Tuesday, April 06, 2010

કાયદાનું રાજ, બંધારણના ભોગે?

સમાચારોમાં ચોતરફ અમિતાભ બચ્ચનના નામનો ગોકીરો ચાલતો હતો, ત્યારે ગુજરાત વિધાનસભામાં કાયદાનો એક ફેરફાર પસાર થઇ ગયો. તેનો સંબંધ અમિતાભ બચ્ચનો કે સાનિયા મિર્ઝાઓ સાથે નહીં, પણ ગુજરાતના નાગરિકો સાથે હતો. એટલે જ કદાચ, વાદવિવાદ કે ચર્ચા તો ઠીક, એ વિશે સરખી રીતે વાત પણ ન થઇ. કાયદામાં થયેલા એ સુધારા- ખરેખર તો બગાડા- અંતર્ગત સરકારે ગુજરાતભરમાં જાહેર સ્થળોએ પ્રવેશફી ઝીંકવાની આપખુદીને કાયદાનું સ્વરૂપ આપી દીઘું.

સરકારને વિધાનસભાના છેલ્લા દિવસે કાયદામાં સુધારા અંગેનો ખરડો પસાર કરી નાખવાની ફરજ કેમ પડી? અને આવા સુધારાથી અમલમાં આવેલો કાયદો ‘પથ્થરકી લકીર’ બની ગયો ગણાય? તેના જવાબ મેળવતાં પહેલાં થોડું ફ્લેશબેક.

વિકાસના બે ચહેરા
વિવાદની શરૂઆત અમદાવાદના કાંકરિયા તળાવથી થઇ. સદીઓ જૂના કાંકરિયા તળાવનો આઘુનિક સમયમાં બે વાર ‘જીર્ણોદ્ધાર’ થયો છે. પહેલી વાર એ કામ આઝાદી પહેલાંના દાયકામાં થયું હતું. ત્યારે અમદાવાદના કોટ વિસ્તારથી દૂર રહેલા અને અવાવરૂ ગણાતા કાંકરિયા તળાવને ખરા અર્થમાં રળિયામણું બનાવનાર હતા ભાઇકાકા. વિદ્યાનગરના સ્થાપક તરીકે જાણીતા ભાઇકાકા (ભાઇલાલભાઇ પટેલ) અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચીફ એન્જિનિયર તરીકે જોડાયા, ત્યારે તેમણે કાંકરિયાની ફરતે પાળી અને રસ્તા બનાવ્યા. તેની નજીકમાં એક ટેકરી પર સરસ બગીચો બનાવ્યો અને કાંકરિયાને સપરિવાર હરવાફરવાનું સ્થળ બનાવી દીઘું.

ભાઇકાકાએ કરેલો વિકાસ પ્રજાલક્ષી હતો. તેના પરિણામે વખત જતાં કાંકરિયાની ફરતે ખાણીપીણીનું બજાર અને અસંખ્ય નાના રોજગાર ઉભા થયા. આજુબાજુ રહેતા સેંકડો લોકો માટે તે રોજીરોટી આપતું અને રૂપિયા ખર્ચ્યા વિના આનંદ લઇ શકાય એવું સ્થળ બન્યું. કાંકરિયાની પાળી પર કે બાંકડા પર અમીર-ગરીબના ભેદ ન હતા. તળાવની ઠંડક અને તેનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે ત્યાં બેસવું પણ જરૂરી નહીં. એ રસ્તેથી પસાર થવું પૂરતું હતું.

દાયકાઓ પછી અચાનક એક દિવસ સત્તાધીશોને વિચાર આવ્યો. તેમને થયું કે કાંકરિયા તળાવને ‘વિકસાવવું’ જોઇએ. નવા સત્તાધીશોમાં કોઇ ભાઇકાકા ન હતા. એમણે તો કુદરતી સૌંદર્ય ધરાવતા તળાવની ફરતે કોટ જેવી દિવાલો ને ઉંચા-ઉંચા જાળીદાર દરવાજા જડી દીધા. અંદર મનોરંજનના નામે એક ટ્રેન લાવી મૂકી. કુદરતી સૌંદર્યનું સ્થાન ભદ્દી, કૃત્રિમ ચમકદમકે લીઘું. કાંકરિયા તળાવની ફરતે આવેલાં અને લોકો માટે બંધાયેલાં તમામ મનોરંજનનાં સ્થળો ‘વિકાસ’ પછી દરવાજાની અંદર આવી ગયાં. તળાવ પર આટલો જુલમ ઓછો હોય તેમ, કાંકરિયાના સદીઓના ઇતિહાસમાં પહેલી વાર પ્રવેશ ફી દાખલ કરવામાં આવી. કેટલાક જાગ્રત નાગરિકોએ પ્રવેશ ફીનો વિરોધ કર્યો, ત્યારે સત્તાધીશોએ કારણ આપ્યું: ‘વિકસીત’ તળાવની જાળવણી પેટે!

સરકારી જમનો ભય

ખરેખર તો તળાવ પર બળાત્કાર કરવા માટે વહીવટી તંત્ર સામે દાવો માંડવાનું મન થાય એવી સ્થિતિ હતી. તેને બદલે, તંત્રએ સામેથી લોકો પાસે પ્રવેશફી પેટે રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું. માથાદીઠ દસ રૂપિયા. નાનાં બાળકો માટે પાંચ રૂપિયા.

સવાલ ફક્ત સૌંદર્યદૃષ્ટિનો ન હતો. નાગરિક તરીકેના અધિકારનો પણ પ્રશ્ન હતો. ‘સારી પબ્લિક’નો મોહ ધરાવતા લોકોએ ફીનો વિરોધ કરવાને બદલે તેને આવકાર આપ્યો અને વહીવટી તંત્રની લાગણીનો પડઘો પાડતાં કહ્યું,‘હવે ગમે તેવા (કાંકરિયાના સંદર્ભમાં: મુસ્લિમ અને ગરીબ) લોકોનું ન્યૂસન્સ દૂર થશે.’ કેટલાક લોકોએ ‘તળાવનો વિકાસ કર્યો છે, તો ફી આપવામાં કંઇ ખોટું નથી. પણ આટલી બધી ફી ન હોય.’ એવી દલીલ મૂકી અને થોડા એવા પણ નીકળ્યા જેમણે કહ્યું, ‘ફી કેવી ને વાત કેવી? તળાવ પ્રજાની માલિકીનું છે.’

કાંકરિયા મુક્તિ અભિયાન જેવા આંદોલનનો નાના પાયે આરંભ થયો. હાઇકોર્ટમાં કેસ પણ દાખલ થયો. દરમિયાન, પુરાતત્ત્વીય સ્થળોની આસપાસ અમુક વિસ્તારમાં બાંધકામ ન કરી શકાય એવા અદાલતી ચુકાદા પણ આવતા રહ્યા અને કાંકરિયા ફરતે કરેલા બાંધકામ તથા પ્રવેશ ફીના મુદ્દે વહીવટી તંત્રની સ્થિતિ નબળી બનાવતા રહ્યા. ડિસેમ્બર, ૨૦૦૯માં ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો કે કાંકરિયા પ્રવેશ ફીમાંથી મળતી રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાપરવી નહીં. તેનું અલગ ખાતું ખોલાવીને રકમ અલગ રાખવી અને અદાલતની પૂર્વમંજૂરી વિના એ રકમ વાપરવી નહીં.

કાંકરિયા પર જે રીતે વહીવટી તંત્રએ કબજો જમાવી દીધો, એ જોઇને અરૂંધતિ રોયનું તીખું નિરીક્ષણ યાદ આવે છે. છત્તીસગઢના આદિવાસીઓ વિશે વાત કરતાં તેમણે લખ્યું હતું, ‘ભારત આઝાદ થયું એટલે લોકોની સંપત્તિ બારોબાર સરકારની માલિકીની થઇ ગઇ.’ તેમાં દાંતેવાડાનું જંગલ પણ આવી જાય ને અમદાવાદનું કાંકરિયા તળાવ પણ બાકી નહીં. અલબત્ત, જંગલની જેમ તળાવ જીવનમરણનો સવાલ ન હતું. પણ સવાલ સરકારી જમ ઘર ભાળી જાય તેનો હતો.

વિરોધનો વહીવટ
કાંકરિયાની પ્રવેશ ફી સામે સૌથી પહેલો વિરોધ તળાવ ફરતે નિયમિત મોર્નંિગ વોક કરનારા લોકોનો હતો. સમૃદ્ધ અને બોલકા વર્ગના આ મોર્નંિગ વોકરોને સવારે મફત પ્રવેશ આપીને મનાવી લેવામાં આવ્યા. ત્યાર પછી બાકી રહેલા વિરોધ કરનારાનું વહીવટી તંત્ર કે સમાજને મન કશું વજૂદ ન હતું. કેમ કે, તેમનો અવાજ તો ઠીક, તેમનું અસ્તિત્ત્વ ગણકારવાની પણ કોઇને પરવા ન હતી.

બાકી રહ્યો કાયદો. મ્યુનિસિપાલિટીની સત્તા અંગેના કાયદામાં (ધ બોમ્બે પ્રોવિનિશ્યલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ) મ્યુનિસિપાલિટી પ્રવેશફી ઉઘરાવી શકે એવી કોઇ જોગવાઇ ન હતી. બીજી તરફ, કાંકરિયા પ્રવેશ ફીની સામે અદાલતમાં કેસ ઉભો હતો. એટલે, કાયદાના મોરચે નિશ્ચિંત થવા માટે સરકારે વિરોધના મૂળમાં પ્રહાર કરવાનું નક્કી કર્યું. અદાલતો ચુકાદો શાના આધારે આપે?
કાયદાના આધારે.
કાયદો કોણ બનાવે? તેમાં ફેરફાર કોણ કરી શકે?
ચૂંટાયેલા વિધાનસભ્યોની સરકાર.
તો બીજી લમણાંઝીંક મૂકીને કાયદો મરોડી નાખવાનું સહેલું ન પડે?

એ જ પ્રમાણે થયું. વિધાનસભામાં બહુમતિ ધરાવતી સરકારે, ‘ધ બોમ્બે પ્રોવિનિશ્યલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ’માં ‘ગુજરાત એમેન્ડમેન્ટ’ તરીકે ઓળખાતો સુધારો ૩૦ માર્ચ, ૨૦૧૦ના રોજ પસાર કરી દીધો. ૧ જાન્યુઆરી, ૨૦૦૯થી પ્રવેશ ફીની શરૂઆત થઇ હતી, એટલે કાયદાનો સુધારો પણ ૧ જાન્યુઆરી, ૨૦૦૯ની પશ્ચાદવર્તી અસરથી લાગુ પાડવામાં આવ્યો. સુધારો પસાર થઇ ગયા પછી એક ભાજપી મહિલા વિધાનસભ્યએ ગૃહમાં કહ્યું પણ ખરૂં કે ‘અસામાજિક તત્ત્વો કાંકરિયાની પાળે અડ્ડો જમાવીને બેસી રહેતા હતા...(પ્રવેશ ફી લાગુ કર્યા પછી) ‘અમે પાંચ, અમારા પચીસ’ની (મુસ્લિમોની) કાંકરિયા પાસે ભીડ રહેતી નથી.’ વિધાનસભામાં આ ભાષા વપરાય ત્યારે ગૃહની ગરીમાની ચિંતા સેવનારા શું કરતા હશે, એવો સવાલ સહજપણે થાય.

પ્રવેશ ફીના ટેકામાં વહીવટી તંત્ર તરફથી થયેલી રજૂઆતમાં જણાવાયું કે કાંકરિયાને વિકસાવવા માટે રૂ.૨૮.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ૫૭ લાખ લોકોએ તેમાં પ્રવેશ લીધો છે અને ટ્રેનની ફી સહિત રૂ. ૬.૮૬ કરોડની આવક થઇ છે. એટલે પ્રવેશ ફી લોકોને પરવડતી નથી એમ કહેવું ઉચિત નથી.’ આ દલીલ આગળ વધારીને એવું પણ કહી શકાય કે ‘મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી કારની કિંમત પચીસ લાખથી પાંચ કરોડ સુધીની હોવા છતાં, ૨૦૦૯ના વર્ષમાં ૩,૬૧૯ બીએમડબલ્યુ અને ૩,૨૪૭ મર્સિડીઝ કાર વેચાઇ હતી. એટલે મર્સિડીઝ-બીએમડબલ્યુ લોકોને પરવડતી નથી એમ કહેવું ઉચિત નથી!’ મુદ્દો એ છે કે ‘લોકો’ની વાત થાય ત્યારે વાત કરનારના મનમાં કયા લોકો હોય છે? કાંકરિયાની ફી પોસાય એવા લોકોની વાત કરતી વખતે, ફી પોસાતી ન હોય એવા લોકોનું અસ્તિત્ત્વ ભૂલી જવું, એ ‘લોક’શાહીની નવી સ્ટાઇલ છે.

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલો સુધારો હવે ફક્ત કાંકરિયાને કે અમદાવાદ પૂરતો મર્યાદિત નથી. તેના જોરે ગુજરાતભરનાં સ્થાનિક વહીવટી તંત્રોને જાહેર સ્થળો પર પ્રવેશ ફી ઉઘરાવવાનો કાયદેસર હક મળી ગયો છે. કોઇ પણ પ્રવૃત્તિને પડકારવા માટે તેનું ગેરકાયદે હોવું જરૂરી છે, પણ ખુદ કાયદો જ ‘ગેરકાયદે’ હોય ત્યારે શું થાય?

કાયદો ઊંચો, બંધારણ સર્વોચ્ચ
ટેકનિકલ રીતે કાયદો કદી ‘ગેરકાયદેસર’ હોઇ શકે નહીં. સામાન્ય માન્યતા એવી છે કે કાયદો એટલે સર્વોપરી. કાયદો એટલે છેલ્લો શબ્દ. એની ઉપર કશું હોઇ શકે નહીં. પણ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ ફીના મુદ્દે જે બન્યું, તે બીજાં રાજ્યોમાં કે દેશની સંસદમાં પણ ન બની શકે? બહુમતિ સાંસદો પોતાની સંખ્યાના જોરે સાવ પ્રજાવિરોધી નિર્ણયોને કાયદાનું સ્વરૂપ આપીને લોકો પર લાદે તો? પ્રજાએ હાથ જોડીને ‘આ તો કાયદો છે. કાયદા આગળ આપણે લાચાર!’ એમ વિચારીને બેસી રહેવાનું?

ના. કાયદો સર્વોપરી ખરો, પણ તે ભારતના બંધારણ કરતાં ચડિયાતો કે તેનાથી ઉપર નથી. કાયદો બંધારણને આધીન કામ કરે છે. બંધારણના મૂળભૂત હાર્દનો ભંગ થાય એવું કંઇ પણ બે તૃતિયાંશ બહુમતિથી પસાર કરી દેવામાં આવે, એટલે તે અફર કાયદો બની જતું નથી. એ સંજોગોમાં અદાલતો ફક્ત કાયદાના અર્થઘટનનું જ નહીં, બંધારણના અર્થઘટનનું પણ કામ કરે છે અને કાયદો બંધારણના હાર્દનો ભંગ કરે છે કે નહીં, એનો પણ ફેંસલો કરે છે.

ત્રણ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વાય.કે.સબરવાલ સહિત નવ ન્યાયાધીશોની બનેલી બેન્ચે સર્વસંમતિથી ચુકાદો આપતાં કહ્યું હતું કે સરકારે પસાર કરેલા છતાં નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરતા કાયદાની સમીક્ષ કરવાની અદાલતને સત્તા છે. બેન્ચે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ‘બંધારણના મૂળભૂત માળખા સાથે સુસંગત ન હોય એવો કોઇ પણ કાયદો અદાલત રદબાતલ ઠેરવી શકે છે..’
કાંકરિયા પ્રવેશ ફી જેવા અદાલતમાં ચાલતા કેસનો ફેંસલો આવે તે પહેલાં જ સરકાર કાયદો બદલી નાખે, એ પણ બંધારણ સાથે કેટલું સુસંગત કહેવાય?

જવાબ મેળવવા માટે સવાલ તો પૂછવો પડે કે નહીં?

8 comments:

  1. thanks.... praja ma j locha chhe...
    mane yaad chhe andolan vakhate amuk loko na reactions...
    ava DESHPREM na bhram saathe vaat karta loko kharekhar to DESHDROHI kahevaay... apda kay'da - constitution banne rite...

    ReplyDelete
  2. પહેલા અવાજ ઉઠાવવો અને પછી ડાહ્યા ડમરા થઇ શાંત થઇ જવાની લોકોની આદત થઇ ગઈ છે.. આથી જ તો આપે છે હવા ખાવાના ૧૦ રૂપિયા..

    ReplyDelete
  3. Anonymous1:10:00 PM

    khubaj saras...thnk u...
    bandharan ne kardani khabar nathi pan aa vishay par ganbhirtathi kai karvu anivarya che....javab to medavavoj rahyo....ladvu to padshej nitar badhaj jaher sthado samanya manas mate bandh thaijashe....

    ReplyDelete
  4. Lajja Sambhavnath2:26:00 PM

    I got this link from Ashish Kakkad's FB wall. Very true... Urvishbhai..any thought of development should have 'the citizens' at the centre of its concept. The cost incurred for this development is in any case from the tax paid by the citizen... so why the entry fee.
    As for the case of kankaria... either ways.. the so called high profile people who can afford the entry fee at kankaria will on any day prefer to go to the so called elite Rajpath club than come to a simple humble place like kankaria. the sad part it now the poor and the lower class of the society got robbed off thier place of outing with the introduction of the entry fee at kankaria.

    ReplyDelete
  5. Well conceived n well written piece. Thanks for bringing this to discussion. The law has become the kept of law-makers. Its always enacted for the wrong reasons.
    1. If you can't communicate the importance of an issue, say road safety-helmets-driving rules; make a law & punish them!
    2. If you have a smart political strategy, make a law to suit your power game. Like, to support your neo-liberal policies you need justification? Make voting compulsory. (because urban elites otherwise don't vote)
    3. If you want to help corporate companies and land sharks (for your legitimate cut-backs), bring ammendments to law; free agricultural lands and allow SEZs to acquire lands from Govt n villagers.
    4. If you want to further your communal ideology, make a law against religious conversion.

    Perticularly in Guj, Modi thinks he is not above the law; he is THE law!
    - Kiran Trivedi

    ReplyDelete
  6. Jabir A. Mansuri4:25:00 PM

    My cousin Advocate at HC with his friend were trying to helping from an apartment demolished due to earthquaqe (2001) somewhere in Jivraj Park. They both were were wearing traditional Muslim formal dress with cap. The faces he red on quake-victims narrated with emotion of harmony (sound legacy) of co-existence. He narrated this experience to another High Court colleague who narrated that out of harmony clash of civilization led market of fascism and cycle of 2002-pogrom to be maseehah of polarized society gifted by the then Congress-fulled leadership who developed Don out of tea-boy of a gambling den. Political elite of Congress & BJP both are hand-in-gloves for dividing Ahmedabad and Gujarat society. Industrialists in new area are not worried about Muslim Rickshaw driver but their industries are suffering due to absence of technical menpower.

    ReplyDelete
  7. કલ્પેશ સથવારા2:34:00 PM

    આપણી સરકાર ની માનસીકતા દલા તરવાડી જેવી છે. વાડી રે વાડી બે ચાર રીંગણા લઊ ની જેમ સરકાર અનીતિ આચરી ને પછી પોતાની વાત ને Justification આપવા બંધારણના પાયા માં બે – ત્રુત્યાંસ બહુમતિની કુહાડી મારે છે.

    ReplyDelete
  8. Dear Urvishbhai,

    I agree with you that there should not be entry fees for public place like Kankaria. But we have no choice.

    We, Indian (including ME) are basically socially-irresponsible mass. This includes all , irrespective of caste, creed, education-level or income-level. Just visit any public park at 10PM on any Sunday. Despite a lot of dust-bins are place all around, you will find garbage like pieces of news-papers, plastic bags etc. every where. The entry fees at Kankaria at-least restrict the repeating users and also provides necessary funds to the administration for keeping the place clean. Unfortunately, we want everything without paying its price or taking any any responsibility.

    We require to be more responsible in our social behaviour.

    ReplyDelete