Friday, September 16, 2011

નોકરીમંત્રઃ કર સાહબકી બંદગી

નોકરી શબ્દનાં મૂળ આઘ્યાત્મિક - એટલે કે પૌર્વાત્ય સંસ્કૃતિમાં- હોવાં જોઇએ. કારણ કે નોકરીમાં ગમે તેવો મોટો હોદ્દો ધરાવનાર પણ છેવટે શબ્દાર્થમાં ‘નોકર’ગણાય છે. એ શબ્દ પ્રત્યે તુચ્છકારનો ભાવ સેવવો કે તેને માનનું પ્રતીક ગણવો એનો આધાર જોનાર પર છે.

નોકરી અને કામ વચ્ચે ગૂંચવાડો કરવા જેવો નથી. બેંકની નોકરીના સુખના દિવસોમાં - એટલે કે જ્યારે કોમેન્ટ્રી સાંભળવામાંથી સમય મળે ત્યારે બેન્કનું કામ કરી શકાતું હતું એ વખતે- એક કર્મચારી નિવૃત્ત થયા. સાથીદારોએ તેમને ચંિતાથી પૂછ્‌યું, ‘હવે શું કરશો?’તેમનો જવાબ હતો, ‘જે અત્યાર સુધી નથી કર્યું તે. કામ.’

કામ અને નોકરી બે સાવ જુદી જ વાતો હોય, એવો સાંસ્કૃતિક વારસો ઘણી ઓફિસોમાંથી હવે લુપ્ત થવા બેઠો છે. પરંતુ કેટલીક સરકારી કચેરીઓ હજુ દૃઢતાપૂર્વક એ પરંપરાને વળગી રહી છે. એટલે જ, ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં કર્મચારીઓ, સલાહનું ચીવટથી પાલન કરવા માટે, નોકરી ચાલુ કરી દેતા જોવા મળે છે. ઘરે રહેવાથી ઘરના લોકો કંઇનું કંઇ કામ ચીંઘ્યા કરે. છેવટે કંઇ ન સૂઝે તો બટાટા છોલવા કે ટમેટાં સમારવા પણ બેસાડે. પરંતુ એક વાર ઓફિસમાં ગયા પછી કોઇની મજાલ છે કે કામ ચીંધે? કબૂલ કે આવા સુખીયા જીવો માટેનું અનુકૂળ પર્યાવરણ હવે ગુજરાતનાં ગોચરોની જેમ અદૃશ્ય થતું જાય છે. ગાંધીજી માટે આઇનસ્ટાઇને કહ્યું હતું એવું આ પ્રકારની નોકરી માટે પણ આપણે કહેવું પડશેઃ ‘આવનારી પેઢીઓ વિશ્વાસ નહીં કરે કે કોઇ હાડચામનો આદમી નોકરી કરવા છતાં આ હદે કામથી અલિપ્ત રહી શક્યો.’

નોકરીના સાંસ્કૃતિક-આઘ્યાત્મિક વારસાનો બીજો પુરાવો સંતકવિઓની વાણીમાંથી મળી આવે છે. કોન્વેન્ટગામીઓ જેમને ‘સેન્ટ કબીર’ તરીકે ઓળખે છે કે કબીરસાહેબ જેવા સંતોએ ઇશ્વર માટે ‘સાહબ’ કે ‘સાહિબ’ જેવા શબ્દો પ્રયોજ્યા છે. મીરાંબાઇએ ‘મને ચાકર રાખો જી’ ગાયું છે. બને કે‘નૌકર’ શબ્દ ફારસી (કે અરબી) હોવાને કારણે મીરાંબાઇએ એ ન વાપર્યો હોય, પણ વાત તો છેવટે એ જ છેઃ નોકરી અને બોસ. સાહેબ અને ચાકર. આ જ સનાતન સત્ય છે.યુગ બદલાતાં સાહબ અને ચાકર જેવા શબ્દોના અર્થ બદલાયા છે, પરંતુ આપણા દેશમાં નોકરી કરવાનો સૌથી લોકપ્રિય પ્રકાર ‘કર સાહબકી બંદગી’ જ રહ્યો છે.

બાળપણની મુગ્ધ મનોદશામાં એવું લાગે છે કે નોકરી એટલે ગમતું કામ કરીને મળતા રૂપિયા. પરંતુ દસમા-બારમા સુધી પહોંચતાંમાં નોકરીની કઠણાઇઓ અંગે ખબર પડવા માંડે છે. મોટું સ્ટેશન આવતાં પહેલાં ટ્રેનની સામે અનેક પાટાનું આખું જાળું પથરાયેલું હોય એવું લાગે, એવી જ હાલત બારમા ધોરણ પછી લાઇન પસંદ કરનારા વિદ્યાર્થી અને તેના વાલીઓની હોય છે. કઇ લાઇન લેવાથી સારી- સારો પગાર અને માનમોભો ધરાવતી- નોકરી મળે એ જ ગણતરી દરેકના મનમાં હોય છે.

નોકરીની વેબસાઇટો થઇ તે પહેલાં, ભણી રહ્યા પછી નોકરીવાંચ્છુકો પથ્થર એટલા દેવ અને જાહેરખબર એટલી અરજીઓ કરતા હતા. અરજી ‘નાખ્યા’ પછી સદેહે સ્વર્ગલોક જવાનું તેડું આવવાનું હોય એટલી આતુરતાથી ‘(કોલ)લેટર’ની રાહ જોવાતી. ઇન્ટરવ્યુ માટેનો પત્ર આવે ત્યારે પચાસ ટકા ગઢ જિતાઇ ગયો હોય એવું લાગતું. કોલ લેટરથી ઉમેદવારને ભવિષ્યમાં ફાયદો થાય કે ન થાય, પણ ટપાલીને વર્તમાનકાળમાં બક્ષિશરૂપે ફાયદો થઇ જતો હતો. એમાં ઇન્ટરવ્યુમાં પાસ થઇ જવાય તો ઉમેદવારને એટલો આનંદ થતો કે તે એપોઇન્ટમેન્ટ લેટરને દોરી બાંધીને ગળે લટકાવવાનું જ બાકી રાખતા.

નોકરીના પહેલા દિવસે ટેબલ-ખુરશી મળે ત્યારે સમ્રાટ અશોકે તેના કોઇ સૂબાને કાબુલ-કંદહારનું રાજ સોંપ્યું હોય એવો ભાવ નોકરિયાતના મનમાં જાગતો હતો. ઓફિસનાં ટેબલ-ખુરશી કે જગ્યાને રાજરજવાડાં સાથે સરખાવવું પડે તેનું બીજું કારણ હતું ઃ રાજખટપટની યાદ અપાવે એવી ઓફિસ-ખટપટ. એ વખતે નવોદિત કર્મચારીને ઐતિહાસિક સત્ય સમજાતું કે ખુરશીમાં આ હાલ છે, તો સિંહાસનમાં કેવા ડખા હશે અને ભાઇ શા માટે ભાઇને સિંહાસન માટે મારી નાખતા હશે.

અનેક કર્મચારીઓ જેને (ગેરસમજણથી) પોતાનું રજવાડું સમજી બેસે છે, તે ઓફિસના પણ અનેક પ્રકાર હોય છે. તેમાં આંતરિક શિસ્ત-અશિસ્ત-ગેરશિસ્તનાં ઓઠાં હેઠળ અનેક કુરિવાજો ઠોકી બેસાડવામાં આવે છે. કેટલીક ઓફિસોમાં ચોતરફ શિસ્તપાલનની સૂચના (મોટે ભાગે ખોટા ગુજરાતી કે ખોટા અંગ્રેજીમાં) ચોતરફ વેરાયેલી જોવા મળે છે. જેમ કે, મુલાકાતીઓએ કામ સિવાય બેસવું નહીં (કેમ જાણે મુલાકાતીઓ બગીચાની અવેજીમાં પારકી ઓફિસે જતા હોય), ઘુમ્રપાન-તમાકુનું સેવન કરવું નહીં (ઓફિસની ખટપટ તબિયત માટે પૂરતી હાનિકારક છે), કઢંગી રીતે બેસવું નહીં (કઢંગી રીતે કામ કરો એટલું પૂરતું નથી?), ઓફિસમાં કચરો ફેંકવાની મનાઇ છે (કચરો ફક્ત એપોઇન્ટમેન્ટ ઓર્ડરથી જ લેવામાં આવે છે), થૂંકદાની સિવાય થૂંકવું નહીં (અને થૂંકદાની બાજુની ઓફિસમાં છે)...એવું લાગે જાણે ભર્તૃહરિનું આખેઆખું નીતિશતક દીવાલો પર ઉતારી નાખ્યું હોય.

આવી સૂચના-ચ્છાદિત ઓફિસમાં આજુબાજુ વધારે નજર ફેરવતાં બીક લાગે છે. ક્યાંક એવી સૂચના ન હો કે ‘મુલાકાતીઓએ ઓફિસમાં શ્વાસ લેવો નહીં’ અથવા ‘શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર અંકુશ રાખીને ઓફિસનું પર્યાવરણ શુદ્ધ રાખવામાં સહકાર આપશો. આભાર.’આવી ઓફિસોમાં કામ કરનાર લોકોને મળવા કોઇ આવે ત્યારે કર્મચારીને નોકરીની વાસ્તવિકતાનો ખરો અહેસાસ થાય છે. દાઉદ ઇબ્રાહિમ મળવા આવ્યો હોય અને એને મળ્યા પછી ઓફિસના આખા જગત સાથેના સંબંધ વણસી જવાના હોય એવી રીતે મુલાકાતીની સામે જોવામાં આવે છે. મુલાકાતી ભૂલેચૂકે વિઝિટર્સ રૂમ કે રિસેપ્શનથી આગળ વધે તો આગળની જમીનમાં સુરંગો દાટેલી હોય અથવા મુલાકાતી આત્મઘાતી બોમ્બર હોય એટલી ત્વરાથી એને આગળ વધતો અટકાવવામાં આવે છે અને શબ્દોથી-હાવભાવથી લગભગ તેનું બાવડું પકડીને તેને બેસાડી દેવામાં આવે છે. ત્યાર પછી ‘તમને કોઇ મળવા આવ્યું છે’એવું કર્મચારીને એવા અંદાજમાં કહેવામાં આવે છે કે ‘જલ્દીથી પતાવજો’ એવું અલગથી કહેવું પડતું નથી.

ફક્ત મુલાકાતીઓની બાબતમાં જ નહીં, બીજા અનેક મુદ્દે ઓફિસમાં હૈયાઉકાળા થાય ત્યારે કર્મચારીના મનમાં બ્રહ્મજ્ઞાનનો દીપ પ્રગટે છે. દુનિયા ફાની છે અને મોહ મિથ્યા છે, એ સત્ય તેને વધારે નક્કર રીતે અને સદૃષ્ટાંત લાધે છે.એ વિચારે છેઃ ‘આ એ જ નોકરી હતી, જેની મેં યુગો સુધી- એટલે કે અભ્યાસજીવનમાં કિમતી વર્ષો દરમિયાન ઝંખના કરી? આ જ એ નોકરી હતી કે જેના માટે મેં અભ્યાસનું આટલું કષ્ટ વેઠ્યું?’

તેમ છતાં જૂના વખતમાં ઘણા લોકો આખી જિંદગી એક જ નોકરીમાં વીતાવી દેતા હતા. ગ્લોબલાઇઝેશન પછી ખરાબ નોકરીઓના વિકલ્પો વઘ્યા છે. એટલે નોકરી કેટલી જુદી જુદી રીતે ખરાબ હોઇ શકે તેનો જાતઅનુભવ કર્મચારી મેળવી શકે છે. નવા જમાનામાં નોકરીની વ્યાખ્યા છેઃ સતત નોક (અણી) પર રહીને કરવાની હોય એ નોકરી. અનેક લોકોને રોજ સવારે ઉગતો સૂરજ જોઇને પ્રકૃતિની લીલા વિશેના નહીં, પણ આવતી કાલનો સૂરજ ઉગશે ત્યારે નોકરી ચાલુ હશે કે નહીં એના વિચાર આવતા હોય છે.

નોકરી કરનાર અને કરાવનારની ‘ભાતીગળ’ મનોસૃષ્ટિ તથા તેમની વ્યથાને છતી કરવા માટે ‘આંગળિયાત’ની તરાહ પર ‘નોકરિયાત’જેવી કોઇ નવલકથા લખવા માટે પૂરતો અવકાશ છે એમ નથી લાગતું?

1 comment:

  1. Anonymous10:08:00 AM

    તુલસી ઈસ સંસારમાં દો બાતાં તુ શીખલે
    કર સાહબકી ચાપલૂસી ફિર ચાહે રિશ્વત લે.
    (મુલ્લાં રમૂજી ઉર્ફે મસ્ત હબીબ સારોદી-સૌ.મોજ મસ્તી)
    Muhammedali Wafa
    www.bazmewafa.wordpress.com

    ReplyDelete