Tuesday, September 06, 2011

‘બૌદ્ધિકો’નો વિરોધઃ તથ્ય, ફેશન, સ્વાર્થ...

કેવળ કાળું ને ધોળું જોવામાં મોટી સુવિધા છેઃ કાળા-ધોળાના મિશ્રણથી સર્જાતી અસંખ્ય રંગછટાઓ જોવા-તપાસવાની મહેનત કરવી પડતી નથી. તેમાં ‘ટાઇમ બગડતો નથી’, (એ રીતે બચેલા ટાઇમનું શું થાય છે, એ પૂછવું નહીં.) પોતાની માન્યતા વિરુદ્ધના સવાલ ઉભા થતા નથી ને તેના (મનગમતા નહીં, પણ) સાચા જવાબ શોધવાના રહેતા નથી.

આ રીતમાં અસુખ પ્રેરતા છતાં મુદ્દાના સવાલ ઉભા કરનાર દરેકને, તેમના સવાલોનું વાજબીપણું ચકાસ્યા વિના, ‘બૌદ્ધિક’ની ગાળ આપવાનો રિવાજ છે. ગુજરાત જેવાં રાજ્યોમાં એ રિવાજને સમાજાશ્રય ઉપરાંત રાજ્યાશ્રય પણ મળેલો છે. તે એટલી હદે કે ‘બૌદ્ધિક’ અને ગાળ? કેવી રીતે બને?’ એ સવાલ પણ હવે લોકોને થતો નથી. બલ્કે ‘બૌદ્ધિક’ એ અપશબ્દ જ છે અને કોઇ આપણને જાહેરમાં ‘બૌદ્ધિક’ ન કહી જાય- તેનો ખ્યાલ ઘણા લોકો રાખે છે.

શબ્દના અર્થ સમજ્યા વિના તેને પથ્થરની જેમ ફેંકવાના હોય ત્યારે, ‘બુદ્ધિજીવી’ અને ‘બૌદ્ધિક’ની પણ ભેળસેળ કરવામાં આવે છે. ‘બુદ્ધિજીવી’ એ ‘શ્રમજીવી’ પ્રકારનો શબ્દ છેઃ શ્રમ કરીને ગુજારો કરે (પેટીયું રળે) તે શ્રમજીવી અને બુદ્ધિનો ઉપયોગ કરીને પેટીયું રળે તે બુદ્ધિજીવી. તેમાં કારકુન અને સેલ્સમેનથી વડાપ્રધાન-રાષ્ટ્રપતિ સુધીના સૌ કોઇ આવી જાય.

‘બૌદ્ધિક’ શબ્દનો ‘સાર્થ જોડણીકોશ’માં આપેલો પ્રાથમિક અર્થ છેઃ ‘બુદ્ધિ સંબંધી કે બુદ્ધિવાળું કે બુદ્ધિને કેળવે એવું’. પણ શબ્દનો ખરો અર્થ શબ્દકોશમાં નહીં, વ્યવહારકોશમાં નક્કી થાય છે. જેમ કે ‘ચંબુ’ એટલે એક પ્રકારનું વાસણ (ફ્લાસ્ક), પણ એ જ શબ્દ કોઇ વ્યક્તિ માટે વિશેષણ તરીકે વપરાય, ત્યારે એ અપમાનસૂચક બની જાય છે. ‘બૌદ્ધિક’ અને ‘બુદ્ધિજીવી’ જેવા શબ્દોને આ જ પ્રકારે અપમાનસૂચક બનાવી દેવામાં આવ્યા છે. જેમ બધા ‘સેક્યુલર’ લોકોને ‘સ્યુડો-સેક્યુલર’, હિંદુવિરોધી, મુસ્લિમતરફી, રાષ્ટ્રદ્રોહી ગણાવીને તેમના વિશે ધુત્કાર-ધીક્કાર ફેલાવવામાં આવે છે, એવું જ ‘બૌદ્ધિકો’ માટે બની રહ્યું છે.

અ-બૌદ્ધિકોની જેમ બૌદ્ધિકોના અનેક પ્રકાર હોય છે. તેમાં બુદ્ધિના જોરે પેટીયું કે પ્રસિદ્ધિ રળનારાથી માંડીને પાયાના સવાલ ઉઠાવનારાનો સમાવેશ થાય છે. પણ એવા ભેદ પાડવાની શી જરૂર? એમ કરવા જતાં ‘બૌદ્ધિકો’ને ફટકારવાનો અને લોકોની તાળીઓ ઉઘરાવવાનો આનંદ થઇ જાય તો?

બધા પ્રકારના ‘બૌદ્ધિકો’ને એક લાકડીએ વારંવાર ફટકારવાનો પ્રસંગ અન્ના હજારેના આંદોલન વખતે વધુ એક વાર આવ્યો. ભારે લોકસમર્થન ધરાવતા આ આંદોલનમાં અન્નાની માગણીઓના વ્યવહારુપણા વિશે અને તેમના સાથીદારોના આત્યંતિક વલણ વિશે કેટલાક સવાલ હતા. અન્નાના સમર્થકોની જેમ તેમની પદ્ધતિ વિશે સવાલ ધરાવનારા લોકોમાં ઘણું વૈવિધ્ય અને જુદાપણું હતાં. ડાબેરી ને વચ્ચેરી, લોકલાગણીમાં તણાયા વગર ‘લાગ્યું તેવું કહ્યું’ પ્રકારના અને ‘વિરોધ ન કરીએ તો બૌદ્ધિક કેવા?’ એ પ્રકારના, સૈદ્ધાંતિક વિરોધ કરનારા ને લોકશાહી પરંપરાની ચિંતા કરનારા, અંગત હિત વિના સવાલ ઉઠાવનારા અને પક્ષીય હિતમાં ટીકા કરનારા, સિવિલ સોસાયટીવાળા ને વિશ્લેષકો-સમીક્ષકો- આવા અનેક પ્રકારના લોકોએ આંદોલન વિશે સવાલ ઉભા કર્યા. તેમના ખરા-ખોટા, મહત્ત્વના કે ગૌણ સવાલો વિશે સજ્જડ જવાબો આપીને ‘વિરોધનો વિરોધ’ ચોક્કસ થઇ શકે. પણ તેમના અસ્તિત્ત્વને જ માન્ય ન રાખવું હોય અથવા ગણકારવું ન હોય તો?

સાવ સહેલું છેઃ તેમને ‘બૌદ્ધિક’ ગણાવી દેવા - જાણે ‘બૌદ્ધિકો’ નામની એકસરખાં લક્ષણ ધરાવતી કોઇ હિંસક-સમાજવિરોધી-દેશવિરોધી પ્રજાતિ હોય. એક વાર ‘બૌદ્ધિક’ તરીકેનું લેબલ લગાડી દીધા પછી તેમની કોઇ પણ વાતને જવાબ તો ઠીક, કાનસરો આપવાની પણ જરૂર નહીં. અન્ના-આંદોલન વખતે મહદ અંશે એવું જ થયું.

‘બૌદ્ધિકવિરોધી’ વાતાવરણ ઉભું કરવામાં - તેને ટકાવી રાખવામાં બૌદ્ધિકો અને તેમના વિરોધીઓની ભૂમિકા વિશે વાત કરતાં પહેલાં તેના ઇતિહાસ પર અછડતી નજર ફેરવીએ.


ક્યારેક હીરો, ક્યારેક ઝીરો

‘બૌદ્ધિક’ શબ્દની છાયા દેશકાળ પ્રમાણે સતત બદલાતી રહી છે. ‘બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો’ પુસ્તકમાં રમેશ બી.શાહે નોંધ્યું છે તેમ, ફ્રાંસમાં એક સમયે શાસકો અને જમીનદારોની સામે અવાજ ઉઠાવનારા લોકો ‘બૌદ્ધિક’ તરીકે ઓળખાઇને પ્રતિષ્ઠા પામ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં બૌદ્ધિકોએ શાસકોના પક્ષે રહીને સમાજ પર પ્રભાવ પાડવાની કોશિશ કરી, ત્યારે ‘બૌદ્ધિક’ વિશેષણ અપમાનસૂચક બની ગયું.

ભારતની વાત કરીએ તો, વર્ણવ્યવસ્થામાં બૌદ્ધિકતા સદીઓ સુધી બ્રાહ્મણોનો ઇજારો હતી. તેનો સંબંધ ભદ્ર-ઉજળિયાત અને સમાજના નીચલા વર્ગોની વિરોધી માનસિકતા સાથે રહ્યો. રાજા-રજવાડાંના સમયમાં રાજકવિઓ-લેખકો ને રાજના વિદ્વાન બ્રાહ્મણો ઉપરાંત ખટપટીયા અને કાબા દીવાનો-મંત્રીઓ-સલાહકારો ‘બૌદ્ધિક’ હતા. અંગ્રેજોના શાસનમાં અંગ્રેજી કેળવણી પામેલા અને અંગ્રેજોના ‘સુધારા’થી પ્રભાવિત બૌદ્ધિકોનો સમુહ અસ્તિત્ત્વમાં આવ્યો. દલપતરામ અને નર્મદ તેમના જમાનાના અગ્રણી બૌદ્ધિક હતા, સમાજ પ્રત્યેની તેમની નિસબત નિર્વિવાદ હતી અને એ બન્નેએ પોતાની કવિતામાં 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે આનંદ વ્યક્ત કરીને અંગ્રેજી શાસનનો જયજયકાર કર્યો હતો.

19મી સદીના ઉત્તરાર્ધ-20મી સદીના આરંભે મોટી સંખ્યામાં નીતાંત રૂઢિચુસ્ત એવા ભારતીય પરંપરાના પંડિત-બૌદ્ધિકો અને ‘જૂનું બધું નકામું’ની આત્યંતિકતા સાથે પાશ્ચાત્ય ‘સુધારા’ના ભક્ત બૌદ્ધિકો હતા. ‘બૌદ્ધિકો’ની અવેજીમાં એ વખતે વપરાતો એક શબ્દ હતોઃ ‘સાક્ષર’. તેમાં એમના જ્ઞાન માટેના આદર-સન્માનની સાથોસાથ એ લોકો વાસ્તવિકતાથી દૂર, પોતાના સાંકડા વર્તુળમાં રાચતા હોવાનો પણ ધ્વનિ હતો.

રાજકીય ક્ષેત્રે 1885માં કોંગ્રેસની સ્થાપના થઇ ત્યારે એ બૌદ્ધિકોની-મુખ્યત્વે વકીલો અને બીજા ઉજળિયાત અગ્રણીઓની બનેલી સંસ્થા હતી. અંગ્રેજી રાજ દરમિયાન દુનિયાભરનું જ્ઞાન ડહોળતા પણ સમાજના હિતમાં- પોતાના દેશબંધુઓની ઉન્નતિ અર્થે એ જ્ઞાનનો ઉપયોગ ન કરતા વિદ્વાનોને લીધે એવી છાપ ઉભી થઇ કે ‘બૌદ્ધિકો એટલે ફક્ત મિટિંગ-ચર્ચાઓ-સમિતિઓમાં રાચનારા, ન-કામા લોકો.’ ગાંધીજી આવ્યા અને પ્રભાવશાળી વિદ્વત્તાને બદલે સાદગી, સમાજના નીચલા વર્ગોની ફિકર, વાસ્તવિક સમસ્યાઓની ફક્ત ચિંતા જ નહીં, તેની સામે નક્કર કાર્યક્રમ લાવ્યા.

બૌદ્ધિકતાઃ અવાસ્તવિક આદર્શવાદ?

વિચારોની મૌલિકતા અને અભ્યાસની દૃષ્ટિએ ગાંધીજી ‘બૌદ્ધિક’ હતા, પણ આત્માનો અવાજ, અધ્યાત્મ- (તેમની વ્યાખ્યા પ્રમાણેના) સનાતન ધર્મ- જેવી બાબતોને લીધે તેમની પ્રમુખ ઓળખ ‘બૌદ્ધિક’ તરીકેની ન રહી. એ ઓળખ ભારતીય સમાજમાં વ્યાપક પ્રભાવ માટે અડચણરૂપ બને એવો ખ્યાલ ગાંધીયુગમાં વધુ દૃઢ બન્યો. (તેના માટે અંગ્રેજી કેળવણી પ્રત્યેનો અનાદર પણ કારણભૂત હતો.) એટલે સરદાર પટેલ જેવા લંડનના બેરિસ્ટર જાહેર સભાઓમાં બિનધાસ્ત કહેતા, ‘હું તો ચાર ચોપડી ભણેલો...હું તો ખેડૂતનો દીકરો...મારા જેવો વગર ભણેલો...’

કોંગ્રેસી નેતાગીરીની સમાંતરે અને સામે ઉભા થયેલા ડાબેરીઓ-સામ્યવાદીઓ-સમાજવાદી-ક્રાંતિકારીમાંથી ઘણા લોકો તેજસ્વી અને લોકોમાં લાગણી- આંદોલન પેદા કરી શકે એવા ‘બૌદ્ધિક’ હતા. પણ તેમની બૌદ્ધિકતા ‘અવાસ્તવિક આદર્શવાદ’ તરીકે ખપી જતી હતી-ખપાવી દેવામાં આવતી હતી. (એ રીતે જોતાં ગાંધીજીએ સેવેલા આદર્શ કેટલી હદે વાસ્તવિક હતા, એવો સવાલ પણ થવો જોઇતો હતો.) જવાહરલાલ બૌદ્ધિક હતા, પણ લાગણીઓથી દોરવાઇ જવાની પ્રકૃતિને લીધે બૌદ્ધિકતા તેમનો સ્થાયી ભાવ ન બની. તેમની બૌદ્ધિકતાનો જેટલો લાભ જેટલો તેમનાં પુસ્તકો થકી મળ્યો, એટલો તેમના શાસન થકી મળી શક્યો નહીં. ‘બૌદ્ધિકતા’ને પ્રાધાન્ય આપતા છતાં છેવાડાના માણસનાં દુઃખદર્દની વાત કરતા ડાબેરીઓમાંથી ઘણાખરા સત્તા મળ્યા પછી કે વિરોધ પક્ષ તરીકે પણ સ્થાપિત હિતપ્રધાન થઇ ગયા. તેમની બૌદ્ધિકતામાં પક્ષીય રાજકારણનો ભેગ થયો. બીજી તરફ, ‘બૌદ્ધિકો એટલે ડાબેરીઓ’ એવું સમીકરણ પણ પ્રચલિત બન્યું.

‘બૌદ્ધિક’ અથવા વધારે બહોળા અર્થમાં ‘પ્રજાલક્ષી બૌદ્ધિક’ (પબ્લિક ઇન્ટલેક્ચુઅલ)ની ભારત જેવા પ્રચંડ વૈવિધ્ય ધરાવતા દેશમાં સદા જરૂર રહેવાની. એ વ્યાખ્યામાં વ્યવસાયની રૂએ આવનારા શિક્ષણજગત, ન્યાયજગત અને લેખન-પત્રકારત્વજગતના લોકોમાંથી ઘણા રાજકીય વફાદારીઓ, હોદ્દા અને લોકપ્રિયતાની લાલચોમાં પડીને હોંશેહોંશે બૌદ્ધિક મટી ગયા. કપાયેલા નાકવાળાની બહુમતિ હોય ત્યાં નાક હોવું તે લાંછનરૂપ બની જાય, કંઇક એવી જ સ્થિતિ ઘણે અંશે બૌદ્ધિકતાના મામલે સર્જાઇ. જમણેરી રાજકારણના વધેલા પ્રભાવે પણ ‘બૌદ્ધિકો’ના ભેદ પાડ્યા વિના, તમામ ‘બૌદ્ધિકો’ સામે દ્વેષની લાગણી જગાડવામાં મોટો ફાળો આપ્યો. હિટલરયુગના જર્મનીમાં ‘બૌદ્ધિકો’ને દેશદ્રોહી અને સમાજવિરોધી તરીકે ચીતરવા માટે સમાજને રાષ્ટ્રવાદનું અફીણ પાવામાં આવતું હતું. ભારતમાં-ખાસ કરીને ગુજરાતમાં- એવી જ પદ્ધતિથી ‘બૌદ્ધિક’ માત્રને અનિષ્ટ તરીકે ચીતરવામાં આવ્યા, જેમના ગુણદોષની ચર્ચા કરવાની ન હોય. તેમને ફક્ત ગાળ જ દેવાની હોય. ધાર્મિક કુરિવાજો અને ગાડરિયાશાહીનો વિરોધ ‘બૌદ્ધિકતા’નું લક્ષણ હોવાથી, ધાર્મિક અથવા અન્ય ઝનૂન ધરાવતા લોકોને પણ ‘બૌદ્ધિકો’ને દુશ્મન ધારી લેવાનું અનુકૂળ રહ્યું.

‘બૌદ્ધિક’ એ કોઇ નિશ્ચિત ઓળખ ધરાવતો લોકસમુહ નથી. શાંત ચિત્તે અને યોગ્ય વિચાર કરીને, અંગત સ્વાર્થ કે પૂર્વગ્રહો વચ્ચે લાવ્યા વિના કોઇ નિર્ણય કે અભિપ્રાય પર આવે એવા તમામ લોકો બૌદ્ધિક ગણાય. (મુખ્યત્વે શિક્ષણ કે અભ્યાસના ક્ષેત્રે કેવળ સિદ્ધાંતો પર ગહન કામ કરનાર બૌદ્ધિકો અને તેમની ઉપયોગીતા-મર્યાદા આ લેખનો વિષય નથી. એટલે એ મુદ્દો અહીં ચર્ચ્યો નથી.) પરંતુ ‘બૌદ્ધિક’ની પ્રચલિત ઓળખ ધરાવનારા લોકોમાંથી ઘણા આ કસોટી પર ખરા ઉતરી શક્યા નથી. પ્રસિદ્ધિની ભૂખ અને આર્થિક હિતથી માંડીને પકડેલું પૂંછડું ન છોડી શકવાની લાચારી જેવી તેમની વ્યક્તિગત મર્યાદાઓ, વિરોધી પ્રચારને કારણે, સમગ્રપણે ‘બૌદ્ધિકો’ના માથે ઠોકી બેસાડવામાં આવી છે.

એક તરફ ‘બૌદ્ધિકો’ અને બીજી તરફ નામમાત્ર ‘બૌદ્ધિકો’નો વિરોધ કરનારા વચ્ચે એક નાગરિક તરીકે શું થઇ શકે? બધા ‘બૌદ્ધિકો’ એક અને એકસરખા નથી એ યાદ રાખવું પડે. પોતાનાં હિતો જળવાઇ રહે એ ખાતર બૌદ્ધિકો અને બૌદ્ધિકતા સામે ધીક્કાર ફેલાવનારા સમાજના હિતેચ્છુ નથી એ પણ ભૂલવું નહીં. વિરોધી પ્રચારની ગાડીમાં જાણેઅજાણે ચડી બેઠેલા લોકો બીજાને પણ પોતાની સાથે ખેંચી લેવા હાથ લાંબો કરશે. તેમને પોતાનો હાથ આપતાં પહેલાં વિચાર કરવો.. ‘બૌદ્ધિકો’એ ઉભા કરેલા મુદ્દાની આકરામાં આકરી ટીકા થઇ શકે, સરકારની જેમ બૌદ્ધિકો રસ્તો ભૂલતા હોય કે ધુમાડે જતા હોય ત્યારે તેમને ટપારવા પડે, પણ ‘બૌદ્ધિકો તો અમારે ખપે જ નહીં’ એવા વલણથી બચવું. ‘બૌદ્ધિકો’ નામે સમાજઘાતી છે, એવો પ્રચાર સમાજ અને વ્યકિતને જાગતા કરવા નહીં, પણ તેમને સદા ઉંઘતા રાખવા માટેનો હોય છે.,

- અને જાગવું કે ઉંઘતા રહેવું, એ સવાલ વ્યક્તિગત પસંદગીનો છે.

5 comments:

  1. ઉર્વિશભાઇ,
    કબૂલ કરુ છુ કે આ લેખમા આપ શું કહેવા માંગો છો એ ના સમજાયુ. કદાચ હુ ‘બૌદ્ધિક’ની શ્રેણીમા નથી.
    જય હો !

    ReplyDelete
  2. Anonymous12:52:00 PM

    thodok kantalajanak lekh lagyo

    -alpesh patel

    ReplyDelete
  3. Bharat.zala1:01:00 PM

    Urvishbhai thanks for giving us such a nice article.it shows your range of thinking.personally I was waiting for this Master-strock.keep it up.

    ReplyDelete
  4. વખતસરનો લેખ. અન્ના કીસ્સાએ ખરેખર આવા ઘણા પ્રશ્નો ઉભા કર્યા! આમ આવા સવાલો ઉભા થાય તે પણ સામાજીક સંદર્ભે healthy situation ગણી શકાય, પણ જે પ્રકારનો ઝનુનપ્રેરક લોકશાહી/બંધારણ/સીસ્ટમ વીરોધી લોક-જુવાળ ચાલી રહ્યો છે તેમાં તંદુરસ્ત ચર્ચાનો માહોલ હજુ તો બનતો દેખાઈ રહ્યો નથી. અન્ના આંદોલનના મુદ્દે મારા વીરોધી-વલણને લઈને એક ઈ-મેલ ચર્ચા ચાલી રહી છે જેમાં ફેસબુક સીવાયના 'બૌધીકો' ઉર્વીશ અહીં દર્શાવી રહ્યો છે તે રીતે જ પેશ આવી રહ્યા છે! જેમાં મધુ રાય જેવા લેખક, બી.એ.પરીખ જેવા રેશનાલીસ્ટ, દયાશંકર જોશી જેવા શીક્ષણશાસ્ત્રી વગેરોનો સમાવેશ થાય છે!! - કીરણ ત્રીવેદી

    ReplyDelete
  5. Excellent piece, as always, Urvish. Loved the way you have touched upon the definition of an intellectual through a historical and cultural perspective.

    ReplyDelete