Wednesday, January 07, 2015

હૂપાહૂપવાદ : એક મુલાકાત

દુનિયામાં સામ્યવાદ અને મૂડીવાદથી માંડીને અમદાવાદ-મહેમદાવાદ જેવા ઘણા વાદ છે. તેમાં સૌથી તાજો ઉમેરો છે, ‘વૉટઅબાઉટિઝમ’/ Whataboutism. તેનું ગુજરાતી કરી શકાય : ‘-પણ-પેલાનું-શું- વાદ’. આ અનુવાદ જરા ભદ્રંભદ્રીય લાગતો હોય તો, આ વાદના મૂળભૂત લક્ષણ જેવી સવાલોની ઠેકાઠેકીને કારણે તેને ‘હૂપાહૂપવાદ’ તરીકે ઓળખવામાં પણ વાંધો નથી. સ્પષ્ટતા એટલી કે આ વાદના આરાધકોએ ‘હૂપાહૂપ’ જેવો શબ્દ વાંચીને ‘અમને વાનર કહ્યા’ એવી તકરાર કરવી નહીં. તેનાં બે કારણ : આ શબ્દ વ્યક્તિ માટે નહીં, પણ ચોક્કસ વૃત્તિ માટે છે અને બીજું, વાનરોને નાહક બદનામ કરવાનું કોઇ કારણ નથી.

આ વાદની શાસ્ત્રીય ચર્ચામાં ઉતરવાને બદલે એક હૂપાહૂપવાદીની કાલ્પનિક મુલાકાતના આલેખનથી એ વાદ અને તેના ‘વાદી’ઓની મહાનતા તરત સમજાઇ જશે.
***
પ્ર : નમસ્કાર.

હૂપાહૂપવાદી : હં, પણ આજે સવારે હું પથારીમાંથી ઉઠ્યો- અરે, મેં એકલાં એકલાં ચા પીધી ને ઘરેથી ઓફિસે આવ્યો, ત્યારે તમારા વિવેકને શું થયું હતું? અત્યારે ‘નમસ્કાર, નમસ્કાર’નું ડહાપણ ડહોળો છો, તે એ વખતે તમે ક્યાં ગયા હતા? પછી અમે વીર સાચું કહેવાવાળા સાચું કહીએ છીએ ત્યારે તમને મરચાં લાગે છે. બોલો, છે મારા એકેય સવાલનો જવાબ તમારી પાસે? (વિજયી સ્મિત)

પ્ર : પણ કયો સવાલ? શાના જવાબ? તમે તમારા ઘરે પથારીમાંથી ઉઠ્યા હો ત્યારે હું તમને ‘નમસ્કાર’ કહેવા શી રીતે હાજર હોઇ શકું?

હૂ : જોયું? ખબર જ હતી કે તમને કાંઠલેથી પકડીશું એટલે તમારાં ગલ્લાંતલ્લાં ચાલુ થઇ જવાનાં- કેમ જાણે તમને કશી ખબર જ નથી પડતી. કયો સવાલ, તે મેં તમને પૂછ્‌યો એ સવાલ. આપો જવાબ. છે તાકાત જવાબ આપવાની?

પ્ર : એક મિનીટ. તમારી કંઇક ગેરસમજ થતી લાગે છે. મેં તમને કહ્યું કે ‘નમસ્તે.’

હૂ : જોયું? વળતા સવાલ પૂછવાના શરૂ કર્યા, એટલે આટલી જ વારમાં બોલીને ફરી ગયા ને? તમારા જેવાઓને સીધાદોર કરતાં મને બરાબર આવડે છે.

પ્ર : ક્યાં બોલ્યા ને શું ફર્યા? નમસ્કાર-નમસ્તે-પ્રણામ, એમાં બોલીને
ફરવાનું ક્યાં આવ્યું?

હૂ : હા, હા, હું બહેરો નથી. તમે શું કહ્યું તે મને બરાબર સંભળાય છે. એટલે ખોટા બનશો નહીં. આટલું બઘું વધારાનું બોલવાને બદલે મારા સવાલનો જવાબ તો પહેલાં આપો? નહીંતર શરણાગતિ સ્વીકારો લો અને કહો કે મારા સવાલનો તમારી પાસે જવાબ જ નથી.

પ્ર : (આશ્ચર્ય અને આંચકા સાથે) અરે? તમે એ પણ જાણો છો કે મેં તમને ‘નમસ્તે’ કહ્યું, તો પછી આમ ઉગ્ર થઇ જવાની ક્યાં જરૂર છે? એમાં મેં તમને શું ખોટું કહ્યું? મેં તો ઉલટાનું એક સજ્જનને છાજે એમ તમારું અભિવાદન કર્યું.

હૂ : તમારા જેવા દંભી, બિનસાંપ્રદાયિકોના દહાડા હવે પૂરા થયા. તમારાં બેવડાં ધોરણો બહુ સહન કર્યાં. તમે મારી આગળ સજ્જનતાની સુફિયાણી વાતો કરો છો, પણ ૧૯૮૪માં દિલ્હીમાં શીખોનો હત્યાકાંડ થયો ત્યારે તમારી સજ્જનતા ક્યાં ગઇ હતી? કાશ્મીરમાંથી હિંદુ પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તમારી સજ્જનતાને શું થયું હતું? બોલો? તમારી બોલતી કેમ બંધ થઇ ગઇ? હમણાં તો કૂદી કૂદીને ‘નમસ્કાર, નમસ્કાર’ કરતા હતા.

પ્ર : જુઓ, પહેલી વાત તો એ કે મેં તમને કૂદી કૂદીને કશું કહ્યું નથી. તમે કૂદી કૂદીને કંઇક કહી રહ્યા છો. બીજું, મેં તમને ‘નમસ્તે’ કહ્યું છે. ત્રીજું, ૧૯૮૪નો શીખ હત્યાકાંડ થયો ને કાશ્મીરમાંથી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે પણ મારી સજ્જનતા જ્યાં હોવી જોઇએ ત્યાં જ હતી. તમે તો એવી વાત કરો છો, જાણે એ બઘું મેં કર્યું કે કરાવ્યું હોય. અને તમે અત્યારે મારો કાંઠલો પકડીને પૂછો છો, ત્યારે તમને વાંધો ન હોય તો કહેશો કે આ બઘું થયું ત્યારે તમે ક્યાં હતા?

હૂ : મને વાંધો છે. સાડી સત્તર વાર વાંધો છે. કારણ કે પહેલાં તમે પંજાબનો ને કાશ્મીરનો જવાબ આપો. હું તમને બદ્ધાને ઓળખું છું. તમે નહીં, ને તમારી કોંગ્રેસે એ બઘું કરાવ્યું હતું. બઘું એકનું એક જ ને.

પ્ર : એક મિનિટ, આખી વાતમાં હું શી રીતે કોંગ્રેસી થઇ ગયો? અને તમે શી રીતે નક્કી કરી લીઘું કે હું કોંગ્રેસી છું? મેં આખી વાતમાં ક્યાંય, ક્યારેય કોંગ્રેસનાં વખાણ કર્યાં?

હૂ : સીધી વાત છે. ક્યારના તમે મારી જોડે લમણાં લો છો ને હું કોંગ્રેસવિરોધી એટલે કે પ્રખર રાષ્ટ્રવાદી છું. એટલે તમે કોંગ્રેસી થયા કે નહીં? કોંગ્રેસી નહીં તો કોંગ્રેસતરફી, બસ? આનાથી વધારે ઉદારતાની અપેક્ષા મારી પાસેથી ન રાખતા.

પ્ર : ઉદારતનું નોબેલ પ્રાઇઝ તો તમને જ મળવું જોઇએ. તમે મને અત્યાર લગીમાં ગોળીએ દીધો નથી, એટલી તમારી ઉદારતા ઓછી છે? તમારાં લોકશાહી મૂલ્યોનો તો હું ચાહક છું- અને જે આ સંવાદ વાંચશે એ બધા તમારા લોકશાહીપ્રેમ, રાષ્ટ્રવાદ, બહાદુરી, સ્પષ્ટવક્તાપણું, ઉદારતા ને આવાં અનેક લક્ષણોના ચાહક થઇ જશે.

હૂ : એક મિનીટ. તમે ક્યાંક મારી રીલ તો નથી ઉતારતા ને?

પ્ર : હું કશું નથી કરતો. હું તમને એટલું પૂછું છું કે તમે કોંગ્રેસવિરોધી છો  અને મને તમે તમારો વિરોધી ધારી લીધો. એટલે હું કોંગ્રેસી કેવી રીતે થઇ ગયો? આવું તર્કશાસ્ત્ર તમે ક્યાંથી શીખી લાવ્યા? તક્ષશીલામાંથી કે નાલંદામાંથી?

હૂ : ખાલી નામો લેવાથી કશું સાબીત ન થાય. ભારતીય સંસ્કૃતિમાં રસ લેતા જાવ, તો ખબર પડે. ભગવાન કૌટિલ્ય ઊર્ફે ચાણક્યે કહ્યું હતું કે શત્રુકા શત્રુ મિત્ર હોતા હૈ.

પ્ર : એમ? હિંદીમાં કહ્યું હતું? અને તમને કાનમાં કહ્યું હતું?

હૂ : બસ, પગ તળે રેલો આવે એટલે વાતને હસીમજાકમાં કાઢી નાખવાની જરૂર નથી. અત્યારે મારી સાથે આટલી મગજમારી કરો છો, પણ ચાણક્યે આ કહ્યું ત્યારે તમે ક્યાં હતા?

પ્ર : એ વખતે હું ક્યાં હતો, એ તો કેમ કહેવાય? કારણ કે એ તો સદીઓ જૂની વાત છે.

હૂ : તમારી દંભી બિનસાંપ્રદાયિકોની આ જ તકલીફ છે. દરેક વાતમાં ઇતિહાસ ને સચ્ચાઇ ને હકીકતોની પિંજણ કરવા બેસી જાવ છો. તમારી આવી બધી અંગ્રેજગીરી ૧૮૫૭ના સંગ્રામ વખતે ક્યાં ગઇ હતી? એ વખતે અંગ્રેજોએ કેટલાય ભારતીયોને ફાંસી આપી દીધી ને કમોતે માર્યા.

પ્ર : ઓહ, તો હવે તમે કાશ્મીર-પંજાબથી પાછળ વધીને, છેક ૧૮૫૭ સુધી પહોંચી ગયા?

હૂ : તમારાં દંભી સેક્યુલર જૂઠાણાં અને સેક્યુલર બદમાશીઓ ઉઘાડી પાડવા માટે તો અમે સાતમી સદીમાં મહંમદ બિન કાસિમે સિંધ પર કરેલી ચડાઇ સુધી જઇ શકીએ એમ છીએ. પણ હજુ તમારી દયા ખાઇએ છીએ.

પ્ર : તમે તો દયાના સાગર છો. તમારી દયાનો પાર નથી. રજા લઉં ત્યારે? નમસ્તે. 

5 comments:

  1. Vividly described reality !

    ReplyDelete
  2. Anonymous3:47:00 AM

    very nice presentation, gives real mentality of some Deshbhkt
    Manhar Sutaria

    ReplyDelete
  3. સાતમી સદીમાં મહંમદ બીન કાસીમે સીંધ પર કરેલી ચડાઇ, સોમનાથ મંદીરને લુટનાર ગજનીનો મહમ્મદ અને પૃથ્વીરાજની કતલ કરનાર મહમ્મદ ગોરી, ખરેખર ઉર્વીશભાઈ વાનરોને બદનામ કરવાનું કોઇ કારણ નથી.

    ReplyDelete