Wednesday, January 14, 2015

અભિવ્યક્તિ : સ્વાતંત્ર્ય, સીમા અને સજા

વાત આમ સાદી અને કરુણ લાગતી હતી : ફ્રાન્સના સાપ્તાહિક Charlie Hebdo(નજીકનો ઉચ્ચાર : શાર્લી એબ્દુ) પર ત્રણ બંદૂકધારીઓએ હુમલો કર્યો. તેમાં કેટલાક કાર્ટૂનિસ્ટો સહિત ૧૨ જણને ઢાળી દેવામાં આવ્યા. ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેનાં બેફામ કાર્ટૂન દોરવાની એ સજા હતી. તેની વ્યાપક ટીકા થઇ. આ હુમલાને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની હિંસક તરાપ ગણવામાં આવ્યો. પણ પછી એવો સમાંતર સૂર શરૂ થયો કે ‘આ છાપું પણ ઓછું નથી. એનાં કાર્ટૂન સાવ નકામાં હતાં. એ ચહીને મુસ્લિમોની લાગણી દુભાવવા માટે બનાવાતાં હતાં. ઇસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મગુરુઓ વિશે પણ આ સાપ્તાહિકે સુરુચિનો ભંગ કરે એવાં કાર્ટૂન છાપ્યાં હતાં.’

આટલું કહ્યા પછીની દલીલ તરીકે ઘણાના મનમાં ઉગેલું વાક્ય હતું, ‘કોઇને મારી ન નાખવા જોઇએ ને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય હોવું જોઇએ,  એ બઘું ખરું, પણ પેપરવાળા સખણા રહેતા ન હતા. અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે શું? તેમાં બીજા લોકોની ધાર્મિક લાગણીનો કે સુરુચિનો કશો ખ્યાલ જ નહીં કરવાનો? સ્વતંત્રતા એવી નિરંકુશ ન હોઇ શકે. કાર્ટૂનિસ્ટો ધરાર મુસ્લિમોને નારાજ કરવા માટે જ બનાવતા હોય એવાં કાર્ટૂન પર કાર્ટૂન આપે તો?’

આ પ્રકારના ‘સમાંતર’ વિચારપ્રવાહમાં ધોરણસરના, ઉદારમતવાદી એવા ઘણા લોકો ભીંજાયા-તણાયા. ‘આવું તો કેવી રીતે ચાલે?’ એવો સવાલ તેમને હુમલાની સાથોસાથ પેપરનાં કાર્ટૂન વિશે પણ થવા લાગ્યો. પરિણામે તેમના મનમાં બન્નેનો વાંક લગભગ સરખો-અથવા કાર્ટૂનિસ્ટોનો વાંક સહેજ જ ઓછો - સ્થાપિત થયો.

આ ખતરનાક ઇલાકો છે. તેમાં મુદ્દાની સ્ફોટક ભેળસેળને બદલે જુદા જુદા વાંધાને અલગ તારવવાનું- તેમની તીવ્રતા વિશે અલગથી વિચારવાનું જરૂરી બની જાય છે.

સૌથી પહેલાં એક બાબત સ્પષ્ટ થઇ જવી જોઇએ : કાર્ટૂન ગમે તેટલાં ખરાબ કે ગંદાં હોય, તેનાથી કાર્ટૂનિસ્ટો પર હુમલો કે તેમની હત્યાના કૃત્યને સરભર કરી શકાતું નથી. આ બન્ને બાબતોની ગંભીરતા વચ્ચે મિલિગ્રામ અને કિલોગ્રામ જેવો ફરક છે. તેમને સામસામાં ત્રાજવામાં મૂકી શકાય નહીં- અને આવું કહેનાર કાર્ટૂનની ગુણવત્તાનો બચાવ કરતા નથી, કાર્ટૂનને ટીકાથી પર ગણતા નથી, એ પણ સ્પષ્ટ થવું જોઇએ.

હુમલાનો ભોગ બનેલા ‘શાર્લી એબ્દુ’માં છપાયેલાં કેટલાંક કાર્ટૂન ખરેખર નકામાં હતાં. એ પ્રકારના ‘મૂર્તિભંજક’ અને આત્યંતિક હાસ્યની ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં ઠીક ઠીક પરંપરા છે. સામાન્ય વ્યવહારમાં જેમને આમન્યા, મલાજો કે ગરીમા ગણાય તેને ધરાર ન જાળવવાં- એવો કેટલાંક પ્રકાશનનો ઘ્યેયમંત્ર હોય છે. ફ્રાન્સનું ‘શાર્લી એબ્દુ’ તો હુમલા પછી જાણીતું બન્યું, પરંતુ અમેરિકાનું માસિક ‘મૅડ’ દાયકાઓથી તેનાં વિલક્ષણ,મૌલિક, બૌદ્ધિક અને હદો ઓળંગનારા કાર્ટૂન માટે જાણીતું છે. ગુજરાતી હાસ્યવિવેચનમાં જેની બહુ બોલબાલા રહી એવા ‘નિર્દંશ અને નિર્દોષ’ પ્રકારનો સાવ સામો છેડો એટલે ‘મૅડ’. તેમાં વ્યક્તિગત પ્રહારોથી માંડીને ‘પવિત્ર ગાય’ ગણાતી તમામ બાબતોની, મૃત્યુ અને મૃત વ્યક્તિની સુદ્ધાં, ખિલ્લી ઉડાડવામાં આવે છે. આ સામયિક ‘સુરુચિ’ માટે જાણીતું નથી. છતાં તેનો મોભો જબરો છે. તેના ચાહકોમાં અનેક દેશી-વિદેશી મહાનુભાવોનો સમાવેશ થાય છે.

બને કે ‘શાર્લી એબ્દુ’ કેટલીક હદો પાર કરવામાં ‘મૅડ’ને પણ વટી ગયું હોય. ફ્રાન્સના પ્રમુખ ચાર્લ્સ દ’ગોલના મૃત્યુ પ્રસંગે આ સામયિકના અગાઉના અવતારે કરેલી રમૂજને કારણે તેને પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો હતો. પહેલાં પણ તેની વાંધાજનક સામગ્રી સામે ઊહાપોહ થઇ ચૂક્યો છે. એવાં કાર્ટૂન કે લખાણ માટે સામયિકનો બહિષ્કાર પોકારી શકાય, તેને અદાલતમાં પડકારી શકાય, તેની સામગ્રી કેમ વાંધાજનક છે એ ચર્ચા દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી શકાય...

આ બધા કરતાં સૌથી અકસીર ઉપાય તેની અવગણના કરવાનો છે. પોતાના પર હસી શકવાની કે આકરી રમૂજો ખમવાની ક્ષમતા સમુદાયની કે સમાજની સ્વસ્થતાનો અને આત્મવિશ્વાસનો એક માપદંડ છે. થોડા વખત પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક કાર્ટૂનમાં અવકાશક્ષેત્રે વીરલ સિદ્ધિ મેળવનાર ભારતના પછાતપણાની હળવી મસ્તી કરવામાં આવી, ત્યારે ઘણા ભારતીયો દુભાઇ ગયા હતા અને તેમણે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ પાસેથી માફીની માગણી કરી હતી. આ પ્રકારનું દબાણ આણવામાં કેટલાકને ગૌરવનો અહેસાસ થાય છે અને ‘જોયું? હવે આપણે લોકોના કેવા હાથ મચેડી શકીએ છીએ’ એ વિચારે ‘સુપરપાવર’નો અનુભવ થાય છે. પરંતુ તેમનો આ ખ્યાલ ભૂલભરેલો છે. આવી બાબતમાં દુભાઇને કકળાટ મચાવવાથી તાકાતનું નહીં, આંતરિક નબળાઇ અને લધુતાગ્રંથિનું જ પ્રદર્શન થાય છે. ઉપરાંત, જે બાબત સામે વાંધો પડ્યો હોય, તેને મહત્તમ પ્રસિદ્ધિ મળે છે.

અઠવાડિયાં પહેલાં સુધી ફ્રાન્સની બહાર કેટલા લોકો ‘શાર્લી એબ્દુ’ વિશે જાણતા હતા? (તેની ભાષા પણ ફ્રેન્ચ છે) લોહીયાળ હુમલા પછી આ સામયિક અને તેમાં છપાયેલાં કાર્ટૂન એટલી મોટી સંખ્યામાં અને એવા લોકો સુધી પહોંચ્યા, જેમના સુધી પોતાના બળે પહોંચવું ‘શાર્લી એબ્દુ’ માટે અશક્ય હતું. બીજી રીતે કહી શકાય કે, ‘શાર્લી એબ્દુ’ના મોઢે ડૂચો મારવા નીકળેલા લોકોએ, મોઢામાં ડૂચાને બદલે માઇક્રોફોન ખોસી દીઘું. એ રીતે ત્રાસવાદી હુમલો વિરોધાભાસી અને પોતાના જ હેતુને પરાસ્ત કરનારો નીવડ્યો.

બિનશરતી સ્વતંત્રતા

આગળ ‘સુરુચિના ભંગ’ની વાત આવી. એવો બીજો શબ્દ છે : ‘ધાર્મિક લાગણી’. કાયદાની છે તેવી આ બન્ને શબ્દોની બાંધી વ્યાખ્યા નથી. ભારત જેવા દેશમાં જો કે કાયદાની વ્યાખ્યા પણ એટલી રબરીયા હોય છે કે જોર કરે એની બાજુ ખેંચાય. ધાર્મિક લાગણી દુભાવવાનો કે ધાર્મિક-કોમી વૈમનસ્ય વધારે એવાં કામ અને નિવેદનબાજીને ગુનો ઠેરવતો કાયદો ભારતમાં છે, પરંતુ કેટલાક નેતાઓની આખેઆખી કારકિર્દી બેફામ નિવેદનબાજી દ્વારા બની અને ચાલી છે.

ભારતના બંધારણમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો મૂળભત અધિકાર છે, પણ તેની સાથે ‘શરતો લાગુ’ની ફુદડી જોડાયેલી છે. પણ ફ્રાન્સમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની હદો ઘણી વિસ્તરેલી છે. ફ્રેન્ચ ક્રાંતિની ત્રિસૂત્રીમાં પણ પહેલા ક્રમે ‘લિબર્ટી’ આવે છે, જેમાં તમામ પ્રકારની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. સલમાન રશદી જેવા ઘણાને લાગે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કોઇની લાગણી દુભાય, એની ચિંતા કર્યે પાર ન આવે. એવી આગોતરી ચીવટ રાખવાથી ભાગ્યે જ કશો અર્થ સરે છે.

આ તર્કમાં દમ છે. પ્રશ્ન એ છે કે ‘ધાર્મિક લાગણી’ એટલે શું? કોઇ લેખ લખવાથી, કાર્ટૂન દોરવાથી કે કોઇ કામ કરવાથી કાયદાનો ભંગ થયો હશે કે નહીં, એ કદાચ કહી શકાય. પરંતુ સુરુચિ કે ધાર્મિક લાગણીની ચોક્કસ વ્યાખ્યા હોતી નથી. સુરુચિનો ભંગ કે ધાર્મિક લાગણી દુભાવાની બૂમ ઉઠે ત્યારે, શક્ય છે કે એ કોઇ વ્યક્તિની કે પછી ચોક્કસ સમુહની ‘લાગણી’ હોય. તેનું કેટલું મહત્ત્વ- કેટલું વજન હોવું જોઇએ? કોઇ માણસ લાગણીદુભાવનો ધંધો લઇને બેઠો હોય ત્યારે, તેને ગમે તેટલું સાચવ્યા પછી પણ તેને સંતોષી શકાવાનો નથી.

પેરિસમાં ‘શાર્લી એબ્દુ’ પર હુમલાની ચર્ચા કરતી વખતે ભારતમાં ધીકતા લાગણીદુભાવના ધંધાની પટ્ટી પણ મનમાં ચાલી શકે છે. અગાઉની કોંગ્રેસી સરકારોએ અને વર્તમાન એનડીએ સરકારે પોતપોતાની રીતે આ ધંધાને ઉત્તેજન આપ્યું છે. કેન્દ્ર સરકાર પોતે લાગણીદુભાઉઓ પ્રત્યે કૂણી લાગણી સેવતી હોય અથવા તેમની પાસેથી કામ કઢાવવા ઇચ્છતી હોય ત્યારે અભિવ્યક્તિસ્વાતંત્ર્યને મોં છુપાવવાનો વખત આવે છે.

લાગણીદુભાવના મુદ્દામાં ધર્મ જેટલા જ કે એથી પણ વધારે રાજકારણ અને ઓળખના પ્રશ્ન સંડોવાયેલા હોય છે. ફ્રાન્સમાં એક તરફ જમણેરી અંતિમવાદી પક્ષનું જોર ઊભું થયું છે. તેની સાથે સંમત લોકો માને છે કે બહારથી આવેલા લોકોએ (મુખ્યત્વે મુસ્લિમો) ફ્રાન્સની વર્તમાન અવદશા માટે જવાબદાર છે. એવી સ્થિતિમાં‘શાર્લી એબ્દુ’ પ્રકારનાં પ્રકાશનો મુસ્લિમ ધર્મનો પ્રતિબંધ અવગણીને મહંમદસાહેબનાં ચિત્રો ને કાર્ટૂન દોરે, રમૂજો કરે તેની અસર કેવળ હાસ્યકટાક્ષ પૂરતી મર્યાદિત રહેતી નથી. સ્થાનિક રાજકારણ અને સામાજિક પ્રવાહો પર તે અસર કરે છે. ફ્રાન્સમાં વર્ષ ૨૦૨૨માં એક મુસ્લિમ દેશનો પ્રમુખ બનશે, એવું વિષયવસ્તુ ધરાવતી નવલકથા હોય કે પછી ‘શાર્લી એબ્દુ’નાં કાર્ટૂન, તેને કેવળ સાહિત્ય કે ગમ્મત કે ઠઠ્ઠા તરીકે લેવાની માનસિકતા વાસ્તવિક તનાવની સ્થિતિમાં ઓછી ને ઓછી થતી જાય છે.

સમુદાયો વચ્ચેની તંગદિલી ઠઠ્ઠામશ્કરીથી હળવી થતી નથી, પણ વણસે છે. બન્ને પક્ષોની સમજથી તનાવ ટાળી શકાય - કમ સે કમ, તેમાં બિનજરૂરી વધારો ન થાય - એ ઉત્તમ સ્થિતિ છે, પરંતુ એક દલીલ એવી છે કે ‘ફ્રાન્સમાં રહેવું હોય તો ફ્રાન્સની રીતે રહો. તમારામાં પેગંબરસાહેબનાં ચિત્ર નહીં દોરાતાં હોય, પણ અમારે ત્યાં તો અમે ગમે તેની મશ્કરી કરીએ છીએ- અને એમાં કશો ફરક નહીં પડે. ફ્રાન્સના કાયદા પ્રમાણે તમારાથી થાય તે કરી લો.’

આ દલીલ ગેરવાજબી નથી. એ સંજોગોમાં ફ્રાન્સના મુસ્લિમો કાર્ટૂન સામે વાંધો પાડવાનું ચાલુ રાખે, એ વ્યક્ત કરવાના મૌલિક રસ્તા શોધી કાઢે અને ઇસ્લામના નામે થતા હત્યાકાંડોનો ખોંખારીને વિરોધ કરે, એ સૌથી ઇચ્છનીય સ્થિતિ છે. 

1 comment:

  1. દેશમાં ગાંધીજી, પટેલ અને મુનશીએ ૧૫.૦૮.૧૯૪૭ પછી સોમનાથ મંદીરના નીર્માણમાં રસ લઈ કલંકીત કામ કર્યું.

    ReplyDelete