Friday, October 24, 2008

ઝવેરીલાલ મહેતાનું તાજું ‘ફ્લેશબેક’

ઝવેરીલાલ મહેતા કઇ જણસનું નામ છે અને તેમનો પ્રભાવ કેવો હતો, તેનો ખ્યાલ અત્યારે ચોતરફ ટીવી ચેનલો, છાપાં, સામયિકો અને ઇન્ટરનેટના આ યુગમાં ભાગ્યે જ આવે, પણ મારી પેઢી અને મારી પહેલાંની એક પેઢી પણ ‘ગુજરાત સમાચાર’માં પહેલા પાને ચાર કોલમમાં છપાતી ઝવેરીલાલ મહેતાની તસવીરો જોઇને મોટી થઇ છે. ઝવેરીલાલ મહેતાએ બે દિવસ પહેલાં વિમોચન થયેલા તેમના પુસ્તક ‘ફ્લેશબેક’ની પ્રસ્તાવનમાં બરાબર લખ્યું છેઃ ‘આ તસવીરો ગુજરાત સમાચારના પહેલા પાનાની દરબારી મૂછ જેવી હતી.’ દરબારી મૂછનો વિચારવિસ્તાર ઝવેરીલાલના ખુદના વ્યક્તિત્વમાંથી મેળવી શકાય છે.
આવા ઝવેરીલાલના પુસ્તકનું વિમોચન હોય એટલે મીડિયા માટે હાઇ પ્રોફાઇલ પ્રસંગ ગણાય. મિત્ર બિનીત મોદી એ સમારંભમાં ગયો હતો. તેણે પાડેલી તસવીરો અને તેણે આપેલી માહિતી પરથી તથા ઝવેરીલાલે પ્રેમપૂર્વક આપેલી પુસ્તકની નકલ જોયા પછી આ નોંધ લખી રહ્યો છું. સમારંભના મુખ્ય અતિથિ મુખ્ય મંત્રી મોદી હતા. એ સાંજે સાડા ચારને બદલે છ વાગ્યે આવ્યા, એટલે દોઢ કલાક સુધી સૌએ હોલની બહાર ઊભા રહીને મેળાવડો માણ્યો! મુખ્ય મંત્રીના આવ્યા પછી જ સમારંભ શરૂ થયો. મુખ્ય મંત્રીએ ઝવેરીલાલને દિલથી બિરદાવ્યા અને કહ્યું કે ‘મને જ્યારે બસમાં બેસવા કોઇ જગ્યા પણ આપતું ન હતું ત્યારે ઝવેરીલાલ મળે તો ખભે હાથ મુકીને (ઉષ્માથી) વાત કરે. હવે હું મુખ્ય મંત્રી છું, તો પણ તે એવી જ રીતે ખભે હાથ મુકીને વાત કરે છે.’ કાર્યક્રમમાં મંચ પર આ પુસ્તક માટે સાદા અને રોકડ આશીર્વાદ આપનાર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પુરૂષોત્તમપ્રિયદાસ, કીડની હોસ્પિટલના ‘હળવદ-કર’ ડો. એચ.એલ.ત્રિવેદી, મુખ્ય મંત્રી મોદી અને ઝવેરીલાલ એટલા લોકો હતા. ગુજરાત સમાચારના ભૂતપૂર્વ સ્તંભ દેવેન્દ્ર પટેલ અને વર્તમાન લેખક ભવેન કચ્છીએ પ્રવચનો કર્યાં. અશોક દવેએ સંચાલન કર્યું. પુસ્તકના વિમોચન માટે કેમેરા આકારનું એક બોક્સ બનાવવામાં આવ્યું હતું. બાજુમાં ઝવેરીલાલની ઓળખ ગણાતી તેમની હેટ પણ મુકવામાં આવી હતી. તેનો ફોટો અહીં મુક્યો છે.

અંગત રીતે મને ઝવેરીલાલનું આકર્ષણ એક આર્ટિસ્ટ ફોટોગ્રાફર તરીકેનું છે. તેમને હું જગનદાદા (જગન મહેતા)ની પરંપરાના ગણું છું. એટલે આ પુસ્તકના છેલ્લા પાને સ્વ.જગનદાદાનાં આશીર્વચન તેમના જ હસ્તાક્ષરમાં જોઇને બહુ આનંદ થયો. ફ્લેશ વિના ફોટોગ્રાફી કરતા ઝવેરીલાલ પાસે જે તસવીરી ખજાનો છે, તેનું દળદાર અને માતબર પુસ્તક થવાનું હજુ બાકી છે. ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં આવતી ફોટોસ્ટોરીનો સંગ્રહ ‘ફ્લેશબેક’ ઝવેરીલાલના અને તેમના લખાણના પ્રેમીઓ માટે સરસ છે, પણ મારા જેવા એમની ફોટોગ્રાફીના પ્રેમીઓની અપેક્ષા હજુ ઘણી વધારે ઉંચી છે.

ઝવેરીલાલના ‘ફ્લેશબેક’માં એક પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ન હોય અને ઝવેરીલાલ-સ્પેશ્યલ ગણાતું, ઘણી વાર ફોટા કરતાં કદમાં વધી જતું લખાણ હોય, તેની મઝા લેનારા લે છે. પણ ૮૧ વર્ષે ‘અભી તો મૈં જવાન હું’ મિજાજ ધરાવતા ઝવેરીલાલને આપણી વિનંતી એ જ હોય કે માત્ર તમારી તસવીરોનું- ઐતિહાસિક તસવીરોનું એક પુસ્તક આપો. જેમાં આખા પાનામાં એક મોટી કે બે અડધા પાનાની તસવીરો હોય અને ફક્ત ઓળખ પૂરતી એકાદ લીટીની ફોટોલાઇન હોય. એવું પુસ્તક ફક્ત ઝવેરીલાલ માટે અંગત રીતે જ નહીં, ગુજરાતના દસ્તાવેજીકરણ વગરના ઇતિહાસમાં પણ મહત્ત્વનું બની રહેશે.

4 comments:

  1. આભાર ઉર્વિશભાઈ

    અને શ્રી ઝવેરીલાલ મહેતાને લાખ લાખ અભિનંદન ,પ્રણામ અને શુભકામના.

    ReplyDelete
  2. Anonymous8:39:00 PM

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. Anonymous12:24:00 PM

    I think Zaverilal Mehta's photolines were trend setter in Gujarati news papers.
    It is said that, "Thousand words cannot say what a photo can." But in Zaveri Dada's case many a time, we have seen his words as an added bonus to a telling picture. In fact, they are part of his style. So, a book of pictures without Zaverilal's trade mark photolines? I would differ with you on that.
    They are so useful when we see the same pictures few years after they have been clicked. With comments of the time, it can put a photo in its proper perspective when documented or compiled in a book. It happens so many time when we see old family photo album.
    But in whatever format, we need to have his black and white photowork published.
    In the meantime, Hats Off to the 'Always Hat-On' young man of 18. (or is it 81?!)
    -SALIL

    ReplyDelete
  4. આભાર ઉર્વિશભાઈ,

    શ્રી ઝવેરીલાલ મહેતાને અભિનંદન ,પ્રણામ અને શુભકામના.

    મારે આપ ને મળવુ છે.

    આપ શ્રી મને જાણ કરશોજી. ફોન નં : ૯૯૨૪૯૮૨૦૦૪

    ReplyDelete