Tuesday, March 10, 2015

ડૉક્યુમેન્ટરીનો વિવાદ અને દંભનાં પોટલાં

પ્રસાર માઘ્યમોએ જેને ‘નિર્ભયા’ જેવું ‘ક્રીએટીવ’ નામ આપવાનો સંતોષ લીધો, એ દિલ્હીની પીડિતાનું નામ હવે જાહેર છે. તેના વિશેની એક કલાકની ડૉક્યુમેન્ટરી બી.બી.સી. પર પ્રસારિત થઇ અને ભારત સરકારે તેની પર પ્રતિબંધ મૂક્યા પછી યુટ્યુબ પર તે ઉપલબ્ધ બની. ત્યારથી અનેક વિવાદો અને સવાલો ઊભા થયા છે. કેટલાક જૂના, તો કેટલાક નવા. બધા સવાલોને એકબીજા સાથે ગૂંચવી મારવાને બદલે, તેમના વિશે અલગથી સમજવા-વિચારવા જેવું છે.

ડૉક્યુમેન્ટરીની ગુણવત્તાસલેસ્લી ઉડવિને બનાવેલી ડૉક્યુમેન્ટરી યુટ્યુબ પરથી જોયા પછી ઠીક ઠીક નિરાશા થઇ. ત્રાસ ઉપજાવે એવા વિષયો પર મુખ્યત્વે બે દૃષ્ટિકોણથી ફિલ્મો બનાવી શકાય :

૧) જે જોયા પછી દર્શક સમસ્યા અને તેના પીડિતો પ્રત્યે તીવ્રપણે સમભાવ કે સમાનુભૂતિ અનુભવે. ‘આવું ન ચલાવી લેવાય’ અને ‘આમાં આપણે આપણા તરફથી શું કરી શકીએ’- એવા વિચાર જોનારને આવે. તેને કમર્શિયલ ફિલ્મ જોઇ હોય એવી લાગણી નહીં, પણ ભયાનક સમસ્યાના પ્રત્યક્ષ દર્શનથી લાગવો જોઇએ એવો આઘાત લાગે. આ એક પ્રકાર.

૨) જેમાં ઘણો મોટો હિસ્સો સમસ્યા કે પીડિત કરતાં પ્રતિપક્ષ પર કેન્દ્રિત હોય. પ્રતિપક્ષને તેમાં લગભગ ફિલ્મી અંદાજમાં વિલન તરીકે રજૂ કરવામાં આવે. એ રજૂઆત સાચી જ હોય, પણ ‘વિલન’ને અપાયેલું વજન વઘુ પડતું હોય. વિલન હાસ્યાસ્પદ લાગે એટલા ક્રૂર, ઘાતકી કે જડ હોય. (બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં ફાંસીની સજા પામેલા ગુનેગાર ડ્રાઇવર અને બચાવપક્ષના બે હાસ્યાસ્પદ છતાં ભયંકર વકીલો આવા જ ‘વિલન’ છે.) આ પ્રકારમાં, ‘વિલનો’ની દેખીતી સંવેદનહીનતા જોઇને જ દર્શકો ડચકારા બોલાવી દે, એવું અપેક્ષિત હોય છે. પીડિત કે મૂળ સમસ્યા વિશે સમભાવ કેળવવાનું જરૂરી બનતું નથી. મોટા ભાગના દર્શકો વિલનોને ધીક્કારીને જ જાગૃતિની ‘કીક’ અનુભવી લે છે.

આવી વિલનકેન્દ્રી ડૉક્યુમેન્ટરી વ્યાવસાયિક સફળતાનો શોર્ટ કટ છે, જેમાં સનસનાટી મચે છે, (અત્યારે થયા એવા) ગરમાગરમ વિવાદ થાય છે અને સરવાળે ડૉક્યુમેન્ટરીમાં આલેખાયેલા વિષયની વઘુ ચર્ચા થવાને બદલે, ડૉક્યુમેન્ટરી પોતે જ વિષય બને છે અને તેની આસપાસ ચર્ચા ચાલ્યા કરે છે.

ઉડવિનની ડૉક્યુમેન્ટરીમાં પીડિતાનાં માતા-પિતાનો ઇન્ટરવ્યુ સૌથી ઉત્તમ ભાગ છે. ફિલ્મ જોઇને થાય કે કેવળ એટલા ભાગનું (અને નિવૃત્ત જસ્ટિસ લીલા શેઠના ઇન્ટરવ્યુનું) યોગ્ય સંકલન થયું હોત, તો તે પીડિતાને ઉત્તમ અંજલિ બની રહ્યું હોત. તેનાથી આખી સમસ્યાનીની ભયંકરતા અને છોકરીનાં સીધાંસાદાં મા-બાપની ઠંડી મક્કમતા બરાબર ઉપસીને આવ્યાં હોત. પરંતુ ફિલ્મનો ઝોક સમસ્યાને બદલે સસ્તી સનસનાટી ભણી વધારે લાગે છે. એટલે તેમાં પીડિતા સાથે જે કંઇ થયું તેનું નાટ્યાંકન કરાવવામાં આવ્યું. એટલું જ નહીં, ફાંસીની સજા પામેલા ખતરનાક અપરાધીનું અમાનવીય, લાગણીવિહીન છતાં નિર્વિરોધ બયાન ફિલ્મનું કેન્દ્રબિંદુ બની ગયું છે. માતા-પિતાની કથાનો ખપ મુખ્યત્વે ઘાતકી આરોપીનાં અને બચાવપક્ષના વકીલોનાં વિકૃત વિધાનો સામે નાટકીય-કરૂણ (ટીઅરજર્કર) વિરોધાભાસ સર્જવા પૂરતો રહી ગયો.

તિહાર જેલમાં ફાંસીની સજા પામેલા આરોપીઓનો ઇન્ટરવ્યુ શૂટ કરવો, એ પત્રકારત્વની દૃષ્ટિએ મોટી સિદ્ધિ કહેવાય. કોઇ પણ પત્રકાર માટે એ બહુ મોટી ‘સ્ટોરી’ કહેવાય. પરંતુ વિકૃત વકીલોને કે પછી અફસોસ વગરના ગુનેગારને ભીંસમાં મૂકતા સવાલો પૂછ્‌યા વિના (અથવા પૂછ્‌યા હોય તો તે ફિલ્મમાં સામેલ કર્યા વિના), એ જે કહે તે બઘું યથાતથ મૂકી દેવું, એ છીછરું પત્રકારત્વ છે. તેમાં ઇન્ટરવ્યુ લેનારનો આશય ‘વિલનો’ને ભીંસમાં લેવાનો નહીં, પણ તેમની પાસેથી ઉત્તમમાં ઉત્તમ (એટલે કે હલકામાં હલકા) સંવાદો કઢાવીને, પોતાની ફિલ્મને મસાલેદાર બનાવવાનો હોય એવો લાગે છે. બચાવ પક્ષનો એક વકીલ ભારતના સાંસદો પર આક્ષેપ મૂકે ત્યારે પણ, તેની ખરાઇ કરવા જેટલી પ્રાથમિક તકેદારી રાખવામાં આવી નથી. કારણ કે ખરાઇની પંચાતમાં પડવા જતાં, સનસનાટી મોળી પડી જવાની બીક રહે છે.

પીડિતા યુવતીનાં માતા-પિતાએ આ ફિલ્મમાં સહકાર આપ્યો છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે એનું અસલી નામ- જ્યોતિ સિંઘ- જાહેર કરવામાં તેમને કશો વાંધો નથી. બલ્કે, ગૌરવ છે. આ વલણ સમજી શકાય એવું છે. અત્યાચારનો ભોગ બનેલી યુવતીનું નામ નહીં આપવાનો નિયમ ખરેખર તો સમાજ સામે અવિશ્વાસની દરખાસ્ત જેવો છે. ‘નામ ન આપવું જોઇએ’ તેની પાછળનો સાદો તર્ક એવો હોય છે કે ‘જો નામ જાહેર થશે, તો સમાજ એને જંપીને જીવવા નહીં દે.’

પરંતુ યુવતી મૃત્યુ પામે અને તેનાં માતા-પિતા ન્યાય ઝંખતાં હોય ત્યારે નામ છુપાવવાની જરૂર રહે છે? છોકરીનું નામ જાહેર ન કરવાની મર્યાદા પાળીને, તેને ‘નિર્ભયા’ જેવું નકલી-ફિલ્મી નામ આપવાની ચેષ્ટામાં ગરીમાપૂર્વકની સહાનુભૂતિને બદલે માર્કેટિંગ સ્ટ્રેટેજીની બૂ વધારે આવે છે- કેમ જાણે, એ છોકરીને ‘બ્રાન્ડ’ બનાવીને તેનો ધંધો કરી લેવા માટે એક નામ જરૂરી હોય. બાકી, તેને ગુજરાતીમાં ‘પીડિતા’ અને અંગ્રેજીમાં ‘વિક્ટિમ’ કહી જ શકાય છે. કશી નિર્ભયતા દાખવ્યા વિના, માત્ર ને માત્ર શિકાર બનેલી યુવતીને ‘નિર્ભયા’ નામ આપવાથી, નમાલા કવિન્યાયથી વધારે કશું સિદ્ધ થતું નથી.

પ્રતિબંધ અને વિરોધ 

ભારત સરકારે ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકીને વઘુ એક વાર  સરકારી અવિચારીપણાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રતિબંધ માટેનાં સરકારી કારણ હાસ્યાસ્પદ હતાં. તેમાનું એક કારણ હતું સ્ત્રીગરીમાનો ભંગ કરતાં ગુનેગારનાં ઉચ્ચારણો. હકીકતમાં, ગુનેગારનાં કે બચાવપક્ષના વકીલોનાં ઉચ્ચારણો ભયંકર હોવા છતાં, એવી દલીલો કરનારા તે એકલા નથી. (જેમ કે, છોકરીઓએ સાંજે બહાર ન જવું, અમુક પ્રકારનાં કપડાં ન પહેરવાં, નોકરી કરવાને બદલે ઘરગૃહસ્થી સંભાળવી)

વાસ્તવમાં આ લોકોએ સ્ત્રીઓ વિશે કહેલી ‘વાંધાજનક’ વાતો સંઘ પરિવારના મહાનુભાવો, ખાપ પંચાયતના મુખિયાઓથી માંડીને બીજા ઘણા ‘સંસ્કૃતિપ્રેમીઓ’ પાસેથી વારંવાર સાંભળવા મળે છે. એ માનસિકતાને પડકારવાને બદલે, તેની સામે મોરચો માંડવાને બદલે, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ નકરો દંભ અને દેખાડો છે. ગૃહમંત્રી રાજનાથસિંઘે સંસદમાં કરેલા નિવેદનમાં પણ ગુનેગારનાં વિધાનોનો ઉલ્લેખ કર્યો છે. નવાઇ અને આઘાત એ વાતનાં છે કે ગુનેગાર જેવાં જ કે ક્યારેક તેને પણ ટપી જાય એવાં સ્ત્રીવિરોધી હિંસક વિધાનો બચાવપક્ષના વકીલોએ કર્યાં છે. એ વિશે માનનીય ગૃહમંત્રીને કશું કહેવાનું થતું નથી? (મોડે મોડેથી બાર એસોસિએશને બન્ને વકીલોને નોટિસ આપી છે) બસ, આપણે આંખ મીંચી દીધી એટલે દુનિયામાં રાત પડી ગઇ. આપણે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો, એટલે સ્ત્રીવિરોધી માનસિકતાનો પ્રસાર અટકી ગયો.

પ્રતિબંધ માટે સરકારે ઊભા કરેલા બીજા મુદ્દા (ગુનેગારનો ઇન્ટરવ્યુ લેવાની પરવાનગી શી રીતે મળી? પરદેશી પત્રકારોને જેલમાં જવા કોણે દીધા? વગેરે) અગત્યના હોવા છતાં, એ ટેક્‌નિકલ અને વહીવટી છે. તેમની ચર્ચા અલગથી થઇ શકે. ફિલ્મની સામગ્રી અને તેની પર મુકાયેલા પ્રતિબંધ સાથે તેને સંબંધ ન હોવો જોઇએ.

ફિલ્મ સામેનો એક સંગીન આરોપ એવો છે કે તેમાં ભારતને સવિશેષપણે ખરાબ ચીતરવાનો પ્રયાસ થયો છે. મારિયા મિશ્રા નામનાં ઑક્સફર્ડનાં ઇતિહાસકાર ડૉક્યુમેન્ટરીમાં જે રીતે વાતો કરે છે, તેનાથી તેમની સજ્જતા વિશે અને ફિલ્મકારના ઇરાદા વિશે સારી છાપ પડતી નથી. ભારત વિશે ધોળા લોકોના વિશિષ્ટ અને વિચિત્ર દૃષ્ટિકોણની તેમાં વાસ આવે છે. પરંતુ તેનો ઇલાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ નથી. ભારતમાં બનતા સ્ત્રીવિરોધી ગુના વિશે શરમ અનુભવીને, તેનો ઇન્કાર કર્યા વિના, આંતરરાષ્ટ્રિય સ્તરે પણ સ્થિતિ ખાસ જુદી નથી, એ દાખલાદલીલોથી દર્શાવી શકાય. બ્રિટનમાં થતા આ જાતના ગુનાના આરોપીઓના ઇન્ટરવ્યુ કરવાની પરવાનગી માગીને, તેમનાં બેવડાં ધોરણ ઉઘાડાં પાડી શકાય. પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી, સામેનો પક્ષ અકારણ ‘વાણીસ્વાતંત્ર્યના શહીદ’ તરીકેની ઉચ્ચ નૈતિક ભૂમિકામાં આવી જાય છે. એ લાભ તેમને શા માટે આપવો જોઇએ?

પ્રતિબંધની ટીકા કરનારાનો વિરોધ કરતાં કેટલાક કહે છે, ‘આવું બઘું શા માટે બતાવવું જોઇએ? તમારી દીકરી સાથે આવું થયું હોય તો?’ એવા સૌના લાભાર્થે જણાવવાનું કે જેમની દીકરી સાથે આવું થયું છે, એ માતા-પિતાના સંપૂર્ણ સહકારથી આ ફિલ્મ બની છે અને લોકો આ ફિલ્મ જુએ એમાં તેમને કશો વાંધો નથી. આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થઇ ચૂકેલાં કે એ વિશે થોડી જાણકારી ધરાવતા લોકોને ખ્યાલ હશેે જ કે અદાલતમાં ઉલટતપાસના નામે તેમને પૂછાતા ગંદા સવાલોથી માંડીને ઘણા કિસ્સામાં ડૉક્ટર અને પોલીસ દ્વારા તેમની સાથે થતો વ્યવહાર અત્યાચારથી જરાય કમ હોતો નથી. એ હાલત ભોગવી ચૂકેલાં પીડિતાનાં માતા-પિતાને ફિલ્મ પર પ્રતિબંધ જેવા સરકારી શોર્ટકટમાં રસ નથી. તેમને ન્યાય ખપે છે.

નીચલી અદાલતમાં ગુનેગારોને ફાંસીની સજા થયા પછી સર્વોચ્ચ અદાલતમાં કેસ અટકેલો છે. દરમિયાન, સ્ત્રીઓ  સાથે ગંભીર પ્રકારના દુર્વ્યવહાર ચાલુ છે. ન્યાય ઝંખતાં પીડિતાનાં માતા-પિતાની હિંમતને ઠાલા શબ્દો કે રૂપિયાનાં બંડલથી નહીં, પણ સાચી દાનતથી બિરદાવવાનું અને તેમને ન્યાય અપાવવાનું સરકારી પ્રાથમિકતામાં આવતું નથી. ખેદની વાત એ છે કે ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવનારનો પણ છેવટનો ઉપક્રમ પોતાના રોટલા શેકવાનો હોય એવો લાગે છે.

સરકાર અને સમાજનું દંભી- હિંસક સ્ત્રીવિરોધી વલણ ઉઘાડું પાડવા બનેલી ફિલ્મ પોતે જ એવાં કેટલાંક લક્ષણોના અંશ દર્શાવે, તે  (હાલ પૂરતી) દંભના સિલસિલાની સરટોચ લાગે છે. 

2 comments:

  1. ખુબ જ સારું વિશ્લેષણાત્મક બાબતો મૂકી છે... જે ચોક્કસ વિચારવા માટે મજબુર કરી દે છે. આ પ્રકારના બનાવો શરમજનક છે તેને સ્વીકારીને પરિવર્તન કઈ રીતે થાય અને વ્યકતિગત યોગદાન શું હોવું જોઈએ તેટલા સ્તર સુધી મંથન કરવાની હવે સમયની માંગ છે...

    ReplyDelete
  2. It seems you sensed some ulterior motives in the documentary producers but I watched it and I found none.Conversely it has revealed the misogynic attitudes of our male-dominated society.Majority people of our country are likely to be thinking in the same line as the perpetrators and their lawyers believe.This is the part of our (great) Indian Culture.So-called culture-protectors are silent over the matter and that speaks volumes.

    ReplyDelete