Sunday, March 18, 2012

અજિત મર્ચંટ: વિદાયના એક વર્ષ પછી


આજીવન મૈત્રીનો આરંભકાળઃ સંગીતકાર અજિત મર્ચંટ અને ગાયક દિલીપ ધોળકિયાની દુર્લભ તસવીર

‘તમને અમે બિલકુલ યાદ કરતા નથી. કારણ કે તમને અમે ભૂલ્યા જ નથી.’ એવો ચબરાકીયો સંવાદ કેટલાક કિસ્સામાં શબ્દશઃ સાચો પડતો હોય છે. આજે જેમના મૃત્યુને એક વર્ષ પૂરું થયું, તે સંગીતકાર અજિત મર્ચંટ/Ajit Merchant ની વાત કંઇક એ જ પ્રકારની છે.

૮૮ વર્ષના દીર્ઘ, તંદુરસ્ત અને સંગીતમય જીવન દરમિયાન અજિત મર્ચંટની ખ્યાતિ મુખ્યત્વે ‘તારી આંખનો અફીણી’ના સંગીતકાર તરીકેની. ફિલ્મ ‘દીવાદાંડી’ (૧૯૫૦)નું વેણીભાઇ પુરોહિતે લખેલું- દિલીપ ધોળકિયા/Dilip Dholakiyaએ ગાયેલું એ ગીત ગુજરાતીઓની ત્રણ પેઢીથી પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ ૧૯૪૦ના દાયકાની મઘ્યથી શરૂ થયેલી અજિતભાઇની સંગીતસફર જીવનના અંતભાગ સુધી-લગભગ સિત્તેર વર્ષ- એક યા બીજા સ્વરૂપે ચાલુ રહી. મૃત્યુના થોડા સમય પહેલાં અજિત મર્ચંટ (અને દિલીપ ધોળકિયા)ને ‘મુનશી સન્માન’ અર્પણ કરીને ભારતીય વિદ્યા ભવને સંગીતક્ષેત્રે તેમના સમગ્ર પ્રદાનને ફરી એક વાર પ્રકાશમાં લાવી મૂક્યું.

‘સાગર મુવિટોન’ના સંગીતકાર અશોક ઘોષના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર અજિતભાઇએ ૧૯૪૮માં ‘કરિયાવર’ ફિલ્મમાં પહેલી વાર સ્વતંત્રપણે સંગીત આપ્યું. ફિલ્મનાં કુલ ૧૧ ગીતોમાં ગીતા દત્ત (એ વખતે ગીતા રોય)નાં છ અને ગુજરાતીમાં પહેલી વાર ગાનાર મીના કપૂરનાં ચાર ગીત હતાં. તેમાંથી બે ખુદ અજિતભાઇનાં મીના કપુર સાથેનાં યુગલગીત હતાં. (‘કેસૂડાની કળીએ રૂડો ફાગણીયો લહેરાય’ અને ‘અમે વણઝારા’) ગીતા દત્ત જેવો ભાવવાહી, પણ નજાકતમાં તેમનાથી ચડિયાતો અવાજ ધરાવતાં મીના કપુર અજિત મર્ચંટનાં પ્રિય ગાયિકા બની રહ્યાં. તેમણે ગાંઠના પૈસે અને (પત્ની નીલમ મર્ચંટના નામ પરથી) ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર તળે ‘દીવાદાંડી’ ફિલ્મ બનાવી, તેમાં સાતમાંથી ચાર ગીત મીના કપૂરનાં સોલો (એકલગીત) હતાં. ફક્ત ફિલ્મોમાં જ નહીં, ‘આ માસનાં ગીતો’ જેવા ભારતીય વિદ્યાભવનના કાર્યક્રમ માટે પણ તેમણે મીના કપુર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યાં.

અજિતભાઇએ ફિલ્મો અને રેડિયો માટે મીના કપુર, ગીતા દત્તા, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, સુલોચના કદમ, મન્ના ડે, તલત મહેમુદ જેવા નામી ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં. જગજિતસિંઘ અને અનુરાધા પૌડવાલે પોતાની કારકિર્દીનું પહેલું ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મમાં (અનુક્રમે ‘બહુરૂપી’ અને ‘માંડવાની જૂઇ’માં) અજિતભાઇના સંગીતમાં ગાયું. ‘ધરતીના છોરુ’ (૧૯૭૦)માં જગજિતસિંઘ અને સુમન કલ્યાણપુરે અજિતભાઇના સંગીતમાં ગાયેલું વેણીભાઇનું ગીત ‘ઘનશ્યામ નયનમાં’ અમર બન્યું છે. અસલમાં આ ગીત અજિતભાઇએ પચાસના દાયકામાં ‘આ માસનાં ગીતો’ કાર્યક્રમમાં રજૂ કર્યું હતું, જે અજિત શેઠ અને નિરૂપમા શેઠે ગાયું હતું. એ વખતે બન્નેનાં લગ્ન થયાં ન હતાં. અજિતભાઇ ઘણી વાર હળવા મૂડમાં પોતાના સંપર્કથી કે પોતાનાં ગીતો થકી પ્રેમમાં પડેલાં જોડાંને યાદ કરતાં. તેમાં નિરૂપમા-અજિત શેઠ, ભૂપેન્દ્ર-મિતાલી અને જગજિત-ચિત્રાનો ઉલ્લેખ કરતા.

પોતાને પહેલી તક આપનાર અજિત મર્ચંટનો ગુણ જગજિતસિંઘ છેવટ સુધી ભૂલ્યા ન હતા અને તેનો ગૌરવભેર જાહેર સ્વીકાર કરતા હતા. કારકિર્દીની શરૂઆતમાં અજિતભાઇ માટે ગાયેલા બિનફિલ્મી ગીત ‘રાત ખામોશ હૈ’નો જગજિતસિંઘે પોતાના આલ્બમ ‘મુંતઝિર’માં ચહીને સમાવેશ કર્યો. એટલું જ નહીં, અજિતભાઇના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં રસ લીધો.

સ્વતંત્ર મિજાજ, સ્વમાનના ભોગે કામ નહીં કરવાની જિદ અને ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે ચાલતી ભાવકાપ હરીફાઇમાં નહીં પડવાને કારણે અજિતભાઇએ માંડ નવ ગુજરાતી અને આઠ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં ‘સપેરા’ માટે મન્ના ડેએ ગાયેલું (અને યુટ્યુબ પર સહેલાઇથી ઉપલબ્ધ) ‘રૂપ તુમ્હારા આંખોં સે પી લું’ સંગીતપ્રેમીઓ અને મન્નાડેના ભક્તોનું પ્રિય ગીત બની રહ્યું. લતા મંગેશકરે જુદા જુદા સંગીતકારો માટે ગાયેલા ગીતો વિશેનો અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘બાબા તેરી સોનચિરૈયા’ (પ્રકાશઃ લતા મંગેશકર રેકોર્ડ સંગ્રહાલય, ઇન્દોર, ૨૦૦૮) તૈયાર કરનાર લેખક ‘અજાતશત્રુ’એ નોંઘ્યું છે તેમ, ફક્ત આ એક જ ગીતથી હિંદી ફિલ્મસંગીતમાં અજિત મર્ચંટ અમર બની ગયા છે.

શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસ ધરાવતા અજિતભાઇએ પચાસના દાયકામાં ભારતીય વિદ્યા ભવન આયોજિત ‘આ માસનાં ગીતો’ કાર્યક્રમમાં વાદ્યવૃંદ- ઓરકેસ્ટ્રાના વિશિષ્ટ પ્રયોગો સાથે ગુજરાતી ગીતો રજૂ કરીને નવો ચીલો પાડ્યો. ફિલ્મો ઉપરાંત મુંબઇ રેડિયોમાં તેમણે દસ વર્ષ કામ કર્યું, સંખ્યાબંધ જાહેરખબરોનાં જિંગલ બનાવ્યાં. ઉત્તરાવસ્થામાં નાટકોનું સંગીત તેમની મુખ્ય પ્રવૃત્તિ બની. તેમનું સંગીત ધરાવતાં ગુજરાતી-હિંદી-મરાઠી નાટકોની સંખ્યા બસોથી પણ વધારે થાય છે.

અજિત મર્ચંટ પાસે હતાશ થવાનાં ઘણાં કારણ હતાં, પરંતુ પોતાની શરતે જીવનારા અજિતભાઇને નિરાશા ઘેરી શકી નહીં. પોતાનાં આજીવન સાથી અને ગીત ગાતાં કડી ભૂલી જાય તો અઘૂરી કડી પૂરી કરી દે એવાં પત્ની નીલમ મર્ચંટ સાથે તેમણે સંતોષી-સ્વમાની જીવન વીતાવ્યું. છેલ્લા એકાદ દાયકા દરમિયાન તેમને અવારનવાર મળવાનું થયું, ત્યારે તેમના ધબકતા સંગીતરસ અને જીવનરસનો પરચો મળ્યા કરતો હતો. ગુજરાતી-અંગ્રેજી સાહિત્યની તેમની સમજણ સૂક્ષ્મ અને ઊંડી હતી. કદાચ એટલે જ વેણીભાઇ પુરોહિતનાં ઘણાં ગીતો તેમણે ઉત્તમ રીતે સ્વરબદ્ધ કર્યાં. ઉમાશંકર જોષી સહિત ઘણા ગુજરાતી કવિઓની રચનાઓની કેવળ નિજાનંદ ખાતર તે હાર્મોનિયમ પર ઘૂન બનાવતા હતા. એ પ્રવૃત્તિ છેવટ સુધી ચાલુ રાખી. (‘સુગમ સંગીત’ જેવા લેબલની અને ખાસ તો સુગમ સંગીતના નામે મોટે ભાગે જે કંઇ ચાલે છે એની તેમને ભારે ચીડ હતી. ‘બાકીનું બઘું શું દુર્ગમ સંગીત છે?’ એવી મજાક તે હંમેશાં કરતા.) તેમનું વાચન છેવટ સુધી ચાલુ હતું. નવી કવિતા કે ગઝલ વાંચે અને ખૂબ પસંદ પડે તો એને સ્વરબદ્ધ કરવા બેસી જાય. એક વાર એવી જ રીતે વાતચીતની લાંબી બેઠકમાં તેમણે નીનાદ અઘ્યારુની રચના ‘એક ગામ યાદ આવે’ હાર્મોનિયમ પર ગાઇ સંભળાવી હતી.

મૃત્યુના થોડા દિવસ પહેલાં તે પડ્યા અને પથારીવશ થયા. એ વખતે ફોન પર વાત કરતી વખતે શરૂઆતમાં તેમનો અવાજ ખૂલતાં થોડી વાર લાગે, પણ પછી અવનવી વાતો ચાલતી. એવી જ અવસ્થામાં એક વાર તેમણે ફોન પર નીનુ મઝુમદારનું લખેલું એક બાળગીત સંભળાવ્યું અને એવાં બાળગીતો સ્વરબદ્ધ કરવાની- તેનું એક આલ્બમ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે તેમની વાત સાંભળીને જરાય ખ્યાલ ન આવે કે સામે છેડે રહેલો માણસ ૮૮ વર્ષનો અને પથારીવશ છે.

તેમના મૃત્યુના એકાદ પખવાડિયા અગાઉ હોસ્પિટલમાં છેલ્લી મુલાકાત થઇ ત્યારે હોસ્પિટલનું વાતાવરણ અને ચહેરા પરની વધેલી દાઢી બિમારીની ચાડી ખાતાં હતાં, પણ વાતો શરૂ થઇ એટલે બીજું બઘું બાજુ પર હડસેલાઇ ગયું. ફરી એ છ-સાત દાયકા વટાવીને જૂના સમયમાં પહોંચી ગયા, જ્યારે સંગીતકાર જયકિશન તેમની સાથે બોમ્બ માટેનાં ખોખાં બનાવવાની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને સત્યનારાયણની પૂજા વખતે હાર્મોનિયમ લઇને ગાતા હતા. ‘ભૂંગળા જેવા મોટા અવાજમાં એ ગાય. મારા હનુમાનગલીના ઘરે પણ એ ગાવા આવતો.’ એ યાદ કરતી વખતે તેમનો આખો ચહેરો સ્મિતથી ભરાઇ ગયો હતો. પોતે નીનુ મઝુમદારના સંગીત નિર્દેશનમાં ‘ગુડીયા’ ફિલ્મમાં પહેલું એકલગીત અને મીના કપૂર સાથે એક ગીતમાં થોડી લીટીઓ ગાઇ હતી, એ પણ એમણે ત્યારે યાદ કર્યું.

લગભગ બે-અઢી કલાકની એ સ્મરણ છલકાવતી વાતચીત બુઝાતા દીવડાનો છેલ્લો પ્રકાશ બની રહી. ૧૫ ઓગસ્ટ, ૧૯૨૨ના રોજ શરૂ થયેલી અજિત મર્ચંટની જીવનયાત્રા ૧૮ માર્ચ, ૨૦૧૧ના રોજ આખરી મુકામે પહોંચી. હવે તેમને શરીરદેહે ભલે ન મળી શકાય, પણ સંગીતદેહે અને સ્મરણદેહે તે હાજરાહજૂર છે.

અજિતકાકાને એક વર્ષ પહેલાં, તેમના મૃત્યુ વખતે આપેલી અંજલિ

2 comments:

  1. A true and touching tribute. Loved it.

    ReplyDelete
  2. Sumant Vashi Phoenix USA8:55:00 PM

    Heart throbbing tribute to Ajit Dada. We all Gujarati/Hindi music lover will miss him till our life for his unforgetable music.... We pray the departed soul may rest in eternal peace where sugam sangeet is always there..

    ReplyDelete