Tuesday, December 02, 2008

અશ્વિની ભટ્ટ અમદાવાદમાં: સૂડી, સોપારી અને સીકેકે

ખરેખર મથાળું એવું હોવું જોઇએઃ હાથે લખેલાં કાગળ-પુસ્તકોની મોટી બેગ સાથે અશ્વિની ભટ્ટ અમદાવાદમાં. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સજોડે અમદાવાદ આવી પહોંચેલા અશ્વિનીભાઇને આજે બે કલાક માટે મળવાનું થયું. અશ્વિનીભાઇને રોજ મળતા હોઇએ, તો પણ વાતો ખૂટે નહીં. આ તો ઘણા વખતે મળવાનું થયું. એમની સાથે થયેલી અને ‘શેર’ કરવાલાયક કેટલીક અગત્યની વાતોઃ
  • અશ્વિનીભાઇને આ બ્લોગમાં બહુ રસ પડ્યો છે. વાતચીતમાં ત્રણ-ચાર વાર તેમણે વચ્ચે વચ્ચે બ્લોગને યાદ કર્યો. હું એમને મળવા પહોંચ્યો એટલે દરવાજામાં જ એમણે કહ્યું, ‘તુ અંદર આવ. હું કહીશ તો તું માનીશ નહીં.’ અંદર જઇને જોયું, તો ‘પ્રિય ઉર્વીશ’ના સંબોધન સાથે હાથે લખેલાં ત્રણ પાનાં હતાં. એક પાનું અઘૂરૂં હતું. એ કહે,‘તારા બ્લોગમાં મઝા પડે છે. મારે તને બે-ત્રણ વસ્તુ બ્લોગ માટે લખીને આપવી છે. એમાં એક તો મારી એર ઇન્ડિયાની મુસાફરીનો હાસ્યલેખ.’ દલાસથી ન્યૂ જર્સી-લંડન-અમદાવાદની યાત્રાના અનુભવોનું ટ્રેલર તેમણે આપ્યું. ટૂંક સમયમાં અશ્વિની ભટ્ટ સ્પેશ્યલ સેન્સ ઓફ હ્યુમર સાથે લખાયેલા એ અનુભવો આ બ્લોગ પર મુકવા આપવાના છે.

  • ત્રાસવાદની થીમ ધરાવતી તેમની નવી નવલકથાનાં સાત પ્રકરણ લખાઇ ગયાં છે. એની થોડી વાત થઇ. તેમાં વિશેષ રસની વાત એ છે કે હીરોઇન દલિત આઇપીએસ સ્ત્રી છે. - અશ્વિનીભાઇ પાસે પ્લોટનો તોટો કદી હોતો જ નથી. એટલે તે એક પુસ્તક એવું બનાવવાનું વિચારે છે, જેમાં ફક્ત નવલકથાના પ્લોટ જ હોય. ‘નવલકથા કેવી રીતે લખવી?’ એવું કંઇક ટાઇટલ અને અશ્વિની ભટ્ટનું નામ હોય તથા એનું યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે, તો એ પુસ્તક તેમની કોઇ પણ નવલકથા જેટલું કે એનાથી પણ વધારે વેચાય અને ઉપયોગી બને.
  • આ મુલાકાતમાં અશ્વિનીભાઇ ઘણું અપ્રગટ સાહિત્ય, ખાસ કરીને તેમની લખેલી ટૂંકી વાર્તાઓ, નાટકો અને જૂના અનુવાદો પ્રકાશિત કરવા ધારે છે. એ બઘું કામ પૂરૂં થાય એ માટે ‘અમેરિકાથી સીંગલ ટિકીટ લઇને આવ્યો છું’ એવું એ કહે છે.
  • અશ્વિનીભાઇ આપણને હેમખેમ મળી શક્યા, એ માટે નીતિભાભી અને તેમના પુત્ર નીલ-કવિતા પરિવાર ઉપરાંત અમેરિકાની તબીબી સેવાઓનો પણ આભાર માનવો પડે. અમેરિકામાં એક તબક્કે સામાન્ય રીતે બોલતાચાલતા અશ્વિનીભાઇના હૃદયના ધબકારા ઘટીને (૧ મિનીટના) ૬ જેટલા થઇ ગયા અને નીતિભાભીના કહેવા પ્રમાણે, ૧૨ સેકંડ સુધી હૃદય બંધ પડી ગયું હતું. પણ આપણું અશ્વિનીભાઇ સાથે લેણું ઓછું છે? એટલે એ ઉગરી ગયા અને હવે મોહનથાળનાં ચકતાંની સાથે રોટલી પર ઘીની ટોયલી ઊંધી રેડીને, એમના રાબેતા મુજબના મિજાજમાં આવી ગયા છે.
  • અમદાવાદ અશ્વિનીભાઇને બહુ બદલાઇ ગયેલું લાગે છે. હવે પછી એ અમદાવાદ સ્થાયી થવાને બદલે ક્યાંક બહાર રહેવા માગે છે. અગાઉ એકથી વઘુ વાર એમણે મારી પાસે મહેમદાવાદની પણ તપાસ કરાવી હતી. અશ્વિનીભાઇ મેગાસીટી બન્યા પહેલાંના જૂના અમદાવાદની ફ્લેવર ધરાવતા જીવ છેઃ વાતરસીયા, સમયની પાબંદી વગરના, શિસ્તભંગપ્રેમી અને વધારામાં સાચી આત્મીયતાથી છલકાતા. અમદાવાદી કંજૂસી તો નહીં, પણ જૂના જમાનાની વાજબી કરકસર એમનામાં સચવાઇ રહી છે. એટલે અમદાવાદ આવ્યા પછી લખવાનું પાટિયું લેવા દુકાને ગયા અને બહેને ૫૭ રૂપિયાનું પાટિયું બતાવ્યું એટલે અશ્વિનીભાઇ ઉવાચ,‘મુકી દો બહેન પાછું. આટલા મોંઘા પાટિયા પર લખીએ તો પેન ઓગળી જાય.’ પછી કહે,‘આટલા મોંઘા પાટિયા પર લખતી વખતે એવા વિચારો જ આવે કે ‘જે લખીએ છીએ એમાંથી ૫૭ રૂપિયા નીકળશે?’
  • ‘આરપાર’માં ‘આક્રોશ અને આકાંક્ષા’ સિરીઝ લખ્યા પછી અશ્વિનીભાઇ અમુક મિત્રોમાં ચર્ચાને અને અમુક બાબતે- અમુક હદે ટીકાને પાત્ર બન્યા હતા. આ વખતે બીજા જ સંદર્ભે તેમણે કહ્યું,‘અમેરિકામાં મેં કુરાનનો ચાર મહિના સુધી ઉંડો અભ્યાસ કર્યો. તેની મર્યાદાઓ અને ખાસિયતો જાણી. મુસ્લિમોએ જ લખેલાં કુરાન વિશેનાં પુસ્તકો વાંચ્યાં. ત્યાર પછી હું તારા બ્લોગ માટે અંગ્રેજીમાં લખવા બેઠો કે અત્યારની સ્થિતિમાં આપણે શું કરી શકીએ? લેખનું મથાળું મેં રાખ્યું હતું, ‘વીચ વે લાઇઝ હોપ’. વર્ષો પહેલાં રીચાર્ડ ગ્રેગ નામના માણસે આ મથાળું ધરાવતા પુસ્તકમાં જુદાં જુદાં ‘ઇઝમ’ની ચર્ચા કરીને છેવટે એવું કહ્યું હતું કે ‘ગાંધીના રસ્તે જ આશા છે.’ હું લખવા તો બેઠો, પણ પછી એ લખાણ ખાસ્સું લાંબું થઇ ગયું એટલે હવે તને તો આપીશ, પણ એવો વિચાર છે કે એની બુકલેટ પણ છપાવું.’ અશ્વિનીભાઇએ કહ્યું કે ‘આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાની વાત નથી અને રીટાલીએટ થવાની પણ વાત નથી. રીટાલીએશનથી અંત આવતો નથી અને એનાં પરિણામો વેઠવાની પણ આપણી તૈયારી હોતી નથી. એના સિવાય બાકી રહેલા રસ્તામાં પહેલું પગથિયું સંપર્કનું છે. નિયમિતપણે એકબીજા સાથે સંપર્ક સ્થાપિત થાય, એ બહુ જરૂરી છે.
અશ્વિનીભાઇની નવલકથાઓ-વાર્તાઓ-નાટકોની તો ક્યારની પ્રતીક્ષા છે જ. પણ તેમણે આ વાત કર્યા પછી અત્યારના સંજોગોમાં તેમના ‘વીચ વે લાઇઝ હોપ’ની પણ એટલી જ પ્રતીક્ષા છે.

8 comments:

  1. Anonymous10:42:00 AM

    Welcome, Ashwinibhai!

    ReplyDelete
  2. Wah maja aavi gai.
    Bhattsaheb ahi aavi pahochaya che e mahiti apava badal ame aabhari chie..

    ReplyDelete
  3. Anonymous3:56:00 PM

    I really enjoyed reading about Ashwineebhai.
    Please convey my regards to them.
    We used to have so much fun at their place in Ahmedabad when i was just starting out at Abhiyaan. I was waiting for Ketanbhai for my interview and for some reasons he was late and Ashwineebhai told me to go and sleep till then.
    Feels like it was just yesterday

    ReplyDelete
  4. Anonymous2:53:00 PM

    Ashwinibhai majana manas, no doubt - but socio politically I won't consider him a progressive person. After Gujarat-2002 genocide the social polarisation gave many shocks and Ashwinbhai was one of the shock! As Urvish rightly indicates. Ashwinibhai's humanist approach to Narmada dam's displaced tribals suddenly changed when applied to muslim victims of genocide. In his said series of articles he helped finding reasons to justify the Hindu backlash.

    I'm eager to find out what is his belief now regarding these 2 issues; Narmada dam controvercy and new Hindu face of terrorism!

    Another intriguing matter is he seems to be not finishing any of the grand novel project of his of late. Where is the novel on Narmada dam politics, ie 'JalKapat'? and now a novel on terrorism! I bet, we will never see it published. Better revert to social thrillers to avoid controvercies.

    Ashwinibhai is a dear person to me as well, I felt concerned about his continuing ill health; but I won't camouflage my sense of disappointments regarding his worthyness in social sphere.
    - Kiran Trivedi

    ReplyDelete
  5. Anonymous7:27:00 AM

    અશ્વિની ભટ્ટની નવલકથાના અમે મિત્રો એક્દમ ફેન. એમની તમામ નવલકથા હું ખરીદીને વાંચું. અને વારંવાર વાંચું. તેઓ ફરી અમદાવાદ આવ્યા છે અને સાથે નવી નવલકથા પણ લાવ્યા છે એ સમાચાર જાણીને ખૂબ આનંદ થયો. એમની નવલક્થાની રાહ જોઈશું.-હિના પારેખ.
    www.heenaparekh.wordpress.com

    ReplyDelete
  6. Anonymous11:23:00 AM

    waaah

    gr8 enjoyed
    nicely expressed
    sooo nice experience !!

    ReplyDelete
  7. Anonymous11:58:00 AM

    thank you brother for a lovely write up on my vahala atmaswaroop ashwinikumar! plz convey my fondest regards to him.

    ReplyDelete
  8. Anonymous8:00:00 AM

    એમને મારી યાદ આપજો. હું પણ ડલાસની નજીકમાં રહું છું. એમના પાડોશી શ્રી.ગણાત્રા મારા દીકરાના મિત્ર છે.

    ReplyDelete