Tuesday, May 18, 2010

સોરાબુદ્દીન માટેનો હોબાળોઃ ન્યાય કે નાઇન્સાફી?

ગુજરાતના એન્કાઉન્ટરબાજ પોલીસ અફસરોના મુદ્દે ભાજપ સરકાર ફરી એક વાર કઠેડામાં આવી છે. ફરી એક વાર આ મુદ્દે ગૂંચવાડા સર્જાઇ રહ્યા છે. એન્કાઉન્ટરને ‘પવિત્ર ઘટના’ ગણાવનારા ચિંતકોથી માંડીને ‘એક ગુંડાને મારી નાખ્યો એમાં આટલો બધો હોબાળો શા માટે?’ એવા સવાલ પુછનારા લોકોનો મોટો વર્ગ ઇચ્છા-અનિચ્છાએ ગુંચવાડાનો ભોગ બનીને, ગુંચવાડો આગળ વધારી રહ્યો છે.

ખરેખર શું થયું હતું? કોના દાવામાં કેટલું તથ્ય છે? ગુજરાતના પોલીસ અફસરો ત્રાસવાદીઓને ખતમ કરનારા બહાદુર હતા? તેમની સામે પગલાં લેવાથી રાજ્યના પોલીસતંત્રનું મનોબળ ભાંગી પડશે? સીબીઆઇની ભૂમિકા કેવી છે? આ બધી બાબતોને એક યા બીજા પક્ષની છાવણીમાં બેઠા વિના, ઉપલબ્ધ હકીકતોના આધારે ચકાસવાની જરૂર છે.

સોરાબુદ્દીન નિર્દોષ હતો?
ના. સોરાબુદ્દીન ઘાતક હથિયારો રાખતો હતો અને ખંડણી ઉઘરાવતો હતો. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર રાજસ્થાન હતું. પરંતુ ગુજરાતમાં પણ તેની ખંડણીપ્રવૃત્તિ ચાલતી હતી. સાથોસાથ, તે પોલીસનો બાતમીદાર પણ હતો.

તો પછી એના એન્કાઉન્ટરની આટલી હાયવોય કેમ?
આ સૌથી વઘુ પૂછાતો સવાલ છે. પણ તેનો જવાબ મેળવતાં પહેલાં વચ્ચે એક સવાલ રહી ગયો. એ છે:

સોરાબુદ્દીન અને ગુજરાત પોલીસ વચ્ચે કેવા સંબંધ હતા?
સોરાબુદ્દીન ખંડણીખોર હતો એટલો પરિચય પૂરતો નથી. તે જોતજોતાંમાં ‘પોલીસમાન્ય ખંડણીખોર’ બની ગયો. આરોપ મુજબ, સોરાબુદ્દીનના ખંડણી વ્યવસાયમાંથી પોલીસને હિસ્સો મળતો હતો. બે પક્ષો વચ્ચે થયેલી તકરારમાં એક પક્ષ સોરાબુદ્દીનને રોકે એટલે તે સામેવાળાને ધાકધમકી આપીને પતાવટ કરે. પણ ત્યાર પછી તે પોતાની ‘સેવાઓ’ લેનાર વિશે પોલીસને માહિતી આપે, જેથી પોલીસ સોરાબુદ્દીનના ‘અસીલ’ની ગુંડાને રોકવાના ગુના બદલ તપાસ કરે અને ભીનું સંકેલવા માટે તગડી રકમની માગણી કરે.

વાત આટલેથી ન અટકી. થોડા સમય પછી પોલીસે- અત્યારે બહાર આવેલા નામ પ્રમાણે પોલીસ અફસર ચુડાસમાએ- સોરાબુદ્દીનને પોતાનો સાગરીત બનાવી દીધો અને તેની મદદથી પોતે જ ખંડણી ઉઘરાવવાનું શરૂ કરી દીઘું! તેમની માગણીને તાબે ન થનાર પર ગોળીબાર કરવાની જવાબદારી કામ સોરાબુદ્દીનની!
વર્દી વગર ખંડણી ઉઘરાવે તે ગુંડો કહેવાય, તો વર્દી પહેરીને ખંડણી ઉઘરાવે તેને શું કહેવાય? અને વર્દી વગર ખંડણી ઉઘરાવનારનું એન્કાઉન્ટર વાજબી ગણાય, તો વર્દીધારી ખંડણીખોરનું શું કરવું જોઇએ? એનો જવાબ ચુડાસમાની ધરપકડમાં ‘સીબીઆઇનો દુરૂપયોગ’ જોનાર ભાજપે આપવો રહ્યો.

સોરાબુદ્દીનના એન્કાઉન્ટરની નોબત કેમ આવી?
ઉપલબ્ધ માહિતી પ્રમાણે, પોલીસો પાર્ટનર બનેલો ખંડણીખોર સોરાબુદ્દીન રાજસ્થાનમાં વેપારીઓ પાસે કરોડો રૂપિયાની ખંડણી માગવા લાગ્યો. તેનાથી ત્રાસેલા વેપારીઓએ રાજસ્થાનના અને ગુજરાત સાથે સંકળાયેલા એક ભાજપી નેતાનો સંપર્ક કર્યો. રાજસ્થાન સરકાર એન્કાઉન્ટરની બબાલમાં પડવા માગતી ન હતી. એટલે નેતાએ ગુજરાત સરકારનો સંપર્ક કર્યોઃ કાયદો-વ્યવસ્થાની મદદ માટે નહીં, સોદાબાજી માટે! જાણકારી મુજબ, સોદો એ પ્રકારનો હતો કે રાજસ્થાનની વેપારી લોબી અમુક રકમ આપવા માટે તૈયાર છે. બદલામાં ગુજરાત પોલીસે સોરાબુદ્દીનને એન્કાઉન્ટરમાં પતાવી દેવાનો.

એન્કાઉન્ટર માટે ગુજરાત કેમ?
કારણ કે ત્યાં લગીમાં ગુજરાતની ભૂમિ એન્કાઉન્ટર માટે બહુ અનુકૂળ બની ગઇ હતી. ‘મુખ્ય મંત્રી પર હુમલો કરવા આવેલા ત્રાસવાદીઓ’નું લેબલ લગાડીને નાના ગુનેગારો અને કેટલાક નિર્દોષોનાં એન્કાઉન્ટર કરવામાં ગુજરાત પોલીસને ઘણી ફાવટ આવી ગઇ હતી.

ગુજરાતના કેટલા બધા શત્રુઓ છે અને કેટલા બધા ‘ત્રાસવાદીઓ’ ગુજરાતના મુખ્ય મંત્રીને મારવા ફરે છે, એવું સાબીત કરવામાં નકલી એન્કાઉન્ટર ઘણાં કારગત નીવડ્યાં. તેનાથી પ્રજામાનસમાં એવી છાપ ઉભી થઇ કે ‘એન્કાઉન્ટર એટલે ત્રાસવાદીઓ સામે ગુજરાતની બહાદુર પોલીસની જીત અને એન્કાઉન્ટરનો વિરોધ એટલે ત્રાસવાદની તરફેણ.’ મુખ્ય મંત્રીએ પણ જાહેર સભાઓમાં લોકોના જ મોઢેથી એન્કાઉન્ટર વાજબી ઠરાવવાનો વ્યૂહ અપનાવ્યો.

‘મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવેલા’ અને પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ‘ત્રાસવાદીઓ’ની વિગતો જેમ જેમ ખુલી, તેમ જણાયું કે માર્યા ગયેલામાંથી કેટલાક ગુંડા હતા (ત્રાસવાદી નહીં), એ મુખ્ય મંત્રીને મારવા આવ્યા હોય એવી કોઇ કડીઓ કે પુરાવા ન હતા અને કેટલાંક પાત્રો સાવેસાવ નિર્દોષ હતાં. પરંતુ તેમનાં મુસ્લિમ નામ તેમને ત્રાસવાદી સિદ્ધ કરવા માટે પૂરતાં હતાં. કાલ્પનિક ભયના ઉભા કરાયેલા માહોલમાં લોકોએ પણ સરકારી દાવા સ્વીકારી લીધા અને ‘એન્કાઉન્ટર ખોટાં હોય તો પણ ગુનેગાર સાચા છે. મૂઆ મરી ગયા તો એટલા ઓછા...’ એવું વલણ અપનાવ્યું. એ સરકારી પ્રચારની સફળતા હતી.

સોરાબુદ્દીનના એન્કાઉન્ટરમાં શું બન્યું?
આગળ જોયું તેમ રાજસ્થાનના વેપારીઓનો રાજસ્થાનના ભાજપી નેતા દ્વારા ગુજરાત સરકાર-પોલીસ સાથેની સોદો થયો. એ પાર પાડવા માટે સોરાબુદ્દીનને ખતમ કરવો જરૂરી હતો, પણ તેનો પત્તો કેવી રીતે મેળવવો? (કેમ કે તે પોલીસના અનિયમિત સંપર્કમાં રહેતો હતો.) સોરાબુદ્દીનને શોધવા માટે તેના સાગરીત તુલસીરામ પ્રજાપતિની મદદ લેવામાં આવી. (તુલસીરામ મુસ્લિમ ન હતો. એટલે તેનું નામ ઉછાળવામાં આવતું નથી.)
નક્કી થયેલી તારીખે સોરાબુદ્દીન-તેની પત્ની કૌસરબી અને તુલસી હૈદ્રાબાદથી સાંગલી જવા માટે બસમાં નીકળ્યાં, ત્યારે (તુલસીએ અગાઉથી આપેલી માહિતીના આધારે) આંધ્ર પ્રદેશની પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસની આખી મંડળી ત્યાં હાજર હતી. તેમણે તુલસી સહિત ત્રણે જણની ધરપકડ કરી.

(સોદો પાર પાડવા માટે) સોરાબુદ્દીનને ગુજરાત લાવીને ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને એવું જાહેર કરવામાં આવ્યું કે એ ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યો હતો! સોરાબુદ્દીનના ખૂન પછી તેની પત્ની કૌસરબીનો સવાલ ઉભો રહ્યો. રાજકીય છત્રછાયા ધરાવતી ગુજરાતની એન્કાઉન્ટરબાજ પોલીસ મંડળીએ તેમના ગોરખધંધાનાં સાક્ષી કૌસરબીનું પણ ખૂન કર્યું અને તેમની લાશ સગેવગે કરી દીધી. (એ કામમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડીજી વણઝારાને અબુધ ચાહક વર્ગ મળી રહ્યો એ પણ ગુજરાતની તાસીર ગણવી પડે.) તુલસી પ્રજાપતિ પોલીસનો બાતમીદાર હતો. એટલે તેને હેમખેમ જવા દેવામાં આવ્યો.

સોરાબુદ્દીનના ખૂનની અને વળતર આપવાની ખુદ ગુજરાત સરકારની કબૂલાત
ગુજરાત પોલીસ માટે તો આ વઘુ એક એન્કાઉન્ટર હતું, જેની બિલકુલ નવાઇ ન હતી. પરંતુ ૨૧ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ સોરાબુદ્દીનના ભાઇએ પોતાનો ભાઇ ત્રાસવાદી નહીં હોવાની રજૂઆત સાથે, સર્વોચ્ચ અદાલતમાં પોતાની ભાભી કૌસરબીના ગુમ થયાની રજૂઆત સાથે હેબિયસ કોર્પસ (કબજામાં રહેલી વ્યક્તિને અદાલત સમક્ષ હાજર કરવાની વિનંતી) ફાઇલ કરી. અદાલતે સીઆઇડી (ક્રાઇમ)ની ગુજરાત શાખાને તપાસ સોંપી. તપાસમાં તુલસી પ્રજાપતિની પૂછપરછનો તબક્કો આવતાં, ગુજરાત પોલીસની એન્કાઉન્ટર મંડળીએ ભાંડો ફૂટી જવાની બીકે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ તુલસી પ્રજાપતિનું પણ ખૂન કરી નાખ્યું હોવાનો મજબૂત આરોપ છે. તુલસી પ્રજાપતિ પોલીસ પાસેથી છટકી ગયો અને પોલીસે તેને પકડી પાડતાં પોલીસ પર હુમલો કર્યો, એવી વાર્તા બનાવીને પોલીસે તુલસીનું ખૂન કર્યું. પોલીસ તરફથી પોતાને ખતરો છે, એ મતલબની અરજી મૃત્યુના બે અઠવાડિયાં પહેલાં જ તુલસીએ ઉદેપુરના ડિસ્ટ્રીક્ટ જજને આપી હોવાના પણ અહેવાલ છે.

તપાસ પૂરી થયા પછી સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર નકલી હોવાની સિલસિલાબંધ વિગતો સાથેનો અહેવાલ સીઆઇડી (ક્રાઇમ), ગુજરાત તરફથી જ સર્વોચ્ચ અદાલતમાં ગયો. ત્યાં સુધી વિરોધ પક્ષ કે સીબીઆઇ, કોઇ ચિત્રમાં ન હતાં. ગુજરાતની એન્કાઉટરબાજ પોલીસમંડળી અતિવિશ્વાસમાં રાચતી હતી. તેમાંના ઘણા અફસરો ગૃહમંત્રીના અને ગૃહમંત્રી મુખ્ય મંત્રીના ખાસ ગણાતા હતા. એટલે વાળ પણ વાંકો નહીં થવાની તેમને ખાતરી હતી.

પરંતુ સીઆઇડી (ક્રાઇમ)નો રીપોર્ટ મળ્યા પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારનો આ મુદ્દે જવાબ માગ્યો. ત્યારે આ જ ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામા પર સ્વીકાર્યું કે સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર નકલી હતું અને પોલીસે મુખ્ય મંત્રીની હત્યાનો ખોટો આરોપ ઉભો કરીને તેની હત્યા કરી છે. એટલું જ નહીં. ગુજરાત સરકારે સોરાબુદ્દીનના પરિવારને રૂ.૧૦ લાખનું વળતર આપવાનું પણ સ્વીકાર્યું. અદાલતે વળતરની રકમ વધી શકે કે કેમ, એ અંગે પૂછતાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે આ રકમ વચગાળાની છે.

સીબીઆઇનો ‘દુરૂપયોગ’ અને સાર
સર્વોચ્ચ અદાલતે કેસની તપાસ ફરી એક વાર ગુજરાત પોલીસને સોંપી હતી, પરંતુ આ વર્ષના આરંભે કેસની તપાસ આખરે સીબીઆઇને તપાસ સોંપવામાં આવી. યાદ રાખવા જેવી હકીકત એ છે કે સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી પ્રજાપતિ ખૂનકેસમાં થયેલી તમામ ધરપકડોમાંથી બે જ ધરપકડ સીબીઆઇએ તપાસ હાથમાં લીધા પછી થઇ છે - અને તેના માટે સીબીઆઇએ પૂરતા પુરાવા એકઠા કર્યા છે. ત્યાર પહેલાંની બધી જ ધરપકડો ગુજરાતની પોલીસે જ કરી છે. એટલે સીબીઆઇ ગુજરાત પોલીસની પાછળ પડી ગઇ છે એવો આરોપ હાસ્યાસ્પદ જૂઠાણું છે.

બીજો મુદ્દો ગુજરાત પોલીસના મનોબળનો છે. એક તરફ નકલી એન્કાઉન્ટરો દ્વારા પ્રજાને ભરમાવીને અને રાજકીય સાહેબોને રાજી રાખીને પોતાના ગોરખધંધા ચલાવતા અફસરો છે અને બીજી તરફ પ્રામાણિક રીતે પ્રજાની સેવા કરનારા પોલીસ અફસરો છે. હાલની સ્થિતિમાં ફક્ત ગોરખધંધા કરનારા અને રાજકારણીઓને રાજી કરવા માટે કોઇ પણ હદે જનારા પોલીસ અફસરોને જ તકલીફ છે. પ્રામાણિક રીતે ફરજ બજાવનારનું મનોબળ વધે એવી સ્થિતિ છે. તો આમજનતાએ રાજી થવું જોઇએ કે દુઃખી?

તમામ રાજકારણ બાજુ પર રાખીને ગુજરાતના નાગરિકો એટલું તો પૂછી શકે ને કે રાજ્યના ગૃહમંત્રીએ સ્વર્ણિમ સમારંભમાં ગેરહાજર રહેવું પડે અને દિવસોથી ભૂગર્ભમાં ઉતરી જવું પડે એવું તેમણે શું કર્યું છે? અને કોની સૂચનાથી, કોની જાણકારી સાથે કર્યું છે?

સવાલો તો ઘણા છે, પણ એ શાસકોએ પ્રજાને નહીં, પ્રજાએ શાસકોને પૂછવાના છે- અને તેના સાચા જવાબો મળવાથી જે બદનામી થાય તે ગુજરાતની કે તેની જનતાની નહીં, પણ તેના કેટલાક મંત્રીઓ- નેતાઓની છે.

15 comments:

  1. ખુબ જ તળ સ્પર્શી...
    અને ગુંડાઓ કે ગુનેગાર કોણ તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે...
    નહીતર તો આ સફ્ફાઈ ઓ ઠોકનારા કોઈને ટ્રાફિકનો નિયમ તોડવાના ગુના માં એન્કાઉન્ટર કરી નાખશે... તો પ્રજા તો એવું જ કહેશે ને... કે મુઓ... હતો તો ગુનેગાર જ ને...

    ReplyDelete
  2. REALLY AMEZING!!
    THANKS FOR THIS ARTICLE.

    ReplyDelete
  3. ઉર્વીશભાઈ,
    એક વાત તો સ્વીકારવી જ રહી કે નકલી એન્કાઉન્ટર ને સમર્થન ના જ આપી શકાય, કાયદા ને કાયદા નું કામ કરવા દેવું જ જોઈએ....પણ આપણે ત્યાં પરિસ્થિતિ એવી છે કે સત્ય તો બહાર આવતું જ નથી બસ લોકો પોત-પોતાના રોટલા શેકી લે છે....ભાજપ હિંદુ મત મેળવવા અને કોંગ્રેસ મુસ્લિમો ને રાજી કરવા જે હદે જી શકાય એ હદે જાય છે...અને આ બધામાં રહી જાય છે ''સત્ય'' ....કોઈપણ ન્યાયપ્રિય માણસ ગુજરાત પોલીસના આ સરમુક્ત્યારશાહી વલણને સમર્થન ના જ આપે એ વાત અલગ છે પણ સી.બી.આઈ. નો ભવ્ય ભૂતકાળ એકવાત વિચારવા તો મજબુર કરે જ છે, કે આ બધું કોઈ ના ઈશારે તો નથી થતું ને !....આ આખી વાતમાં રાજકારણ ભળ્યું છે એટલે હવે આનો કોઈ ન્યાયપૂર્ણ ઉકેલ આવે એવું મને તો નથી જ લાગતું.....

    ReplyDelete
  4. Anonymous8:18:00 PM

    Urvishbhai,

    Could you please mention the sources for the claims? I mean, were they part of CBI's investigation? Or, compilation of news paper articles? It is very important that we know this to make sure these are not just "assumptions" or "claims" but "facts".

    Thanks.

    ReplyDelete
  5. Sir,

    It's thought provoking. You have put all the aspects here. seems neutral rather. thanks for it!

    ReplyDelete
  6. wonderful article. can you get it published in newspaper for wider public awareness and myth clarification? its important because, 90% of population thinks whatever happened was correct and why should so many police offices put behind the bars for an 'ordinary' encounter of a tainted Muslim?

    Brinda

    ReplyDelete
  7. The best and most objective presantation,bravo Urvish

    ReplyDelete
  8. Truly informative n convincing. Chudasama - Sohrabuddin milibhagat was revealing. Has it been reported or known from crime bit reporters?
    -Kiran Trivedi

    ReplyDelete
  9. 1)it appeared as it is in my column yesterday's Gujarat Samachar
    2)I have only written what is on record. Name of the rajasthan bjp leader has not been mentioned thought it's widely known.
    3)Most of the things r knwon and written in bits & pieces with differing weightage.
    4) @ manav : wonder why u r still fiddling the 'political hand' line when things r this much open

    ReplyDelete
  10. Narendra6:49:00 AM

    This reminds me the case of Vadodara's Raju Risaldaar. Take out the names of Police and put name of press person here and read again.
    In that case all those who thought, they cared for society's health had taken out big procession in Vadodara and result...so called encounter!!
    I still wonder why CBI is being portrayed nice and clean, history speaks lot for it and almost bad most of the time.
    I won't shed a single tear for such a law-breaker person even if he is killed in false encounter.
    Why dont we bring out all these connections when it is going on actually?? are we afraid at that time or should wait, till such a thing happens as to be termed false!!?

    ReplyDelete
  11. Narendra6:50:00 AM

    This reminds me the case of Vadodara's Raju Risaldaar. Take out the names of Police and put name of press person here and read again.
    In that case all those who thought, they cared for society's health had taken out big procession in Vadodara and result...so called encounter!!
    I still wonder why CBI is being portrayed nice and clean, history speaks lot for it and almost bad most of the time.
    I won't shed a single tear for such a law-breaker person even if he is killed in false encounter.
    Why dont we bring out all these connections when it is going on actually?? are we afraid at that time or should wait, till such a thing happens as to be termed false!!?

    ReplyDelete
  12. J.A. Mansuri2:45:00 PM

    Thanks to Apex Court for effort to deliver example of justice sought by victims of Gujarat Pogrom. We Muslim do not subscribe to Terrorism, Sopari culture. Thanks also to people who supports secular credential of plural Indian society, mainly media-activist (micro in terms of character & figure. Such a process would lead and experience our future generation with co-existence with and without difference, the beautiful India. Truth always prevails on surface after some period. Phobias, corruption and bad-polity are always outdated and expired if true media and legal activism is there.

    ReplyDelete
  13. I hope your article may open whole gujarat's eyes.

    ReplyDelete
  14. Anonymous6:31:00 PM

    Great fiction!

    ReplyDelete