Thursday, December 11, 2008

ત્રાસવાદનો સામનો કેવી રીતે ન કરવો?

‘અફઝલ ગુરૂને ફાંસી અપાવી જ જોઇએ- સંસદ પર હુમલો કરવા બદલ નહીં, એ હુમલામાં નિષ્ફળ જવા બદલ!’

ગયા અઠવાડિયે મળેલા આ ‘સેલ-સંદેશ’ (એસએમએસ) પરથી થોડો અંદાજ આવી શકે છે કે મુંબઇ પરનો હુમલો સંસદ પરના હુમલા કરતાં વધારે ગંભીર કેમ ગણાયો. નેતાઓ પ્રત્યેના રોષ અને ‘મૂઆ મરતા!’ જેવા ડોશી-ઉદ્ગાર ઉપરાંત, એક કારણ એ પણ ખરૂં કે સંસદમાં બૌદ્ધિકો અને શેઠિયાઓ જલસાપટ્ટી કરવા જતા નથી, જ્યારે તાજ-ઓબેરોય ‘એમના’ અડ્ડા છે. એવા અડ્ડા, જ્યાં ભૂતકાળના ભયંકર ત્રાસવાદીઓ હુમલાઓ વખતે એમના રંગમાં ભંગ પડ્યો ન હતો. એ અડ્ડાના બહુમતિ બંધાણીઓ પોતાની મસ્તીમાં મસ્ત હતા.

‘દુનિયા એટલે અમેરિકા’ એવું માનતા જ્યોર્જ બુશ જુનિયરને જેમ ૯/૧૧ પછી બાકીના જગતના અસ્તિત્ત્વ વિશે ભાન થયું, એવું જ કંઇક તાજ-ઓબેરોયની ઘણીખરી ખાસજનતાના કિસ્સામાં બન્યું. એ લોકો માટે આ વખતનો ત્રાસવાદી હુમલો કોફી કે શરાબની ચુસ્કીઓ ભરતાં ભરતાં રસિક ચર્ચા કરવાનો મુદ્દો ન રહ્યો. કારણ કે એમાં ખાસજનતાના ઓળખીતા-સ્નેહી-પરિચિતો અસરગ્રસ્ત હતા. ત્રાસવાદના રક્તનો રેલો એમના પગ તળે પહેલી વાર આવ્યો અને એ છળી ઉઠ્યા.

‘દેશ’ એટલું શું? અથવા ‘દેશ એટલે કોણ?’ એ હજુ સુધી ન સમજ્યા હોય એવા લોકો માટે ત્રાસવાદી હુમલાએ જ્ઞાનનાં દ્વાર ખોલી આપ્યાં છે. સંખ્યાની રીતે અણુમતિ અને પ્રભાવની રીતે પ્રચંડ બહુમતિ ધરાવતા વર્ગને પહોંચેલી ચોટથી આખો દેશ આંદોલિત થઇ ઉઠ્યો છે. સર્વત્ર ત્રાસવાદના મુકાબલાની વાતો ચાલે છે.

સૌ પહેલાં લોકોનો ગુસ્સો (વાજબી રીતે) નેતાઓ પર ઉતર્યો. મુંબઇ પર આટલા ગંભીર હુમલા પછી મુખ્ય મંત્રી બદલવામાં અઠવાડિયું કાઢી નાખનાર કોંગ્રેસ કયા મોઢે નિર્ણયાત્મક બનવાની વાતો કરી શકે? અને સામાન્ય બુદ્ધિ ધરાવતો કયો માણસ તેનો ભરોસો કરે? ત્રાસવાદી હુમલા પછી મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમે કોંગ્રેસ માટે ઢાંકણીમાં - કે અરબી સમુદ્રમાં- ડૂબી મરવું પડે એવી સ્થિતિ ઊભી કરી છે.

ભાજપ કોંગ્રેસનું પ્રગટપણે કોમવાદી અડધીયું છે. કોંગ્રેસનો કોમવાદ એના હાડમાં- એની નસોમાં છે, ને ભાજપનો શરીર પર ચાઠાં-ઢીમણાં-ફોલ્લા-ખરજવા સ્વરૂપે. કોંગ્રેસ કોમવાદ છુપાવીને મતો માગે છે અને ભાજપ કોમવાદ વકરાવીને. એ સિવાય બન્ને વચ્ચે ભાગ્યે જ કશો તફાવત રહ્યો છે. આ સ્થિતિમાં આમ અને ખાસ- તમામ પ્રકારની જનતાને ત્રાસવાદનો મુકાબલો કરવાના અનેક તુક્કા સૂઝે છે. પોતાનો તુક્કો દરેકને તીર લાગે. એમાં વિચારધારા કે વ્યક્તિપૂજાનો રંગ ભળે તો ખાસ. ભક્ત સંગઠનો અને ભક્તવિશેષો આવી વખતે સક્રિય બનીને પોતપોતાના આરાઘ્ય પુરૂષ (કે સ્ત્રી)ને ‘આશાનું એકમાત્ર કિરણ’ ગણાવીને તેમનું બેશરમ માર્કેટિંગ કરવા મચી પડે છે. આવા ‘સેલ્સપર્સનથી સાવધાન’નું પાટિયું ગળામાં લટકાવીને, ત્રાસવાદના મુકાબલા માટે ચર્ચાતા કેટલાક વિકલ્પો જોઇએ.

પાકિસ્તાન પર હુમલો
તત્કાળ તાળીઓ મેળવી આપનારો વિકલ્પ છેઃ પાકિસ્તાન પર આક્રમણ. ‘આવું ક્યાં સુધી ચલાવી લેવાનું? એના કરતાં એક વાર ધડબડાટી બોલાવી દો. એટલે કાયમની નિરાંત.’ એવું આ વિકલ્પ સૂચવનારા કહે છે. પાકિસ્તાનનાં લક્ષણ અવળાં છે એ હકીકત છે. દાઉદથી માંડીને બીજા અનેક ભારતવિરોધી ગુંડાઓને તે આશરો, મદદ અને કદાચ સોપારી પણ આપતું હોય તો કહેવાય નહીં. પરંપરાગત રીતે ભારતદ્વેષ એ પાકિસ્તાનના રાજકારણનું મુખ્ય હથિયાર રહ્યું છે. છતાં, શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ જેવા આદર્શની વાત ન છેડીએ તો પણ, વ્યૂહાત્મક દૃષ્ટિએ પાકિસ્તાન પર ભારતનું આક્રમણ લાગે છે એટલો સહેલો અને એવો અસરકારક વિકલ્પ નથી.

ભારત ધારો કે પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદી કેમ્પ પર હવાઇ આક્રમણ કરે તો આંતરરાષ્ટ્રિય સ્તરે તેની પ્રતિક્રિયા ગંભીર આવે. અમેરિકા પણ લાંબા સમય સુધી આંખ આડા કાન કરી ન શકે. ધારો કે ભારત અમેરિકા અને ‘મિત્ર રાષ્ટ્રો’ને પોતાની સાથે રહેવા સમજાવી શકે, તો પણ પાકિસ્તાનને થોડોઘણો પાઠ ભણાવી શકાય- ત્રાસવાદીઓને નહીં.

પાકિસ્તાન ત્રાસવાદીઓને આશરો આપે છે, પણ ‘ત્રાસવાદીઓ એટલે પાકિસ્તાન’ એ સમીકરણ ભૂલભરેલું છે. ‘ઇસ્લામનાં વિકૃત અને સગવડીયાં અર્થઘટન કરીને ત્રાસવાદ ફેલાવનારા લોકો પાકિસ્તાનના કોઇ એક ઠેકાણેથી સઘળો દોરીસંચાર કરે છે ને એ ઠેકાણા પર ધડબડાટી બોલાવીશું, એટલે સૌ સારાં વાનાં થશે’ એવા ખ્યાલમાં રાચવાની જરૂર નથી. આ ત્રાસવાદીઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાનથી માંડીને સોમાલિયા, નાઇજિરીયા, ઇન્ડોનેશિયા સહિત કેટલાય દેશોમાં થાણાં ધરાવે છે અથવા ત્યાં પગદંડો ધરાવતાં જૂથો સાથે સહયોગ સાધી શકે છે.

પાકિસ્તાન પર પૂરા કદના આક્રમણનું સ્વપ્ન આત્મઘાતી વિચાર છે. કારણ કે ભારત અણુશસ્ત્રોનો પ્રથમ પ્રયોગ નહીં કરવા માટે બંધાયેલું છે, જ્યારે પાકિસ્તાને એવું કોઇ બંધન સ્વીકાર્યું નથી. (ચીન એવા બંધનમાં હોવા છતાં એને ગમે ત્યારે ફગાવી શકે છે એ જુદી વાત થઇ.) ભાજપી-સંઘી વિચારધારાના લોકોના મનભાવન સ્વપ્ન તરીકે, પાકિસ્તાન પર અણુહુમલો કરીને ભારત તેને સાવ ખતમ કરી નાખે, એવો વિકલ્પ દિલબહેલાવ માટે ઠીક છે, પણ એવું કર્યા પછી આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતની કેવી દશા થાય એ વિચારવું જોઇએ.

અમેરિકાના દબાણથી ધારો કે પાકિસ્તાન ચુમાઇને બેસી રહે અને ભારત તેના ચુનંદા વિસ્તારો પર હુમલા કરે, તો તેનાથી પાકિસ્તાનમાં આંતરિક અસંતોષ એટલી હદે ફાટી નીકળે કે દેશનો પૂરેપૂરો દોર સૈન્ય અને આઇએસઆઇમાં રહેલાં ઝનૂની તત્ત્વોના હાથમાં જતો રહે. અમેરિકા પાકિસ્તાનને દબાવે, તેને ટેકો આપે અને પાકિસ્તાન ખુદ ઘરઆંગણે પથારા પાથરીને બેઠેલા ત્રાસવાદીઓનો સફાયો શરૂ કરે, એ સૌથી ઇચ્છનીય અને પરસ્પર હિતનો વિકલ્પ છે. ૯/૧૧ના હુમલા પછી મુશર્રફને એ રસ્તે ચાલવાની ફરજ પડી હતી. છતાં, આગળ કહ્યું તેમ, એ રસ્તે સફળતા ઓછી અને ‘કંઇક કર્યાનો સંતોષ’ વધારે પ્રમાણમાં મળે છે.

કરવાનાં અને ન કરવાનાં કામ
ગુપ્તચર એજન્સીઓની સજ્જતાથી માંડીને સુરક્ષા માટેનો ખર્ચ વધારવા સહિતના અનેક ઉપાયો સૂચવાઇ રહ્યા છે. એની ચર્ચામાં ટેકનિકલ અને વહીવટી સહિતનાં અનેક પાસાં સંકળાયેલાં હોવાથી, તેમને બાજુ પર રાખીને પ્રજા તરીકે આપણે ત્રાસવાદના મુકાબલાના નામે શું ન કરવું, એટલું અવશ્ય વિચારી શકીએ.

‘ઇસ્લામી ત્રાસવાદની સામે હિંદુ ત્રાસવાદ’ના સામસામા છેદ ઉડાડવામાં સાર નથી. કટ્ટર ઇસ્લામ કે કટ્ટર હિંદુત્વ ત્રાસવાદ માટેની પ્રેરણા હોઇ શકે છે. એટલા પૂરતું તેને ‘ઇસ્લામી ત્રાસવાદ’ કે ‘હિંદુ ત્રાસવાદ’નું લેબલ મારવામાં આવે એ યોગ્ય ન હોય તો પણ સ્વાભાવિક છે. પણ આપણી નિસબત અને વાંધો ઇસ્લામી કે હિંદુ ત્રાસવાદના પરિણામ સામે છે. ત્રાસવાદી કૃત્ય પાછળનું પ્રેરણાબળ હિંદુ હોય કે મુસ્લિમ, પણ ત્રાસવાદી કૃત્યનું પરિણામ માત્ર ને માત્ર ગંભીર ગુનો જ બને છે. તેને મુસ્લિમનો ગુનો કે હિંદુનો ગુનો લેખવાને બદલે ફક્ત ગંભીર ગુનો લેખીને યથાયોગ્ય સજા થવી જોઇએ.

સાઘ્વી પ્રજ્ઞાના કિસ્સામાં કેટલાક ઉત્સાહીઓએ શોધી કાઢ્યું કે ‘સાઘ્વી પર પોલીસે અત્યાચાર કર્યા ત્યારે દંભી સેક્યુલર કર્મશીલો ચૂપ રહ્યા.’ મુસ્લિમ ત્રાસવાદ સામે હિંદુ ત્રાસવાદને ‘૧ ગ્રામ સામે ૧ ટન’ના માપથી પણ ઓળખાવવામાં આવ્યો. ત્રાસવાદ માટે શબ્દાર્થમાં જુદાં જુદાં કાટલાં અને એ પણ તટસ્થતાના નામે!

સાઘ્વી પર પૂછપરછના નામે થતો અત્યાચાર બીજા અનેક મુસ્લિમો પર વારંવાર થતા એ જ પ્રકારના અત્યાચાર જેટલો જ ખરાબ અને વખોડવાને પાત્ર છે. ફરક એટલો કે સાઘ્વી પરનો કથિત અત્યાચાર વખોડવા ભાજપ-સંઘનું તંત્ર હાજરાહજૂર હતું, જ્યારે મુસ્લિમ શકમંદો પર અત્યાચાર થાય ત્યારે ‘દંભી સેક્યુલર કર્મશીલો’ તરીકે ગાળ ખાતા લોકો સિવાય બીજું કોઇ આગળ આવતું નથી. એટલા જુસ્સાથી તો નહીં જ.

પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ કાગારોળ મચાવનાર ભાજપી નેતાઓના ૧ ટન દંભને નજરઅંદાજ કરીને કે સહેજસાજ ટપારીને, કર્મશીલોના ‘દંભ’ પર ઝનૂનપૂર્વક તૂટી પડનારા હુમલાખોરોને શું કહીશું? પણ જવા દો. એમનું નામ પાડવામાં વખત બગાડવા જેવો નથી. એ આપણી પ્રાથમિકતા પણ નથી.

ત્રાસવાદના મુકાબલા માટે - અને શું ન કરવું જોઇએ એ માટે પણ- આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ હોય એ જરૂરી છે. આપણી પ્રાથમિકતા ત્રાસવાદને લગતી દરેક સમસ્યા માટે ‘સેક્યુલર કર્મશીલો’ને ઝૂડ્યા કરવાની છે કે કોઇ પણ પ્રકારના ત્રાસવાદને ગંભીર ગુનો ગણીને તેની સામે યથાયોગ્ય-ઝડપી અને અસરકારક કાનૂની કાર્યવાહી કરવાની છે?

આપણી પ્રાથમિકતા ત્રાસવાદવિરોધી કાયદાનાં ગાજર લટકાવતા નેતાઓ પાછળ લાળ ટપકાવીને દોરાતા જવાની છે? કે ત્રાસવાદી હુમલાનાં નવાં ઠેકાણાં- નવી ગંગોત્રીઓ પેદા ન થાય અને સામાન્ય મુસ્લિમો કાયમી શકમંદ તરીકે વઘુ ને વઘુ હાંસિયામાં ન ધકેલાતા જાય એ જોવાની છે?

બિનસાંપ્રદાયિક કે સાંપ્રદાયિક, દંભી કે બિનદંભી, હિંદુ કે મુસ્લિમ, કોઇ પણ વ્યક્તિ આ દેશના કાયદાથી ઉપર નથી, એ સત્ય વારંવાર ધૂંટવાની જરૂર છે? કે આ બધા વચ્ચે વહાલાંદવલાંનાં ખેલ ખેલીને, ત્રાસવાદીઓ કરતાં વધારે અસરકારક રીતે દેશના ટુકડા થઇ રહ્યા છે, એ પ્રક્રિયાને અટકાવવાની જરૂર છે?

સૌએ બીજાને જવાબ આપતાં પહેલાં કે બીજાનો જવાબ માગતાં પહેલાં, પોતાની જાતને જ જવાબ આપવાની જરૂર છે.

3 comments:

  1. Anonymous6:12:00 PM

    મુંબઈ પરનાં આતંકી હૂમલા બાદનાં અત્યાર સુધી મેં વાંચેલા તમામ લેખોમાં સૌથી પ્રમાણિક અને તટસ્થ લેખ...અભિનંદન

    ReplyDelete
  2. Anonymous9:44:00 PM

    તમારા આ લેખમાં દેશભક્તીની સુગન્ધ નથી અનુભવાતી...

    આપણી પ્રાથમીક્તા છે: ફરી આવા હુમલા ના થાય એ.

    ReplyDelete
  3. Anonymous10:21:00 AM

    મઝા ના આવી. લાગે છે દેશવાસીઓને કાયરતાના પાઠ શીખવાડવા માટે આ લેખ લખ્યો લાગે છે.
    જો અમેરિકા, બ્રિટન, ઇઝરાયેલ જેવા દેશો પોતાના સાર્વભૌમત્ત્વની રક્ષા માટે કોઇ પણ દેશ પર હૂમલો કરી શકતા હોય તો ભારત શા માટે પોતાની રક્ષા ના કરી શકે? ડરી ડરીને ક્યાં સુધી જીવે રાખવાનું? ચમત્કાર વગર નમસ્કાર ના હોય.... એક વખત લાલ આંખ કરી હોય તો બીજી વખત આવું કરતા પહેલા કોઇ વિચાર તો કરે...

    ReplyDelete