Tuesday, January 18, 2011

‘પૂજ્ય’ મોરારિબાપુ અને રેશનાલિઝમ

(‘નિરીક્ષક’ અને ‘વૈશ્વિક માનવવાદ’માં પ્રગટ થયેલો લેખ)

રમણભાઇ પાઠકનાં રેશનાલિઝમ વિષયક લખાણોના વિજય ભગતે કરેલા સંકલન ‘વિવેકવિજય’નું લોકાર્પણ ૧૨ ડિસેમ્બર,૨૦૧૦ના રોજ સુરતમાં મોરારિબાપુના હસ્તે થયું. તેનાથી થોડો વિવાદ પણ થયો. મોરારિબાપુ અને રેશનાલિઝમના સંબંધ અંગેનો આ પહેલો વિવાદ નથી અને છેલ્લો પણ નહીં જ હોય. છતાં, આ મુદ્દે વધારે સ્પષ્ટતા માટે જેની પર વિચાર કરી શકાય, બલકે વિચાર કરીને પ્રામાણિક જવાબો મેળવવાના રહે, એવા કેટલાક મુદ્દા અહીં નોંઘ્યા છે.

૧) મોરારિબાપુ સહિત કોઇ પણ ધાર્મિક વ્યક્તિની આભડછેટ રાખવી ન પાલવે, એ વાત સાથે સો ટકા સંમત. સવાલ અંધશ્રદ્ધાવિરોધી પ્રચાર કે મંદિરની જગ્યાએ શૌચાલયો બનાવવા જેવા જાહેર હિતનો હોય ત્યારે તો ખાસ નહીં. અમસ્તો પણ સ્વસ્થ માણસ અંતિમવાદી કે કોઇ પણ પ્રકારની આભડછેટ પાળનારો ન હોઇ શકે.

વાંધો કોઇની સાથે હાથ મિલાવવા સામે નહીં, કોઇને માથે ચડાવવામાં હોય છે. દા.ત. પાઠકસાહેબ જેવા વડીલ અને ઘણા બધાની નજરમાં આદરણીય જણ તેમના ઊંમરમાં અને જ્ઞાનમાં ઘણા નાના મોરારિબાપુનો ઉલ્લેખ ‘પૂ.મોરારિબાપુ’ તરીકે શા માટે કરતા હશે, એવો સહજ સવાલ થાય. સંબોધન તરીકે મને મિત્ર દીપક સોલિયાનું ‘મોરારિભાઇ’ વધારે ગમે છે, છતાં ‘મોરારિબાપુ’ તેમનું પ્રચલિત નામ ગણીને એ નામે તેમનો ઉલ્લેખ કરવામાં જરાય વાંધો નથી. પણ પૂજ્ય? શા માટે?

મોરારિબાપુ અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે કે મંદિરની જગ્યાએ શૌચાલયો બાંધવાનો પ્રચાર કરે છે, એ કારણ હોય તો મારે ‘પૂજ્ય’ લગાડવાની શરૂઆત પાઠકસાહેબથી કરવી પડે અને એવું થાય તેની સાથે જ એક નવો પંથ-નવો ફિરકો-નવું ભક્તમંડળ શરૂ.

અહીં એવી દલીલ થઇ શકે કે ‘મોરારિબાપુ’ની જેમ ‘પૂ.મોરારિબાપુ’ને તમનું પ્રચલિત નામ ગણી લેવું જોઇએ. ‘પૂજ્ય’ શબ્દથી આખરે ફરક શું પડે છે? આપણે આપણે જ રહેવાના છીએ અને મોરારિબાપુ મોરારિબાપુ જ રહેવાના છે. તેનો જવાબ છેઃ ‘પૂજ્ય’ શબ્દથી સ્વસ્થ માણસોને ફરક પડે કે ન પડે, ધાર્મિક માણસોને બહુ ફરક પડે છે. મોરારિબાપુને ‘પૂજ્ય’ ગણવાથી સેંકડો શ્રોતાઓ-ભક્તોનો મોરારિબાપુ પ્રત્યેનો પૂજ્યભાવ રેશનાલિઝમ-અપ્રુવ્ડ/રેશનાલિઝમ માન્ય બની જાય છે. ‘રમણભાઇ જેવા વયોવૃદ્ધ રેશનાલિસ્ટ પણ બાપુને પૂજ્ય ગણે છે’ એ વાક્યનું વજન અને સમાજના મોટા વર્ગ પર તેની અસર- તેના સૂચિતાર્થો વિશે સૌ કલ્પના કરી શકે છે.

૨) મોરારિબાપુ સાથે ‘હાથ મિલાવનારા’ કેટલી હદે સમતા-સમભાવ જાળવી શકે છે? મોરારિબાપુ રેશનાલિઝમનાં અમુક અંગોનો પ્રચારપ્રસાર કરતા હોય, તેને આવકારતી વખતે બહુમતિ ‘રેશનાલિસ્ટો’ કઇ લાગણી અનુભવે છે? આનંદની કે ધન્યતાની? પાઠકસાહેબે ‘ગુજરાતમિત્ર’ના તેમના લેખમાં કહ્યું છે કે ‘વિશ્વની તમામ વિચારસરણીઓને...‘સહાનુભૂતિકાર’ હોય જ છે અને કોઇનેય એવા ‘સહાનુભૂતિકારો’ માટે તિરસ્કાર નથી. સામ્યવાદનો સૂર્ય ભારતમાં જ્યારે સોળે કળાએ પ્રકાશતો હતો, ત્યારે એના આવા અનેક સહાનુભૂતિકારો હતા (પંડિત નેહરૂ સહિત) જે બદલ સામ્યવાદીઓ ગૌરવ અનુભવતા. પુ.મોરારિબાપુ આજે રેશનાલિઝમના એવા જ સહાનુભૂતિકાર છે. એ બદલ રેશનાલિસ્ટોએ કટ્ટરતા છોડી ગૌરવ જ અનુભવવું જોઇએ.’

સામ્યવાદીઓ નેહરૂ માટે ગૌરવ અનુભવતા હશે કદાચ, પણ નેહરૂને તેમણે પોતાના માથે બેસાડ્યા ન હતા અને બેસાડ્ય હોત તો પણ એ તેમનો પ્રોબ્લેમ ગણાત. રેશનાલિસ્ટોના વર્તનમાંથી ‘સિમ્પેથાઇઝર’ અને ‘ઉદ્ધારક’ વચ્ચેનો ભેદ મોરારિબાપુના મામલે ઘણી વાર ભુંસાઇ જતો લાગે છે.

મોરારિબાપુ ધર્મકથા રૂપી અફીણમાં ઠીક ઠીક પ્રમાણમાં રેશનાલિઝમ રૂપી તુલસીનો ઉકાળો ભેળવતા હોય, તેથી તેમને વૈદકના પદવીદાન સમારંભોના મુખ્ય અતિથી બનાવીને આશીર્વચન આપવા નિમંત્રવા કે કેમ, એ પોતાને રેશનાલિસ્ટ ગણતા મિત્રોએ વિચારવા જેવું છે. જન્મગત અથવા કૌટુંબિક સંસ્કારોથી દોરવાઇને, મોરારિબાપુના સંપર્કમાં આવેલા, તેમની સરળતાથી આકર્ષાયેલા ઘણા મિત્રો મોરારિબાપુ સાથેના વર્તનમાં કે તેમના ઉલ્લેખમાં ધડો જાળવી શકતા નથી એવું હંમેશા લાગ્યા કરે છે. મોરારિબાપુ રેશનાલિઝમની કેટલીક પ્રવૃત્તિઓનો પ્રચારપ્રસાર કરતા હોય તો એટલા પૂરતા તેમને જરૂર આવકારી શકાય. તે સખાવત કરતા હોય તો એક દાતાને અપાતા હોય એટલા માનસન્માનના તે ચોક્કસ અધિકારી છે. પરંતુ કેટલા રેશનાલિસ્ટો દિલ પર હાથ મૂકીને કહી શકશે કે મોરારિબાપુ વિશેનો તેમનો આદર મોરારિબાપુના રેશનલ કાર્યોના સપ્રમાણમાં છે? અને તેમાં ‘પાયલાગણ’ની લાગણી ભળેલી નથી? મોરારિબાપુ જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા ‘રામકથાના શાહરૂખખાન’ની સરળ-પ્રેમાળ અને ઘણી વાર મદદગાર વર્તણૂકથી કેટલા ‘રેશનાલિસ્ટો’ કચડાયા વિના રહી શક્યા છે?

૩)પાઠકસાહેબે મોરારિબાપુને ‘ભારતીય સંસ્કૃતિનાં બે મહાન એપિક (મહાકાવ્યો)ના કથાકાર, પ્રચારક’ ગણાવીને તેમનો બચાવ જ નહીં, મહિમા કરવો પડે એને ‘રેશનાલિઝમ’ તરીકે ગળે ઉતારવું અઘરૂં છે. ‘રામાયણ’ ભારતીય સંસ્કૃતિનું મહાકાવ્ય છે એમાં બેમત નથી. પણ મોરારિબાપુ એનો મહાકાવ્ય તરીકે પ્રચાર કરે છે કે ધાર્મિક મહાગ્રંથ તરીકે- એ બાબતે જરા વધારે પ્રામાણિક થવા જેવું નથી લાગતું? એ જ રીતે મોરારિબાપુ ગરીબો-દલિતોને ત્યાં જઇને જમે તેનાથી અંજાઇ જતા મિત્રો મોરારિબાપુની કર્ણાવતી ક્લબમાં થતી કથા વિશે કંઇક કહે એવી અપેક્ષા રહે છે.

૪) અત્યાર લગીના મુદ્દા, સૌએ નોંઘ્યું હશે કે, મોરારિબાપુને નહીં, ‘રેશનાલિસ્ટ’ મિત્રોને લાગુ પડે છે. હજુ મોરારિબાપુનું પુરાણ તો ખૂલ્યું જ નથી. ના, અહીં પેલા નામજોગ આવતા નનામા પત્રોની વાત નથી. કેવળ જાહેર જીવનનાં થોડાં ઉદાહરણ બસ થઇ પડશે. થોડાં વર્ષ પહેલાં ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથામાં મોરારિબાપુએ ગુજરાતના મુખ્ય મંત્રી અને ગુજરાતના નં.૧ તંત્રી વચ્ચે ‘સેતુકાર્ય’ ની જાહેર કોશિશ કરી હતી. (અંગ્રેજીમાં સેતુકાર્યનો એક સમાનાર્થી શબ્દ છેઃ ફિક્સિંગ.) સેતુકાર્યના ઉત્સાહમાં મોરારિબાપુએ કથામાં એ મતલબનું કહી દીઘું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ આને ‘મૌલિક’ અર્થઘટન ગણવું કે ‘સગવડિયું’ એ નિર્ણય વાચકો પર છોડું છું. એ જ કથામાં મોરારિબાપુએ ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસાનાં ગાડાં ઠાલવતાં એ મતલબનું કહ્યું હતું કે મુખ્ય મંત્રીને સત્તાની જરાય પરવા નથી. એ તો આમ કરીને આમ સત્તા ફગાવી શકે.’ એમ કહીને તેમણે બાજુમાં પડેલો તકિયો ઉંચકીને એક તરફ ફેંક્યો હતો.

નજીકના ભૂતકાળની વાત કરીએ તો, દુનિયાભરના ગુજરાતીઓમાં જેમને કારણે મહુવા જાણીતું છે તે મોરારિબાપુ મહુવાના પ્રજાકીય આંદોલનને ‘રાજકીય ’ ગણીને તેનાથી સલામત અંતરે રહ્યા છે. અગાઉ કર્ણાવતી ક્લબમાં થયેલી રામકથામાં તેમણે ભારત-શ્રીલંકા વચ્ચે આવેલો ‘કહેવાતો રામસેતુ’ તોડવો ન જોઇએ, એ મતલબનાં ફોર્મ શ્રોતાઓ પાસે ભરાવ્યાં હતાં. એ સેતુ ખરેખર રામસેતુ ન હોઇ શકે, એવું ગુજરાતી પુરાતત્ત્વવિદ હસમુખ સાંકળિયા સહિત મોટા ભાગના અભ્યાસીઓ માને છે. ‘નાસા’એ સમુદ્રતળેની એ ખડકરચના ‘રામસેતુ’ છે એવું કોઇ પ્રમાણપત્ર આપ્યું નથી. તેમ છતાં, મોરારિબાપુ એ ‘રામસેતુ’ને બચાવવા માટે કથાના અંતે કથારસિક શ્રોતાઓ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ફોર્મ ભરાવી શકે છે.

આ મોરારિબાપુ છે અથવા મોરારિબાપુ આ પણ છે એ વાતનો શો ધોખો કરવો? પ્રશ્ન એક જ થાય છેઃ મોરારિબાપુનું ‘જેટલું સારૂં છે તેટલું સ્વીકારવાની’ વાતો કરનારા ઉપર જણાવ્યા છે એ પ્રકારના પ્રસંગોએ મોરારિબાપુની ટીકા કરવા જેટલી સ્વસ્થતા બતાવી શક્યા છે? બતાવી શકશે? કે પછી લાભાર્થી-અહોભાવાર્થી બનીને ‘આપણા નસીબમાં આવા માણસનો સ્નેહભાવ ક્યાંથી! મારા કહેવાથી એમણે અમુકતમુક કામ નહોતું કરી દીઘું!’ એમ વિચારીને ચૂપ રહેશે?

સવાલ મોરિરાબાપુનો નથી. પોતાની જાતને રેશનાલિસ્ટ ગણાવતા લોકોનો છે. એ કેટલી સ્પષ્ટતા સાથે મોરારિબાપુ સાથે જાય છે અને તેમની સમક્ષ બેઠા પછી કેટલીક સ્વસ્થતા ટકાવી શકે છે, એ સૌથી અગત્યની અને વિચારવા જેવી વાત છે.

મોરારિબાપુના ટીકાખોર ટીકાકાર થયા વિના કે તેમની પાંખમાં બેસીને અહોભાવથી ભીના ભીના થયા વિના, તેમની અંધશ્રદ્ધાવિરોધી વાતોને બિરદાવતાં ખચકાવાની જરૂર નથી. એટલી પ્રશંસાથી ‘રેશનાલિઝમ ખતરેમેં’ નહીં આવી જાય. સાથોસાથ, તેમની પ્રશંસા કરતી વખતે ‘એરણની ચોરી ને સોયનું દાન’ જેવી કહેણીઓમાંથી મળતો, ધડો રાખવાનો બોધ પણ ભૂલવા જેવો નથી.

12 comments:

  1. Urvish, this is a truly fantastic exposition of the 'cosiness' that our cultural icons suffer from. Since I am far away from the circuit you are alluding to, I have no idea which rationalists you are referring to here, but I do get the general drift.

    My humble understanding is that Pathaksaheb at his age has probably stopped caring about niceties like who to call for the book launch. If Moraribhai's presence helps gather more people, be that so. As a long time admirer of his, I'll concede it's more than a bit disconcerting. Pathaksaheb's contribution to the Rationalism Discourse in Gujarat is original and unparalleled and I wish it remains unsullied from these associations.

    ReplyDelete
  2. Anonymous7:24:00 PM

    urvishnu chashku pachu....akhlo lal rang joi gando thay em modi nu nam sambhli urvish nu chatake che....

    ReplyDelete
  3. Anonymous10:41:00 AM

    Thodu vibrant summit vishe lakho to vadhare maja padse

    ReplyDelete
  4. 'bapu' in gujarati has 3 meanings :

    1. father, and it is in this sense the father of the nation is respected.

    2.any hindu mendicant living by begging alms but respected by community as a bhajan-singer/story-teller and religious teacher/preacher

    3.a member of so-called rajput caste called as such out of fear and sycophancy

    it appears murari bapu has earned his title on the strength of the second meaning, unlike gandhibapu and vaghelabapu.

    rationalists therefore need not feel embarrassed in addressing him 'murari bapu', for it is the title he has earned by his profession and he rightfully deserves it.

    no fuss, no hair-splitting please.

    ReplyDelete
  5. Anonymous12:14:00 PM

    ભાઇ ઉર્વિશ, આપણે ત્યાં વસવાયાગીરી કહો કે પાયલાગણ માનસિકતા કે પછી વયક્તિક ખુમારીનો અભાવ બધું ગળથુથીગત -સદિઓના સાંસ્ક્રુતિક ઘડતરનુ પરિણામ છેં. ચાપલુસો વૈચારિક અપ્રમાણિકતા સાથે પોતાનો બચાવ કરે તે સ્વાભાવિક છે બાકી ભલભલા માથાં આપણે ત્યાં સ્ટેટસના તફાવતે એક બીજાના ચરણોમાં આળોટવા તૈયાર હોયછે એ હકિકત છેં.

    ReplyDelete
  6. ઉર્વીશભાઇ,
    ફરી એક વખત ઉર્વીશ કોઠારી ‘ટાઇપ’ લખાણ. કમનસીબે વ્યક્તિ પૂજા એ આપણા સમાજ નો નાઇલાજ રોગ છે. પછી એ કોઇ મહાત્મા હોય, રાજકારણી હોય કે પછી આવા પ.પુ.ધ.ધુ.ઓ માટે હોય.
    પરંતુ એક એ પણ સત્ય છે કે ‘જો દીખતા હૈ, વો બીકતા હૈ’. એ ન્યાયે મોરારીબાપુ (બાપુ ને એના નામ નો જ એક ભાગ ગણશો.) આવા સમાચારો મા રહે એ એના ‘બીઝનેસ્’ માટે ઘણુ જરૂરી છે. જરા વિચારો કે મોરારિબાપુએ માત્ર ગરીબો માટે જ રામકથા કરી હોત તો આજે એમને કેટલા લોકો જાણતા હોત. એમણે કરેલી પંચ-તારક રામકથાઓ ને કારણે જ તેઓ આજે મુખ્યમંત્રી સાથે એક મંચ પર બીરાજી શકે છે. બાકી તો આ દેશ મા કથાકારો ઘણા છે. પરંતુ એ પૈકીના જેઓ એ કથા ને ‘કથા’ તરીકે જ ગણી તેઓ ‘કથાકાર’ જ રહ્યા. પરંતુ જેઓ એ ‘કથા’ ને એક ‘બીઝનેસ્’ તરીકે લિધી તેઓ જ પ.પુ.ધ.ધુ. બની શ્ક્યા છે. જય હો !!!

    ReplyDelete
  7. i liked your opening remark which pleads for openness :

    'મોરારિબાપુ સહિત કોઇ પણ ધાર્મિક વ્યક્તિની આભડછેટ રાખવી ન પાલવે, એ વાત સાથે સો ટકા સંમત. સવાલ અંધશ્રદ્ધાવિરોધી પ્રચાર કે મંદિરની જગ્યાએ શૌચાલયો બનાવવા જેવા જાહેર હિતનો હોય ત્યારે તો ખાસ નહીં. અમસ્તો પણ સ્વસ્થ માણસ અંતિમવાદી કે કોઇ પણ પ્રકારની આભડછેટ પાળનારો ન હોઇ શકે.'

    i would also like to quote Buddha, not for the benefit of the layman only but also for the benefit of the rationalists :

    “Believe nothing, no matter where you read it, or who said it, no matter if I have said it, unless it agrees with your own reason and your own common sense.

    i do believe rationalists are real humanists and that also makes them genuine humanitarian too. and perhaps that is why they feel more concerned about the welfare of the humankind. and again that is why they clamour over the ideological deviations that they think might harm the well being of humankind.

    but i pray, let people be guided by that buddha advice rather than by any dogmatism. it is open and voluntary, inclusive and inviting.

    ReplyDelete
  8. All four definitions i.e. (1) Religion (2) Rationality (3) Social Engineering (4) Political Engineering are quite different. Sounds like all tests are mixed up.

    ReplyDelete
  9. 'rev. fr. desouza' - that is how we used to address our principal (st.xavier's college, ahmedabad), i remember. i wasn't a hard core rationalist in those days and i was following the convention.

    but now that i am, i still prefer to address fr paul varghese as 'rev. fr. paul varghese' and that is not as a mere courtesy or convention but certainly out of respect for his humanitarian writings and preachings.

    if pathak saheb really thinks that 'મોરારિબાપુ' is worthy of calling ‘પૂ.મોરારિબાપુ’ on his other 'humanitarian' credentials (not the ones that are being circulated through anonymous letters), let him exercise his right of free expression and enjoy his personal liberty.

    neerav patel

    ReplyDelete
  10. Instead of treating him as 'just a great orator', people treat him as a 'saint'. That's the irony (or ill fate to be precise) of our society.

    ReplyDelete
  11. Anonymous2:03:00 AM

    wah urvishbhai ekdam santulit ane adbhut lekh...

    kuldeep karia

    ReplyDelete
  12. Anonymous6:20:00 PM

    lekh saro che eni karta sacho vadhare che...
    suresh gavaniya

    ReplyDelete