Sunday, September 11, 2011

જાપાનની અણુદુર્ઘટનાઃ છ મહિના પછીના હાલચાલ-હાલહવાલ

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં 25 વર્ષ પછી કિરણોત્સર્ગી કચરો અને પ્લાન્ટનું સ્થળ સાફ થવાનાં ઠેકાણાં નથી. તેની સામે ‘ડાયટ’ તરીકે ઓળખાતી જાપાનની સંસદે 26 ઓગસ્ટના રોજ (દુર્ઘટનાના છ મહિના થાય તે પહેલાં) એક કાયદો પસાર કર્યો છે. તેની જોગવાઇ પ્રમાણે કિરણોત્સર્ગી કચરો અને વિકિરણથી દૂષિત માટીની સફાઇની જવાબદારી સરકારના માથે નાખવામાં આવી છે.

વર્ષે માર્ચ 11ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમા પ્લાન્ટનાં ત્રણ રીએક્ટરમાં ‘મેલ્ટ ડાઉન’ તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ સર્જાઇ. રીએક્ટરના કિરણોત્સર્ગી મલીદા ઉપરાંત વિકિરણ-દૂષિત પાણીનો પણ ખતરો ઉભો થયો, જે હજુ પૂરેપૂરો ટળ્યો નથી. અકસ્માત પછીના દિવસોમાં રોજેરોજ અણુદુર્ઘટનાનાં ગંભીર પરિણામ વિશે અનુમાન-આશંકા સાંભળવા મળતાં હતાં,

પરંતુ રીએક્ટરો ટાઢાં પડે તે પહેલાં પ્રસાર માધ્યમોમાંથી તેમને લગતા સમાચાર ઠરી ગયા છે. અણુવીજળીના ઇતિહાસની સૌથી ખતરનાક ચેર્નોબિલ દુર્ઘટનાની હારોહાર ગણાયેલી ફુકુશિમા કટોકટીમાં છ મહિના પછીની સ્થિતિ શી છે? તેના વિશે અનેક પ્રકારના સવાલ જાગે, જેના જવાબ હવે પ્રસાર માધ્યમોમાં મથાળાં બનતા નથી.

સૌથી પહેલાં સરકારી પ્રતિક્રિયાની વાતઃ દુર્ઘટના પછી તરતના અરસામાં જાપાન સરકારે તેની ગંભીરતા છુપાવવાનો ઠીક ઠીક પ્રયાસ કર્યો. પરંતુ સ્થિતિ ધીમે ધીમે એટલી હદે વણસી કે સરકાર માટે ઢાંકપિછોડો અશક્ય બન્યો. એક અંદાજ પ્રમાણે, ભૂકંપ-ત્સુનામી અને અણુદુર્ઘટનાના ત્રેવડા ફટકામાં આશરે 22 હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને 1.25 લાખ લોકોએ ઘરબાર. પ્લાન્ટના સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ (ટેપ્કો) અને સરકારે તેમના માટે અલગ અલગ રીતે વળતરની જાહેરાત કરી. અખબારી અહેવાલ પ્રમાણે અસરગ્રસ્તોને કંપનીએ આરંભિક વળતર તરીકે 10 લાખ યેન (આશરે 13 હજાર ડોલર) ચૂકવવાની જાહેરાત કરી. સાથે સરકાર તરફથી 3.5 લાખ યેન (આશરે 4550 ડોલર) ની મદદ પણ ખરી. કુલ વળતર પેટે કંપનીએ 5 અબજ ડોલરનું ભંડોળ અલગ કાઢ્યું છે અને ઘણાને વળતર ચૂકવાયું પણ છે. છતાં પરંતુ વળતરની ચૂકવણીમાં ઘણો વિલંબ થતો હોવાની બૂમ ‘ટાઇમ’ સાપ્તાહિકના અહેવાલમાં સાંભળવા મળી છે.

કંપની અને સરકાર હાલની પરિસ્થિતિ કાબૂહેઠળ હોવાની જાહેરાતો કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ 5 સપ્ટેમ્બરના રોજ કહ્યું છે કે પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરવાનું- શટડાઉનનું-કામ હાલની ઝડપે ચાલશે તો એ ધારેલી મુદત કરતાં વહેલું પૂરું થઇ જશે. છતાં કંપની સ્વીકારે છે કે સૌથી મોટું જોખમ મોટા જથ્થામાં એકઠા થયેલા વિકિરણયુક્ત પાણીના સલામત નિકાલનું છે. પ્લાન્ટની આજુબાજુ 20 કિલોમીટરના ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર પણ પ્રદૂષણ ફેલાયું છે. ત્યાં રાહત કામગીરીમાં સરકારી તંત્ર સાવ ઢીલું પુરવાર થયું છે. પ્લાન્ટથી 50-60 કિ.મી.ના અંતરે આવેલા ફુકુશિમા શહેરના વાતાવરણમાં વિકિરણનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઊંચું હતું. છતાં સરકારે એ શહેર ખાલી કરાવ્યું નહીં. શહેરનાં વિવિધ સ્થળોએ વિકિરણનું પ્રમાણ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભળેલું પ્રદૂષણ તપાસવાનું કામ આખરે કેટલાક નાગરિકોએ સરકારી તંત્રની સાથે મળીને, બલ્કે આગળ પડીને ઉપાડી લીધું. તેમની ચકાસણીમાંથી જાણવા મળ્યું કે શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઘણું વધારે હતું. સરખામણીની રીતે જોઇએ તો, સામાન્ય સંજોગોમાં અણુવીજળી મથકના કામદારો માટે જે પ્રમાણ માન્ય કરવામાં આવ્યું છે, તેના કરતાં પણ ફુકુશિમા શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઊંચું હતું.

બાળકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભા કરતા આ અહેવાલની પ્રતિક્રિયા તરીકે ‘ફુકુશિમા નેટવર્ક ફોર સેવિંગ ચિલ્ડ્રન ફ્રોમ રેડિએશન’ની સ્થાપના થઇ. નાગરિકોની પહેલથી કાર્યરત આ સંસ્થા મુખ્યત્વે શાળાઓમાં અને ખેતીવાડીનાં ઉત્પાદનોમાં વિકિરણોની માત્રા ચકાસે છે અને તેમનો ઉપયોગ થઇ શકે કે નહીં, તે જણાવે છે. શહેરને વિકિરણમુક્ત કરવાના કામ માટે જાપાનની કેન્દ્ર સરકારે 30 કરોડ ડોલર ફાળવવાની જાહેરાત કરી છે, પણ શહેરનું વહીવટી તંત્ર અને નાગરિકો એ નાણાં આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી. કિરણોત્સર્ગથી ફક્ત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જ નહીં, જમીન સુ્દ્ધાં દૂષિત થાય છે. તેને વિકિરણમુક્ત કરવા માટે દૂષિત જમીન પર 50 સેન્ટીમીટર જેટલો ચોખ્ખી માટીનો થર કરીને સ્થાનિક વહીવટી તંત્રે જમીનને સાફ કરવા પ્રયાસ કર્યો છે.

ફુકુશિમા પ્લાન્ટમાં પેદા થતી અણુવીજળી દેશના બીજા લોકો ખુશીથી વાપરતા હતા, પણ કિરણોત્સર્ગી કચરાના નિકાલ માટે જગ્યાની વાત આવે ત્યારે એ કચરો સંઘરવા કોઇ તૈયાર નથી. ફુકુશિમા પ્રાંત નજીક કામચલાઉ ધોરણે કિરણોત્સર્ગી કચરો સંઘરવા માટે વ્યવસ્થા ઉભી કરવાની વાત હતી, પરંતુ ત્યાંના રહીશોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો. આ પ્રકારના બનાવ ધ્યાનમાં રાખીને જાપાનના પર્યાવરણ મંત્રીએ બીજા પ્રાંતોને ફુકુશિમાની આફતમાં સહભાગી થવા કહેવું પડ્યું છે.

ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર રહેતા લોકોમાંથી ઘણાની ફરિયાદ એવી છે કે તેમના વિસ્તારમાં વિકિરણનું પ્રમાણ જોતાં, તેમને પણ પોતાનાં રહેઠાણો ખાલી કરીને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જવું છે, પણ આ બાબતે સરકાર મદદ કરે એવું તે ઇચ્છે છે. સૌથી મોટા પ્રશ્નોમાંનો એક ખાલી કરાવાયેલા વિસ્તારના લોકોનો છે. શરૂઆતમાં તેમને એવી આશા હતી- અને સરકારે પણ એવા સંકેત આપ્યા હતા- કે થોડા વખત પછી એ લોકો પાછા ફરી શકશે. પરંતુ પાંચ મહિના પછી સરકારી પ્રવક્તાએ કબૂલવું પડ્યું છે કે ‘કેટલાક વિસ્તારોના રહીશો લાંબા સમય સુધી ત્યાં પાછા ફરી ન શકે એવી સંભાવના છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે (ટીકાકારો માનતા હતા તેમ) પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહેનારા ઘણા લોકો અને તેમની આગામી કેટલીક પેઢીઓ પણ એ જગ્યાએ પાછી ફરી નહીં શકે.’

ફુકુશિમા દુર્ઘટનાથી અત્યાર લગી જાપાનમાં ભાગ્યે જ ચર્ચાયેલો ઉચ્ચક કામદારોના હિતનો મુદ્દો પણ બહાર આવ્યો છે. જાપાનનાં 18 વ્યાવસાયિક અણુવીજળી મથકોમાં કામ કરતા આશરે 80 હજાર લોકોમાંથી 80 ટકા કાયમી નહીં, પણ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકો છે. ફુકુશિમા પ્લાન્ટમાં ગયા વર્ષના આંકડા પ્રમાણે (10 હજાર કામદારોમાંથી) 89 ટકા કોન્ટ્રાક્ટ પર કામ કરનારા હતા. (ભારતમાં પણ ગટરસફાઇના જોખમી કામ માટે દલિત કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે, જેથી તેમને કંઇ થાય તો કોર્પોરેશન સહેલાઇથી હાથ ઉંચા કરી શકે.)

સામાન્ય મજૂરી કામ કરતાં અ્ણુવીજળી મથકોમાં મળતું મહેનતાણું ઘણું વધારે હોવાથી કામદારો ત્યાં જવા લલચાય છે, પરંતુ અણુવીજળી મથકોમાં જોખમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. દુનિયાના ટોચના પાંચ સમૃદ્ધ દેશોમાં સ્થાન પામતા જાપાન જેવા દેશમાં ઉચ્ચક કામદારોનું આટલું મોટું પ્રમાણ હોય અને કંપની કે સરકાર તેમની કોઇ પ્રકારની જવાબદારી લેતી ન હોય તે શરમજનક કહેવાય. સામાન્ય સંજોગોમાં રોજી ગુમાવવાની બીકે ચૂપ રહેતા અણુવીજળી મથકના કામદારોમાંથી કેટલાક હવે અવાજ ઉઠાવતા થયા છે. પરંતુ હજુ સુધી કંપની કે સરકારે જોખમ લેતા કામદારોના ભવિષ્યની જવાબદારી લેવાને બદલે, તેમને વધુ નાણાં આપવાની પદ્ધતિ ચાલુ રાખી છે.

ચેર્નોબિલ દુર્ઘટનાનાં વાસ્તવિક પરિણામ જાણવા-સમજવામાં વર્ષો નીકળી ગયાં. ફુકુશીમાને હજુ માંડ છ મહિના થયા છે. જાપાન રશિયા નથી એ ખરું - જાપાની નાગરિકોની સક્રિયતાએ એ સાબીત કરી આપ્યું છે - પણ જાપાનની સરકારે હજુ એ સાબીત કરવાનું બાકી છે.

No comments:

Post a Comment