઓની જેમ, ઘણાં સાસરિયાં તેમના કુમારોની ટેવો વકરાવી મૂકે છે અને પોતે દીકરીના હિત માટે કેટલો મોટો ભોગ આપે છે, તેનો મનોમન સંતોષ લે છે. આ પ્રકારમાં એક પેટાપ્રકાર ‘મિજાજી કુમાર’નો છે. એ સાસરે જાય ત્યારે જાણે પોતાના આખા વર્ષનો ગુસ્સે થવાનો અને ખોટું લગાડવાનો ક્વોટા પૂરો કરવા ગયા હોય એવું લાગે છે. બસ-ટ્રેન મોડી પડવાથી માંડીને, વાહનમાં પંક્ચર પડવાથી માંડીને સાસરી પક્ષના શહેર (ટાઉન-ઇન-લૉ)માં આડેધડ ટ્રાફિક સુધીના કોઇ પણ મુદ્દે એ સાસરિયાંથી નારાજ થઇ શકે છે અથવા તેમનાથી મોં ચડાવી શકે છે.

લેણદાર ‘કુમાર’: હજુ સુધી કોઇનું આવું નામ સાંભળ્યું નથી, પણ આવું ઉપનામ ઘણાનું હોઇ શકે.  કારણ કે તેમને મન લગ્ન કરવું એ કોઇ પેટન્ટ મેળવવા જેવી સિદ્ધિ હોય છે. ત્યાર પછી પેટન્ટ પર વખતોવખત  હકપૂર્વક તગડી રોયલ્ટી વસૂલ કરવી, એ જ તેમનો જમાઇધર્મ બની રહે છે. બાઇક, કાર અને ફ્‌લેટથી માંડીને નાનામાં નાની વસ્તુઓ સાસરિયાં પાસે તે એટલા અધિકારથી માગે છે, જાણે તેમના દાદાનું કન્યાના દાદા પાસે લેણું નીકળતું હોય.

ભવ્ય બિચારા ‘કુમાર’: મજબૂરી શું હંમેશાં કન્યા પક્ષે જ હોય છે? લોકો ભલે એવું માને, કેટલાક જમાઇઓની મજબૂરી અમિતાભ બચ્ચન કે ઐશ્વર્યા રાયની સમસ્યાઓ જેવી ભવ્ય હોય છે. જેમ કે, ઘણા જમાઇઓ પોતાનાં સગાંસ્નેહીઓ સમક્ષ ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’નો જીવનસિદ્ધાંત અપનાવવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરે છે. એ ખ્યાલ પ્રમાણે તેમણે બસમાં કે બહુ તો સ્કૂટર પર ફરવાનું હોય, પણ હાય રે મજબૂરી! તેમનાં સાસરિયાં એટલાં દુષ્ટ હોય છે કે તે ‘કુમાર’ને કાર સિવાય ફરવા દેતાં નથી. આવા કુમારો સાદા ફ્‌લેટમાં રહેવા ઇચ્છે છે, પણ અફસોસ! દુષ્ટ સાસરિયાં આ બાબતમાં પણ તેમને ફાવવા દેતા નથી. એ ધરાર તેમને બંગલામાં વસાવે છે. ભવ્યતા અને મજબૂરીનો સંગમ દુર્લભ હોવાને કારણે ભવ્ય મજબૂર ‘કુમારો’નું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ તેમનું માહત્મ્ય જરાય ઓછું હોતું નથી.

2 comments:

  1. Anonymous7:00:00 AM

    Son-in-law of a high profile and a son-in-law who is blessed with a belt in his neck, is nothing but a exhibit of black-economy.

    ReplyDelete