Friday, March 29, 2013

ફિલ્મઉદ્યોગનો ‘ભાઇ’ચારો


હિંદી ફિલ્મી દુનિયાના ખ્યાતનામ ગુજરાતી ફોટોગ્રાફર બી.જે.
પંચાલે પાડેલો નરગીસ-સંજયદત્તનો આ ફોટો જોઇને
’એ  પહેલેથી જ હતો આવો’ કે ’જુઓ, જુઓ, એને માએ જ કેવો
બગાડ્યો છે’-ની ભૂમિકામાં આવી જવાની જરૂરી નથી. બાળપણનો
નિર્દોષ ફોટો મોટપણે બદલાયેલા સંજોગોમાં કેવા જુદા અને ભયંકર
અર્થ ધારણ કરી શકે છે એનો આ ઉત્તમ નમૂનો છે.
ફોટો સૌજન્યઃ બી.જે.પંચાલ/ Photo courtesy B.J.Panchal

(ગુજરાત સમાચાર તંત્રીલેખ-શુક્રવાર-૨૯-૩-૧૩)

ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતે સંજય દત્તને પાંચ વર્ષની જેલની સજા કરી- હકીકતે છ વર્ષની થવાપાત્ર સજામાં એક વર્ષનો ઘટાડો કરી આપ્યો- ત્યારે ફિલ્મઉદ્યોગે એક અવાજે સંજય દત્ત પ્રત્યે લાગણી, સહાનુભૂતિ અને ટેકો વ્યક્ત કર્યાં. સંજય દત્ત માણસ તરીકે કેટલા સોનાના છે, તેમના દિલમાં કેવું પાપ નથી, એ કેવા પરદુઃખભંજક છે, તેમનું બાળપણ કેટલું ખરાબ વીત્યું હતું, એમનાં માતાપિતા કેટલાં મહાન હતાં- આવી અનેક વાતો જુદા જુદા લોકોએ પોતપોતાના અનુભવ કે લાગણીની ચાસણીમાં બોળીને વહેતી કરી. એ બધાની ઘુ્રવપંક્તિ એ હતી કે આટલા સારા માણસને સજાઓ શું કરવાની? એમને માફ કરી દેવા જોઇએ. એમાં જ આપણી શોભા છે.

ખૂબીની વાત એ છે કે આવું કહેનારા કોઇએ એવો ઇશારો સરખો પણ ન કર્યો કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કશી ખામી છે. સંજય દત્ત સામેના પુરાવા ખોટા છે કે તેમને નિર્દોષ હોવા છતાં ભેરવી મારવામાં આવ્યા છે એવું પણ કોઇએ ન કહ્યું. સંજય દત્તનો અપરાધ એકદમ નક્કર છે એ વિશે કોઇને શંકા ન હતી. કોઇએ તેમની નિર્દોષતા સિદ્ધ કરવાની ન હતી. તેમના મતે, સંજય દત્તે માફી મેળવવા માટે નિર્દોષ હોવાની જરૂર પણ ન હતી. એ સંજય દત્ત હતા એટલું જ પૂરતું હતું. બધાનો સામુહિક સ્વર જાણે એવો હતો કે ‘છોરુ કછોરુ થાય પણ માવતરથી કમાવતર ન થવાય. આ કિસ્સામાં સંજય દત્ત છોરુ છે ને અદાલતો માવતર. એટલે માવતરે મોટું મન રાખીને કામચલાઉ કછોરુ થયેલા સંજય દત્તને માફી આપી દેવી જોઇએ.’

સામાન્ય સંજોગોમાં ફિલ્મઉદ્યોગની આ વર્તણૂંક ‘ભાઇચારા’ જેવી ઉદાત્ત લાગણી હેઠળ ખપી ગઇ હોત. ફિલ્મવાળાને હજુ એવું માનવું ગમતું હશે કે તેમણે સંજય દત્તને માફી આપવાની રજૂઆત કરીને પોતાના ઉદ્યોગનું નામ ઉજાળ્યું છે અને અંગત રીતે દોસ્તી-ભાઇચારો નિભાવ્યાં છે. સંજય દત્ત પ્રત્યે લાગણી દેખાડવામાં સમાનતાના મૂળભૂત બંધારણીય સિદ્ધાંતની અને કાયદાના શાસનની ઘોર અવગણના થાય છે, એવું ફિલ્મઉદ્યોગને ત્યારે જ કોઇએ કહેવું જોઇતું હતું.

ફિલમવાળાઓને કોઇએ સમજાવવું જોઇતું હતું કે ગુનેગાર સાબીત થયેલા સંજય દત્ત પ્રત્યે તમારે સહાનુભૂતિ રાખવી હોય તો એમાં કશું ખોટું નથી. પોતાનો અંગત મિત્ર ગુનેગાર સાબીત થાય એટલે તેનો સાથ છોડી દેવાનું જરૂરી નથી. તેને નૈતિક ટેકો આપવો એ મિત્રાચારીનું લક્ષણ હોઇ શકે છે. મિત્રને જેલમાં મળવા જવાય, તેને હિંમત આપવા માટે શક્ય એટલું બઘું જ કરાય, તેના પરિવારને કોઇ વાતે ઓછું ન આવે એનું ઘ્યાન રખાય. પણ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગુનેગાર સાબીત થઇ ચૂકેલા ગમે તેવા ખાસ મિત્રને માફી આપવાની માગણી કેવી રીતે રાખી શકાય? મિત્રાચારી ખાતર કાયદા અને બંધારણનો દ્રોહ કરી શકાય? અને એકલદોકલ વ્યક્તિ નહીં, આખો ફિલ્મઉદ્યોગ આ રસ્તે ચડે તે ચિંતાજનક નથી?

ફિલ્મો અને ‘ભાઇ’લોગ વચ્ચેના ઊંડા સંબંધો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ‘ઓપન સીક્રેટ’ જેવા છે. સૌ જાણતાં હોય પણ કોઇ બોલવાની હિંમત ન કરે. ગુંડાઓ સામે જુબાની આપવાની હિંમત કોઇ રૂપેરી હીરોએ નહીં, એકમાત્ર અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ કરી ત્યારે તેમના માટે એવું કહેવાયું હતું કે ‘ફિલ્મઉદ્યોગમાં એ એક જ મરદ છે’. એક-દોઢ દાયકા પહેલાં ફિલ્મોમાં હીરો ને હીરોઇન તરીકે કોણ હશે તે રૂપિયા રોકનાર નહીં, પણ અન્ડરવર્લ્ડના ‘ભાઇ’ઓ નક્કી કરતા હતા. એ સમયથી સંજય દત્તને ‘ભાઇ’લોગ સાથે નિકટનો નાતો રહ્યો છે. તેનો ઉપયોગ તેમણે ફિલ્મી બિરાદરીનાં કામ કરાવવા માટે કર્યો હોય તો પણ એટલાથી તેમનો ‘ભાઇપ્રેમ’ વાજબી ઠરી જાય છે?

પોતાની રચેલી ‘મેક બિલીવ’ની દુનિયામાં રાચતા ફિલ્મ ઉદ્યોગને ભલે એવું લાગતું હોય કે તેમની દુનિયા અલાયદી છે, પણ સંજય દત્ત કે સલમાનખાનના કેસ જેવા પ્રસંગે ફિલ્મ ઉદ્યોગને એ કડવી સચ્ચાઇનું ભાન થાય છે કે એમની દુનિયા પણ આ દેશના કાયદા અને બંધારણથી ઉપર નથી- ન હોઇ શકે. એવી જ રીતે, ફિલ્મ ઉદ્યોગ પોતાના પરિવારના આડી લાઇને ચડેલા સભ્યો માટે ગમે તેટલી લાગણી બતાવે, પણ એ વખતે તેમણે ભૂલવું ન જોઇએ કે અંગત લાગણી સાર્વત્રિક કાયદાનો- લૉ ઑફ ધ લેન્ડનો- પર્યાય હોઇ શકે નહીં.

1 comment:

  1. filmi Hastio to thik pan Katju jeva loko pan coras ma jodaya e nindaniy 6e!!

    ReplyDelete