Wednesday, February 23, 2011

કોઇનું પ્રવચન, કોઇના માથે

આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં નેતાશ્રી પોતાનું પ્રવચન ત્રણ વાર વાંચી જાય છે. કારણ? સેક્રેટરીએ સરકારી રીત પ્રમાણે તેમને પ્રવચનની ત્રણ નકલ (ટ્રિપ્લિકેટ) આપી હતી.

ભારતભૂમિ એવી પ્રતાપી છે કે ત્યાં જૂના જમાનામાં ઋષિમુનિઓ સ્વરૂપે અને નવા જમાનામાં કાર્ટૂનિસ્ટ સ્વરૂપે આર્ષદૃષ્ટાઓ પ્રાપ્ત થતા રહે છે. થોડા દિવસ પહેલાં ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ.એમ.કૃષ્ણાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં પોતાના ભાષણને બદલે પોર્ટુગલના એક પ્રધાનનું પ્રવચન વાંચવાનું શરૂ કરી દીઘું. પાછળથી એવો ખુલાસો કરવામાં આવ્યો કે ‘બધાં પ્રવચનોની શરૂઆત એકસરખી ઔપચારિક (અર્થહીન) હોય છે કે આવી ચૂક થઇ જાય એમાં નવાઇ પામવા જેવું નથી.’ સાર એટલો કે પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીથી થાય તે ભોપાળું અને મંત્રીથી થાય તે સરતચૂક.

‘કોઇનું મીંઢળ કોઇના હાથે’ એવો પ્રયોગ તો જાણીતો છે, પણ કોઇનું પ્રવચન કોઇના માથે મારવામાં આવે- અને એ વાગી પણ જાય તો?

***

રાહુલ ગાંધીઃ કોંગ્રેસની બેઠકમાં

આપણે ભલે બહુ મળવાનું ન થાય, પણ હું જાણું છું કે એક મહિલાને કારણે તમારી હાલત કેટલી ખરાબ છે. એ પોતાની જાતને સર્વેસર્વા સમજે છે અને લોકશાહી હોવા છતાં સરમુખત્યારશાહી ચલાવે છે. એ માને છે કે પોતે જ પક્ષ છે અને પોતે જ સરકાર છે. પોતાના ગણ્યાગાંઠ્યા સલાહકારો સિવાય બીજા કોઇનું એ સાંભળતાં નથી. આવું કેવી રીતે ચલાવી લેવાય?

મને ખબર છે કે તમે મારી પર બહુ મોટી આશા બાંધીને બેઠા છો. હું મારી રીતે એ મહિલાનો પ્રતિકાર કરવા કોશિશ કરી રહ્યો છું, પણ સત્તા આગળ શાણપણની જીત એમ ઝડપથી થોડી થઇ જાય? આટલાં વર્ષથી એક મહિલાનું એકહથ્થુ અને મનસ્વી રાજ ચાલતું હોય ત્યાં વૈકલ્પિક માળખું ઊભું કરવાનું કેટલું અઘરૂં છે, એ તમે સૌ સમજી શકો છો. પણ તમારે હિંમત હારવાની જરૂર નથી. કોઇનું રજવાડું અમર તપતું નથી. દરેકનો ક્યારેક અંત આવે છે. મારે તમને એટલું જ કહેવાનું કે તમે લોકો અંતની રાહ જોઇને બેસી રહ્યા વિના, તમારી જાતે એ દિશામાં સક્રિય બનો અને ફગાવી દો એ મહિલાની ગુલામીને....

...સોરી...પ્રવચન બદલાઇ ગયું લાગે છે...આ તો મારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસીઓ સમક્ષ કહેવાનું હતું અને હું માયાવતીની વાત કરતો હતો. ખબરદાર જો કોઇએ ગેરસમજણ કરી છે તો...

નીતિન ગડકરીઃ કર્ણાટકની જાહેરસભામાં

તમે સૌ જાણો છો કે અમારો પક્ષ ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડનારો છે. અમારાં ચાલ, ચરિત્ર અને ચહેરાથી તમે વાકેફ છો. આ સરકાર તમને લૂંટવા બેઠી છે. તેનાં કૌભાંડોનો પાર નથી. તેના પરિણામે દેશની તિજોરીને કરોડો-અબજો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. છતાં સરકાર બેશરમીથી સત્તાને ચીપકી રહી છે. હું પૂછું છું ઃ આ તે સરકાર છે કે ગરોળી?

મારી તમને લોકોને અપીલ છે કે આવી સરકારને તમારે, અમારે, આપણે સૌએ ભેગા થઇને રવાના કરવી જોઇએ. તેના બોરિયાબિસ્તરા ફગાવી દેવા જોઇએ. માનનીય વાજપેયીજીએ ભ્રષ્ટાચારની સામે લડવામા સક્રિય જીવન વીતાવી દીઘું અને માનનીય અડવાણીજીએ વડાપ્રધાનપદની રાહ જોવામાં...એટલે, સત્તાલાલસાની રીતે નહીં, પણ દિલ્હીની ગાદી પર પોતાના નેતૃત્વ હેઠળ સ્વચ્છ સરકાર આવે એવી અભિલાષા સાથે. આવા મહાનુભાવોના પક્ષપ્રમુખ તરીકે હું તમને સાફ શબ્દોમાં કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર કરનાર જ નહીં, તેને પોષનાર- છાવરનાર પણ ભ્રષ્ટાચારી કહેવાય. કોઇ પણ સ્વરૂપનો ભ્રષ્ટાચાર ઇમમોરલ જ નહીં, ઇલલીગલ પણ છે....

...એક મિનિટ...આ ક્યાંથી આવી ગયું? આ પ્રવચન તો ચૂંટણીપ્રચાર વખતે મનમોહનસિંઘ સરકાર સામે કરવાનું હતું. (મનોમન) કર્ણાટકમાં અમારા પક્ષની સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ છે અને મુખ્ય મંત્રીના બચાવમાં મેં કહેલું કે તેમનું કામ ઇમમોરલ હોઇ શકે, ઇલલીગલ નહીં.

ગુજરાતના મુખ્ય મંત્રીઃ અમેરિકાના વિઝા મળવાની ઉજળી શક્યતા અંગે નિવેદન

અમેરિકામાં સેંકડો ગુજરાતીઓ વસે છે. આપણા કવિ ‘ખબરદારે’ કહ્યું છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’ મને આ પંક્તિ બહુ ગમે છે. કારણ કે તેમાં ગુજરાતનો મહિમા થાય છે અને બીજું ખાસ કારણઃ જ્યાં જ્યાં એક ગુજરાતી વસતો હોય, ત્યાં ગુજરાત હોવાથી મારે ત્યાંના અલગ વિઝા રહેવાની જરૂર રહેતી નથી.
મને કવિની પંક્તિ જ નહીં, તેમનું ઉપનામ પણ બહુ ગમે છે. કવિનું કામ જનતાને ખબરદાર કરવાનું છે- પોતાની કવિતાથી નહીં, તો પોતાના નામથી. હું કવિ છું, પણ હું મારા કામથી લોકોને ‘ખબરદાર’નો સંદેશો આપું છું. કવિ તરીકે મારૂં કોઇ ઉપનામ નથી. મારાં બધાં ઉપનામ શાસક તરીકે છે અને મારા વિરોધીઓએ પાડેલાં છે. પણ હું એટલે કે ગુજરાત વિરોધીઓની પરવા કરતા નથી.

અમેરિકા દુનિયભરના સરમુખત્યારોને, હત્યારાઓને અને આપખુદ શાસકોને વિઝા આપે છે, તો મને વિઝા આપવામાં તેનું શું જાય છે? તેમને બીક છે કે હું અમેરિકામાં ચૂંટણી લડીશ તો ત્યાંના ગુજરાતીઓના જોરે જીતી જઇશ..કારણ કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અને જ્યાં જ્યાં સદાકાળ ગુજરાત, ત્યાં ત્યાં મારો જયજયકાર.

...મને ક્યારની કંઇક ગરબડ લાગતી હતી...આ તો અમેરિકાના વિઝા હજુ ન મળે, તો પછી જાહેરસભામાં કરવાના ભાષણના મુદ્દા છે...

ગુજરાતી સાહિત્યકારઃ સાહિત્યસંસ્થાનું પારિતોષિક સ્વીકારતી વખતે

આજે મને કેટલી ધન્યતાની લાગણી થાય છે, તે હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. આ દિવસ માટે મેં સાહિત્યસાધનાનો આરંભ કર્યો હતો એવું તો સાવ નથી, પણ ઘણા સમયથી મનમાં એવી ઊર્મિ આકાર લઇ રહી હતી ખરી કે આ દિવસ જરૂરથી આવશે. આ પવિત્ર સ્થળે, આટલા પવિત્ર વાતાવરણમાં ઉપસ્થિત રહેવાનો અને આટલી ઉમદા મહેમાનગતિ માણવાનો મોકો મળ્યો, એ મારા માટે ન ભૂલાય એવો લહાવો છે. મારા પહેલાં બીજાં ઘણાં મોટાં નામ અહીં આવીને ધન્યતા અનુભવી ગયાં છે એ હું જાણું છું અને એટલા માટે હું વધારાની ધન્યતા અનુભવી રહ્યો છું. અહીં આવીને મને એ વાતની પણ ખાતરી થઇ કે ગુજરાતી ભાષા-સાહિત્યનું અને મારા જેવા તેને સેવકોનું ભવિષ્ય સલામત છે, જ્યાં સુધી પૂજ્ય...

....ના, ના...ભૂલ્યો..આ તો અસ્મિતાપર્વમાં વાંચવાનું પ્રવચન આવી ગયું.

8 comments:

  1. Anonymous5:42:00 PM

    Gu Sa no lekh bhulthi...Guj Blog par....??????!!!!! Na.. Naa....
    bhai majaa aavi gai..
    Kaushik Amin.

    ReplyDelete
  2. Anonymous8:14:00 PM

    " કટાક્ષ એક હદે સારો લાગે અને આ હદે ઉત્તમ લાગે.." સરસ ઉર્વિશભાઇ..Akash vaidya

    ReplyDelete
  3. first it was SAHITYAKAR, then it was 'RATIONALIST' and now is the turn of NGO.

    i just got an invite from one social activist informing that a ' morari bapu katha' is organised for the benefit of nomadic and de-notified tribes!

    you may conceive one more 'pravachan' for that too.

    ReplyDelete
  4. Anonymous10:31:00 PM

    The Journalism (yellow) and hired script writing have contributed in current politics.

    One minister used to know his official statement through media & newspaper in morning, because official statements were released without his knowledge.

    ReplyDelete
  5. as always...
    jordaar....

    ReplyDelete
  6. jyare realise thaay... tyare mike chalu hoy... (gaal pan na bolaay)

    ReplyDelete
  7. Anonymous2:39:00 PM

    First two are excellent!!
    Brinda

    ReplyDelete
  8. Navin Thakkar5:45:00 AM

    Hi Urvishbhai,
    A very nice article just published in Sandesh. http://sandesh.com/sandesh_article.aspx?newsid=267144

    Btw, it would be great if you could write your views on today's verdict on the Godhara train burning, in your own style.

    Navin

    ReplyDelete