Tuesday, October 16, 2012

સમસ્યાઉકેલની ‘ નિર્મલબાબા પદ્ધતિ’


ધરમનો ધંધો કરનારાં ભારતનાં અનેક બાવા-બાવી-બાપુ-માતાઓમાં નિર્મલબાબાનું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ આશીર્વાદ આપવા માટે માથે પગ મૂકીને, તો કોઇએ ફૂંકેલું પાણી આપીને લોકોનાં દુઃખદર્દ મટાડવાનો ધંધો - કે ધંધા- કર્યા હતા. પરંતુ હાસ્યાસ્પદતાની બાબતમાં નિર્મલબાબા એ સૌને ટપી ગયા. ટીવી પર આવતો નિર્મલબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘કોમેડી સરકસ’ જેવા કાર્યક્રમ જોવાની જરૂર ન પડે. લોકોની સમસ્યાના નિર્મલબાબા દ્વારા સૂચવાતા મૌલિક ઉકેલો સાંભળીને સ્વસ્થ માણસ બે ઘડી આંખો ચોળતો અને ‘જે જોઉં છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. નિર્મલબાબાના દરબારમાં બબ્બે હજાર રૂપિયા ચૂકવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુદ્ધિ- અરે, સાદીસીધી સામાન્ય બુદ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.

નિર્મલબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને પાણીપુરી ખાવાનો, તો કોઇને સમોસા સાથે લાલને બદલે લીલી ચટણી ખાવાનો ઇલાજ સૂચવે. કોઇને કહે કે મેળામાં વાંસળી વેચતા છોકરા પાસેથી વાંસળી ખરીદજો, તો કોઇને કહે કે પાકિટ ડાબા ખિસ્સાને બદલે જમણા ખિસ્સામાં મૂકજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.

મઝાની વાત એ છે કે નિર્મલબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને છેતરપીંડી કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક ખ્રિસ્તી પ્રચારક આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને નિર્મલબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે હિંદુવિરોધી છો...’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)

‘નિર્મલકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, અમર્ત્ય સેનના જાણીતા  પ્રયોગ (‘આર્ગ્યુમેન્ટેટીવ ઇન્ડિયન’) પ્રમાણે, ચર્ચાપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘નિર્મલબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.

હરિયાણાની હાસ્યાસ્પદ કરુણતા

નિર્મલબાબા ફક્ત તેમને પૂછાયેલા અંગત સવાલોના હાસ્યાસ્પદ-અતાર્કિક જવાબો આપે છે, પણ દેશના જાહેર જીવનમાં રહેલાં ઘણાં લોકો-પક્ષો-સંસ્થાઓ નિર્મલબાબાને સારા કહેવડાવે એવું વલણ જાહેર પ્રશ્નો પ્રત્યે દાખવે છે. તાજો દાખલો હરિયાણાનો આપી શકાય. એક જ મહિનામાં યુવતીઓ પર બળાત્કારના ૧૭ કેસ નોંધાતાં, હરિયાણા  વિવાદના કેન્દ્રમાં આવ્યું.

‘ખાપ પંચાયત’/Khap તરીકે ઓળખાતાં હરિયાણાના જાટ લોકોનાં જ્ઞાતિપંચ પાસે આ સમસ્યાનો ‘નિર્મલીય’ ઉકેલ તૈયાર હતો. તેમના પ્રવક્તાએ પૂરી ગંભીરતા સાથે (‘લાલને બદલે લીલી ચટણી ખાવ’ના અંદાજમાં) કહ્યું કે ‘ટીવી-ઇન્ટરનેટ-મોબાઇલ ફોનને કારણે છોકરાંની વૃત્તિઓ બહેકવા માંડે છે, પણ કાયદાના બાધને કારણે નાની ઉંમરે લગ્ન થઇ શકતાં નથી. એટલે પછી બળાત્કાર અને સામુહિક બળાત્કારના કિસ્સા બને છે. એ નીવારવા માટે લગ્નવય ઘટાડીને ૧૬ વર્ષ કરી નાખવી જોઇએ. એટલે ત્યાર પછી છોકરાં હરાયાં ન ફરે.’

તેમનો ઉકેલ જાણીને એવું લાગે, જાણે ફક્ત હરિયાણામાં જ લગ્નવયમર્યાદાનો કાયદો હશે, જેના પાપે ત્યાં મહિનામાં સત્તર બળાત્કારના કિસ્સા બને છે. બાકીના દેશમાં આ જ કાયદો હોવા છતાં  હરિયાણા જેટલી અરાજકતા કેમ નથી? એ વિશે વિચારવાની ‘ખાપ પંચાયતો’ને શી જરૂર? છોકરીની મરજી વિરુદ્ધ તેની પર જોરજુલમી કે સામુહિક જુલમ થાય એ ‘ખાપ’ પંચાયતને મન મુદ્દો જ નથી. તેમના પ્રવક્તાના વિધાનનો અર્થ એવો પણ થાય કે ‘તમે બિચારા છોકરાઓને ૨૧ વર્ષ સુધી પરણવા ન દો, તો પછી કુદરતી ઇચ્છાઓથી પ્રેરિત છોકરા બીજું શું કરે?’ આ મઘ્ય યુગ નહીં પણ એકવીસમી સદી ચાલી રહી છે રાજાશાહી નહીં પણ લોકશાહી છે, આ ફક્ત છોકરાઓની ઇચ્છાપૂર્તિનો નહીં, છોકરીઓના સ્વમાનનો અને સ્વત્વનો સવાલ છે- એવા ખ્યાલો ‘ખાપ પંચાયત’ માટે અજાણ્યા છે.

માની લો કે ખાપ પંચાયત તો લોકશાહી માળખાથી બહારની, મઘ્ય યુગની માનસિકતા ધરાવતી સંસ્થા તરીકે કુખ્યાત છે, પણ લોકશાહી માળખામાં રહેલાંનું શું? હરિયાણામાં કોંગ્રેસની સરકાર છે. પોતાના રાજમાં આટલી મોટી સંખ્યામાં બળાત્કારો થાય તે વિશે હરિયાણા કોંગ્રેસના નેતાઓ શું કહે છે? પંજાબ કોંગ્રેસના પ્રવક્ત ધરમબીરે પત્રકાર પરિષદમાં બહાદુરીપૂર્વક જાહેર કર્યું, ‘મને એ કહેવામાં જરાય ખચકાટ નથી કે સામુહિક બળાત્કારના ૯૦ ટકા કિસ્સામાં, છોકરી એક જણ સાથે સંબંધ માટે પોતાની મરજીથી તૈયાર હોય છે, પણ પછી તે બીજા વાસનાગ્રસ્ત લોકોનો ભોગ બની જાય છે.’ આ વાક્યનું ‘ગુજરાતી’ એવું થાય કે ‘છોકરી એક જણ સાથે પોતાની મરજીથી સંબંધ બાંધવા તૈયાર હોય અને એની પર સામુહિક અત્યાચાર થાય તો ભોગ એના.’

ત્યાર પહેલાં સત્તાધારી પક્ષના એક નેતાએ તત્કાળ કહી દીઘું હતું કે ‘આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે.’ હરિયાણા હોય કે ગુજરાત, સવાલ એ થાય કે સરકારને બદનામ કરવાનાં કાવતરાં આટલાં બધાં ઘડાતાં હોય અને સરકાર પોતે એવું માનતી હોય, તો પછી એ ‘કાવતરાખોરો’ સામે કશાં પગલાં કેમ લેતી નથી? કેમ તમાચા પર તમાચા ખાઇને બેસી રહે છે?

નિર્મલબાબાની હરીફાઇ કરવામાં ભારતીય લોકદળના નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચૌટાલા પાછળ રહે? તેમણે  લગ્નવયમર્યાદા ઘટાડવાના ખાપ પંચાયતના સૂચનને ટેકો આપ્યો. આ મુદ્દે તેમની આકરી ટીકા થઇ, એટલે ચૌટાલાએ ફેરવી તોળ્યું, પણ તેમનો ખુલાસો મૂળ વિધાન કરતાં વધારે નમૂનેદાર હતોઃ ‘મેં પત્રકારોને કહ્યું હતું કે મોગલોના વખતમાં છોકરીઓને ઉપાડી જવામાં આવતી ને તેમની પર અત્યાચાર થતો હતો. આવા બનાવો અને તેમાંથી પેદા થતી ક્ષોભજનક સ્થિતિ ટાળવા માટે પરિવારો પોતાની છોકરીઓને નાની ઉંમરે પરણાવી દેતા હતા.’ આવું વિધાન ચૌટાલાએ કયા સંદર્ભમાં અને કોના ટેકામાં કહ્યું હશે, એ સમજી શકાય એવું છે.

બાકી રહી ગયાં હતાં તે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી પણ હરિયાણા જઇ આવ્યાં. અત્યાચારનો ભોગ બનેલી એક યુવતીને મળ્યાં, પણ કોંગ્રેસી સરકારની નિષ્ફળતાની ટીકા કરવાનું તો બાજુ પર રહ્યું. સોનિયાએ કહ્યું,‘આ બઘું ફક્ત હરિયાણા પૂરતું મર્યાદિત નથી. આખા દેશમાં એ થાય છે.’ આવું કહેતી વખતે તેમને એટલું પણ યાદ નહીં રહ્યું હોય કે દેશ પર તેમના પક્ષની આગેવાની હેઠળની સરકારનું રાજ ચાલે છે? કોંગ્રેસી પ્રવક્તા રેણુકા ચૌધરીએ સોનિયા ગાંધીના વિધાનનો વિચારવિસ્તાર કર્યો. તેમણે કહ્યું, ‘હરિયાણાની કોંગ્રેસી સરકાર પર શા માટે દોષનો ટોપલો ઢોળવો જોઇએ? મહિલાઓ સામેના ગુનાનું પ્રમાણ ફક્ત આપણા દેશમાં જ નહીં, વિશ્વભરમાં વઘ્યું છે. આ પ્રશ્ન સૌ બૌદ્ધિકો માટે પડકારરૂપ છે.’

હરિયાણમાં આટલા મોટા પ્રમાણમાં યુવતીઓ કેમ અત્યાચાર કે સામુહિક અત્યાચારનો ભોગ બને છે? તેમાં દલિત યુવતીઓનું પ્રમાણ કેમ વધારે છે? હરિયાણામાં દલિતો પર અત્યાચારની જૂની અને આકરી પરંપરા તેમાં કેટલે અંશે જવાબદાર છે? અને એ સિલસિલો અટકાવવા માટે વિવિધ રાજકીય પક્ષોની સરકારોએ શું કર્યું? ભારતના બંધારણનો છડેચોક ભંગ કરતી ખાપ પંચાયતો સામે તમામ રાજકીય પક્ષો કેમ મીંદડી બની જાય છે? સામુહિક અત્યાચારોના સિલસિલા પછી આવા સવાલો વિશે ચર્ચા થવાને બદલે, અસરગ્રસ્તોને એ જાણવા મળે છે કે મોગલોના સમયમાં શું થતું હતું અને ફક્ત હરિયાણાં નહીં, ભારતમાં અને વિશ્વભરમાં આ જ ચાલી રહ્યું છે. એટલે કે, આનંદો. તમે દેશ કે દુનિયાથી પાછળ પડી ગયાં નથી.

વ્યાપક ‘નિર્મલતા’

દેશની સમસ્યાઓ સાથે કામ પાડવાની ‘નિર્મલ પદ્ધતિ’ પ્રમાણે, ચોતરફ ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલી સરકારના વડાપ્રધાન ખાનગી કંપનીઓની લેણદેણમાંથી ભ્રષ્ટાચાર મીટાવવાની વાતો કરે છે. વાત ખોટી નથી, પણ એ તેમના મોઢેથી લાલ-લીલી ચટણી જેટલી જ એબ્સર્ડ લાગે છે. કોંગ્રેસપ્રમુખના જમાઇ રોબર્ટ વાડ્રા, ડીએલએફ અને હરિયાણા સરકાર વચ્ચેના આર્થિક વ્યવહાર અંગે પ્રશ્નો થાય- અને ફક્ત અરવિંદ ‘આડેધડ’ કેજરીવાલ જ નહીં, આર્થિક અખબારો હિસાબી વિસંગતીઓ ચીંધી બતાવે, ત્યારે કોંગ્રેસી નિર્મલબાબાઓ કેવા જવાબ આપે છે?

એક તરફ જાહેર કરવામાં આવે છે કે રોબર્ટ ‘પ્રાઇવેટ સિટિઝન’ છે અને બીજી બાજુ કેન્દ્રિય મંત્રીઓની આખી ફોજ ટીવી સ્ટુડિયોમાં એક ‘પ્રાઇવેટ સિટિઝન’ને ચોખ્ખાઇનાં પ્રમાણપત્રો આપવા માટે ઉમટી પડે છે. અરવિંદ કેજરીવાલ બેશક બેફામ છે, પણ રોબર્ટની કંપનીના નાણાંકીય વ્યવહારોમાં સારી એવી સમજૂતીની જરૂર હોવાનું, અત્યાર સુધીના દસ્તાવેજો પરથી જણાયું છે. તેની સ્પષ્ટતા કરવાને બદલે, આખો પક્ષ ‘પ્રાઇવેટ સિટિઝન’ના આક્રમક બચાવ માટે ઉતરી પડે છે અને એમ કરીને રોબર્ટ પ્રાઇવેટ સિટિઝન હોવાના દાવાને હાસ્યાસ્પદ બનાવી મૂકે છે. પરંતુ કોઇ પણ હાસ્યાસ્પદ બાબત ગંભીરતાથી રજૂ કરવામાં આવે અને એ ચાલી પણ જતી હોય, ત્યારે નિર્મલબાબાના દરબારની સફળતાને યાદ કરવી.

ગુજરાતના લોકોને જોકે અતાર્કિકતા અને હાસ્યાસ્પદ ગંભીરતા માટે નિર્મલબાબા સુધી લાંબા થવાની જરૂર નથી. દસ વર્ષની સજા કાપીને જેલમાંથી છૂટેલો જણ ‘જોયું? આપણે કેવા બહાર આવી ગયા’ એમ કહીને પોરસાય, કંઇક એવી રીતે, બ્રિટનનો દસ વર્ષનો પ્રતિબંધ દૂર થતાં મુખ્ય મંત્રી ‘દેર આયે, દુરસ્ત આયે’નો હરખ કરે છે. પોતાના મંત્રીમંડળના મંત્રી ફક્ત હિંસા જ નહીં, વ્યાપક હિંસાનું કાવતરું કરવા જેવા ગુનાસર જેલમાં જાય, ચોક્કસ કેસ ગુજરાતને બદલે બીજા રાજ્યની અદાલતમાં ખસેડવામાં આવે, છતાં એ બધા વચ્ચે તેમના વડા એવા મુખ્ય મંત્રી બેદાગ ગણાય છે. ગુજરાતમાં કુપોષણના ઊંચા દરનો પ્રશ્ન આવે ત્યારે મુખ્ય મંત્રી નિર્મલબાબાની અદામાં, તથ્ય કે તર્કની ચિંતા રાખ્યા વિના, કહી દે છે કે ‘ગુજરાત શાકાહારી અને મઘ્મય વર્ગીય (મીડલ ક્લાસ) રાજ્ય છે. મીડલ ક્લાસ આરોગ્ય કરતાં સૌંદર્ય બાબતે વધારે સભાન છે...મા દીકરીને દૂધ પીવાનું કહે તો દીકરી કહે છે કે હું નહીં પીઉં. પીશ તો જાડી થઇ જઇશ...અમે એમાં પરિવર્તન આણવા માગીએ છીએ.’

તેમ છતાં, નિર્મલબાબાના ભક્તોની જેમ મુખ્ય મંત્રીનું ભક્તવૃંદ કાંસીજોડા લઇને મંડી પડે છે કે ‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’

આવતા વર્ષના ‘ભારતરત્ન’ માટે નિર્મલબાબા કેમ રહેશે?

8 comments:

  1. Anonymous10:14:00 PM

    Urbish bhai, aa Gujarat na Baba great to khara pan GILET karvama :) olu kehvay ne ke hajaro madada(ghodhra na nai bija ) upper saras park banavo , olo fuvara vado j to ;)

    ReplyDelete
  2. Anonymous11:09:00 PM

    લોભિયા અને ધુતારા નો પારસ્પરિક બાઝાર.

    ReplyDelete
  3. i vote for NIRMALBABA.....ha ha ha ha

    ReplyDelete
  4. બહુ જ ગંભીર વાત અને બહુ જ નિરાશાજનક ચિત્ર.

    ReplyDelete
  5. મેરે તો મોદી ગોપાલ દુસરો ન કોઇ.. જય ભારતરત્ન

    ReplyDelete
  6. Anonymous7:14:00 PM

    'ગુજરાતના લોકોને જોકે અતાર્કિકતા અને હાસ્યાસ્પદ ગંભીરતા માટે નિર્મલબાબા સુધી લાંબા થવાની જરૂર નથી.'.


    A rigorous fight by riot victims, activists, NGOs, Positive Media, Civil Society in past 10 years, resulted in micro justice which have punctured the myopic political theory of divide and rule.

    Let people of Gujarat exercise their right of franchising their valuable Vote for a matured politics in place of divisive one.

    ReplyDelete
  7. ઉર્વીશભાઈ, ખુબ ખુબ આભાર.. વિષય પરિવર્તન (નિર્મલબાબા થી હરિયાણા થી મોદી"બાબા") કરવા છતાં રસ પરિવર્તન ના થવા દીધું... કારણકે ત્રણેય વિષય ને તમે ખુબ આસાની થી જોડી દીધા (Interlinked)...

    ReplyDelete
  8. A dearth of logic is a national disease and you have very rightly pointed out in various contexts how it is so. Excellent read.

    ReplyDelete