Wednesday, April 14, 2010

ફુલે-ગાંધી-આંબેડકર :સમાનતાના સંઘર્ષની ત્રિમૂર્તિ

ધારો કે ડો.આંબેડકર ભારતના બંધારણની ડ્રાફિ્ટંગ કમિટીના અઘ્યક્ષ -‘બંધારણના ઘડવૈયા’- ન હોત તો? સંભવ છે કે તેમની સ્થિતિ પણ જોતિરાવ ફુલે જેવી થઇ હોતઃ ગુજરાતના-ભારતના બહુમતી વિદ્યાર્થીઓએ તેમના વિશે વાંચ્યું-સાંભળ્યું ન હોત. પાઠ્યપુસ્તકોમાં રાજા રામમોહનરાય-રાનડે-દયાનંદ સરસ્વતી જેવા સુધારકો અને પ્રાર્થનાસમાજ-બ્રહ્મોસમાજ-આર્યસમાજ જેવી સમાજસુધારાની ચળવળોમાં તેમનો ઉલ્લેખ સરખો ન થતો હોત અને તે મહારાષ્ટ્રના થોડા લોકો પૂરતા સીમિત બનીને રહી ગયા હોત.

આવતી કાલે ડો.આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જોતિરાવ ફુલે (મરાઠી પરંપરા મુજબનું સંબોધનઃ જોતિબા) યાદ આવવાનાં ઘણાં કારણ છે. સૌથી સ્થૂળ કારણ એ કે જોતિબાની જન્મતારીખ ૧૧ એપ્રિલ (૧૮૨૭), તેના ત્રણ દિવસ પછી થનારી સત્તાવાર ઉજવણીઓની સરખામણીમાં કોઇ જાતની નોંધ કે ઉલ્લેખ વિના, પસાર થઇ ગઇ. ૧૪ એપ્રિલ (૧૮૯૧)ના રોજ જન્મેલા ભીમરાવ આંબેડકર માટે જોતિરાવ ફુલે પ્રેરણામૂર્તિ હતા. જ્ઞાતિના જ નહીં, તમામ પ્રકારના ભેદભાવ-અન્યાય-અત્યાચાર સામે લડનાર માટે જોતિબા ફુલે રોલમોડેલ બની રહે એવા છે. ભારતના સર્વકાલીન ‘હીરો’માં તેમનો સમાવેશ થતો નથી, એ પણ જ્ઞાતિવાદનો જ એક પ્રકાર છે.

ત્રણ નાયકો, એકબીજાના સંદર્ભે
ડો.આંબેડકર અને ગાંધીજીની જેમ જોતિબાનું સમગ્ર જીવન અવિરત સંઘર્ષ, છેવાડાના લોકોના હિતચિંતન અને લેખનમાં વીત્યું. ઐતિહાસિક દૃષ્ટિએ જોતિબાનું કામ ઘણું વધારે કપરૂં હતું. અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ બદલ ૧૯૩૪માં જે પૂના શહેરમાં ગાંધીજીની મોટર પર બોમ્બ ફેંકાયો હતો, એ પૂનામાં લગભગ સો વર્ષ પહેલાં અસ્પૃશ્યતા સામે સંઘર્ષ છેડવાનું જોતિબાને કેટલું કાઠું પડ્યું હશે! જોતિબા જ્ઞાતિએ માળી હતા, પણ તેમના સમયમાં બધા શુદ્રોને એક લાકડીએ હાંકવામાં આવતા હતા. પૂના જેવા રૂઢિચુસ્તતાના ગઢમાં તો ખાસ.
ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમને કાળા માણસ તરીકનું અપમાન સહેવું પડ્યું, પણ જોતિબાને એ ‘લાભ’ ઘરઆંગણે મળી ગયો. એક બ્રાહ્મણ મિત્રના વરઘોડામાં બ્રાહ્મણોની સાથે ચાલવાની હિંમત કરવા તેમને ધમકાવવામાં આવ્યા. યુવાન જોતિરાવે ઘરે આવીને ફરિયાદ કરી, ત્યારે પિતાજીએ આશ્વાસન આપતાં કહ્યું, ‘એ લોકો દયાળુ કહેવાય. બાકી આવા કિસ્સામાં શુદ્રોને ઠપકો નહીં, માર જ પડે. તેમને હાથીના પગ નીચે કચડી નાખવાની સજા થઇ હોય એવા કિસ્સા પણ મેં જોયા છે. આપણે સમાજના રિવાજ પ્રમાણે ચાલવું ને બ્રાહ્મણો ગુસ્સે થાય એવું કોઇ પગલું ન ભરવું.’

શુદ્રોમાં ગુલામીની માનસિકતા વ્યાપક હતી, ત્યારે જોતિબાએ પૂરી આક્રમકતાથી શુદ્રતા ફગાવી દેવાની ઝુંબેશ આદરી. ‘મારૂં જીવન એ જ મારો સંદેશ’ એવં કહ્યા વિના, જોતિબાએ અંગત આચરણ દ્વારા નિર્ભયતા અને સમાનતાના પાઠ શીખવ્યા. કહેવાતા શુદ્રોના મનમાંથી બ્રાહ્મણવાદનો ખોફ દૂર કરવાનું વઘુ અઘરૂં હતું કે કે ગુલામ ભારતીયોના મનમાંથી અંગ્રેજી હકૂમતની બીક કાઢવી વધારે અઘરી? સરખામણીનું કોઇ માપ નથી, પણ આ બન્ને મોટા પડકારો અનુક્રમે જોતિબા અને ગાંધીજીએ ઉપાડ્યા. એટલું જ નહીં, ઘણી હદે પાર પાડી બતાવ્યા.
જોતિબા, ગાંધી અને આંબેડકર એ ત્રણેને સામાજિક ભેદભાવ અસહ્ય લાગતા હતા, પણ જોતિરાવને તીવ્રપણે લાગતું હતું કે ભારતની રાજકીય ગુલામી કરતાં શુદ્રોની માનસિક ગુલામી વધારે ખતરનાક છે. દાયકાઓ પછી ગાંધી-આંબેડકર વચ્ચેના મતભેદનો પણ તે એક મુખ્ય મુદ્દો રહ્યો. ગાંધીજી ઇચ્છતા હતા કે અંગ્રેજો ભારતને તેના હાલ પર છોડીને ચાલ્યા જાય. ‘અમે અમારૂં ફોડી લેશું’ એવું એમનું વલણ હતું, જ્યારે આંબેડકર રાજકીય આઝાદી પહેલાં સામાજીક આઝાદીનો આગ્રહ રાખતા હતા. ગાંધીજી અપેક્ષા રાખે છે એટલી ઝડપથી લોકોનું (બિનદલિતોનું) હૃદયપરિવર્તન થઇ જાય, એ આંબેડકરને શક્ય લાગતું ન હતું. અસ્પૃશ્યતાનિવારણના મુદ્દે કોંગ્રેસની દાનત ઉપર પણ તેમને અવિશ્વાસ હતો.

અંગ્રેજી રાજ માટે આંબેડકરના મનમાં ભક્તિ નહીં, પણ થોડીઘણી આશા જરૂર હતી અને તેનાં કારણો હતાં. અંગ્રેજોને લીધે ભારતના ભવિષ્ય અંગેની વાતચીતમાં દલિતોને અને તેમના નેતા તરીકે ડો.આંબેડકરને પ્રતિનિધિત્વ મળતું હતું. જે ‘સાયમન કમિશન’નો દેશભરમાં વિરોધ થયો, તેની ભલામણથી ભારતના ભાવિ બંધારણની ચર્ચા માટે જુદા જુદા પક્ષના નેતાઓને ગોળમેજી પરિષદમાં બોલાવવામાં આવ્યા હતા. તેમાં અસ્પૃશ્યોના નેતા તરીકે ડો.આંબેડકરને નિમંત્રણ મળ્યું હતું. અલબત્ત, અંગ્રેજી શાસનનો જે મહિમા જોતિબાએ અનુભવ્યો અને વર્ણવ્યો, તે આંબેડકરના યુગમાં ઓસરી ચૂક્યો હતો.

જોતિબાના જમાનામાં પેશ્વાઇની આડપેદાશ જેવા બ્રાહ્મણવાદની અસરો તાજી હતી, ત્યારે અંગ્રેજોનું આગમન શુદ્રો માટે નવી આશા લઇને આવ્યું. જોતિરાવનો જન્મ થયો એ અરસામાં અંગ્રેજી શાસન હેઠળ પશ્ચિમ ભારતમાં શિક્ષણ અને ખ્રિસ્તી ધર્મપ્રસાર-ધર્માંતરની કામગીરી શરૂ થઇ. પરંપરાગત રીતે ભણતર અને આર્થિક સમૃદ્ધિનો લાભ ધરાવતા બ્રાહ્મણો અંગ્રેજી કેળવણી મેળવીને સરકારી નોકરીઓમાં અથવા વકીલાત જેવા વ્યવસાયમાં ગોઠવાયા અને નવેસરથી બ્રાહ્મણવાદનો સકંજો મજબૂત બનાવવા લાગ્યા. બીજી તરફ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા (ધર્મપ્રસારના આશયથી થતી) જ્ઞાતિપ્રથાની આકરી ટીકા અને શુદ્રોને મળેલી શિક્ષણની તકોથી જ્ઞાતિવ્યવસ્થા સામે પડકાર ઉભા થયા. આ વિરોધ છતાં શિક્ષણની તકોને કારણે શુદ્રો અને અતિશુદ્રો તરીકે ઓળખાતો કચડાયેલો વર્ગ થોડો સળવળ્યો. થોડો જાગ્યો. અંગ્રેજી કેળવણીનો લાભ મળવાને કારણે જોતિબા વિશ્વના પ્રવાહોના - ખાસ કરીને અમેરિકાના કાળા લોકોની ચળવળના- સંપર્કમાં આવ્યા. પશ્ચિમી વિદ્વાનો અને વિચારકોના લખાણોમાંથી તેમણે સમાનતાની લડત માટેની પ્રેરણા મેળવી અને તેનો જશ અંગ્રેજી કેળવણી આપનાર અંગ્રેજી રાજને આપ્યો. ખ્રિસ્તી ધર્મના ભાઇચારા અને સેવાના સંસ્કારોની અસર જોતિબા અને ગાંધીજી પર ઘણી હદે પડી હતી.

જોતિબાના અનુગામી ડો.આંબેડકર જાહેર જીવનમાં પ્રવેશ્યા ત્યારે અંગ્રેજી રાજની મર્યાદાઓ પૂરેપૂરી સામે આવી ચૂકી હતી. પેશ્વાઇ જમાનો ભૂતકાળ બન્યો હતો. એટલે અંગ્રેજી કેળવણી થકી અંગ્રેજી રાજનું માહત્મ્ય અનુભવવા છતાં, ડો.આંબેડકરના મનમાં તેના માટે જોતિબા જેટલો આદરભાવ રહ્યો ન હતો. જ્ઞાતિપ્રથામાંથી પેદા થયેલાં અનિષ્ટો દૂર કરવામાં અંગ્રેજો સાવ મોળા પુરવાર થયા હતા. ગોળમેજી પરિષદમાં શ્રોતાઓને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરતા ભાષણમાં ડો.આંબેડકરે સાફ શબ્દોમાં કહ્યું હતું કે જાહેર કૂવેથી પાણી ભરવાની કે મંદિરમાં પ્રવેશવાની કે પોલીસમાં ભરતીની તક અમને બ્રિટિશ રાજ પહેલાં પણ મળતી ન હતી ને બ્રિટિશ રાજમાં પણ મળતી નથી. જમીનદારો કિસાનોનું અને કારખાનેદારો કારીગરોનું પહેલાં પણ શોષણ કરતા હતા અને બ્રિટિશ રાજમાં પણ એ ચાલુ છે. ડો.આંબેડકરે કહ્યું,‘અમારે એવી સરકાર જોઇએ, જે નિષ્ઠાપૂર્વક દેશનું હિત કરે અને સામાજિક- આર્થિક પ્રશ્નો કોઇની પણ શેહશરમ રાખ્યા વિના હલ કરે.’
ગોળમેજી પરિષદમાં ડો.આંબેડકરના બહુ વખણાયેલા પ્રવચનની એક આડવાત: વિદ્યાર્થી ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ આપનાર વડોદરાના મહારાજા ગાયકવાડ પણ એ પરિષદમાં ઉપસ્થિત હતા. આંબેડકરના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યા પ્રમાણે, આંબેડકરનું ભાષણ સાંભળીને મહારાજા ગાયકવાડની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. તેમણે પોતાનાં રાણીને કહ્યું,‘(ભીમરાવ પાછળ ખર્ચેલા) આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા...’ તેમણે પોતાના મિત્રમંડળ સહિત ડો.આંબેડકરને લંડનમાં પાર્ટી આપી હતી. ડો.આંબેડકર પણ મહારાજની ઉદારતા યાદ રાખીને, દીવાન તરફથી કે રાજ્યના તંત્ર તરફથી થયેલો વહેવાર ભૂલીને પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા.

ખોવાયેલો વારસો
ફુલે-આંબેડકર અને ગાંધીના રસ્તા જુદા લાગે, પણ તેમનું લક્ષ ઘણી હદે સરખું હતું. ત્રણે મહાનુભાવો ફક્ત વાતોનાં વડાં કરીને કે જાતનો જયજયકાર થાય એવી નેતાગીરી કરીને બેસી રહેવાને બદલે જાહેર જીવનમાં રગદોળાયા, બેસુમાર ટીકાઓ અને આક્ષેપો વેઠ્યા. ફુલે અને ગાંધીજીની હત્યાના પ્રયાસો થયા. પણ તેમણે પોતાનું કામ છોડ્યું નહીં.

જોતિબાએ ૨૧ વર્ષની ઊંમરે શુદ્ર અને અતિશુદ્ર કન્યાઓને ભણાવવાની શરૂઆત કરી. સમાનતાની વ્યાખ્યામાં સ્ત્રીઓને સામેલ કરવામાં પણ જોતિબા ગાંધીજીના પૂર્વસૂરિ હતા. તેમનાં પત્ની સાવિત્રી ફૂલે કેવળ ‘બા’ ન બન્યાં. તે પતિની તાલીમ મેળવીને, તેમની હારોહાર સામાજિક સંઘર્ષમાં ઉભાં રહ્યાં. (‘કોમરેડ’ જેવો શબ્દ એ વખતે જોતિરાવ-સાવિત્રીબાઇ સુધી પહોંચ્યો ન હતો.) અસ્પૃશ્યોને ભણાવવા અથવા ઘર છોડવું- એવા બે વિકલ્પ સામે આવીને ઉભા રહ્યા, ત્યારે જોતિરાવ-સાવિત્રીબાઇએ ઘર છોડી દેવાનું પસંદ કર્યું. જે જમાનામાં વિધવાવિવાહની પ્રવૃત્તિ ઉજળીયાત સમાજમાં બહુ મોટી સામાજિક ક્રાંતિ ગણાતો હતો- અને ભલભલા સુધારકો પોતાના કુટુંબમાં તેનો અમલ કરવાનો આવે ત્યારે પાણીમાં બેસી જતા હતા- એ વખતે જોતિબાએ સગર્ભા બ્રાહ્મણ વિધવા મહિલાઓ માટેનું આશ્રયસ્થાન શરૂ કર્યું. યુવાન વયે વિધવા થયા પછી ભયાનક જીવન ગાળતી અને કુદરતી લાગણીઓ-સમાજના દબાણ વચ્ચે ભીંસાતી સ્ત્રીઓની હાલત કફોડી હતી. પરિસ્થિતિવશ સગર્ભા બન્યા પછી આત્મહત્યાના માર્ગે જતી વિધવાઓને ઉદ્દેશીને જોતિબાએ લખ્યું હતું,‘હે વિધવાઓ! અહીં આવીને સલામત છતાં ખાનગી રીતે તમારી પ્રસૂતિ પાર પાડો. ત્યાર પછી તમારી ઇચ્છા પ્રમાણે બાળકને સાથે લઇ જાવ અથવા અહીં મૂકી દો. અમારો અનાથાશ્રમ તેમની સંભાળ રાખશે.

જોતિબાની ‘રચનાત્મક પ્રવૃત્તિઓ’માં કન્યાશાળા અને અનાથાશ્રમથી માંડીને અસ્પૃશ્યો માટેનાં પુસ્તકાલય અને ‘સત્યશોધક સમાજ’ જેવી સંસ્થાઓનો સમાવેશ થતો હતો. લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં પાખંડી કર્મકાંડીઓની ભૂમિકાનો છેદ ઉડાડીને ‘સત્યશોધક સમાજ’ના સભ્યો માટે નવી, કર્મકાંડવિહીન વિધી તૈયાર કરી. ભણતરનું મૂલ્ય બરાબર સમજતા જોતિબાએ ૧૮૭૯ની આસપાસ પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવાની ઝુંબેશ ઉપાડી હતી, જેના અમલ માટે હજુ સરકારે વચનો આપવાં પડે છે.

ગાંધીજી ‘નેકેડ ફકીર’ તરીકે દરબારી ઔચિત્યનો ભંગ થાય એવાં કપડાં પહેરીને બ્રિટનના મહારાજાને મળવા ગયા, તેના ચારેક દાયકા પહેલાં, ૧૮૮૮માં પૂના આવેલાં ડ્યુક અને ડચેસ ઓફ કોનોટ સમક્ષ જોતિબા ગ્રામ્ય ભારતીય પોષાકમાં હાજર થયા હતા અને ખુશામતની છોળો વચ્ચે તેમને ભારતની વાસ્તવિકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

જોતિબા-ગાંધીજી-ડો.આંબેડકર આ ત્રણેએ સંસ્થાઓ સ્થાપી ને તેમના અનુયાયીઓ પણ થયા. છતાં અન્યાય અને અસમાનતા સામે સંઘર્ષનો તેમનો સૌથી મહત્ત્વનો વારસો વિસરાઇ ગયો છે. હવે બાકી રહ્યા છે ફુલહાર, નોટોના હાર, નમાલા હોદ્દા ને ઠાલાં સૂત્રો.

4 comments:

  1. J.A. Mansuri6:37:00 PM

    Religiously (irreligiously)implanted philosophy untouchablity in Indian history is synnonmous to various types of untouchability experienced elsewhere in the world. In case of impact of Islam religion which never advocated head-count, luring but with no-compulsion. Purification process of Indian Muslim had great impact on Indian Islam due to various local impact. In case if any Muslim-ruler might have advocated Islam never approved theory of luring, threat (case of investigation). Islam (Oneness of God) and Hinduism's (plural Gods) philosophy are on two extreme as far as ethos are concerned. Any efforts to re-write Indian History in light of Ambedkar vis-a-vis Islam & Muslim should be observed by ombudsman and watchdog of history instead of freshers with political motives.

    ReplyDelete
  2. Narendra4:52:00 PM

    Urvish, kudos for the nice article.
    You have righty teamed up three giants.
    I remember his quote "Vidyevina mati geli, mativina neeti geli, neetivina gati geli, gativina vitta gele, vittavina shudra hachale, itke anartha eka avidyene kele"
    education or rather lack of it, shu kari shake che te emne a quote ma asarkarak rite kahyu che.(same applies to muslim too)
    Mane 1 ashcharya thay che, Jyotiba angreji na abhyash na karane jem tame lakhyu tem, vishwa sahitya ane anyayi viruddh na andolan thi parichit thaya to pachi, tame em kem lakho cho ke Jyotiba communism thi haju ajan hata!!.
    Mane lage che ke teo, communism thi pan avagat thaya hashe pan teni nirarthakta thi (bija karta pehla) mahitgar thae gaya hashe.

    ReplyDelete
  3. JAmansuri11:51:00 AM

    Sound legacy of Indian multi-culture with multi-religion is a unique experience in the world. This country's history and common-man has experienced to live with and without difference, inspite of several hasty efforts to convert tolerance, co-existence, brotherhood. Contribution in independence-chemistry is best example. How every one shoulder to shoulder contributed! Nerve-politics issue/s are very fastly experiencing suffocation in to margin. Any efforts for anti-clockwise with humanity is rebouncing.

    ReplyDelete