Monday, February 14, 2011

મારી દરખાસ્તનો યોગ્ય અમલ થયો હોત તો ૧૫ વર્ષમાં અદાલતો ‘પેપરલેસ’ બની જાત: સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લાહોતી

RC Lahoti, ex-CJI/pics: Binit Modi
ભારતના ન્યાયતંત્ર વિશે દેશના લોકોનો અભિપ્રાય બહુ ઉંચો ન હોય, પરંતુ નિવૃત્ત જસ્ટિસ લાહોતીના મતે, અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીય ન્યાયતંત્ર પ્રત્યે અહોભાવની નજરે જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છેઃ ન્યાયની ગુણવત્તા અને ન્યાયાધીશોની કાર્યક્ષમતા.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પુસ્તક વિમોચન માટે આવેલા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લાહોતી કહે છે કે ‘અમેરિકાની સુપ્રીમ કોર્ટ એક વર્ષમાં ૭૦૦-૮૦૦ કેસ ચલાવે છે, જ્યારે આપણી સુપ્રીમ કોર્ટ એટલા કેસ રોજ ચલાવે છે. વિકસીત દેશોની સરખામણીએ ભારતમાં ન્યાયાધીશો પાસે દસ ગણું વધારે કામ હોય છે. એક ઘોડા પર દસ ઘોડાનું વજન લાદો તો એ ઘોડો ક્યાં સુધી દોડે? છતાં એ હજુ ચાલે છે.’

‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં સૌથી પહેલાં જસ્ટિસ લાહોતીએ ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશન ‘ઝગમગ’ને યાદ કરતાં કહ્યું હતું કે ‘પચાસેક વર્ષ પહેલાં હું ‘ઝગમગ’ વાંચીને ગુજરાતી ભાષા શીખ્યો હતો. હજુ પણ હું ગુજરાતી સમજી અને થોડુંઘણું બોલી શકું છું.’

જસ્ટિસ લાહોતી વર્તમાન ન્યાયતંત્રમાં બે પ્રકારના સુધારા સૂચવ્યા હતાઃ સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક સુધારામાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી, જે પ્રકારના કેસની સંખ્યા વધી રહી હોય- દા.ત. ચેક બાઉન્સ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી- એ વિષયોની ખાસ અલગ અદાલતો સ્થાપવી, જજને સેક્રેટરી, સહાયક, ક્લાર્ક સહિતની બીજી સુવિધાઓ પૂરી પાડવી વગેરેનો સમાવેશ થાય છે. જસ્ટિસ લાહોતીના જણાવ્યા પ્રમાણે, ‘અત્યારે એવું થાય છે કે જજને દરેક બાબતનું થોડું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. એક દિવસમાં તે એક કેસ લગ્નજીવનનો સાંભળે, પછીનો કેસ પ્રોપર્ટીનો હોય, ત્રીજો લેબરનો હોય, ચોથો ટેક્સનો, તો એક માણસ કેટલું કરી શકે? તેનાથી ઝડપ ઘટી જાય છે. ખાસ અદાલતો ઉભી કરવાથી કેસની ઝડપમાં બેથી ત્રણ ગણો વધારો થશે.’

‘૨૦૦૪માં મેં વડાપ્રધાન પાસે ૧૦ વર્ષનો પ્રોગ્રામ લોન્ચ કરાવ્યો હતો. તેનો આશય ન્યાયતંત્રમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી કામે લગાડવાનો હતો. એ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલમાં મુકાયો હોત તો ૧૫ વર્ષમાં ભારતની અદાલતો પેપરલેસ બની જાત. તેમાં દેશની નાનામાં નાની અદાલતોથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધીની તમામ અદાલતોને એકબીજા સાથે જોડી દેવાની યોજના હતી. પછી ગુજરાત હાઇકોર્ટની મિટિંગમાં હાજરી આપવા માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસે અમદાવાદ આવવાની જરૂર ન રહેત. ત્યાં બેઠાં બેઠાં જ એ થઇ શકત.’

ગુણાત્મક ફેરફારોમાં જસ્ટિસ લાહોતીએ ન્યાયતંત્રના સતત અભ્યાસ અને સમય સાથે તેમાં સુધારાવધારા પર ખાસ ભાર મૂક્યો. ‘પચાસ વર્ષ પહેલાં આપણને જે રીતે દવા અપાતી હતી, એમાં અત્યારે કેટલો ફરક પડી ગયો છે? કારણ કે તેમાં સતત રીસર્ચ થાય છે, નવી દવાઓ ને નવી પદ્ધતિઓ શોધાય છે. ન્યાયતંત્રમાં આ થતું નથી. ખરેખર, આખી સીસ્ટમનો અભ્યાસ કરીને, રીસર્ચ કરીને શોધવું જોઇએ કે આપણી કમી ક્યાં ક્યાં છે, તેમાં ક્યાં સુધારા કરી શકાય છે અને તે કેવી રીતે થઇ શકે. તેને જેમ છે તેમ છોડી દેવાની જરૂર નથી. સુધારો કરવો હોય તો હજુ મોડું થયું નથી.

જસ્ટિસ લાહોતી માને છે કે ન્યાયાધીશો માટે પણ દરેક તબક્કે તાલીમની સીસ્ટમ હોવી જોઇએ. ‘મારૂં શિક્ષણ ૧૯૬૦માં પૂરૂં થઇ ગયું અને અત્યારે આપણે ૨૦૧૧માં બેઠા છીએ. આ પચાસ વર્ષમાં જ્ઞાનનો વિસ્તાર ક્યાંથી ક્યાં પહોંચી ગયો. તો મારું જ્ઞાન અપડેટ અને અપગ્રેડ કરવા માટે મારી પાસે સુવિધાઓ અને સંસાધનો હોવાં જોઇએ, જે આપણા દેશમાં લગભગ નહીંવત્ છે. મારા સમયમાં નેશનલ જ્યુડીશયલ એકેડેમી ભોપાલની હતી. એ સારૂં કામ કરતી હતી, પણ આટલા મોટા દેશમાં એક સંસ્થાથી શું થાય? આઇ.એ.એસ. અને પોલીસ માટે દરેક રાજ્યમાં સંસ્થાઓ હોય છે. હવે ન્યાયતંત્ર માટે પણ રાજ્યસ્તરે સંસ્થાઓ થઇ છે, પણ તે હોવી જોઇએ એટલી સજ્જ નથી. તેમાં યોગ્ય શીખવનારા મળતા નથી.’

ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વના મુદ્દે જસ્ટિસ લાહોતીએ કહ્યું કે ‘ભારતના બંધારણમાં ન્યાયતંત્રનું ઉત્તરદાયિત્વ ઇન બિલ્ટ છે. ેનો અમલ થતો નથી. એનું કારણ એ પણ છે કે એ માટેની જાગૃતિ નથી. સારા ન્યાયાધીશોની નિમણૂંક થાય તો આ સમસ્યા ન રહે. ન્યાયાધીશોની નિમણૂંકની પ્રથા સુધારવાની જરૂર છે. (તેની હાલની સ્થિતિ માટે) કેટલીક હદ સુધી અમે પણ જવાબદાર છીએ. જ્યારે પણ પ્રામાણિકતા અને તટસ્થતાથી ન્યાયાધીશોની નિમણૂંક થાય છે, ત્યારે એ સારી જ થાય છે, પણ ડાબેજમણે જોઇને ન્યાયાધીશો નીમવામાં આવે ત્યારે તકલીફો સર્જાય છે.’

છેલ્લાં થોડાં વર્ષોથી ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઘણો ચર્ચાય છે. એ સવાલનો જવાબ આપતાં જસ્ટિસ લાહોતી કહ્યું, ‘નિયુક્ત થતા ન્યાયાધીશો આવે છે ક્યાંથી? આ જ સમાજમાંથી! મારા આખા શરીરમાંથી દુર્ગંધ આવતી હશે અને તમે ફક્ત હાથને અલગ પાડીને કહેશો કે એમાંથી દુર્ગંધ આવે છે- એવી વાત છે.’

એક તરફ અદાલતોમાં પેન્ડિંગ કેસના ગંજ ખડકાયેલા હોય ત્યારે અદાલતોમાં લાંબાં વેકેશન ટાળી ન શકાય? એવી પણ લાગણી પ્રવર્તે છે. તેનો ખુલાસો કરતાં જસ્ટિસ લાહોતી કહે છે કે ‘આ બહુ વ્યાપક ગેરસમજણ છે. પરંતુ એ વિચારો કે ૫૦૦-૧૦૦૦ પાનાંના ચુકાદા ન્યાયાધીશો ક્યારે લખે છે? મોટા ભાગના લોકો જાણતા નથી કે ન્યાયાધીશો વેકેશનમાં પણ કામ જ કરે છે. જો તેમની રજાઓ બંધ કરી દેવામાં આવે, તો અદાલતમાં ન્યાયાધીશોની કાર્યક્ષમતા પર સીધી અસર પડે. રોજની કામગીરીનો દાખલો આપું: સોમવારે સમરી હિયરીંગ થાય, ત્યારે બે કલાકમાં ૧૦૦ કેસની યાદી પૂરી થઇ જાય છે. કારણ કે એ ન્યાયાધીશે શનિ-રવિ આઠ-આઠ કલાક એ ૧૦૦ કેસનો અભ્યાસ કરેલો હોય છે. સુપ્રીમ કોર્ટમાં હું ૧૪ કલાક કામ કરતો હતો અને ચીફ જસ્ટિસ બન્યો ત્યારે રોજના ૧૭-૧૮ કલાક. ન્યાયાધીશોની રજાઓ બંધ કરવામાં આવે અને ન્યાયાધીશોએ ફક્ત અદાલતોમાં જ કામ કરવું એવું નક્કી કરવામાં આવે, તો બે કલાકમાં ૧૦૦ કેસ પતે છે એને બદલે રોજના ૧૦ કેસ લેખે કામ આગળ ચાલે.

2 comments:

  1. Anonymous10:14:00 PM

    If & but of respected former CJ are ok.

    Unfortunately in judiciary there are examples of Judges becoming stenographers of senior lawyer/s.

    ReplyDelete
  2. dear urvish, you may not like my nagging chase but i have to honestly differ with hon'ble justice lahoti when you write

    "નિવૃત્ત જસ્ટિસ લાહોતીના મતે, અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીય ન્યાયતંત્ર પ્રત્યે અહોભાવની નજરે જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છેઃ ન્યાયની ગુણવત્તા અને ન્યાયાધીશોની કાર્યક્ષમતા."

    hon'ble justice lahoti must have read shanti bhushan's famous comment that '8 of 16 chief justices of India were corrupt' and i believe અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા must have been aware of such erosion of ethics in our apex judiciary too.

    the paradox is the news (DNA, Oct 10,2010) that the same apex court in a 'holier than thou' comment declares that 'nothing moves without money in government departments' of the country.

    let us accept with the necessary shame that all our institutions are corrupt to the core.

    to collect testimonials to our ગુણવત્તા અને કાર્યક્ષમતા from developed foreign countries is in fact our national weakness, be it our prowess in creative pursuits like art, literature,film ( how we are going ga ga on receiving rehman's oscar!) et al. and now judiciary has joined in.

    let us first of put our house in order. to sum up i would like to emphasize with a quote from Anonymous that has a bearing on the ગુણવત્તા of the judiciary:

    'Unfortunately in judiciary there are examples of Judges becoming stenographers of senior lawyer/s'

    ReplyDelete