Wednesday, September 09, 2015

ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા

અનામત વિશેની ચર્ચામાં છેલ્લા ત્રણેક દાયકાથી ઊભરતો એક મુદ્દો આર્થિક સ્થિતિ આધારિત-ગરીબી આધારિત અનામતનો છે. જ્ઞાતિવાદના વ્યાપથી અજાણ અથવા આંખ આડા કાન કરનારા લોકોને જ્ઞાતિ તથા જ્ઞાતિઆધારિત અનામત અપ્રસ્તુત લાગે છે. આ પ્રકારની અનામત સામે મુખ્ય બે પ્રકારના વાંધા પાડવામાં આવે છે :

૧) દલિતો-પછાતોમાં રહેલો સમૃદ્ધ વર્ગ અનામતનો લાભ લઇ જાય છે. એટલે ખરેખર જરૂરતમંદોને અનામતનો લાભ મળતો નથી. આર્થિક સ્થિતિ આધારિત અનામત કરી નાખવામાં આવે, તો જેમને સૌથી વધુ જરૂર છે એવા ગરીબોને તેનો લાભ મળી શકે. 

૨) ગરીબી તો બિનદલિતો-બિનપછાતોમાં પણ છે. તો એમને અનામતનો લાભ શા માટે નહીં? જ્ઞાતિઆધારિત અનામતને કારણે ઉલટા જ્ઞાતિના ભેદભાવ કાયમી બને છે-વેરઝેર વધે છે.

વિશ્વમાં બીજે ક્યાંય ન હોય એવી વિશિષ્ટ અને પેચીદી જ્ઞાતિપ્રથા ભારતમાં છે. ઊંચ-નીચની અસમાનતા વિશ્વભરમાં છે, પરંતુ ભેદભાવ-અસમાનતાની આટલી ઝીણવટભરી વ્યવસ્થા, તેનો ધર્મમાંથી મેળવી શકાતો આધાર અને થોડા લોકો તળે દબાયેલી બહુમતી-- એવી ગોઠવણનો જોટો જડવો મુશ્કેલ છે. થોડા હજાર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા, સિદ્ધિનો અંગ્રેજોને આપણે વધુ પડતો જશ આપી દઇએ છીએ. તેમના આગમનનાં સેંકડો વર્ષ પહેલાં ભારતની ઉજળિયાત કહેવાતી મુઠ્ઠીભર જ્ઞાતિઓ લાખો શુદ્રોપર રાજ ભોગવતી આવી હતી. તોપ-બંદૂકની તાકાત છતાં અંગ્રેજોનું રાજ માંડ બે સદી પણ ન ચાલ્યું, જ્યારે ઉજળિયાત કહેવાતા સમુદાયોએ માત્ર જન્મની જ્ઞાતિના આધારે ઓછામાં ઓછા એકાદ હજાર વર્ષ સુધી રાજ ચલાવ્યું. હોદ્દા-વિશેષાધિકાર-સ્થાપિત હિતોની અનામત ભોગવી. ગાંધીજી અને તેમના ઘણા સાથીદારોના સુખદ અપવાદને બાદ કરતાં, ઊજળિયાત કહેવાતા વર્ગમાંથી આવતા ભારતના ઘણા મહાન નેતાઓ-સમાજસુધારકો જ્ઞાતિવાદ-જ્ઞાતિદ્વેષના મામલે એકદમ રૂઢિચુસ્ત હતા. (એક ઉદાહરણ : લોકમાન્ય ટિળક અને તેમનું સાથીમંડળ)

આઝાદી પછી બંધારણમાં પહેલી વાર અસ્પૃશ્યતા નાબૂદ થઇ. દલિત-આદિવાસી સમુદાયોને મુખ્ય ધારામાં સામેલ કરવા- તેમને સમાન તક આપવા માટે તેમની વસ્તીના પ્રમાણ જેટલી અનામતની જોગવાઇ કરવામાં આવી. (ત્યાં સુધી શિક્ષણ-નોકરી-રાજકારણમાં ઉપલી ગણાતી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ તેમની વસ્તીના પ્રમાણ કરતાં ઘણું વધારે હતું.) રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની સમીક્ષા દસ વર્ષ પછી કરવાની હતી. દસ વર્ષમાં સ્થિતિ સંતોષકારક લાગે તો, રાજકીય ક્ષેત્રે અનામત નાબૂદ કરી શકાય એમ હતી. પરંતુ એ વાત શિક્ષણ અને નોકરીની અનામતને લાગુ પડતી ન હતી. કેમ કે, તેની  પાછળનો મુખ્ય આશય આર્થિક ઉદ્ધારનો નહીં, આર્થિક સરખાઇ થકી સામાજિક સમાનતાની દિશામાં સમાજને દોરવાનો હતો. અનામતની જોગવાઇ કરનારાને એવી આશા હતી કે દલિતો-આદિવાસીઓને શિક્ષણ-નોકરીમાં તકો મળતી જશે, તેમ ઊજળિયાત કહેવાતો સમાજ તેમના પ્રત્યેની ખરાબ વર્તણૂંક સુધારશે, તેમને પોતાના જેવાગણતો થશે અને સમાજમાં ધીમે ધીમે એકરૂપતા આવશે.

પરંતુ સદીઓથી હાડમાં ઉતરી ગયેલો જ્ઞાતિવાદ એમ સાઠ-સિત્તેર વર્ષમાં જાય? અનામતનો ફાયદો મેળવીને આર્થિક રીતે બે પાંદડે થયેલા લોકો પ્રત્યે ઊજળિયાત ગણાતા સમુદાયનો દ્વેષ ઓછો થવાને બદલે વધવા લાગ્યો (તમારી આટલી ધૃષ્ટતા કે અનામતના જોરે અમારી હરોળમાં આવવાનું વિચારી શકો?’) એ દ્વેષને વાજબી ઠરાવવા માટે મેરિટનું બહાનું શોધી કાઢવામાં આવ્યું. આ જાળમાં ભલભલા અભ્યાસીઓ પણ ફસાયા અને કહેવા લાગ્યા,‘અનામતથી જ્ઞાતિના ભેદભાવ વધે છે.આ તો એવી વાત થઇ કે ઘાયલની દવા કરવાથી તેમને ઇજા પહોંચાડનાર વર્ગ દવા બહુ ગંધાય છેએવું બૂમરાણ મચાવે અને દવા લગાડવાથી ઘાયલો પ્રત્યે લોકોની સૂગ વધે છેએવું નિદાન કરનારા અભ્યાસીઓપણ મળી આવે.

જ્ઞાતિઆધારિત અનામતનો વિરોધ કરવા અને તેમાંથી છૂટકારોમેળવવા માટે જોરશોરથી આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરવામાં આવે છે. અગાઉ સ્પષ્ટ કર્યું તેમ, અનામતનો આશય ગરીબી નહીં, સામાજિક અસમાનતા ઘટાડવાનો છે. છતાં, દલીલ ખાતર વિચારી જોઇએ કે જ્ઞાતિઆધારિત અનામતને બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?

આર્થિક અનામતની વાત કરનારા માને છે કે તેનાથી ગરીબોને ફાયદો થશે. પરંતુ ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું છે, એનો તેમને કોઇ ખ્યાલ છે ખરો? ઊજળિયાત ગણાતા લોકો ગરીબની વાત કરે ત્યારે તેમના મનમાં દેશના નહીં, પોતાના સમુદાયના ગરીબોનો ખ્યાલ હોય છે. તેમને લાગે છે કે આર્થિક અનામત આવી જાય તો ઊજળિયાત ગરીબો’ (‘પીપલ લાઇક અસ’) તેનો લાભ મેળવી શકે. તેમને બિચારાને ઊજળિયાત હોવા છતાં ગરીબીની નામોશી ભોગવવી પડે છે, તેમાંથી એ મુક્ત થાય.

બાકી, વાત ઊજળિયાત ગરીબોને બદલે તમામ ગરીબોની હોય તો તેમનું પ્રમાણ કેટલું મોટું થાય? સાવ કાચો અડસટ્ટો માંડીએ તો પણ, અનામતની જોગવાઇને  લાયક હોય એવી (નબળી) આર્થિક સ્થિતિ ધરાવતા લોકોનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ૭૫ થી ૮૦ ટકા જેટલું હોય. કેટલાક અભ્યાસીઓએ ગરીબી સાથે જ્ઞાતિનો ઠીક ઠીક પ્રમાણમાં સીધો સંબંધ હોવાનાં તારણ કાઢ્‌યાં છે. (બધી નીચલી જ્ઞાતિવાળા ગરીબ નથી હોતા અને બધા ઉપલી જ્ઞાતિના અમીર નથી હોતા, પણ કુલ ગરીબોમાં બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે.) એ ચર્ચા અત્યારે બાજુ પર રાખીએ તો પણ, આર્થિક અનામતના હિમાયતીઓ દેશની જરૂરિયાતમંદ ૭૫ ટકા વસ્તી માટે કેટલા ટકા બેઠકો અનામત રાખશે?

ધારો કે વર્તમાન ધોરણ પ્રમાણે ૪૯ ટકા બેઠકો ગરીબો માટે અનામત રાખવામાં આવે. પરંતુ ગરીબીમાં અનેક સ્તર- પેટાપ્રકાર હોવાના. મજબૂત સંગઠનોનો-વગદાર સમાજનો ટેકો ધરાવનારા ગરીબો હોવાના અને બધી બાજુથી વંચિત એવા ગરીબો પણ હોવાના. અમુક સમાજના ૮૦ ટકા લોકો ગરીબ હોવાના અને અમુક સમાજના ૩૦ ટકા લોકો ગરીબ હોવાના. તેમાંથી કયા સમુદાયના ગરીબોને અનામતનો મહત્તમ ફાયદો મળશે?

દેખીતી વાત છે : જે સમુદાયો પહોંચતા-પામતા હોય તેમના ગરીબોને આ પ્રકારની અનામતનો સૌથી વઘુ લાભ મળવાનો અને તેમની સાથેની હરીફાઇમાં પછાત કે નીચા ગણાતા સમુદાયોના ગરીબો ટકી શકવાના નહીં. એક વર્ગના ગરીબોના માથે ફક્ત ગરીબીનો બોજ હોય, જ્યારે બીજા વર્ગના ગરીબોના માથે ગરીબી ઉપરાંત સામાજિક પછાતપણાનો અને દલિતોના કિસ્સામાં સામાજિક તિરસ્કારનો પ્રચંડ બોજ પણ હોવાનો. આર્થિક અનામતના મેદાનામાં એ બધાને સાથે દોડાવીને સમાન તકઆપી, એવું કહી શકાય


તાત્પર્ય એટલું કે હાલમાં જાદુઇ લાકડી સમી ભાસતી આર્થિક અનામતની વાતો  મુખ્યત્વે થોડા વગદાર-વર્ચસ્વ ધરાવતા વર્ગોના હિત સિવાય બીજા કોઇનું ભલું કરે એવી નથી. જ્ઞાતિ આધારિત અનામતની ઘણી મર્યાદાઓ છે અને સાચી દાનત હોય તો તેમાં સુધારણાને ઘણો અવકાશ છે. પરંતુ આર્થિક અનામત કોઇ રીતે તેનો ન્યાયી વિકલ્પ નથી.

20 comments:

  1. "કુલ ગરીબોમાં બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે" - આટલી દીવા જેવી ચોખ્ખી હકિકત આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરનારાઓ શા માટે સમજવા માગતા નહી હોય, એ તમારો લેખ વાંચતાં સુપેરે -તેના બધા જ અર્થો અને સંદર્ભોમાં- સમજાય જાય એવું છે, જો સ્થાપિતહિતો અને તેના રાજકારણથી ઉપર ઊઠીને કોઇ સમજવા માગે તો...

    ReplyDelete
  2. Anonymous1:35:00 PM

    excellent.

    ReplyDelete
  3. Anonymous1:49:00 PM

    અનામતનો લાભ ઉજળિયાત કોમને આપવામાં પણ જો આવે તો તેનો સીધો લાભ તે કોમનાં નીચલા વ્યકિત સુધી શું પ્હોંચશે?

    ReplyDelete
  4. Dear Urvishbhai, tamaro article vanchyo.. ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા .. jati aadharit anamat Dalit loko ne samajik rite samanta aapva mate chhe .... to pachi samajik samanta mate Education institute ma ochi takavari lavi aapva thi su samanta aavi jase ? atyare Hindu Muslim marriage j common thai gaya chhe tyan tame Jati aadharit samanta ni vaato karo chho !! Je Jati Anamat no labh lai aagal aavi e j su temna j gam ma raheta harijan ne saman gane chhe ?? tamara antar ne aa prashno pucho ane pachhi tamara article ma lage to sudharo karjo .. baki jai shri krishna .. Piyush Patel

    ReplyDelete
    Replies
    1. Tame em kaho chho ke Hindu-Muslim lagan common thai gaya. Tamne khabar chhe khari ke ketla badha prem-lagan matra dharm juda hovathi j atki jay chhe?

      Delete
  5. Excellent and true analysis.Those who exploited others' thousands of generations have no guilt. If given a chance they will continue the same exploitation for the next thousand generations.They will never feel guilty. They will say that the downtrodden are reaping the fruits of their 'karma'.

    ReplyDelete
  6. Once again, it's excellent, Urvishbhai.

    ReplyDelete
  7. Urvishbhai I salute u. Ek dam sachi vat kari

    ReplyDelete
  8. total bakwas likha he ye sab....

    ReplyDelete
  9. ચંદુ મહેરિયા4:10:00 PM

    પ્રિય ઉર્વિશભાઈ, આર્થિક ધોરણે અનામતના ખયાલી પુલાવને તમે સરસ રીતે સ્પષ્ટ કરી આપ્યો. અભિનંદન.વી.પી.સિંહે મંડલ પંચનો અમલ કર્યો અને સત્તા ગુમાવી.એ પછીની નરસિંહરાવની કોંગ્રેસી સરકારે આર્થિક પછાતો માટે 10% અનામત જાહેર કરેલી. સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણી અને ક્રીમિલેયરને બાકાત રાખી 27% અનામતને બંધારણીય ઠેરવી.એટલે જો ગરીબી આધારિત અનામત રાખવી હોય તો બંધારણ સુધારો કરવો પડે. આ બંધારણીય સ્થિતિની વાત થઈ. આર્થિક ધોરણે અનામત એ સંઘ પરિવારનો હિંદુત્વ જેટલો જ પ્રિય એજ્ંડા છે.પરંતુ અન્ય પછાત વર્ગોની અનામતના જે 11 માપદંદ છે તેમાં 4 આર્થિક છે. 1.રાજ્યની સરેરાશ કરતાં જે કુટુંબની મિલકત 25% કરતાં ઓછી હોય. 2. રાજ્યની સરેરાશ કરતાં 25% કરતાં વધુ કુટુંબો કાચા મકાનોમાં રહેતા હોય. 3. 50% કરતાં વધુ કુટુંબો અડધો કિ.મિ દૂરથી પીવાનું પાણી લાવતા હોય અને 4. 25% કરતાં વધુ કુટુંબો દૈનિક જરૂરિયાત માટે લોન લેતા હોય. જો પાટીદારો આ શરતો પૂરી કરે તો જરૂર અનામત મેળવે. પણ સહકારી બેંકોમાંથી 650 કરોડની ડિપોઝીટ પરત ખેંચી લેવાનું કે જમીન વેચીને સેલ્ફ ફાઈનાંસમાં એડમિશન લેવું પડે છે એમ કહેનારની ગરીબીની સમજ વિષે વિચારવું પડે.

    ReplyDelete
  10. ચંદુ મહેરિયા4:35:00 PM

    પ્રિય ઉર્વીશભાઈ,
    "અત્યારે જે ઉત્પાદન સંબંધો પ્રવર્તે છે તેમાં અન્ય પછાતવર્ગો કે જે મોટેભાગે નાના-સીમાંત ખેડૂતો, ગણોતિયા, ખેતમજૂરો, ગ્રામ-કારીગરો વગેરે છે તેઓ તેમના ગુજારા માટે સંપન્ન ખેડૂતો ઉપર ઘણો મોટો આધાર રાખે છે. આ કારણે, અન્ય પછાતવર્ગો પ્રભાવશાળી જ્ઞાતિઓ તથા વર્ગોના ભોતિક તેમ જ માનસિક બંધનમાં જકડાયેલા રહે છે.જ્યાં સુધી આ ઉત્પાદન સંબંધો, માળખાગત પરિવર્તનો તથા પ્રગતિશીલ ભૂમિ કાયદા સુધારા દ્વારા મૂળગાઁઈ રીતે બદલાય નહીં ત્યાં સુધી અન્ય પછાતવર્ગો સાચા અર્થમાં સ્વત્રંત બની શકે નહીં. આ તથ્યને નજર સમક્ષ રાખીને બધા રાજ્યોએ મૂળગામી ભૂમિ સુધારને સર્વોચ્ચ અગ્રીમતા આપવી જોઈએ."
    કોઈ માર્ક્સિસ્ટ બોધ્ધિકના વિચારો જેવી આ વાત મંડલ પંચની મહત્વની ભલામણ છે. વી.પી. સહિતના મંડલવાદીઓ અને સામાજિક ન્યાયવાદીઓ એ સગવડપૂર્વક ભૂલી ગયા છે. પાટીદાર અનામત માંગતા મિત્રોને જો આ ભલામણનો અમલ કરવાનો આવે તો કઈ ગરીબી આધારિત અનામત માંગશે?

    ReplyDelete
  11. Anonymous5:48:00 PM

    Urvishbhai,
    Excellent once again, thanks.
    Those who are asking for " aarthik anamat", are talking about relative "garibi". They says that they are poor than some whealthest( those who are whealther), some other will say that we are poor than whealther. So this is all game to keep the real poor and backward to as it is. Their agenda is " backward class should never come up"
    Thanks for opening eyes of lots of who are under these "Gobels" .

    ReplyDelete
  12. Dear urvishbhai...

    Do you mean poor and needy person of open catagary are not applicable for so called AARAKSHAN just because of other rich persons of same cast?

    ReplyDelete
  13. Jati aadharit varta...
    Bad jativad bhadkava ma j aapno sau thi upar number 6 me pa6i kaik Sara kamo pan karya 6?

    Hu jativad no virodhi 6u...koi jati no virodhi nathi...
    Je system 6 as badalvi me sudharvi jaruri 6...

    Badha j dalil garib nathi and badha j open cast vada amir nathi...

    95% ni jagya par 45% vado manas docter banse to kaya samaj nu saru these?

    Aeva doctors and Tamara jeva look j jati bad news badavo aape 6...

    Kaik mansai jevu rakho bhai....

    ReplyDelete
  14. Atyare je kom ma anamat 6...su aema ma kharekhar jene jarurat 6 aemne labh madyo 6?

    ReplyDelete
  15. જેમ લોકશાહીની કેટલીક મર્યાદા હોવા છતાં દુર દુર ક્ષિતિજમાં પણ તેનાથી સારો વિકલ્પ દેખાતો નથી તેમ સામાજિક અસમાનતા આધારિત અનામતની કેટલીક મર્યાદા હોવા છતાં ભારત જેવા વિશિષ્ઠ અને પેચીદી જ્ઞાતિપ્રથા ધરાવતા લોકશાહી દેશમાં તેનો વિકલ્પ દેખાતો નથી.

    ReplyDelete
  16. Anonymous9:01:00 PM

    Thanks Urvishbhai.

    ReplyDelete
  17. Nice and excellently explained.

    ReplyDelete
  18. Thodak divas pehla j news paper ma and what's app par msg farta hats k Jo jati aadharit anamat desh na Vikas mate 6 to Indian army ma kem nathi..???

    Aano su javab aapso mister

    ReplyDelete