Wednesday, December 11, 2013

બે નિબંધ : જો હું વડાપ્રધાન હોઉં તો?

સ્કૂલની પરીક્ષામાં આ પ્રકારનો એકાદ નિબંધ અચૂક પૂછાતો હતો, જેને ઓપ્શનમાં કાઢી નાખવાની સુવિધા ઉપલબ્ધ રહેતી. ધારો કે એવો જ નિબંધ ગુજરાતમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓને વગર ઓપ્શને લખવાનું કહેવામાં આવે તો?
***

કોંગ્રેસી નેતાનો નિબંધ

કેમ ભાઇ? જૂનું વેર કાઢવાનું છે કે આવો નિબંધ લખવા આપો છો? તમને ખબર તો છે ઃ અમારે ત્યાં વડાપ્રધાન બનવાનું સ્વપ્ન પણ જોવું હોય તો ગાંધી અટક હોવી જોઇએ. બહુ તો વાડ્રા અટક કદાચ ચાલે. એ સિવાય ટાઢા પહોરનાં સપનાં જોઇને ટાઇમ બગાડવાને બદલે, ભાજપની સરકાર છે ત્યાં સુધી બે સારાં કામ ન કરાવી લઇએ? લોકશાહીમાં અસરકારક વિપક્ષ એને જ કહેવાય જે વિપક્ષમાં રહીને પણ પોતાની ફાઇલો ચલાવી શકે અને કોન્ટ્રાક્ટ પાસ કરાવી શકે.

તેમ છતાં, હાઇકમાન્ડ બધાની વફાદારીની ખાતરી કરવા માટે આવી નિબંધસ્પર્ધા કાઢે અને તેમાં ફરજિયાત સૌએ ભાગ લેવાનો એવું જાહેર કરે તો હું કંઇક આવો નિબંધ લખું :

‘હું કોંગ્રેસ પક્ષનો અદનો સેવક છું. મારો પી.એ., મારો ડ્રાયવર, મારા ટેકેદારો - આ બધા કોંગ્રેસના અદના સેવકો છે અને અમે જે છીએ તે સ્થિતિમાં બહુ રાજી છીએ. અમે તો સ્વપ્ન જોઇએ છે કે આવતી કાલે સોનાનો સૂરજ ઉગશે અને રાહુલબાબા અથવા પ્રિયંકામેડમ કે થોડાં વર્ષ પછી તેમની બેટી ભારતનું વડાપ્રધાનપદ શોભાવતાં હશે. છતાં, હાઇકમાન્ડના  આદેશથી ડૉ.મનમોહનસિંઘની જેમ મારે પણ, ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવાનું થાય તો હું ખાતરી આપું છું કે હું રાહુલબાબાની અને સોનિયાજીની પાદુકાઓ રાખીને, તેમની આજ્ઞા પ્રમાણે શાસન કરીશ. એમ કરવામાં આજ સુધી કોને સંકોચ થયો છે કે મને થાય? હું દર્શાવી આપીશ કે કોંગ્રેસી નેતાઓ વડાપ્રધાનપદના ભૂખ્યા નથી. ઉપવાસ કોંગ્રેસ પક્ષના આરંભકાળથી તેની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે, એવું પક્ષના ઇતિહાસમાં કહેવાય છે. તેની પાછળનું અસલી રહસ્ય એ જ છે કે ગાંધી પરિવાર સિવાયના બીજા સૌ નેતાઓ વડાપ્રધાનપદની ભૂખ તજી શકે અને સાત્ત્વિકતાનું ગૌરવ પણ લઇ શકે.

ઘણા લોકોને એવું હશે કે કોંગ્રેસી વડાપ્રધાન તરીકે મને ભાજપને ખતમ કરી નાખવાનાં સપનાં આવશે. આવું માનનારા બહુ ભોળા કહેવાય. મારા લેવલે પણ મને સમજાય છે કે ભાજપ સિવાય બીજો કોઇ, થોડોઘણો ઠેકાણાવાળો પક્ષ હોત તો અમારાં પાટિયાં ક્યારનાં ઉતરી ગયાં હોત. ભલું થજો ભાજપનું કે કોઇ નક્કર કારણ વિના અમારું રાજ દસ વર્ષ અખંડ ચાલ્યું. આવા વિપક્ષને ખતમ કરવાનું તો સપનું પણ જોવું, એ લોકશાહીનો દ્રોહ કરવા જેવું ગણાય. અને એ તો સૌ જાણે છે કે અમારો પક્ષ, કટોકટી ન લાદે ત્યાં સુધી, લોકશાહીનો બિલકુલ દ્રોહી નથી.

વડાપ્રધાન તરીકેનું સપનું જોવાનું જ હોય તો હું એવું પસંદ કરું કે હું આજીવન વડાપ્રધાન રહું - અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ જ હોય. આજીવન વડાપ્રધાનપદની મારી ઇચ્છામાં જેમને લોભલાલચની ગંધ આવતી હોય તેમને હું કોંગ્રેસની પરંપરા ઘ્યાનમાં રાખવા વિનંતી કરું છું. ત્યાર પછી જ સમજાશે કે મારી ભાવિ પેઢીઓ માટે કશી અપેક્ષા રાખ્યા વિના, હું ફક્ત મારા પોતાના જીવન પૂરતો વડાપ્રધાન બની રહેવા ઇચ્છું, એ પક્ષ અને દેશ માટે કેટલો મોટો ત્યાગ કહેવાય. ત્યાગવાળી વાત ન સમજાય તો બહુ ચિંતા ન કરવી. અમસ્તી પણ અમારા કોંગ્રેસનાં સાદગી અને ત્યાગની વાત ઘણાને સમજાતી નથી- પછી એ સોનિયાજીનો સત્તાત્યાગ હોય કે રાહુલજીનો જવાબદારી-ત્યાગ.

***

ભાજપી નેતાનો નિબંધ 

હું તો તમને શુભેચ્છક ગણતો હતો. ખબર નહીં કે તમે પણ મને પતાવી દેવા માગો છો. ભાજપમાં રહીને વડાપ્રધાન બનવાનું સપનું જોવા કરતાં, રૂપિયા ખર્ચીને પ્રવેશટિકિટ લઇને કાંકરિયા તળાવે જઇને આપઘાત કરવાનું કહેવું હતું ને. બઘું એક નું એક જ થાત. હરેન પંડ્યાનું નામ સાંભળ્યું છે? અને સંજય જોશીનું? એકના નામ આગળ ને બીજાની રાજકીય કારકિર્દી આગળ ‘સ્વ.’નું વિશેષણ લાગી ગયું- અને આ લોકો  વડાપ્રધાનપદના નહીં, ફક્ત મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણાતા હતા.

વડાપ્રધાન બનવાનું કોને ન ગમે? રાજનાથસિંઘને પણ ગમે ને સુષ્મા સ્વરાજને પણ ગમે. કોઇ બનાવતું હોય તો વૈંકેયા નાયડુને પણ ગમે ને અરુણ જેટલીને પણ ગમે. પરંતુ અમારા પક્ષમાં પચાસ વર્ષથી નીચેના લોકોમાં શિસ્ત એવી મજબૂત છે કે તેમની વચ્ચે વડાપ્રધાનપદ માટે કદી ખેંચતાણ થાય એમ નથી. (નોંધ ઃ આગળ લખેલાં બધાં નામ અમાર  વરિષ્ઠ - એટલે કે પચાસ વટાવી ચૂકેલા- નેતાઓનાં છે.) કોંગ્રેસમાં ગાંધી પરિવારનું છે એવું સ્થાન અમારે ત્યાં સંઘ પરિવારનું છે. એ કોઇને કંઇ પણ બનાવી શકે. નીરોમાંથી હીરો ને હીરોમાંથી ઝીરો.  અડવાણીજી તેમના બ્લોગ પર આ વિશે વધારે પ્રકાશ પાડી શકશે. આમ પણ અમારા પરિવારે તેમની પાસે હવે બ્લોગ લખવા સિવાય ખાસ કંઇ કામ રહેવા દીઘું નથી.

આટલું કહ્યા પછી હજુ પણ મૂળ સવાલનો જવાબ આપવાનું ફરજિયાત હોય તો, મારે કહેવું જોઇએ કે વડાપ્રધાનપદે શાંતિથી બેસવી માટે નાયબ વડાપ્રધાન કોને બનાવવા એ પહેલાં પાકું કરી લેવું પડે. જરૂર પડ્યે, સમયસંજોગોને માન આપીને એકથી વઘુ નાયબ વડાપ્રધાન રાખવાનું વિચારી શકાય. વધારે મૌલિકતાથી કામ લેવું હોય તો એ  હોદ્દો ફરતો રાખીને દર મહિને તેની પર જુદા જુદા નેતાઓને મૂકી શકાય. એમ કરવાથી અમારા બધા નેતાઓને ઉચ્ચ હોદ્દાની તાલીમ મળે, દેશ પાસે વડાપ્રધાનપદના ઉમેદવારોના અઢળક વિકલ્પ મળે અને પક્ષની આંતરિક લોકશાહી, જો મોદીજીના પ્રભાવ પછી પણ ટકી રહી હોય તો, મજબૂત થાય.

જો હું વડાપ્રધાન બનું તો માહિતી-પ્રસારણ ખાતામાં પણ કેટલાક પેટાવિભાગ પાડું અને બ્લોગખાતું અડવાણીજીને, ટ્‌વીટરખાતું મોદીજીને સોંપું. દેશના હિતમાં એમની શક્તિઓનો શ્રેષ્ઠ - અથવા ઓછામાં ઓછો નુકસાનકારક- ઉપયોગ કદાચ ત્યાં કરી શકાય. વડાપ્રધાનપદેથી હું એવો આદેશ પણ જારી કરું કે હવે પછીથી કોઇએ સ્વેચ્છાથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો અધિકાર નથી.
વડાપ્રધાન બન્યા પછી ખાનગી રાહે બંધારણીય નિષ્ણાતોની સલાહ પણ લઉં કે જમ્મુ-કાશ્મીરમાં છે એવી ૩૭૦મી કલમ કોઇ રીતે લોકસભામાં લાગુ પાડી શકાય કે કેમ. કાશ્મીરમાં જેમ બહારના લોકો જમીન ખરીદી શકતા નથી, એવી રીતે હું પણ એવું કરું કે લોકસભામાં સત્તાધારી પક્ષ તરીકે ભાજપ સિવાય બીજું કોઇ બેસી શકે નહીં અને વડાપ્રધાન તરીકે આજીવન હું જ રહું. કોઇને એમાં સત્તાલાલસા દેખાય તો ભલે. મારો ઇરાદો સદા વત્સલા એવી માતૃભૂમિની આજીવન સેવા કરવાનો અને એનાં ચરણોમાં જ પ્રાણ ત્યાગવાનો છે, જેથી હું મારી માતૃભૂમિને અસ્થિરતામાંથી અને માતૃપક્ષને સત્તાની ખેંચતાણમાંથી  બચાવી શકું. 

7 comments:

  1. Anonymous12:25:00 AM

    Excellent to obsession of Gandhi and self-styled politics of Congress and BJP/ RSS. AAP like could puncture both of them. Ajit Ninan cartoonist recently caricatured and translated your ideas by putting the pictures of main cadres of BJP in a picture of wall-frame.

    ReplyDelete
  2. મારો ડ્રાયવર પછી મારો પાયલોટ ઉમેરી શકાય.

    ReplyDelete
  3. :D :D good one Urvishbhai

    ReplyDelete
  4. Was Sanjay Joshi a candidate of Gujarat Chief Minister post?

    ReplyDelete
    Replies
    1. હા, આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા હતી.
      પણ એ બધું તો ઠીક છે. ધન્યવાદ તમારા ફોકસને આપવા પડે- અર્જુનને દેખાતી ચકલીની આંખની જેમ, તમને આખા લેખમાંથી ફક્ત આ લીટી વિશે જ કંઇક કહેવા-લખવા જેવું જણાયું.

      Delete
  5. Well. I am not aware of such talk. You may be aware of talks in "INNER CIRCLES' of modi.

    Thanks for appraising my focus and comparing me with Arjun. I take this as compliment.

    ReplyDelete
  6. chirag patel8:31:00 PM

    Good 1 urvishbhai .....
    Yahaan ki politics mein system ...
    Ho naa ho....
    system mein politics jarur ha inn ...
    gandhii dynasty n RSS dynasty...

    ReplyDelete