Thursday, September 22, 2011
‘રાગ દરબારી’ના લેખક શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ સન્માનઃ આનંદ અને સંભારણાં

86 વર્ષના હિંદી વ્યંગકાર-નવલકથાકાર શ્રીલાલ શુક્લને ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ એવું જ્ઞાનપીઠ સન્માન મળ્યું, તેના સમાચાર ગઇ કાલે વાંચ્યા. શ્રીલાલ શુક્લની વ્યંગકૃતિઓ અને નવલકથાઓ જથ્થાબંધ નહીં તો પણ બે આંકડામાં છે. પરંતુ (અમારા માટે) તેમનું રામાયણ કે મહાભારત, ગીતા કે શાસ્ત્રો, જે ગણો તે એમની વ્યંગનવલકથા ‘રાગ દરબારી.’ અમારા- બીરેન અને મારા- જેવા ભારતભરમાં ઘણા લોકો છે, જેમને મન ‘રાગ દરબારી’ એટલે ‘બસ, વાત મૂકી દો.’ પાકા પૂંઠા વચ્ચે મોટા કદનાં 330 પાનાંમાં, 35 પ્રકરણોમાં પથરાયેલી આ કથાની સરખામણી કરવી હોય તો કદાચ, જુદી રીતે ‘ગર્મ હવા’ ફિલ્મ સાથે થઇ શકે.
‘ગર્મ હવા’ વર્ષો પહેલાં જોઇ ત્યારે પણ એવું લાગ્યું હતું કે તેમાં એક પણ ફ્રેમ નકામી નથી. ‘રાગ દરબારી’માં પાને પાને, ફકરે ફકરે અને ઘણી વાર તો વાક્યે વાક્યે થતા વ્યંગવિસ્ફોટ સૂક્ષ્મ છતાં એટલા પ્રચંડ છે કે વાંચનાર વાંચતી વખતે જ નહીં, વાંચ્યાના ઘણા સમય પછી પણ તેને યાદ કરીને મનોમન મલક્યા કરે. અમારા એક ગુરુજન, જૂના ફિલ્મસંગીતના પંડિત નલિન શાહ સાથે પંદર-સત્તર વર્ષ પહેલાં ‘રાગ દરબારી’ વિશે વાત નીકળી. એમને ત્યાં પુસ્તકની પાકા પૂંઠાની નકલ જોઇ (એ વખતે અમારી પાસે તેની પોકેટ બુક આવૃત્તિ હતી), એના વિશે પૂછ્યું એટલે નલિનભાઇ કહે, ‘મારી ટેવ છે. મને ગમતાં વાક્યો નીચે હું અન્ડરલાઇન કરું. આ ચોપડીમાં અન્ડરલાઇન શરૂ કરી, પણ પછી તો એવું લાગ્યું કે વાક્યે વાક્યે અન્ડરલાઇન કરવી પડશે. એટલે પછી રહેવા દીધું.’ એ સાંભળીને અમને એ વાતનો વિશેષ આનંદ થયો કે આવું ફક્ત આપણને જ નહીં, બીજા ઘણાને- નલિનભાઇ જેવાને પણ- લાગે છે. થોડાં વર્ષ ઉપર ‘સહારા સમય’ની એક પૂર્તિમાં- કદાચ શ્રીલાલ શુક્લ વિશેષ પૂર્તિમાં- વાંચ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કે મોટે ભાગે બિહારમાં કેટલાક લોકો ‘રાગ દરબારી’નું જાહેરમાં સામુહિક રીતે પઠન કરતા હતા.
કાતિલ વ્યંગ 330 પાનાં સુધી જાળવી રાખવા અને આઝાદીના બે દાયકા પછીના ભારતની લગભગ દરેક ક્ષેત્રની કડવી વાસ્તવિકતાઓને તેનો રૂપાળો મુખવટો ચીરીને વાંચનાર સામે હસવા હસવામાં રજૂ કરવી એ ‘રાગ દરબારી’ની અનન્ય સિદ્ધિ છે. 1968માં લખાયેલી આ નવલકથા એટલે જ 2011માં પણ ‘જૂની’ લાગતી નથી. ‘રાગ દરબારી’ પહેલી વાર વાંચ્યાના વર્ષો પછી મારું હાસ્યવ્યંગ લેખન શરૂ થયું અને ત્રણ વર્ષ પહેલાં મારો હાસ્યલેખ સંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ પ્રકાશિત થયો ત્યારે એ સંગ્રહની અર્પણનોંધ આ પ્રમાણે હતીઃ ‘મારી હાસ્યવૃત્તિના રસાયણમાં ભળેલાં બે પુસ્તકો ‘રાગ દરબારી’ (લેખકઃ શ્રીલાલ શુક્લ) અને ‘વિનોદની નજરે’ (લેખકઃ વિનોદ ભટ્ટ)ને’.
***
‘રાગ દરબારી’ અને તેના લેખક શ્રીલાલ શુક્લ સાથે અમારો પરિચય અને 1997માં લખનૌ જઇને શ્રીલાલ શુક્લ સાથે કરેલી મુલાકાતની થોડી વાત બીરેને તેના બ્લોગમાં લખી છે. http://birenkothari.blogspot.com/2011/09/blog-post_22.html
કોઇ પણ જાતની અપોઇન્ટમેન્ટ વગર, અરે ફોનનંબર પણ લખનૌ જઇને શોધવો પડે એવા સંજોગોમાં, અમે તેમને કેવી રીતે મળ્યા તેની રસિક વિગતો બીરેનના બ્લોગ પર છે. એ મુલાકાતની વિસ્તૃત નોંધ ફરી ક્યારેક આપીશ, પણ અત્યારે શુક્લજી સાથે થયેલી ‘રાગ દરબારી’ વિશેની થોડી વાતો, જ્ઞાનપીઠનો હરખ કરવાના પ્રસંગે, ટાંકું છું.
(Shrilal Shukla in conversation with Urvish Kothari, 3 August, 1997, Lucknow)
- ‘હાઇ કોર્ટમાં એક સમારંભ હતો. તેમાં મને બોલાવ્યો હતો. એ પ્રસંગે મારી ઓળખાણ આપતાં એક ન્યાયાધીશે કહ્યું, આમને તો હું (‘રાગ દરબારીના’) એક જ વાક્યથી ઓળખું છું- ‘હિંદુ ધર્મમેં પુનર્જન્મકે સિદ્ધાંતકી ઇજાદ દીવાની અદાલતમેં હુઇ હોગી.’
- ‘મારું વતન અત્રો

- ‘પહેલાં મેં ‘રાગ દરબારી’માં સળંગ નવલકથાને બદલે એક જ રંગની અલગ અલગ વાર્તાઓના કોલાજ તરીકે મુકવાનું વિચાર્યું હતું, પણ પછી પાત્રો મારા કાબૂમાંથી છટકતાં ગયાં.’
- ‘રાગ દરબારી'ના બીજી ભાષાઓમાં થયેલા અનુવાદ વિશેઃ ‘અંગ્રેજીવાળી છોકરીએ ઠીક ઠીક પ્રયત્ન કર્યો. એ અહીં બી.બી.સી.માં હતી. માર્ક ટલી જોડે એણે કામ કરેલું. પણ પુસ્તકમાં ભાષાની જે મઝા હતી એ રીપ્રોડ્યુસ કરવી બહુ મુશ્કેલ-લગભગ અશક્ય છે. અનુવાદકો તેના ઇક્વીવેલેન્ટ- બરાબરીયા શબ્દો મૂકવાનો પ્રયાસ કરે, પણ તમે હિંદી વાંચ્યું હોય તો તેમને રજાય મઝા આવે નહીં. આ તો જે હિંદી વાંચી શકતા નથી એમને અંગ્રેજી વાંચીને એનો આભાસ મળી શકે...આમ પણ અનુવાદો અસલિયતથી ઘણા દૂર હોય છે. મારો એક મિત્ર રશિયન અને ફ્રેન્ચ ભાષા વાંચી શકે છે. એ કહે છે કે આ સાહિત્યના અંગ્રેજી અનુવાદોમાં મૂળ ફ્લેવર બહુ ઓછી છે.’
***
‘રાગ દરબારી’ પરથી ટીવી સિરીયલ બની હતી અને ફિલ્મ બનાવવાની દરખાસ્ત પણ એમ.એસ.સથ્યુ જેવાએ મૂકી હતી. એની ‘વધુ રસિક’ કથાઓ નજીકના ભવિષ્યમાં લખવાની ખાતરી સાથે, અત્યારે તો શ્રીલાલ શુક્લને અને જ્ઞાનપીઠને હાર્દિક અભિનંદન.
Subscribe to:
Post Comments (Atom)
"राग दरबारी" जिस साल छपी थी उसी साल पढ़ी थी. उससे एक साल पहले १९६७ में बिहार के अकालग्रस्त इलाको में राहत काम करने का मौका मिला था. "राग दरबारी" पढ़ते समय पात्रों के चेहरे तथा शिवपालगंज का भूगोल आँखों के सामने चित्रपट की तरह दिखाई देता था. बाद में में "राग दरबारी" कितनी बार पढ़ी उसकी गिनती अब याद नहीं. ज्ञानपीठ पुरस्कार तो पाठकों ने १९६८ में ही दे दिया था. "राग दरबारी" की यादें ताजा करने के लिए साधुवाद.
ReplyDeleteअशोक भार्गव
પી,ડી.એફ. ડાઉનલોડ કરી.
ReplyDeleteહવે તો વાંચવી જ પડશે.
hmmmmm.....
ReplyDeletebali rahyo chhu....
at earliest vanchavi padashe....
gyanpith vijeta (khas to rag darbari)vishe ghnu janva malyu. ane tmaro emni satheno nato pan..
ReplyDeletesuresh gavaniya