Monday, January 24, 2011

‘સ્વરસમ્રાટ’ કે.એલ.સાયગલનો એકમાત્ર ઉપલબ્ધ ઇન્ટરવ્યુ: મૈં મનકી બાત બતાઊં

K.L.Sehgal (Saigal) in President

કિશોરકુમાર, મહંમદ રફી, મુકેશ, તલત મહેમુદ, મહેંદી હસન...આ બધા ગાયકો વચ્ચે, સમકાલીન હોવા ઉપરાંત, બીજું કયું મોટું સામ્ય છે? એ સવાલનો જવાબ છેઃ કુંદનલાલ સાયગલ પ્રત્યેનો ભક્તિભાવ.

કિશોરકુમાર અને મુકેશે કારકિર્દીની શરૂઆતનાં કેટલાંક ગીતો સાયગલના અવાજ અને ગાયકીના ઘેરા પ્રભાવ તળે ગાયાં. ‘શાહજહાં’ના ગીત ‘મેરે સપનોંકી રાની’માં સાયગલ સાથે એક લીટી ગાવા મળી, એ બદલ રફી પોતાની જાતને નસીબદાર માનતા હતા. તલત મહેમુદ અને મહેંદ હસન ભારે આદરપુર્વક કહેતા રહ્યા કે ગઝલગાયકીમાં સાયગલસાહેબ લાજવાબ હતા. સાયગલ સાથે યુગલગીત ગાવા મળ્યું તેને સુરૈયાએ પોતાના જીવનની સૌથી ધન્ય ક્ષણોમાંની એક ગણાવી. લતા મંગેશકર જેવાં ‘ભારતરત્ન’ ગાયિકા અનેક વાર જુદા જુદા શબ્દોમાં સાયગલ વિશે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરી ચૂક્યાં છે. ‘શાહજહાં’માં સાયગલનો કંઠ સંગીતમાં ઢાળવાની તક મળી, તેને નૌશાદ મૃત્યુપર્યંત પોતાના જીવનની એક ઉપલબ્ધિ ગણતા હતા. સાયગલના અકાળે મૃત્યુ પછી તેમને અંજલિ આપતાં ‘ફિલ્મઇન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલે લખ્યું હતું,‘અખબારોમાં સાયગલના મૃત્યુના સમાચાર પ્રગટ થયા પછી એક અઠવાડિયા સુધી રાજકારણ અને પાકિસ્તાનને લગતા સમાચાર ગૌણ બની ગયા.’

૧૯૩૦-૪૦ના દાયકાના સંગીતમાં છવાઇ ગયેલા અને ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ માત્ર ૪૩ વર્ષની ઊંમરે અસ્ત થયેલા સાયગલ સાડા છ દાયકા પછી પણ ફિલ્મસંગીતના ઇતિહાસમાં દેવતાઇ સ્થાન ધરાવે છે. સંગીતના બદલાયેલા યુગમાં સાયગલ પ્રકારની ગાયકી રહી નથી- અને તેનો વસવસો પણ ન હોય, કારણ કે બીજી બાબતોની જેમ સંગીતમાં પણ સમયનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે.પરંતુ ખુલ્લું મન ધરાવતા કોઇ પણ સંગીતપ્રેમીને સાયગલનો કંઠ અને તેમની ગાયકી આજે પણ ઓળઘોળ કરી શકે છે. સાઠ વર્ષ પહેલાં ગવાયેલાં સાયગલનાં ફિલ્મી-બિનફિલ્મી ગીતો સાંભળતાં આજે પણ મનના ઉંડાણમાં અનોખી શાતા અને બિનઅંગત છતાં અંગત લાગે એવા દર્દનો અહેસાસ થાય છે.

સાત વર્ષ પહેલાં, ૨૦૦૪માં સાયગલની જન્મશતાબ્દિ આવી ત્યારે ગુજરાતી સંશોધક હરીશ રધુવંશી અને કાનપુરના ‘ફિલ્મ ગીતકોશ’કાર હરમંદિરસિંઘ ‘હમરાઝ’ની પહેલથી સાયગલ વિશેનો પહેલો અધિકૃત ગ્રંથ ‘જબ દિલ હી તૂટ ગયા’ તૈયાર થયો. સાયગલની સાચી જન્મ તારીખ (૧૧-૪--૧૯૦૪)થી માંડીને તેમણે ગાયેલાં ગીતોની તમામ વિગતો અને માહિતીપ્રદ-સંસ્મરણાત્મક લેખો ધરાવતા આ પુસ્તક પછી સાયગલ વિશેનાં પુસ્તકોની લાઇન લાગી ગઇ. સાયગલ વિશેનાં ત્રણ-ચાર મોંઘાદાટ ‘કોફીટેબલ’ પુસ્તકો બજારમાં આવી ગયાં.
પરંતુ સાયગલ વિશેના એક પણ પુસ્તકમાં તેમનો ઇન્ટરવ્યુ જોવા ન મળ્યો. એ સમયે ફિલ્મ સ્ટારની તસવીરો છપાતી હતી, પણ તેમના ઇન્ટરવ્યુનો રિવાજ પ્રચલિત થયો ન હતો. એટલે સાયગલના સમયગાળામાં ચાલતા ટોચના ફિલ્મમાસિક ‘ફિલ્મઇન્ડિયા’ના તમામ અંકો સંશોધકો પાસે હોવા છતાં, તેમાં ક્યાંય સાયગલનો ઇન્ટરવ્યુ ન હતો. સાયગલે પોતે કહેલું કશું વાંચવા-જોવા મળી જાય એની સાયગલ-સંશોધકો અને સાયગલપ્રેમીઓને જબરી તાલાવેલી હતી, પણ એ ઇચ્છા અઘૂરી જ રહી.

દરમિયાન, જ્યોતીન્દ્ર દવે સંબંધિત સંશોધન નિમિત્તે જૂનાં સામયિકો જોતાં આ લખનારને એ ચીજ મળી આવી, જે સાયગલનાં ચાર-પાંચ પુસ્તકોમાં પણ ન હતીઃ સાયગલનો ઇન્ટરવ્યુ- અને તે પણ ગુજરાતી અઠવાડિક ‘બે ઘડી મોજ’માં લેવાયેલો વિગતવાર ઇન્ટરવ્યુ.

ગઝલકાર-નવલકથાકાર ‘શયદા’(હરજી લવજી દામાણી) ના તંત્રીપદે પ્રકાશિત થતા ‘બે ઘડી મોજ’ના ૨૩ એપ્રિલ, ૧૯૩૯ના અંકમાં ‘કલકત્તાના કલાધામમાં સ્વરદેવતા સાયગલ સાથે ‘બે ઘડી મોજ’ માટે ખાસ વાર્તાલાપ’ પ્રગટ થયો હતો. સૂટ-હેટ-ટાઇમાં સજ્જ સાયગલની તસવીર સાથેના લેખનું મથાળું હતું,‘હું કાંઇ દેવદાસ નથી!’

ઇન્ટરવ્યુ પ્રગટ થયો ત્યારે સાયગલ કોલકાતા સ્થિત ‘ન્યૂ થિયેટર્સ’ સ્ટુડિયોના પગારદાર છતાં ફિલ્મજગતના સ્ટાર બની ચૂક્યા હતા. ચંડીદાસ, દેવદાસ, પુજારિન, કરોડપતિ, પ્રેસિડન્ટ, ધરતીમાતા, સ્ટ્રીટસિંગર, દુશ્મન જેવી તેમની ફિલ્મો અને ખાસ તો તેનાં ગીતો પ્રચંડ લોકપ્રિયતા મેળવી ચૂક્યાં હતાં. છતાં સાયગલના મનમાં કોઇ જાતની હવા પ્રવેશી ન હતી. ‘બે ઘડી મોજ’ વતી ઇન્ટરવ્યુ લેનારને તેમણે પહેલો સવાલ તો એ પૂછ્યો કે ‘તમે મારૂં સરનામું ક્યાંથી ખોળી કાઢ્યું? જે માણસો કલકત્તામાં રહે છે તેમને પણ મારા ઠામઠેકાણાની બરાબર જાણ
નથી. ત્યારે તમે તો ઠેઠ મુંબઇથી પરબારા મારે ઘેર પહોંચી આવ્યા. ખરેખર આશ્ચર્ય થાય છે.’

‘દેવદાસ’માં ભગ્નહૃદયી પ્રેમીના પાત્ર દ્વારા ખ્યાતિ પામેલા સાયગલ વિશે એ વખતે અનેક કથાઓ પ્રચલિત થઇ હતી (જેમાંની કેટલીક હજુ પણ ચાલે છે.) જેમ કે, સાયગલ પોતે દેવદાસ જેવા હતા, એટલે તે દેવદાસની ભૂમિકાને ન્યાય આપી શક્યા. મુલાકાતમાં તેમને આ મતલબનો સવાલ પૂછાયો એટલે એ ભલા માણસ બોલી ઉઠ્યા, ‘એ તો મારા પર ખુલ્લો આરોપ છે...હું કાંઇ દેવદાસ જેવો દુનિયાનો ઉતાર નથી. પડદાના દેવદાસની માફક જીવનનો જુગાર આદરવામાં હું માનતો નથી. તેવી જ રીતે અનિશ્ચિત ને અસ્થિર જીવન હું જીવતો નથી. બધા માણસોની જેમ હું પણ ગૃહસ્થ છું. મારાં સ્ત્રીબાળબચ્ચાં સાથે સુખચેનથી દિવસો વીતાડું છું. સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યા પછી ઘર સિવાય બીજી કોઇ વસ્તુનો હું ભાગ્યે જ વિચાર કરૂં છું.’ (અવતરણોમાં શબ્દો મૂળ ઇન્ટરવ્યુના પાઠ પ્રમાણે રાખ્યા છે.)

સાયગલ જેવા મેગાસ્ટારને ફિલ્મોમાં કોણ લઇ આવ્યું, એ વિશે જેટલાં મોં એટલી વાતો છે. પરંતુ ‘બે ઘડી મોજ’ની મુલાકાતમાં પહેલી વાર સાયગલના મોઢેથી એ વાત જાણવા મળે છેઃ ‘૧૯૩૦ની સાલમાં હું રેમિંગ્ટન ટાઇપરાઇટર કંપનીના રેપ્રિઝન્ટીવ તરીકે કલકત્તે આવ્યો હતો. એ વખતે મી. સરકાર (ન્યૂ થિયેટર્સના માલિક) સાથે મારી સહજ મુલાકાત થઇ ને હું એમને મળ્યો તે સમય દરમ્યાન તેઓ ફીલ્મ કંપની કાઢવાનો વિચાર ચલાવી રહ્યા હતા. મશીનરી માટે ઓર્ડર પણ અપાઇ ગયો હતો. ફક્ત સ્ટુડીયો જ તૈયાર થયો ન હતો. એક દીવસ મી.સરકાર, મી.હાફીઝ, મી. કાઝી અને મી.પંકજ મલિક સાથે બેસીને સંગીત વીષે ચર્ચા ચલાવી રહ્યા હતા. મને ગાવાનો નાનપણથી જ નાદ છે એમ કહું તો પણ ચાલે. એટલે અવારનવાર જ્યારે હું નવરો પડ્યો હોઊં ત્યારે કોઇ ને કોઇ ગાયન કે સંગીતની ઘુન મારા મોઢામાં જાણે હોય જ. ને આ લોકો મારા આ જાતના સ્વભાવથી સુપરિચિત હતા. એટલે એમની ચર્ચા પૂરી થઇ કે તરત જ તેમણે મને એમની નવી નીકળનાર કંપનીમાં જોડાઇ જવા માટેની ઓફર કરી. તે વખતે કોણ જાણે શા માટે પણ હું એમની કંપનીમાં નટ તરીકે જોડાવા તૈયાર નહોતો. પણ પાછળથી એમણે મને ઘણું સમજાવ્યું અને આ ધંધાના સારા પ્રોસ્પેક્ટસની મારી આગળ મોટી મોટી વાતો કરી ત્યારે મેં એમની વાત માન્ય રાખી લીધી. પણ એટલા માટે મને શરૂઆતમાં સહન એટલા પુરતું કરવું પડ્યું કે એ દિશામાં હું દાખલ થાઊં એવી મારા માતાપિતાની ઇચ્છા નહોતી. પણ તે છતાંય હું આ દિશામાં દાખલ તો થઇ જ ગયો.’

‘દેવદાસ’ ફિલ્મમાં નશામાં ચકચૂર થઇને સડકના કિનારે પડ્યાં પડ્યાં સાયગલે ગણગણેલી ઉસ્તાદ અબ્દુલકરીમખાંની ઠૂમરી ‘પિયા બિન નાહી આવત ચૈન’ સાયગલની કારકિર્દીનું એક શીખર ગણાય છે. બોલાતા અને ગવાતા શબ્દો વચ્ચેનો ભેદ ભૂંસીને, શબ્દોના ભાવની ઉત્કટ અદાયગી કરવી એ સાયગલશૈલીનો ‘પિયા બીન...’ ઉત્તમ નમૂનો છે. ફૈયાઝખાનને સાયગલે ઉસ્તાદ માન્યા એ વિશે અનેક કથાઓ ચાલે છે, પણ હકીકત ખુદ સાયગલના શબ્દોમાં ‘સંગીતની તાલીમબાલીમ મેં લીધી જ નથી. મારી રીતે મેં ગાવાની શરૂઆત કરી ને હું ગાવા લાગ્યો. એક દિવસ એક રમુજી પ્રસંગ બન્યો. એક દિવસ ફૈયાઝખાં અહીં આવ્યા હતા. તેમણે મને સુચનારૂપે જણાવતાં કહ્યું કે ઉસ્તાદ તો જરૂર રાખવો જોઇએ. ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમે જ મારા ઉસ્તાદ બની જાઓ!’ ને મેં એમને જ મારા ઉસ્તાદ માની લીધા.’ આ મુલાકાતમાંથી એ પણ જાણવા મળે છે કે સાયગલ કોઇ પિક્ચર આખું જોઇ શકતા ન હતા. ‘મારી આંખો એટલી બધી ખરાબ છે કે હું પિક્ચરો જોઇ શકતો નથી. પિક્ચર હાઉસમાં બે કલાક માટે બેસી રહું તો મારૂં માથું દુઃખી આવ્યા સિવાય રહે જ નહિ.’

પોતાની હોબીઝ વિશે સાયગલે કહ્યું હતું,‘પિકચરો તો જાણે હું જોતો નથી. બાકી વાંચવાનો અને ઘોડેસવારીનો મને નાદ છે. એટલે એમાં જ મશગુલ રહું છું. આ સિવાય મને બીજા કોઇ શોખ હોય એવું મને લાગતું નથી.’
‘આ ક્ષેત્ર ન સાંપડ્યું હોત તો આજે તમે જીવનના કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોત?’ એવા સવાલનો સાયગલે આપેલો જવાબ છે,‘તો આજે હું રેમિંગ્ટન ટાઇપ રાઇટર કંપનીના રેપ્રિઝન્ટીવ તરીકે કલકત્તાના રસ્તાઓ પર હાથમાં બેગ લઇને ફરી રહ્યો હોત!’

ખરેખર કરવા જેવી અને કરવી ન ગમે એવી કલ્પના એ છે કે સાયગલ આ ક્ષેત્રમાં ન આવ્યા હોત તો, લાખો સંગીતપ્રેમીઓનું શું થાત!

11 comments:

  1. Anonymous6:59:00 PM

    Dear Urvishbhai...Dhanya Dhanya ane aapne tau HATS OFF....Yes GREAT..ALL TIME..Kundan Lal Sahigal.....and yes what is written for Mukesh..Talat ji..Moh'd Rafi ji and even Lataji is absolutely CORRECT...that tima there was a CRAZE...I remeber one song he sang two times...one with Sharab(Drink) and another W/o...the one w/o was superb ane the WORDS he uttered KAASH AAP MUZE PAHELE MEELE HAUTE!!!!! GOD REST HIS SOUL TO ETERNAL PEACE....jsk..

    ReplyDelete
  2. સુંદર!
    અશોક ભાર્ગવ

    ReplyDelete
  3. Anonymous11:22:00 PM

    Thanks for the article, Urvish.

    SP

    ReplyDelete
  4. Anonymous10:38:00 AM

    Thanks.
    Interesting article.
    Regareds.

    ReplyDelete
  5. khub saras.. urvishbhai

    ReplyDelete
  6. enu j naam jindagi gaalib no share chhe ne

    DUBOYAA MUJKO HONI NE NAA HOTA TO MAI KHUDA HOTA

    ReplyDelete
  7. Anonymous1:48:00 PM

    ohh yaar, again u have presented a real gem. Heartly complimens for this interview and salute to ur hard work and investigative sense
    - Dhaivat

    ReplyDelete
  8. ભારે જમાવટ કરી હો તમે તો યાર! આ તો સાહિત્યિક પુરત્તાવીય સંસોધન થયું. અને એ મુલાકાત 5-૬-૭ પણ ભરીને લીધી હોત તો કેવી મજા આવત?

    ReplyDelete
  9. As Mr. Dhaivat said, this is truly a gem. A brilliant discovery well presented. Well done Mr. Kothari.

    ReplyDelete
  10. How can e deny , this article being a gem not to consider, 'Bhare dubki lagaavine sunder moti shodhi kadhhyu.' Anand Anand thai gayo..

    ReplyDelete
  11. Urvish...Thank you for superb article.
    Dalpat

    ReplyDelete