Saturday, October 25, 2008

સ્કેટર્ડ વોઇસીસઃ આ પણ એક ભાવભૂમિ

રતના તાતાની ‘નાનો’ કાર નિમિત્તે ‘દૂધમાં સાકર’ના ગળચટ્ટા ભૂતકાળને ગૌરવથી વાગોળવાની બહુ મઝા છે. કેમ કે, તેમાં નજીકના- અને જેમાં આપણી જવાબદારી હતી એવા- અકળાવનારા ભૂતકાળને ભૂલી જવાની સગવડ મળે છે. માત્ર છ વર્ષ પહેલાં, દૂધમાં સાકરની કથાનું ગૌરવ લેતા ગુજરાતમાં, સાકરને વીણી વીણીને દૂધમાંથી બહાર કાઢવાનો ક્રૂર સિલસિલો ચાલ્યો હતો એ યાદ રહેતું નથી.


મુસ્લિમવિરોધી હિંસાના એ દૌર પછી રાહત છાવણીઓમાં, અલગ વસાહતોમાં અને ક્યાંક સમાજની વચ્ચે હોવા છતાં મુસ્લિમો સાવ હાંસિયામાં ધકેલાઇ ગયા. હતપ્રભ ગુજરાતી મુસ્લિમોમાંથી કેટલાકના અંતરમાંથી ઉઠેલા અને બહાર જેને કોઇ સાંભળતું નથી એવા કાવ્યબદ્ધ અવાજોને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર આયેશા ખાને ‘સ્કેટર્ડ વોઇસીસ’ (હિંદીમાં ‘કુછ તો કહો યારોં’) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યા છે. પ્રકાશક છે ‘બુક્સ ફોર ચેન્જ.’.

આયેશાની કર્મભૂમિ વડોદરા છે, પણ તેમનાં મૂળ મહારાષ્ટ્રમાં છે. ૧૮ ઓક્ટોબર, ૨૦૦૮ની સાંજે, સાહિત્ય પરિષદમાં યોજાયેલા વિમોચન સમારંભમાં આયેશાએ કહ્યું કે ‘હું મહારાષ્ટ્રીયન ન હોત, તો આ પુસ્તકનો કરવાનો વિચાર મને ન આવ્યો હોત.’ ૨૦૦૨ સુધી આયેશા પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવતાં ન હતાં. કોમી હિંસા પછી ગુજરાતમાં મુસ્લિમ તરીકેની ઓળખના પણ ઘણા પ્રશ્નો ઊભા થયા. આયેશાએ પોતાની એક કવિતામાં મુસ્લિમો માટે ‘નવા અછૂત’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. (કેટલીક પંક્તિઓઃ નયા અછૂત/ જિસકા હો ઉપયોગ, દુરૂપયોગ/ દિયા જાએ દંડ/ઉડાયા જાયે ઉપહાસ/સંસારકે હર અપરાધ કે લિએ/ ચઢાયા જાએ સલીબ પર/માનવતાકે હર પાપકે લિએ/ ધૃણાકા નયા પાત્ર/નયા અછૂત) પરંતુ હિંસાચાર પછીના તબક્કામાં ગુજરાતી મુસ્લિમોનો વણસંભળાયેલા અવાજ પ્રત્યે કાન માંડવાની તેમની જહેમતનું અણધાર્યું પરિણામ આવ્યું. આયેશાએ લખ્યું છે,‘ગુજરાત ગાંધી અને ગરબાથી ઓળખાતું રહ્યું છે. એ બન્ને મને ‘ગુજરાતી’ બનાવી શક્યાં નહીં, પણ ગોધરા અને ૨૦૦૨ની હિંસાએ છેવટે મને ગુજરાતી બનાવી દીધી.’

કેવી રીતે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાના તમામ પ્રેમીઓ માટે વિચારપ્રેરક છેઃ ‘૨૦૦૨ના હત્યાકાંડ પછી...દરેકને એવી બીક લાગતી હતી કે ઘાયલ, લૂંટાયેલી-માર ખાધેલી આ (મુસ્લિમ) બિરાદરી, જેને અમસ્તી પણ હિંસક ગણવામાં આવતી હતી, એ ક્યાંક વળતો હુમલો ન કરી બેસે. કોઇએ તેમની ચૂપકીદીને, દર્દ અને ગુસ્સો ખમી ખાવાની વૃત્તિને, ભેદભાવ ભૂલાવી દેવાની ક્ષમતાને ઘ્યાનમાં લીધી નહીં...નવાઇની વાત એ છે કે મુખ્યત્વે ચોટગ્રસ્ત (મુસ્લિમ) સમુદાયે જ ‘શાંત, વ્યવહારૂ અને અહિંસક’ તરીકેની ગુજરાતની છબીને જાળવી રાખી. ગુજરાતી મુસ્લિમોએ હુમલા વેઠ્યા, વિશ્વાસઘાત સહન કર્યો, પણ ગુજરાતની ભૂમિ અને ગુજરાતી ભાષા માટેનો તેમનો એકતરફી પ્રેમ પૂર્વવત્ રહ્યો.’

પુસ્તક મુખ્યત્વે ત્રણ હિસ્સામાં વહેંચાયેલું છે: ગુજરાતી મુસ્લિમોની કવિતાઓ, કવિતાઓ શોધવા માટેના આયેશાના પ્રવાસોનું માર્મિક વર્ણન અને કવિઓના ટૂંક પરિચય. કુલ ૩૮ કવિઓની ગુજરાતી, હિંદી અને હિંદુસ્તાની ભાષામાં લખાયેલી કવિતાઓના અનુવાદ સંગ્રહમાં સમાવિષ્ટ છે. તેમાં આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી, અઝીઝ કાદરી, શમ્સ કુરૈશી, રહમત અમરોહવી, કુતુબ આઝાદ, દીપક બારડોલીકર જેવાં જાણીતાં નામોથી માંડીને સામાન્ય વ્યવસાયોમાં ડૂબેલા હોવા છતાં શાયરી સાથે નાતો જાળવી રાખનારા લોકોની કૃતિઓ સ્થાન ધરાવે છે. જેમ કે, વ્યવસાયે કસાઇ એવા અમદાવાદના ફારૂક કુરૈશીની નજાકતપૂર્ણ અભિવ્યક્તિ ઘ્યાન ખેંચે એવી છે. તેમનો એક શેર છેઃ ‘મહફૂઝ કહાં કોઇ ફૂલોંકે કબીલે થે/ ઇસ સાલ હવાઓંકે નાખૂન ભી નુકીલે થે’. એક શેરમાં તે કહે છેઃ ‘ફારૂક જિસે પઢનેકે બાદ આદમી બને/ બચ્ચોંકે હાથમેં કોઇ ઐસી કિતાબ દે’. અમદાવાદમાં હોમિયોપથીની પ્રેક્ટિસ કરતાં શમા શેખ આ સંગ્રહમાં હાજર એકમાત્ર કવયિત્રી છે. તેમની એક કૃતિની કેટલીક પંક્તિઓઃ પીને મનકા ઝહર તુમ્હારા/ કોઇ શંકર બન નહીં આનેવાલા/આ-આ કર બાતેં સુનાકર/ જાયેગા હર આનેવાલા.’

આ સંકલનની હિંદી આવૃત્તિનું શીર્ષક ‘કુછ તો કહો યારોં’ જેમની કવિતા પરથી પ્રેરિત છે, તે દીપક બારડોલીકર પોતાની ઓળખ ‘પાકિસ્તાની ગુજરાતી’ તરીકે આપે છે. હાલ બ્રિટનમાં વસતા બારડોલીકર કરાંચી હોય કે માન્ચેસ્ટર, પોતાની ગુજરાતી તરીકેની ઓળખને ભૂલી શકતા નથી. તેમણે હિંસાચાર દરમિયાન અને ત્યાર પછી મૌન ધરીને બેઠેલા સાહિત્યકારો અને બીજા ગુજરાતીઓને ઉદ્દેશીને લખ્યું છે : ‘કંઇ તો કહો યારો/ કંઇ તો લખો યારો....છે કયામતો તૂટી/ઘોર આફતો છૂટી/ તોય ચૂપ બેઠા છો?/ સાવ મૂંગા બેઠા છો?/ આમ તો આ ખામોશી/ જુલ્મ, અત્યાચારોની/સંમતિ બની જાશે’
ફોટોલાઇનઃ (ડાબેથી) સરૂપ ધ્રૂવ, હિમાંશી શેલત, રધુવીર ચૌધરી, આબિદ શમ્સી, આયેશા ખાન અને (કોમ્પીઅર) ઉર્વીશ કોઠારી
આ પુસ્તકનું વિમોચન ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાય, એ પણ એક વિશિષ્ટ યોગાનુયોગ હતો. પરિષદના ટ્રસ્ટી રધુવીર ચૌધરીએ પોતાના પ્રવચનમાં આ સંગ્રહને આવકારતાં એ મતલબનું કહ્યું હતું કે ધર્મના વિભાજન વગર બધા કવિઓએ આ વિષય પર લખેલી કવિતાઓનું સંકલન પણ થઇ શક્યું હોત. ભાવક તરીકે આપણને પરિષદ પાસેથી એવા સંગ્રહની અપેક્ષા અને અત્યાર સુધી નથી મળ્યો એનો ચચરાટ રહે છે. કાર્યક્રમમાં મંચ પરથી આયેશા ખાન ઉપરાંત ‘બુક્સ ફોર ચેન્જ’ સાથે સંકળાયેલાં વિખ્યાત હિંદી પત્રકાર મણિમાલા, પ્રો. આબિદ શમ્સી, હિમાંશી શેલત, એસ્થર ડેવિડ, સરૂપ ધ્રૂવ અને રધુવીર ચૌધરીએ વક્તવ્યો આપ્યાં. પ્રવચન દરમિયાન પુસ્તકમાંથી ઢગલાબંધ અવતરણો (અહીં પંક્તિઓ) ટાંકવાની સહેલી અને છીછરી પરંપરા આ સમારંભમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં જળવાઇ.
પુસ્તકમાં સમાવેશ પામેલાં કાવ્યો માટે કાવ્યતત્ત્વનો માપદંડ રાખ્યો ન હોવાની સ્પષ્ટતા આયેશા ખાને કરી છે. સંગ્રહ પાછળનો સામાજિક સંદર્ભ કવિતાઓના મૂલ્યાંકન વખતે ભલે વચ્ચે ન લાવવાનો હોય, પણ સંગ્રહની જરૂરિયાત અને તેની મહત્તા આંકતી વખતે એ સંદર્ભ ભૂલી શકાય એમ નથી. પુસ્તકની મર્યાદા એ છે કે તે ફક્ત અંગ્રેજી અને હિંદીમાં પ્રકાશિત થયું છે. એટલે ગુજરાતી રચનાઓ મૂળ સ્વરૂપે વાંચવા મળતી નથી. આયેશા ખાન અને પ્રકાશક મણિમાલા એ બન્નેએ પુસ્તકને ગુજરાતીમાં ઉતારવા માટેની તત્પરતા દર્શાવી છે. હવેનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતના પ્રકાશનજગતનું જ છે.
સ્કેટર્ડ વોઇસીસ (અંગ્રેજી), કુછ તો કહો યારોં (હિંદી) : આયેશા ખાન,
પ્રકાશકઃ બુક્સ ફોર ચેન્જ
e- mail : bfc_delhi@actionindia.org.in
આયેશા ખાનનો સંપર્ક: ashkhan18@gmail.com

4 comments:

  1. Anonymous6:48:00 AM

    બહુ જ સરસ વાત. પણ, સામે એક સવાલ કરું? ગુજરાતી હીન્દુઓએ ઘણો ઘણો વખત કોમી એખલાસ જાળવી છે એનું શું? શું 2008ના બોમ્બ ધડાકાઓમાં મુસ્લીમોની સંડોવણી હોવા છતાં કોમી એખલાસ નથી જળવાઈ?

    મારો પોતાનો અનુભવ: જ્યારે જ્યારે ભારત-પાકીસ્તાનની ક્રીકેટ મૅચ રમાઈ છે (1991-2000), ત્યારે ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશનના અલકાપુરી ગરનાળે પાકીસ્તાનનો ધ્વજ લહેરાતો જોવા મળ્યો છે. છતાંય કોઈ છમકલું સુધ્ધાં થયું નહોતું!

    ReplyDelete
  2. કવિતારૂપી આ નેક આંસુઓનું કિસ્મત હશે એમને કોઈ સાંભળશે ને સમજશે. ત્યાં સુધી ગુજરાતના કિસ્મતમાં દુ:સ્વપ્નો જ લખાયલા રહેશે - કોઈ વાર લીલા રંગના તો કોઈ વાર કેસરી રંગના.

    ReplyDelete
  3. Anonymous10:38:00 AM

    ઉર્વિશભાઈને, લાગે છે કે, લીલા ચશ્માં આવ્યાં છે. તેમના લેખોમાં મોટા ભાગે મુખ્યમંત્રી અને હિન્દુદ્વેષની જ વાતો જોવા મળે છે. પુસ્તકની વાત કાઢતા પહેલાં તેમણે સાકરને વીણી વીણીને બહાર કાઢવાની વાત કરી છે. પરંતુ જેમને તેમણે સાકર આલેખ્યા છે તેમને સાકર કહી શકાય કે કચરો? એ ઉર્વિશભાઈ આત્મમંથન કરીને વિચારે. કદાચ, તેઓ આત્મમંથન કરી શકશે કે કેમ તે પણ સવાલ છે. અને રહી વાત કોમી એખલાસ જાળવવાની તો, પ્રશ્ન એ છે કે ગોધરાકાંડ જેવું અમેરિકામાં થયું હોત તો કદાચ એક પણ મુસ્લિમ જીવતો ન બચ્યો હોત!

    ઉર્વિશભાઈને ભાજપ પ્રત્યે બહુ જ પ્રેમ છે, પણ તેઓ બાંગ્લાદેશમાં બોડોના હાથે થતી મુસ્લિમોની કત્લ સામે કેમ ચૂપ છે, કહી શકશે? જો એવું અહીં થયું હોત તો ઉર્વિશભાઈ અને તેમના સાગરિતોએ દેકારો મચાવી દીધો હોત. ભારત-પાકિસ્તાનની મેચ વખતે મુસ્લિમો ખાસ રસ લેતા હોય છે તે સ્વાનુભાવ છે અને પાકિસ્તાન જીતે એમાં તેમને પણ રસ હોય છે.

    ઉર્વિશભાઈને એક જ સવાલ : અહીં તમે હિન્દુઓની કૃપાથી જ આટલું તેમની વિરુદ્ધ લખી શકો છો, પાકિસ્તાનમાં આવું લખી શકાય ખરું?

    સવાલ પાકિસ્તાન કે ભારતનો નથી, સવાલ છે કે બહુમતી સાથે લઘુમતીએ સાકરની જેમ ભળવું જ પડે, કોઈ છુટકો જ નથી, પછી તે મહારાષ્ટ્રમાં બિહારીઓ હોય કે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ હોય. લઘુમતી તરીકે મુસ્લિમો જ કેમ વગોવાયા છે? કેમ કોઈ પારસી કે યહુદીઓની વાત નથી કરતું? તાજેતરના કેટલાક બનાવો બાદ કરો તો ખ્રિસ્તીઓ પ્રત્યે પણ કોઈ આંગળી પણ ઉઠાવતું નથી. ઉર્વિશભાઈએ મુસ્લિમોનો ઇતિહાસ વાંચવો જોઈએ. જેમણે પોતાના સગા ભાઈ કે બાપને નથી બક્ષ્યા તેઓ કોઈને ન બક્ષે. હિન્દુઓ ક્યારેય ભારતની બહાર ચડાઈ કરવા ગયા છે ખરા? મુસ્લિમોનો ત્રાસ માત્ર ભારતમાં જ નથી અન્યત્ર પણ છે, પરંતુ બીજા દેશોમાં કાયદા કડક છે અને વોટબેન્ક પોલિટિક્સ નથી. અમેરિકામાં 11 સપ્ટેમ્બર પછી શીખો પર તેમની દાઢીના કારણે તેમને મુસ્લિમ તરીકે માની લઈ તેમના પર પણ હુમલા થયા હતા તે વાત શું ઉર્વિશભાઈને નથી ખબર? મુસ્લિમો દ્વારા ચાલતી જેહાદના આંકડા જોવા હોય તો ઉર્વિશભાઈ http://www.thereligionofpeace.com/ વેબસાઇટની મુલાકાત લે.

    ભગવાન તમને સદબુદ્ધિ આપે.

    (આટલું કડવું લખ્યા પછી મને નથી આશા કે મારી આ પ્રતિક્રિયા ઉર્વિશભાઈ છાપે.)

    ReplyDelete
  4. Some good comments on Urvish's hackneyed expressions!. Urvish how could you compare two minorities? They are certainly not the sugar in milk like parsis. It’s a long debatable issue. Plz get in such things, you are so good at writing informative and insightful articles, why are you jumping in puddle of mud?

    ReplyDelete