Monday, January 03, 2011

વાતવાતમાં ગીત ફુટી નીકળે એનું નામ દિલીપ ધોળકિયા

(The impersonal additional obit I wrote for today's GS)

હજુ 30 ડિસેમ્બર, 2010ના રોજ ભારતીય વિદ્યાભવનનું પ્રતિષ્ઠિત મુનશી સન્માન મેળવનાર 89 વર્ષના ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાનું રવિવારે સવારે મુંબઇમાં અવસાન થયું. છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં દવાખાનામાં દાખલ થયેલા દિલીપભાઇનો જુસ્સો અને કલાકાર મિજાજ છેવટ સુધી અકબંધ હતાં. જાહેર કાર્યક્રમ હોય કે ખાનગી મહેફિલ, 1950 હોય કે 2010, દિલીપ ધોળકિયાનો બુલંદ કંઠે તમામ ઉંમરના, તમામ પેઢીના શ્રોતાઓને ડોલાવ્યા છે. મૃત્યુના બે દિવસ પહેલાં હોસ્પિટલના બિછાનેથી મુનશી સન્માનનો પ્રતિભાવ આપતી વખતે, નાકમાં નળીઓ હોવા છતાં, તેમણે વિડીયો કેમેરા સમક્ષ એક ગીતની થોડી પંક્તિઓ ગણગણી બતાવી હતી. વાતવાતમાં કંઠેથી ગીત ફુટી નીકળે એ દિલીપ ધોળકિયા.

દિલીપભાઇની મુખ્ય કે પહેલી ઓળખ ‘તારી આંખનો અફીણી’ના ગાયક તરીકે ભલે રહી, પણ ફિલ્મી અને બિનફિલ્મી ગીતોમાં તેમનું પ્રચંડ પ્રદાન છે. ફક્ત ગુજરાતી જ નહીં, હિંદી ફિલ્મોમાં પણ તેમણે ગીતો ગાયાં છે અને આઠ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. હિંદી ફિલ્મોમાં તેમણે દિલીપ ધોળકિયા ઉપરાંત ડી.દિલીપ અને એક ફિલ્મમાં દિલીપ રાયના નામે પણ સંગીત આપ્યું હતું. ફિલ્મ ‘ભંવરા’ના એક ગીત ‘ઠુકરા રહી હૈ દુનિયા’માં સ્વરસમ્રાટ કુંદનલાલ સાયગલ સાથે કોરસમાં ગાવા મળ્યું તેને દિલીપભાઇ પોતાનું સૌભાગ્ય ગણાવતા હતા. એટલે જ હરીશ રઘુવંશી અને હરમંદિરસિંઘ ‘હમરાઝ’ દ્વારા સાયગલની જન્મશતાબ્દિ નિમિત્તે સંકલિત ‘સાયગલ ગીતકોશ’નું ગ્રામોફોન ક્લબના ઉપક્રમે અમદાવાદમાં દિલીપભાઇના હાથે વિમોચન થયું ત્યારે તેમણે ધન્યતાની લાગણી પ્રગટ કરી હતી.

મહંમદ રફી જે ગીતથી દેશભરમાં જાણીતા થયા તે ફિલ્મ ‘જૂગન’નું નૂરજહાં સાથેનું યુગલગીત ‘યહાં બદલા વફા કા બેવફાઇ’ પહેલાં દિલીપ ધોળકિયા ગાવાના હતા. એમના અવાજમાં ગીતનું રીહર્સલ પણ થઇ ચૂક્યું હતું. પરંતુ પંજાબમાં ચાલતાં રમખાણોની વચ્ચે રફી મુંબઇ આવી પહોંચતાં ફિલ્મના સંગીતકાર ફિરોઝ નિઝામીએ દિલીપભાઇને બીજું ગીત આપવાનું કહીને આ ગીત રફી પાસે ગવડાવ્યું. અત્યંત લોકપ્રિય ગુજરાતી ગીત ‘રાખનાં રમકડાં’ સૌથી પહેલાં દિલીપભાઇએ 1946માં આઇ.એન.ટી.ની નૃત્યનાટિકા ‘નરસૈયો ભક્ત હરિનો’ માટે ગાયું હતું.

ચિત્રગુપ્ત, એસ.એન.ત્રિપાઠી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કરનાર દિલીપભાઇનો લતા મંગેશકર અને મંગેશકર પરિવાર સાથે પણ નિકટનો નાતો હતો. છે્લ્લેછેલ્લે મુનશી સન્માન મળ્યા પછી લતા મંગેશકરે હોસ્પિટલમાં ફોન કરીને દિલીપભાઇને અભિનંદન આપ્યાં હતાં, તો થોડા વખત પહેલાં અમદાવાદ આવેલાં શમશાદ બેગમ પણ ‘ઢોલકિયાસાબ’ને પ્રેમથી મળ્યાં હતાં. દિલીપભાઇનું સંગીત ધરાવતી પહેલી ગુજરાતી ફિલ્મ ‘સત્યવાન સાવિત્રી’(1963)માં લતા મંગેશકરનાં છ ગીત હતાં. મહંમદ રફીનું મધુરું ગીત ‘મીઠડી નજરું વાગી’ પણ આ જ ફિલ્મનું હતું. ‘કંકુ’માં દિલીપભાઇએ સ્વરબદ્ધ કરેલાં ગીતો બહુ પ્રતિષ્ઠા પામ્યાં. તેમણે મુકેશ, રફી, મન્નાડે, લતા મંગેશકર, આશા ભોસલે, ગીતા દત્ત, ભૂપેન્દ્ર, નીતિન મુકેશ, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક જેવાં હિંદી ગાયક-ગાયિકાઓ પાસે ગીતો ગવડાવ્યાં. તેમણે પોતે અજિત મર્ચંટના સંગીતમાં વેણીભાઇ પુરોહિત, ઉમાશંકર જોશી, નાનાલાલ જેવા ધુરંધર ગુજરાતી કવિઓની રચનાઓ ગાઇ. ગાયક તરીકે તેમની કારકિર્દીની પહેલી રેકોર્ડ 1946માં એચ.એમ.વી.માં કામ કરતા સંગીતકાર સ્નેહલ ભાટકરની મદદથી બની હતી, જેમાં વેણીભાઇ પુરોહિતે લખેલાં બે ગીત ‘આધા તેલ ઔર આધા પાની’ તથા ‘ભીંત ફાડીને પીપળો ઉગ્યો’ દિલીપભાઇએ પોતે સ્વરબદ્ધ કરીને ગાયાં હતાં.

છેલ્લા બે દાયકાથી તેમણે વ્યાવસાયિક નિવૃત્તિ લીધી અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી ટીવી શ્રેણીમાં સંગીત આપવા જેવા અપવાદ સિવાય નિવૃત્તી પાળી. પરંતુ સંગીત સાથેનો તેમનો નાતો કદી છૂટી શકે તેમ ન હતો. સંગીત તેમના અસ્તિત્ત્વ સાથે એકાકાર થયેલું હતું. છેલ્લે તેમની સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે તે અંગ્રેજીમાં પોતાનાં સંભારણાં લખી રહ્યાં છે. એ કામમાં તેમની પૌત્રી તેમને મદદરૂપ થતી હતી. સંભારણનું કામ પૂરું થતાં પહેલાં દિલીપભાઇ ઉપડી ગયા છે, પણ અનેક સંગીતરસિકો માટે તે ભરપૂર સુરીલાં સંભારણાં મુકતા ગયા છે.

The Process...


(R to L : Dilip dholakia, Badrinath Vyas, Amrish Parikh, Chandrashekhar Vaidya, Urvish Kothari)

...and The Result

Glimpses of How dilipkaka used to enjoy mehfils. here's short clip of conversation in which he remembers artists like C.Ramchandra, SD Burman, Mohd.Rafi, Manna dey, Yashwant Bhatt.

1 comment:

  1. 'sava basher nun marun datatdun re lol', 'chhanu re chhapanun kain thay nahi, ' umare ubhi sanbhlu re bol valama' 'mari aankhe kanku na suraj aathamya'...

    melody, romance, serenity, playfulness -
    i find all these in some of our Gujarati songs
    and i cherish that treasure to the extent
    that i feel proud of the richness of our mother tongue

    and salute to those great singers, composers and poets!

    the mystic poet says 'every man's death diminishes me' but the death of artistes like dilipbhai diminishes us all. we cannot have him again and we will miss him forever. but the great solace is his song will live with us for ever : 'tari aankh no afini'

    ReplyDelete