Sunday, April 05, 2020

'દીવાનું' વિજ્ઞાન

સામાન્ય રીતે બીજા કોઈની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતો નથી, પરંતુ ગઈ કાલે કેટલાક મિત્રોએ એક પોસ્ટ વિશે જાણ કરી. તેમાં લખ્યું હતું કે વડાપ્રધાને કરેલો દીવડા સળગાવવાનો અનુરોધ કેટલોો વૈૈૈૈૈૈૈજ્ઞાનિક છે અને તેમની આ વાત પાછળ કેવું ગહન વિજ્ઞાન છુપાયેલું છે.

મિત્રોએ ખાસ આગ્રહપૂર્વક એમ પણ કહ્યું કે આ લખનાર ક્વોલિફાઇડ ડોક્ટર છે. એ ભાઈએ એવી પણ અપીલ કરી હતી કે 'કોઈ વ્યક્તિ જ્યારે દેશ માટે પોલીટીકલ સાયન્સમાંથી બહાર આવીને પ્રેક્ટીકલ સાયન્સમાં પ્રવેશે, ત્યારે એ વ્યક્તિને સમગ્ર દેશે સપોર્ટ કરવો જોઈએ.' અને લખ્યું હતું કે 'આ વિષય પર હું તમારી સાથે કલાકો લાંબી ચર્ચા કરવા તૈયાર છું.'

મામલો વિજ્ઞાનનો અને ખાસ તો જાહેર હિતનો હોવાથી, વ્યક્તિને બાજુએ રાખીને મુદ્દાની ચર્ચા કરીએ. (એ ભાઈએ લખેલા મુદ્દા લાલ રંગમાં છે) પણ મુદ્દામાં જતાં પહેલાં એક સામાન્ય સ્પષ્ટતા કરી લઉં કે મહેરબાની કરીને ભણેલા માણસો અંધશ્રદ્ધા ન ફેલાવે એવું માની લેવું નહીં. ભણતર સૂચવે છે કે એ વ્યક્તિ એ અભ્યાસમાં સારી રીતે પાસ થવા જેટલી બુદ્ધિશક્તિ ધરાવે છે. પરંતુ  જેમ ઘરમાં રૂપિયા હોવા અને તેને સારા કામ માટે વાપરવા, એ બે સાવ જુદી બાબતો છે, તેવું સમજ વિશેનું પણ સમજવું.

એકસાથે અસંખ્ય દીવાઓ પ્રગટે છે કે મીણબત્તીઓ સળગે છે ત્યારે વાતાવરણમાં અચાનક બે ફેરફારો થાય છે. એક તો એ કે વાતાવરણનું તાપમાન અચાનક વધી જાય છે... 
– ઘરમાં દીવા પ્રગટાવવાથી વાતાવરણનું તાપમાન વધી જાય, આ વાત દેખીતી રીતે તર્કસંગત લાગતી નથી. દીવાના અજવાળાનાં બે પાસાં હોય છેઃ પ્રકાશ અને તાપમાન.  દીવાની ગરમીથી વાતાવરણનું તાપમાન તો પછીની વાત છે, ઘરનું તાપમાન કેટલું વધે છે એનો પ્રયોગ તમે જાતે કરી શકો છો.

દલીલ ખાતર આપણે માની લઈએ કે એક ઘરમાં એક સાથે છ દીવા સળગે છે. તો તેનાથી ઘરનું તાપમાન વધે છે? આ નક્કી કરવા માટે રીસર્ચ પેપર વાંચવાની જરૂર નથી. છ દીવાની હારમાળાથી દસેક ફૂટ દૂર બેસીને તમે જાતે નક્કી કરી શકો છો કે તાપમાન વધ્યાનો અહેસાસ થયો? બીજી વધારે સાદી રીત છેઃ એક દીવાની સાવ નજીક રહો અને પછી ધીમે ધીમે દૂર થતા જાવ. તેનો પ્રકાશ નહીં, પણ ગરમાવો (તાપમાન) ક્યાં સુધી અનુભવાય છે તે જુઓ.

- બીજી યાદ રાખવાની હકીકત એ છે કે સૌ પોતપોતાના ઘરમાં દીવા પ્રગટાવે તો તેની અસર અત્યંત સ્થાનિક હોય, સામુહિક નહીં. એટલે કે, દીવા સળગતા હોય તેની આસપાસનો હિસ્સો થોડો ગરમ થાય, પણ વાતાવરણના તાપમાન પર તેની અસર ન પડે. વાયુઓ વાતાવરણમાં ભળી શકે, પણ તાપમાનનો વધારો દૂર સુધી ગતિ કરી શકે નહીં.

- ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દોઃ ધારો કે વાતાવરણનું તાપમાન બીજી કોઈ રીતે વધારવામાં આવે તો પણ, તેની વાઇરસના ફેલાવા પર શી અસર? વધારે ગરમી પડવાથી વાઇરસનો ફેલાવો કે તેની અસર અટકી જવાનાં નથી, એ વૈજ્ઞાનિક રીતે જાહેર થઈ ચૂકેલી હકીકત છે.

વનસ્પતિમાં થયેલા પ્રયોગોને આધારે (કારણકે વાઈરસનું ઇન્ફેક્શન પ્લાન્ટ્સમાં પણ થતું હોય છે) એ વાત ઓલમોસ્ટ સાબિત થઈ ચુકી છે કે કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડનું અચાનક પ્રમાણ વધવાથી વાતાવરણમાં રહેલા વાઈરસ કે અન્ય કોઈપણ જીવાણું નાશ પામે છે.  ફક્ત એટલું જ નહીં, તેઓ કોષમાં રહેલા વાઈરસના રેપ્લીકેશન એટલે કે વિભાજન દર ઉપર પણ બ્રેક મારી શકે છે.

- પહેલી વાત તો એ કે આ ઓલમોસ્ટ સાબિત થવું એટલે શું?

- બીજું, કોરોના વાઇરસ વાતાવરણમાં વસવાટ કરતા નથી. એવું નથી કે તે વાઇરસ વાતાવરણમાં તરતા હોય, બહાર નીકળતા દરેક લોકોને લાગતા હોય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ ભળે તેનાથી બધા વાઇરસ મરી જાય. (અને એ પણ એક રાત દીવો સળગાવવાથી? પણ એ તો વળી જુદી જ વાત છે.)

વાઇરસ જુદી જુદી સપાટી પર જુદા જુદા સમય સુધી રહેતા હોય છે. એ કિસ્સામાં પણ વાતાવરણમાં (એટલે કે ઉપર હવામાં)  ભળેલા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ વાયુથી ટેબલની સપાટી પર રહી ગયેલા વાઇરસને કશી અસર ન થાય. દલીલ ખાતર એવું કહેવામાં આવે કે હવામાં થોડો સમય તો વાઇરસ હોય છે, તો પણ એ હવા જમીની સ્તરની હોય--વાયુઓ જ્યાં ભળે તે વાતાવરણ નહીં.

- ત્રીજું, વાતાવરણમાં ભળેલા વાયુઓ કોષમાં વાઇરસના વિભાજનના દર ઉપર શી રીતે બ્રેક મારી શકે? આ વાત જરાય તર્કસંગત લાગતી નથી અને આનો પુરાવો હોય તો તે વિશે ડોક્ટરે તાત્કાલિક વિશ્વ આરોગ્ય સંસ્થાને કે પછી વડાપ્રધાનને જાણ કરવી જોઈએ, જેથી રોજ વિમાનો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડનો છંટકાવ કરવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

આવી મહત્ત્વની બાબત જાણ્યા પછી વડાપ્રધાને વચ્ચે આટલો બધો સમય કેમ જવા દીધો નેે વાતાવરણમાં આ વાયુઓ ફેલાવવાનું કામ લોકો પર કેમ છોડ્યું, એવો સવાલ નહીં પૂછીએ, બસ?
***
અંધશ્રદ્ધા ફેલાવવી એ તો ખોટું જ છે, પણ વિજ્ઞાનના અને વૈજ્ઞાનિક અભ્યાસોના હવાલા આપીને અંધશ્રદ્ધા ફેલાવવી એ ઊંચા દરજ્જાની કુસેવા છે. ગળચટ્ટા શબ્દો વાપરવાથી જૂઠાણું વૈજ્ઞાનિક સચ્ચાઈ થઈ જતું નથી. ખાસ કરીને, આવા વખતમાં જ્યારે વૈજ્ઞાનિક સમજૂતીની આવશ્યકતા હોય ત્યારે ક્વોલિફાઇડ ડોક્ટર કોઈ પણ કારણસર આવાં જૂઠાણાં ફેલાવે તે સામાજિક હિતની દૃષ્ટિએ ભયંકર ગણાય. 

5 comments:

  1. આપણા સમાજમાં એવા અનેક દાખલા મળે છે કે જયાં ડોક્ટરો હાથ હેઠા મુકી દે ત્યા બાધા કે માનતા કામ કરી જાય છે. તે અંધશ્રદ્ધા નહીં પરંતુ કુદરત પરની અપાર શ્રધ્ધા છે. જેનાથી વ્યક્તિ ની માનસિક તથા શારીરિક તાકાત માં અસિમીત વધારો થાય છે...
    મોદી સાહેબ એ લોકોની આ શ્રધ્ધારુપિ તાકાત ને જગાવવા નું તથા તેને એકસુત્ર કરવાનું જટીલ અને અશક્ય કામ રમત રમતમાં કરી બતાવ્યું છે.

    સામાજિક એકતા કે ,આવી પડેલી અણધારી મુસીબત સામે લડવાની લોકોની પ્રતિબધ્ધતા ને જાગૃત કરી
    એકસુત્રતા કરવી કહી શકાય.
    એકદમ વૈજ્ઞાનિક વાત. જય હિંદ..��

    ReplyDelete
  2. આપની તમામ દલીલો સાથે સહમત છું પણ મારા ખ્યાલથી આ દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ કોરોનાં વાઇરસ ને મારવાં માટે નો ન હતો પણ લોકોનું મોરલ જળવાઈ રહે એ માટેનો માત્ર પ્રતિકાત્મક કાર્યક્રમ હતો.
    મારી ભૂલ હોય તો સુધારવા વિનંતી.

    ReplyDelete
  3. વિજયભાઈ, આ પોસ્ટ દીવાની વૈજ્ઞાનિકતાના દાવા વિશેની જ છે.
    પ્રતિકાત્મક કાર્યક્રમ વિશે તેમાં કશી ટીપ્પણી નથી. એ જુદી ચર્ચાનો વિષય છે.

    ReplyDelete
  4. Wow, This was actually a scientific task. That is why our PM Narendra Modi is handling our Nation so well.

    Prashasti Patel

    ReplyDelete
  5. બિરબલની પેલી વાર્તા યાદ આવી ગઇ.

    ReplyDelete