Monday, March 07, 2011

લોકશાહીની સમસ્યાઓ અને સ્વામી આનંદનું નિદાન

swami anand

‘...આમપ્રજા રિદ્ધિસિદ્ધિની છાકમછોળથી જેટલી ને તેટલી છેટી રહી છે. બલ્કે તેની હાલાકી બેસુમાર વધી પડી છે. લાંચરુશ્વત..વગર આજે ડગલું દઇ શકાતું નથી. લાખ કરોડ અબજોની જ ભાષામાં બોલવા લખવા ટેવાઇ ગએલા રાજદ્વારીઓએ અમલદાર વર્ગને, ઉદ્યોગપતિઓને, કંત્રાટી વેપારી તમામને, લાખ કરોડની ભાષામાં જ બોલતા કરી મૂક્યા. હજાર પાંચસે પંદરસે ટકા નફાના મારજીન વગર ઉદ્યોગવાળા આજે વાત કરતા નથી...નીતિ ધર્મ, સંયમ, નિયમ વફાદારીનાં તળિયાં જ ટૂટી પડ્યાં અને તેના તરફદાર બાઘા વેવલા ગણાવા લાગ્યા. દગાફટકાની લાજશરમ કોઇને જ રહી નહિ...આ આયોજનોમાં ખેતી અન્ન ઉત્પાદનની કે પ્રજાનાં ઉછરતાં બાળકોને નવટાંક દૂધ મળે એવી યોજનાઓને પ્રાયોરીટી આપવી કે લોખંડ, સીમેન્ટ, રેડિયો, પ્લાસ્ટિક, પીપરમીન્ટને એટલું પણ તારતમ્ય નથી...’

ઉપરનું લખાણ થોડા સુધારા, બલ્કે બગાડા સાથે, ૨૦૧૧માં પણ યથાતથ લાગુ પડી જાય, તે કરુણ વાસ્તવિકતા છે. પરંતુ અસલમાં એ સ્વામી આનંદના ૧૯૬૫ના ઉદ્‌ગાર છે. પહેલાં લોકમાન્ય ટિળક અને પછી ગાંધીજીના નિકટના સહયોગી બનેલા સ્વામીએ લોકસેવા ખાતર ભગવાં વસ્ત્રો છોડ્યાં હતાં(કારણ કે ભારતમાં ભગવાં વસ્ત્રો પહેરનાર કે ટીલાંટપકાં કરનાર ‘યુનિફોર્મ’ની રૂએ સેવા આપનાર નહીં, પણ સેવા લેનાર બની જાય છે.)

ગાંધીજીના સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા સાથી સ્વામી આનંદ- મૂળ નામ હિંમતલાલ દવે- તેમના સ્પષ્ટ વિચારો અને જાનદાર ગુજરાતી ભાષાને લીધે ગાંધીયુગનો તેજસ્વી સિતારો બની રહ્યા. કાકાસાહેબ કાલેલકર તેમના અભિન્ન મિત્ર. બન્નેએ સાથે હિમાલયનો પ્રવાસ કર્યો હતો. ત્યાર પછી મરાઠી માતૃભાષાવાળા કાકાએ ગુજરાતીમાં ‘હિમાલયનો પ્રવાસ’ લખ્યું અને ગુજરાતીએ સ્વામીએ મરાઠીમાં એ જ વિષય પર લખ્યું. તેમના લેખોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ ગુજરાતી ભાષાનાં સર્વકાલીન શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવો છે.

આઝાદી મળ્યા પછીનાં વર્ષોમાં ભારતની પ્રજાકીય અને રાજકીય પડતીથી વ્યથિત સ્વામી હિમાલયમાં રહેતા અને શિયાળામાં નીચે ઉતરીને કેટલીક જગ્યાએ મુકામ કરતા. એ સિલસિલામાં ઘૂળિયા (મહારાષ્ટ્ર)માં શિવાજીરાવ ભાવે સાથે થયેલી તેમની ચર્ચાઓ યજ્ઞ પ્રકાશન દ્વારા ‘સર્વોદય વિચારણા’ નામે ગ્રંથસ્થ થઇ. ૧૯૬૫માં પ્રસિદ્ધ થયેલા એ પુસ્તકના આરંભે સ્વામીએ લખ્યું હતું, ‘આપણા દેશની હાલત અંગે અનેક સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ દેશના તમામ સમજુ માણસોને આજે મૂંઝવી રહી છે. તેના નિદાન અને ઇલાજની બાબતમાં અમો બંને પૂરેપૂરા એકમત છીએ એમ જોયા પછી જ એ વિષય ઉપર એક પુસ્તક લખવા મેં પૂ.શિવાજીરાવ ભાવેને વિનંતી કરી...આ પુસ્તકની રૂપરેખા એમની ઘડેલી અને રજૂઆત મારી છે.’

દેશના સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ ૧૯૬૫માં હતાં, તેનાથી ૨૦૧૧માં વઘ્યાં અને વકર્યાંર્ છે. કારણ કે ઘણી સમસ્યાઓનાં મૂળીયાં પ્રજાકીય માન્યતાઓ અને પ્રજાકીય વર્તણૂંકમાં પડેલાં છે. આ બન્નેનો બોદી-નમાલી નમ્રતા વિનાનો કે ‘કોઇને ખરાબ લાગશે તો?’ એવી ‘વ્યવહારુ’ ગણતરી સિવાયનો સ્પષ્ટ ચિતાર સ્વામી આનંદના ધસમસતા ગદ્યમાં મળી આવે છે. પોતાની અભિવ્યક્તિની ધાર ઉપર વિચારશીલતાનું પૂરેપૂરું વજન મૂકીને સ્વામીએ લખ્યું છે,‘જે વર્ગ કે વર્ગોની અહીં ટીકા છે, તે જ વર્ગની હું પોતેય પેદાશ છું. મારા નિકટતમ મિત્રો, સાથીઓ, પૂજનીય ગુરુજનો, જેમની પાસેથી જીવનભર મેં અનંત ઉપકાર મેળવ્યો, તે લગભગ બધા એ જ વર્ગના છે. મતલબ કે, આવી રજૂઆત એમને અન્યાય કરનારી કે વઘુ પડતી ગણતો હોઉં તો ક્ષણિક આવેશ અભિનિવેશનો માર્યો હું તે કદાપિ ન કરું,’

સ્વામી જેમને ‘પોતાનાં’ ગણે છે તેમાં ગાંધી-નેહરુની કોંગ્રેસના નેતાઓ, ગાંધીવાદીઓ, સર્વોદયીઓ અને સાઘુસન્યાસીઓ પણ આવી જાય. છતાં, એ લોકોની નિષ્ફળતાઓ અને મર્યાદાઓ પર ઢાંકપિછોડો કરીને આગળ નહીં વધી શકાય, એવી દૃઢ પ્રતીતિ ૨૦૦ પાનાંના આ પુસ્તકમાં ઠેકઠેકાણે જોવા મળે છે.

સવાલજવાબ રૂપે લખાયેલા અને ઉપસંહાર સહિત કુલ ૧૭ પ્રકરણમાં વહેંચાયેલા પુસ્તકમાં એક પ્રશ્ન છેઃ ‘કોંગ્રેસના મોવડીઓથી દેશના શ્રેષ્ઠ નિષ્ઠાવંત માણસો હતા અને એમને હાથે કંઇ ગણતરીની ભૂલો થઇ હોય તો પણ તે પ્રામાણિક ભૂલો હતી. આઝાદી એટલે ભૂલો કરવાનો હક, અમારે એ જોઇએ, એમ અમે લડતકાળેે રોજ અંગ્રેજોને સંભળાવતા. એ બઘું શું ઉપલકિયા હતું?’

આ શબ્દજાળને ચીરતો સ્વામીનો જવાબ હતો ‘ભૂલ કરવાનો હક એ આઝાદીનું એક લક્ષણ છે, સનદ નથી. ભૂલો કરવાનું ફરજિયાત ન હોઇ શકે. વળી માણસ પોતે નકરો પ્રમાણિક અને નિષ્ઠાવાન હોય એટલું બસ નથી. રાજકારણના ક્ષેત્રમાં પ્રજાની સેવા કરનારામાં દૂરંદેશી, કુનેહ, કાર્યક્ષમતા, ત્વરિત નિર્ણયશક્તિ વગેરે ગુણો જોઇએ. સૌથી ઉપર સરદાર પટેલના જેવું છાતીબળ અથવા તો લોકમાન્યની ભાષામાં કહીએ તો ‘લોઢાના ચણા ચાવે’ એવા દાંત જોઇએ...લાખો કરોડો માણસોના ભાગ્યનું સુકાન જેના હાથમાં આવ્યું છે એવા માણસ જ્યારે, ભલે પ્રમાણિક અને ગણતરીની પણ, ભૂલ કરે ત્યારે તેનાં પરિણામ આખી પ્રજાને કદાચ કાળકાળાંતર સુધી ભોગવવાં પડે છે. તેથી ખાનગી જીવનની ભૂલ કરતાં જાહેર જીવનની ભૂલ, ખાસ કરીને પ્રજાના સુકાનીઓના હાથે થતી ભૂલ, હજારગણી વઘુ અક્ષમ્ય છે.’

આઝાદી પછીની બે-ત્રણ ચૂંટણીમાં સ્પષ્ટ થઇ ગયું કે ભારતમાં લોકશાહીના નામે ચૂંટણીશાહી મૂળીયાં જમાવી રહી છે. એટલે ‘ગમે તે હોય, પણ આખરે લોકશાહી રાજતંત્રનો શ્રેષ્ઠ પ્રકાર છે’ એવું આશ્વાસન સ્વામીને મંજૂર ન હતું.

તેમણે લખ્યું ‘અલબત્ત છે. પણ સાચી છાપની ને નકલી છાપ લોકશાહી ઓળખવી જોઇએ. નકરું નામ પાડવાથી કે વાંદરનકલ કર્યાથી સાચી લોકશાહી ખીલતી નથી. પ્રજાની સંગઠિત પુરુષાર્થ શક્તિને જગાડીને તે મારફત દેશની સુવ્યવસ્થા કરવાનું કામ રાજસત્તાનું છે. આજની લોકશાહીના આપણા રાજકર્તાઓને એ સૂઝતું નથી. કોંગ્રેસની રાજવટમાં ઢગલાબંધ ભૂલો થઇ. સત્તાની, વિદેશી હુંડિયામણની અને નોકરશાહીની ઓશિયાળી આપણી આ સરકારને હાથે કોટિકોટિ જનતાનો વિકાસ ન થઇ શકે એ હવે સાબિત થયું. કોંગ્રેસની જગાએ બીજી કોઇ પક્ષપાર્ટીની સરકાર હોત તો પણ એનો આવો જ કરુણ ફેજ થાત એમ લાગે છે.’

‘સાચી સફળતાને સારુ પક્ષવિનાની, સમન્વયદૃષ્ટિ તથા હથોટીવાળી જનશક્તિ જ જગાડવી જોઇએ. જનતાના એવા સંગઠિત સમન્વયભર્યા પુરુષાર્થને જ સાચી લોકશાહી કહી શકાય. ચૂંટણીઓ મારફત સત્તાનાં કેન્દ્રોમાં મોકલવામાં આવતા પ્રતિનિધિઓની બનેલી લોકશાહી એ સાચી લોકશાહી નથી. એ તો પશ્ચિમની પ્રજાઓમાં સેંકડો વરસથી ચાલતી આવેલી ઘરેડની એક કાચી ફિક્કી રોગલી નકલ માત્ર છે.’

લોકશાહી વ્યવસ્થામાં પ્રજાની ભૂમિકા સ્પષ્ટ કરતાં સ્વામીએ ઇંગ્લેંડની લોકશાહીને ‘હજાર વરસથી ચાલતી આવેલી’, ‘રાતદિવસ આંખમાં તેલ આંજીને પ્રજાના હિત તેમ જ અધિકારોની ચોકી કરનારી પ્રજાની તાલીમના અને શિસ્તના તાપમાં તપીતપીને શેકાઇને રીઢી બનેલી’ ગણાવી અને કહ્યું કે તેને સરખામણીમાં ‘ગઇકાલ સુધી ગોરાકાળા જાલીમોની એડી હેઠળ ગુલામી વેઠીને છૂટેલા બીનઅનુભવી’ લોકોની લોકશાહી ‘રામલીલાના રાવણ કુંભકરણ જેવી બેહૂદી, કદરૂપી અને દસેરાના દિવસે બાળવા લાયક જ ગણાય.’

હજુ કંઇક રહી જતું હોય એમ તેમણે ઉમેર્યું, ‘એ સાચી નકલ પણ ન ગણાય...સાચી લોકશાહીમાં સમન્વયવાળી જનશક્તિના પુરુષાર્થ આગળ, ચૂંટણીઓની ધાંધલ અને ધોખાબાજીમાંથી નીપજેલી લોકશાહીનો ક્રમેક્રમે લોપ થવો જોઇએ.’
***
ભારતની પૌરાણિક સંસ્કૃતિ અને તેનો વારસો, કંઇ પણ કર્યા વિના ગૌરવ લેવા માગતા દેશવાસીઓ માટે, એકદમ હાથવગો ગણાય છે. પરંતુ પ્રાચીન ગૌરવમાંથી ઘઉં અને કાંકરા છૂટા પાડવા જેટલું દૈવત, એટલો અધિકાર અને વૈચારિક પ્રામાણિકતા બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. સ્વામી આનંદ એ જૂજ લોકોમાંના એક હતા. સ્વામીના નમૂનેદાર ગદ્યમાં ભારતના ભૂત-વર્તમાન-ભવિષ્યને લગતી ઉપયોગી અને દિશાદર્શક ચર્ચાઓ જોવા મળે છે. એ ચર્ચાઓમાંથી ઘણીખરી હજુ પ્રસ્તુત છે.

ભારતની પ્રાચીનતાના ગૌરવ અને દુનિયામાં તેના વિશિષ્ટ સ્થાન વિશે સ્વામી આનંદ લખે છે,‘દરેક પ્રજામાં આવું મિથ્યાભિમાન હોય જ છે...આપણે બહુ પ્રાચીન પ્રજા છીએ, આપણી પાસે કીમતી પ્રજાકીય અનુભવોનો સંગ્રહ છે, એ વાત કદાચ વજૂદ વિનાની નથી, પણ આપણે તો લગભગ આખા ઇતિહાસકાળ દરમ્યાન મોટે ભાગે બીજી પ્રજાઓના હાથનો કે એકબીજાના ઘરઆંગણેના ભાઇપડોશીના હાથનો માર જ હંમેશાં ખાતા આવ્યા છીએ, એ બીના પણ એટલી જ સાચી છે.’

પ્રાચીનતમ ગણાતા વેદોની ભૂમિકા વિશે પ્રકાશ પાડતાં તેમણે લખ્યું,‘જગતના સાહિત્યોમાં (વેદો જેટલું) પ્રાચીન સાહિત્ય બીજું નથી. પણ એના અસલી અર્થો મોટા ઘુરંધર વિદ્વાનો પણ ભાગ્યે જ સમજી શકતા હોય છે...સ્વામી દયાનંદ જેવા જ્યોતિર્ધરને આર્યસમાજ જેવું બળવાન સંગઠન ઊભું કરવામાં પણ વેદોનો ભારે આધાર મળ્યો. વેદોને પણ ચલણી લોકપ્રિયતા મળી. આ બઘું છતાં એકંદરે વેદસાહિત્ય અતિ અઘરૂં અને દુર્બોધ હોવાથી તેને બહુ જૂજ લોકો સમજ્યા, અગર કહો કે નિશંક નિર્વિવાદપણે ભાગ્યે જ કોઇ સમજ્યા....વેદો વિષે નકરા કર્મકાંડી (મીમાંસક) લોકોએ જે વલણ લીધી તેણે પણ પ્રજાની જડતામાં ફાળો પૂર્યો. ..મીમાંસકોનો કર્મકાંડ જ્ઞાનદૃષ્ટિએ તદ્દન નકામો હતો. તે સામે જ્ઞાનનો સિદ્ધાંત પ્રચારીને શંકરાચાર્યે સમાજમાં અવનવું ચૈતન્ય અને સ્ફૂર્તિ આણ્યાં એ સાચું...છતાં એમણેય ભલે ચિત્તશુદ્ધિ પૂરતો પણ કર્મકાંડને માન્ય રાખ્યો તેથી સમાજની જડતા ટળી નહીં..વિદ્વાનો અને તેમનાં દર્શનોથી સામાન્ય પ્રજાને કશો લાભ ન થયો. ઉલટું પોતે અભણ બાવળાં, હીણા કરમનાં એવી લધુગ્રંથિ પ્રજામાં ઊભી થઇ.

ધર્મના ધંધામાં વ્યાપેલા મોક્ષ અને વૈરાગ્યના લોકપ્રિય ખ્યાલનો છેદ ઉડાડતાં સ્વામી આનંદે નોંઘ્યું છે, ‘જંિદગી ચાર દહાડાનું ચાંદરણું છે, એનો લલોપતો શો? આવા અર્થવાળાં ભજનસાહિત્યની રેલછેલ આપણી બધી ભાષાઓમાં તમે જોશો. આવી આવી ભાવના વિચારણાઓને પરિણામે આપણા જીવનમાંથી દુન્યવી સ્તરની કુલઝપટ જિજ્ઞાસા, પ્રયોગવૃત્તિ, શ્રમનિષ્ઠા, પડોશીધર્મ, બંઘુભાવ, મિલનસારી વગેરે તમામ ગુણો આથમી ગયા. દુન્યવી જીવનમાં ઘણુંખરું અસાર છે એની ના નથી, પણ તે વ્યક્તિને નાતે. પ્રજાકીય જીવન, સૃષ્ટિ-સમષ્ટિનું જીવન તો વહેતી નદી છે...પ્રજાઓના હિતકલ્યાણને ખાતર માણસે પોતાના વ્યક્તિગત સ્વાર્થ કે સુખને કોરે મૂકીને હંમેશાં ઘસાવું, પોતાની જાતનો યજ્ઞ કરવો, એ જ સાચો વૈરાગ, સાચો પરમાર્થ અને મોક્ષપુરુષાર્થ છે. એ વિચારણાનું મહત્ત્વ આપણે ન સમજ્યા...માનવીની ક્ષણભંગુર અસાર હશે, પણ જીવનનાં મૂલ્યો અસાર ક્ષણભંગુર નથી, શાશ્વત સદાકાળનાં છે. માટે એને આપણા જાતપુરુષાર્થથી ઓપીઅજવાળી સવાયાં કરીને આપણી પછી આવનારી પ્રજાને તેની વાટ અજવાળવા સારુ આપતા જવું, એ જ યોગ્ય આદર્શ છે. ’

પૂર્વજન્મના ખ્યાલમાં માનનારા હોવા છતાં સ્વામી આનંદે લખ્યું છે, ‘એ ખ્યાલોએ પણ આપણું પારાવાર નુકસાન જ કર્યું છે...પૂર્વજન્મનાં કર્મનો સિદ્ધાંત એ તાત્ત્વિક સિદ્ધાંત છે. તે ક્યાં લાગૂ પડી શકે ને ક્યાં ન પડે એનો વિવેક આપણે મુદ્દલ કરતા નથી. માણસ માણસ જન્મ્યો, ઘોડો ન જન્મ્યો, એમાં પાછલા જન્મ કે જન્મોનો ભલે કદાચ કંઇ ફાળો હોય, પણ માણસ કામકાજ હાલચાલ કરે છે તે દરેક તેના..પૂર્વજન્મના સંચિત કર્મને આધીન છે, એમાં બીજા કોઇ જાતના નવા તાજા કર્મને માટે અવકાશ જ નથી, એમ જ જો હોય તો તે માણસ માણસ મટીને પૂર્વકર્મના હાથની કઠપૂતળી જ થયો. આ ખ્યાલ જ વાહિયાત છે.’

ઊંચનીચના અને સ્ત્રી પ્રત્યેના ભેદભાવ માટે તેમણે ‘પ્રજાની સાંકડી મનોદશા’ને જવાબદાર ઠેરવી. ‘આપણે તો કુટુંબમાં પણ પુરુષનો દરજ્જો ઊંચો અને સ્ત્રીનો નીચો ઠરાવીને ભેદ ઊભા કર્યા. એ આપણા લોહીમાંસમાં વણાઇ ગયા..સ્મૃતિકારોએ પણ સ્ત્રીને ધરતી અને પુરુષને બીજ તરીકે ઓળખાવીને સ્ત્રીનો દરજ્જો હમેશને માટે હલકો ઠરાવ્યો...સ્ત્રીનો દરજ્જો હલકો લેખાનારી વિચારણાઓ...આપણે ત્યાં એવી તો જામી પડી કે સ્ત્રીનો દરજ્જો બધે કાળે ને બધી અવસ્થામાં પુરુષ કરતાં નીચો ઠર્યો. અહીંથી જ આપણી સર્વય્વાપી અલગતાની આભડછેટિયા મનોદશાનો, જેને વિવેકાનંદ ‘ડોન્ટ ટચીઝમ’ કહેતા, તેનો આરંભ થયો...એક પ્રજા તરીકે આપણી આસપાસ અલગતાનું કોટલું ઊભું કરીને આપણે આપમેળે તેમાં પૂરાયા...એક પ્રજા તરીકે દુનિયાથી અને દુનિયાના જ્ઞાનભાનથી આપણે કપાઇ ગયા!’

નાગરિકધર્મના અભાવનાં મૂળ સ્વામી આનંદે આપણી પરંપરામાં જોયાં: ‘પ્રજાનું રક્ષણ, પોષણ સર્વ કામ સરકારે કરવાનાં, સરકાર એટલે ‘સર્વકાર’, એવી જ ભાવના અત્યારે બધે વર્તી રહી છે. અંગ્રેજી રાજવટે પ્રજાજીવનના અંગેઅંગમાં પ્રવેશ કરીને તેને પોતાને કબજે રાખ્યાં હતાં. તેથી પ્રજાકીય જીવનનાં બધાં ક્ષેત્રો સરકાર જ સંભાળે કે ઘડે ભાંગે, પ્રજાએ તો તેને તે માગે તેટલો સહકાર જ માત્ર પોતાના તરફથી આપવાનો, એવી કલ્પના જ આખી પ્રજામાં ઘર કરી બેઠી છે.’

ધર્મથી માંડીને રાજધર્મ અને પ્રજાધર્મ સુધીના વિષયો પર, દેશહિતને કેન્દ્રમાં રાખીને અળખામણાં સત્ય કહી શકે, એવા ચિંતકો-વિચારકોનો યુગ હવે સાવ આથમણે છે. અઘ્યાત્મનું બજાર કોર્પોરેટ ક્ષેત્રને ટક્કર મારે એવું થઇ ગયું છે. નાગરિકધર્મ જાણે સ્વૈચ્છિક સંસ્થાઓ-એનજીઓ-નો ઇજારો હોય, એવી વૃત્તિ નાગરિકોમાં પ્રવર્તે છે, ત્યારે ફરી જાગૃતિનું પરોઢ ન આવે ત્યો સુધી સ્વામી આનંદ જેવા સમાજચિંતકોના વૈચારિક અજવાસમાં આગળનો રસ્તો શોધવાની કોશિશ કરવા જેવી ખરી.

5 comments:

  1. Manhar Sutaria10:44:00 PM

    Urvishbhai, thanks for such a good artical
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete
  2. Anonymous11:00:00 PM

    ધરતી ની આરતી[૨૦૦૮ આવ્રુત્તિ] ના ૪૮૫ પાનાઓ અદભૂત અને અતિસમ્રુધ્ધ છે...ઉર્વિશભાઇ આપનું લેખન અને શબ્દપસંદગી ભારે કાબિલેતારીફ છે..Akash vaidya

    ReplyDelete
  3. swami e kulkathao lakhine mudivadi ttvonone glorify karya em hu manu chhu. Aam to emni kalamno aashik chhu ane Dhartini aarti anekone vanchavi chhe ane bhet aapi chhe. Nanavati vala lekh ma ek moti gap e chhe ke sharu ma Nanavati matr das taka nafa no j aagrah rakhta pan kolsana vepar ma bija vishwyuddh darmiyan e aagrah chhuti gayo e vaat swami spashta pane lakhta nathi.Swami jeva na lakhano mate aavi tika karvanu bahu kharab lage chhe pan lage te lakhvu ane e par charcha thay te pan jaruru chhe. Urvishbhai aap saru shodhi lavo chho.Me aa pustakjoyu nathi. Aabhar

    ReplyDelete
  4. Jabir A. Mansuri5:43:00 PM

    Your pen reminded about a review about another book, The Nine Insights by James Redfield. Perhaps a worth reading for insight on spiritual world, internationally.

    Jabir

    ReplyDelete
  5. Thank you so much for article on Swami Anand...To me his "Monaji Rudar" "dhani ma" and "Naghrod" are the best essays of all time just not in gujrati literature but in world literature....I dont get the fact that why in text books from 1st standard to 12th in Gujrati medium they dont include single chapter about swami anand or his work? Gujrati students are missing gold mine name Swami Anand....

    ReplyDelete