Friday, October 24, 2008

અશ્વિની ભટ્ટના ચાહકો માટે ખુશખબર

ગુજરાતીમાં નવલકથા લેખનમાં પેઢી બદલાતાંની સાથે થયેલા પ્રશ્નો હજુ પૂરેપૂરા શમ્યા નથી. મહેશભાઇ યાજ્ઞિક અને કાજલ ઓઝા જેવા નવલકથાકારો સ્થાપિત થઇ ચૂક્યા છે, પણ અશ્વિનીભાઇની નવલકથાઓના ચાહકોને હજુ એમની નવલકથાઓની ખોટ સાલતી રહી છે.

છેલ્લા થોડા સમયથી પુત્ર નીલના પરિવાર સાથે દલાસ, અમેરિકા રહેતા અશ્વિનીભાઇ હવે નવેમ્બરમાં અમદાવાદ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક ઇ-મેઇલમાં અશ્વિનીભાઇ લખે છે કે એમણે ‘કમઠાણ’ અને ‘કસબ’ની શૈલીમાં બે હાસ્યનવલોનું કામ શરૂ કર્યું છે. ઉપરાંત આતંકવાદ વિશે પણ એ એક નવલકથા લખી રહ્યા છે, જેનાં પાંચ પ્રકરણ એમણે થોડા સમય પહેલાં પ્રકાશક મહેન્દ્રભાઇ શાહ (નવભારત)ને આપી દીધાં છે.

અશ્વિનીભાઇ અને નીતિભાભીને મળનારા- તેમને ઓળખનારા જાણે છે કે અમદાવાદની નિરાંતવી સંસ્કૃતિ-‘અરે બેસને યાર, જવાય છે ચા પીને’- તેમણે જબરી આત્મસાત્ કરેલી છે. પ્રચંડ લોકપ્રિયતા ઠંડકથી પચાવી ગયેલા અશ્વિનીભાઇ સાથે સત્સંગ ચાલતો હોય ત્યારે કદી એક વડીલ જોડે બેઠા હોઇએ એવું ન લાગે. એ કહે કે ‘મને મારી ઊંમરના માણસો જોડે નથી ફાવતું. આખો દહાડો બ્લડપ્રેશર અને ડાયાબીટીસની જ વાતો કરતા હોય.’ ખુદ અશ્વિનીભાઇને બાયપાસ સર્જરી કરાવેલી અને અમેરિકા ગયા પછી પેસમેકર પણ મુકાવ્યું છે. અશ્વિનીભાઇનો ખાસ શબ્દ અને અમારો- મારો, પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર, અનિલ દેવપુરકર અને બીજા કેટલાક પત્રકાર મિત્રોનો - ખાસ કાર્યક્રમ એટલે સી.કે.કે. (ચાલો કૂથલી કરીએ)

અશ્વિનીભાઇ જે બંગલામાં રહેતા હતા અને અભિયાનની જ્યાં ઓફિસ હતી, એ બંગલો - ૬૫, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી- વિશે મેં એકાદ વર્ષ પહેલાં ‘આહા! જિંદગી’માં એક લેખ લખ્યો હતો. એ લેખ મારી જોડે ‘શ્રીલિપિ’માં છે. કોઇ મિત્ર તેને યુનિકોડમાં ફેરવી આપે, તો એ લેખ પણ બ્લોગ પર મુકતાં આનંદ થશે. ( મારી પાસેની ઘણી સામગ્રી શ્રીલિપિમાં પણ છે. તેને યુનિકોડમાં ફેરવવાના સીધાસાદા ઉપાયો કારગત નીવડ્યા નથી. તેમાં મદદ/માર્ગદર્શન આવકાર્ય છે.)

અશ્વિનીભાઇ જેટલું ચડાવઉતાર અને નાટકીય ઘટનાઓવાળું જીવન મારી જાણમાં એક રજનીકુમાર પંડ્યા સિવાય અત્યારના ભાગ્યે જ બીજા કોઇ લેખકના ભાગે આવ્યું હશે. છતાં, બન્નેએ પોતાની પ્રકૃતિમાં રહેલી હકારાત્મક બાબતો બદલાવા દીધી નથી. અશ્વિનીભાઇ હંમેશાં એવું ફીલ કરાવતા રહ્યા છે કે તે અમારી મિત્રમંડળીના સૌથી જુવાન દોસ્ત છે. અશ્વિનીભાઇને તેમના સૌ ચાહકો-મિત્રો તરફથી અમદાવાદમાં આવકાર અને સી.કે.કે.નાં નવાં સેશનની પ્રતીક્ષા!

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Anonymous7:40:00 PM

    Urvish,
    Thanx for the latest on the media scene.
    What a gerat news !
    Ashwinibhai coming back to Amdavad with his new works? Gujarat must grab this opportunity.
    As someone who has enjoyed few of those CKKs(off course, courtesy Urvish), sitting here in Toronto I would envy other friends.
    Enjoy you guys !
    May be I will join in December when all the YAYAVAR PAXIs come to India. By the way, what is a YAYAVAR PAXI? ......They visit India in winter and overuse 'Ya-Ya' in conversations !(A defination heard from Ramesh Tanna of 'Gujarat Times'.)
    -SALIL

    ReplyDelete
  3. Anonymous6:53:00 AM

    http://www.bhashaindia.com/Downloads/TBILConverter05122006.zip

    This might help.
    Regards,
    Chirag
    http://rutmandal.info/

    ReplyDelete
  4. Anonymous8:18:00 PM

    સર,
    તમે નગેન્‍દ્ર વિજય સાહેબ માટે લખેલ લેખ મે શ્રુતિમાં ટાઇપ કરીને નેટ પર મુકેલ છે (સોરી તમારી સંપર્ક શક્ય નથી આથી અનુમતિ ના લઇ શક્યો...)
    હું તમને ટાઇપ કરી આપીશ...
    zakal4u@yahoo.com પર મેસેજ કરો..
    ઝાકળ

    ReplyDelete