Monday, October 13, 2008

નાનો- પુરાણ

નોંધ ૧: ગુજરાતમાં ‘નાનો’ પ્લાન્ટ સ્થપાવાની જાહેરાત થઇ એકાદ-બે મહિના પહેલાં (‘નાનો’ માટે ગુજરાત હોડમાં ન હતું ત્યારે) મંગળવારની કોલમ ‘દૃષ્ટિકોણ’માં સિંગુર વિવાદની બીજી બાજુ રજૂ કરતા થોડા મુદ્દા લખ્યા હતા. એ અહીં લેખના પ્રારંભે ફરી મુકું છું, જેથી ખ્યાલ આવે કે તાતા ગુજરાત પર અમસ્તા મોહાયા નહીં હોય. કેમ કે, બંગાળમાં સવાલ તાતા કહે છે તેમ ફક્ત તેમના કામદારો કે પ્લાન્ટની સલામતીનો નહીં, એથી પણ કંઇક વધારે- આર્થિક વળતરના મુદ્દાનો પણ- હતો.
નોંધ ૨: ફુદડી પછીનું લખાણ, મંગળવારે સવારે ગુજરાતમાં ‘નાનો’ની સવારીનું નક્કી થઇ ગયા પછી અને સત્તાવાર જાહેરાતના થોડા કલાક પહેલાં લખાયેલું છે. એ ત્વરિત પ્રતિક્રિયા સ્વરૂપનું હોવાથી, વિગતે ચર્ચવાલાયક ઘણા મુદ્દા તેમાં જોવા નહીં મળે. એ માટે હજુ થોડી રાહ જુઓ.
નોંધ ૩: જૂના વખતમાં ગામના દરબારના છોકરાના વરઘોડામાં જ્ઞાતિવિશેષના કેટલાક લોકો જેમ કોઇ લેવાદેવા વિના નાચતા-કૂદતા-મહાલતા હોય, એવું જ કંઇક ‘નાનો’ના મામલે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નું થયું છે. થોડા મહિના પહેલાં અમદાવાદના પોલીસ કમિશનરે તેની પર (સામાન્ય સંજોગોમાં પોતાના ઉપરી અધિકારીઓની પરવાનગીથી જ થઇ શકે એવા) રાજદ્રોહના સંખ્યાબંધ કેસ કર્યા હતા. એ કેસનું શું થયું એ પૂછવું નહીં. હવે ‘ટાઇમ્સ’ રોજેરોજ ‘નાનો’ પ્રોજેક્ટની અને ખાસ તો એ નિમિત્તે ‘મેગા’ મુખ્ય મંત્રીની આરાધના કરી રહ્યું છે. આટલી બેશરમી માટે પણ જિગર અથવા ભારે મજબૂરી જોઇએ. ‘ટાઇમ્સ’ના કિસ્સામાં આ બેમાંથી કયું પરિબળ કામ કરે છે, એ કહી શકે એવા અનેક સક્ષમ મિત્રો ‘ટાઇમ્સ’માં અને અન્યત્ર કાર્યરત છે. (આપણા રીસ્પોન્સમાં ‘એનોનીમસ’ની વ્યવસ્થા છે, એ સહેજ યાદી પૂરતું!)
નોંધ ૪: ગ્રીક મૂળ ધરાવતા અંગ્રેજી શબ્દ nano ડિક્શનેરીમાં દર્શાવેલો ઉચ્ચાર ‘નાનો’ હોવાથી, અહીં એ કાર માટે ‘નાનો’ શબ્દ વાપર્યો છે. ‘આઇ પોડ’નું ઓછી ક્ષમતા ધરાવતું મોડેલ ‘નાનો’ તરીકે જ ઓળખાય છે. તેમ છતાં, ભવિષ્યમાં ‘નાનો’ને બદલે ‘નેનો’ બ્રાન્ડ નેમ બની જાય, તો એમ રાખીશું. એ બહુ મોટો કે અગત્યનો મામલો નથી.
મમતા બેનરજી સિંગુર પ્લાન્ટ માટે રાજ્ય સરકારે એક્વાયર કરેલી ખેડૂતોની ૪૦૦ એકર જમીન પાછી માગી રહ્યાં છે. તે ઇચ્છે છે કે એક વાર રાજ્ય સરકાર જમીન મૂળ માલિકોને પરત કરે, પછી તે જમીન અંગે નવેસરથી વાટાઘાટો થાય. તેમનું આંદોલન પોતાના રાજકીય લાભાર્થે ખરૂં, પણ તેમણે ઉપાડેલો મુદ્દો સ્થાનિક લોકોના હિતનો છે. એટલે, તેમને આટલો ટેકો મળ્યો છે. વાસ્તવમાં, તેમણે સિંગુરના ખેડૂતોના અસંતોષને જ મોટા અને પોતાના ફાયદાના રાજકીય આંદોલનનું સ્વરૂપ આપ્યું છે.

આંદોલનના સ્વરૂપ, તેની વ્યૂહરચના કે ટાઇમિંગની ટીકા થઇ શકે, પણ તેના કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો મહત્ત્વનો છે, જે રતન ટાટા અને નેનો પ્રત્યેના આદરભાવ-અહોભાવમાં વિસરાઇ જાય છે. રતન ટાટાને ‘નેનો’ની ફેક્ટરી માટે જમીન આપવી હોય, તો રાજ્ય સરકાર ખુશીથી આપે. લોકોની જમીન એક્વાયર કરીને આપવી હોય તો પણ આપે. પરંતુ એ જમીનનું માલિકને યોગ્ય વળતર મળવું જોઇએ કે નહીં?

મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જમીનોની જરૂર પડવાની જ છે. ખેડૂતો કે તેમના નેતાઓ ગમે તેટલો વિરોધ કરે, પણ સેઝ અને ઔદ્યોગિકરણના ધસમસતા પ્રવાહમાં તેમનો વિરોધ ટકે એમ નથી. એ મુદ્દે મેધા પાટકર જેવું વલણ અખત્યાર કરીને નવા પ્રોજેક્ટનો સદંતર વિરોધ કરવો, એ આદર્શવાદી સ્થિતિ હોઇ શકે- વ્યવહારૂ નહીં. આ સ્થિતિમાં ખેડૂતો પાસેથી તેમની જમીન સરકારી ભાવે પડાવી લેવી, એ જુલમ કહેવાય. આજીવીકાના મુખ્ય - ઘણા કિસ્સામાં એકમાત્ર- આધાર જેવી જમીનનો બજારભાવ મળે, એ તો લધુતમ જરૂરિયાત ગણાય.

સરકારે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ માટે આપવી હોય તો તેણે પણ બજારભાવ ચૂકવવો રહ્યો. એમ કરવામાં ટેકનિકલ પ્રશ્નો હોય તો ઉદ્યોગપતિઓ સરકાર પાસેથી જમીન એક્વાયર કરાવવાને બદલે પોતે જ બજારભાવ અને બીજી શરતોએ ખેડૂતો પાસેથી જમીન મેળવી શકે- જેવું ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના કિસ્સામાં બન્યું.

રતન ટાટાએ પત્રકાર પરિષદમાં અસંતોષ વ્યક્ત કર્યો અને મોટા ભાગના લોકોએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો, ત્યારે એક સૂર જરા અલગ નીકળ્યો. એ સૂર હતો ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના સજ્જન જિંદાલનો. પશ્ચિમ બંગાળમાં મૂડી રોકનારા ઉદ્યોગપતિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા જિંદાલે કહ્યું હતું,‘(ટાટાની જગ્યાએ) હું હોત, તો મેં ખેડૂતોને નજીકમાં ક્યાંક તેમની જમીનથી બમણી જમીન વળતર તરીકે આપીને તેમને રાજી કરી લીધા હોત. હું ખેડૂતનો છોકરો છું. એટલે તેમની લાગણી સમજી શકું છું.’

જિંદાલ-ટાટાના વ્યાવસાયિક સંબંધો જે હોય તો, પણ નક્કર હકીકત એ છે કે પશ્ચિમ બંગાળમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપનાર જિંદાલે ખેડૂતોને અફલાતુન વળતર આપ્યું છે. જિંદાલને પ્રોજેક્ટ માટે ૪,૮૦૦ એકર જમીનની જરૂર હતી. તેમાંથી ૯૦ ટકા જમીન સરકારી માલિકીની હોવાથી તેમાં કોઇ પ્રશ્ન ન હતો. પણ બાકીની ૧૦ ટકા (આશરે ૪૮૦ એકર) જમીન માટે જિંદાલે જમીનમાલિકોને નવા પ્લાન્ટમાં રોજગારી, રોકડ રકમ, જીવન વીમો અને કંપનીના શેર મફત આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ આપેલા વચન પ્રમાણે, જમીનની બજારકિંમતની અડધી રકમ રોકડેથી ચૂકવવામાં આવશે અને બાકીની અડધી રકમ વીમા યોજનામાં રોકવામાં આવશે. એ સિવાય જમીનની કિંમત જેટલી કિંમતના કંપનીના શેર પણ જમીનમાલિકોને આપવાની જિંદાલે જાહેરાત કરી છે. આ યોજના ધારણા પ્રમાણે કાર્યરત બને, તો વળતરના મુદ્દે તે નવા માપદંડ સ્થાપી શકે છે.

સિંગુર વિવાદમાં સાદી વાત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની હતી, પણ હવે તેમાં પેચીદું રાજકારણ ભળતાં ઉકેલ હાથવેંતમાં દેખાતો નથી. ધારો કે બંગાળને ‘નેનો’ પ્લાન્ટ ગુમાવવાનો વારો આવે, તો તેમાં મમતા બેનરજીના માથે માછલાં ધોવાની સાથોસાથ રાજ્ય સરકાર અને રતન ટાટાની ભૂમિકાનો તથા જમીનના ભાવ અને વળતરનો મુદ્દો પણ વિચારવો રહ્યો.
***********
સિંગુરમાં મમતા બેનરજીના વિરોધવાવટાથી કંટાળીને તાતાએ ‘નાનો’ કારના પ્લાન્ટના વાવટા સંકેલ્યા, તેના મહિનાઓ પહેલાંથી ઘણાં રાજ્યો એ પ્લાન્ટ મેળવવા થનગની રહ્યાં હતાં. તાતાને તેમનો ઇશારો જાહેર અને સ્પષ્ટ હતો,‘ત્યાં આટલો બધો વિરોધ થાય છે, તો પણ શા માટે પડી રહો છો? આવી જાવ અમારે ત્યાં. અમે તમને માગો એટલી જમીન અને જોઇએ એવી સુવિધા આપીશું. અમારા રાજ્યમાં લાલ જાજમ પાથરીને તમારૂં સ્વાગત થશે.’

છૂટાછેડા થવા બાકી હોય એવી મહિલા સમક્ષ મુકાયેલા લગ્નપ્રસ્તાવની જેમ, સિંગુરમાં વિવાદ અને વાટાઘાટો ચાલતાં હતાં ત્યારે પંજાબ-હરિયાણાએ ‘નાનો’ પ્લાન્ટ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી. ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ જેવાં રાજ્યો પણ લાઇનમાં લગભગ હારોહાર હતાં. રતન તાતાની સ્થિતિ ધર્મસ્થાનમાં પંડા કે ગાઇડથી ઘેરાઇ જતા યાત્રાળુ જેવી થઇ. પણ રતન તાતા ભોળાભાવિક યાત્રાળુ નથી, પાકા બિઝનેસમેન છે. અને શા માટે ન હોય? ‘નાનો’ પ્લાન્ટ એમના માટે કરોડો રૂપિયાનો (જાહેરાત પ્રમાણે, ૧,૫૦૦ કરોડ રૂ.નો) પ્રોજેક્ટ છે. તેના માટે લાળ ટપકાવતાં રાજ્યો ભલે ‘નાનો’ થકી મળનારો રોકડીયો લાભ અને ઉછીનો જશ ખાટવા તલપાપડ હોય, પણ તાતા જેવા બિઝનેસમેન એ જશ મફતમાં ખાટવા દે એમ નથી.

આ લખાય છે ત્યારે ‘નાનો’ પ્લાન્ટ ગુજરાતમાં આવશે એ લગભગ નક્કી થઇ ગયું છે. સત્તાવાર ઉત્સવનો માહોલ છે. ‘નાનો’ જેવો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ જે રાજ્યમાં ગયો હોત, ત્યાં આવી જ ઉજવણીનો માહોલ હોત. કારણ કે, તેનાથી વાસ્તવિક ફાયદો તો છે જ. પણ એથી અનેક ગણો મોટો ફાયદો રાજકીય છે. ‘નાનો’ જેવી જગવિખ્યાત કાર પોતાના રાજ્યમાં બને, તેનાથી પ્રજાનો મોટો સમુહ ‘ફીલગુડ’ની લાગણી અનુભવે છે, જે સરકાર માટે બહુ ગુણકારી છે. પ્રસાર માઘ્યમો એ લાગણીને મરીમસાલેદાર અહેવાલોથી ઓર બહેકાવે છે

નાનો’ જેવા પ્રોજેક્ટને વગર વિચાર્યે ‘ગરીબવિરોધી’ કે ‘ખેડૂતવિરોધી’ તરીકે ઉતારી પાડવાનું વલણ જડતા કહેવાય. આવા પ્રોજેક્ટ રાજ્યની વ્યાવસાયિક સજ્જતા માટે ‘શો પીસ’નું કામ કરતા હોય છે. તેમના થકી બીજા રોકાણકારો રાજ્ય તરફ આકર્ષાય અને યોગ્ય ધારાધોરણોને આધીન, સામાન્ય પ્રજાનું હિત જોખમાવ્યા વિના રાજ્યમાં રોકાણ કરે, તે સૌના ફાયદાની વાત છે. ચિંતા ત્યારે થાય, જ્યારે રાજનેતાઓ મોટા ઉદ્યોગપતિઓને ખિસ્સામાં રાખવા માંડે અથવા ખુદ એમના ખિસ્સામાં રહેવા માંડે. બન્ને સ્થિતિનાં જોખમ સરખાં છે.

રાજ્યમાં મોટા ઉદ્યોગ સ્થપાય એ બેશક સારૂં લક્ષણ છે. સ્થિર શાસન, માળખાકીય સુવિધાઓ, પ્રજાકીય સહકાર જેવાં ઘણાં કારણ એ માટે જવાબદાર હોય છે. યાદ રાખવા જેવી બાબત એટલી જ કે ફક્ત મોટા ઉદ્યોગોને આકર્ષવામાં સુશાસન સમાઇ જતું નથી. તેના બીજા તકાદા પણ હોય છે, જેને મોટા ઉદ્યોગોરૂપી રેશમી જાજમની તળે સંતાડી શકાય નહીં. ‘નાનો’ પ્લાન્ટના આગમન અંગે ખુશાલી વ્યક્ત કર્યા પછી, તેને કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મના પ્રચારની જેમ કેવળ ‘હેઇસો હેઇસો’થી ગજવી મારવાને બદલે, શાંત ચિત્તે કેટલાક મુદ્દા યાદ રાખવા જેવા છે.
દૂધમાં સાકરઃ પારસીઓની કંઇ પણ વાત આવે એટલે અચૂકપણે સંજાણ બંદર અને દૂધમાં સાકરનો સદીઓ પુરાણો પ્રસંગ યાદ કરવામાં આવે છે. એ જ તરાહ પર રતન તાતાના ગુજરાતપ્રેમની વાતોમાં મનગમતો મસાલો ઉમેરતી વખતે એ યાદ રહે કે છેક મે,૨૦૦૬માં ‘નાનો’ પ્રોજેક્ટ માટે તાતાએ ગુજરાતની નહીં, પણ પશ્ચિમ બંગાળના સિંગુરની પસંદગી કરી હતી. દૂધમાં સાકરની કથાઓ ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તક માટે ઠીક છે, પણ રતન તાતા જેવા બિઝનેસમેન માટે તેનું શું મહત્ત્વ હોય? તેમના માટે આખો દેશ - હવે તો આખું વિશ્વ- પોતાનું મેદાન છે. તાતા ગુજરાતી ખરા, પણ ‘ગુજરાતની અસ્મિતા’ જેવા રાજકીય એજેન્ડા સાથે તેમને શી લેવાદેવા? તેમનાં તોતિંગ રોકાણ બંગાળમાં પણ હોય ને કર્ણાટકમાં પણ હોય, આસામમાં હોય ને ગુજરાતમાં પણ હોય.
તાતાના પૂર્વજ જમશેદજી તાતાનું સાણંદ કનેક્શનઃ ‘નાનો’ પ્લાન્ટની સાઇટ માટે સાણંદ નજીકની જમીન વિશે ચર્ચા થતાં ઉત્સાહીઓએ એવું શોધી કાઢ્યું કે ત્યાં વર્ષો પહેલાં તાતાના પૂર્વજ જમશેદજી તાતાએ દાન આપ્યું હતું. એટલે હવે તાતાને સત્કર્મનું ફળ મળી રહ્યું છે! હકીકતમાં, જમશેદજી એવા દાનવીર હતા કે તેમનાં દાનની ધારા આખા ભારતમાં વહેતી જોવા મળે. ‘નાનો’ પ્લાન્ટ માટે કર્ણાટક રાજ્યની ઉમેદવારી પ્રબળ ગણાતી હતી, ત્યારે ત્યાં પણ આ જ પ્રકારની વાત વહેતી થઇ હતીઃ જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ વચ્ચે ૧૮૯૩માં થયેલા આકસ્મિક મુલાકાત પછી, તાતાએ મૈસૂર રાજ્ય (હાલ કર્ણાટક)માં એક સંશોધન સંસ્થા સ્થાપવા માટે દાન આપ્યું હતું. મૈસૂરના મહારાજાએ તેના માટે જમીન પૂરી પાડી અને એ રીતે ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સીસ’ની સ્થાપના થઇ. આ હકીકત ચગાવીને કર્ણાટકમાં કેટલાક લોકોએ પણ તાતા સાથે ૧૦૦ વર્ષ જૂના કનેક્શનનો દાવો કર્યો હતો. પરંતુ અગાઉ કહ્યું તેમ, ધંધાની વાત આવે ત્યારે આ બધાં ભૂતકાળનાં કનેક્શનનું ભાગ્યે જ કંઇ મહત્ત્વ હોય છે. તેમાં વર્તમાન વ્યવસ્થા અને સુવિધા સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
‘નાનો’ પ્લાન્ટ, મોટો રાજકીય ફાયદોઃ ઉદ્યોગપતિઓને પોતાના પ્લાન્ટ ક્યાંક તો સ્થાપવાના જ હોય છે. છતાં, સંબંધિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ તેમાંથી શક્ય એટલો રાજકીય માઇલેજ મેળવીને, પોતાની નેતાગીરીના તેજવર્તુળમાં નવો ઝગમગાટ ઉમેરવાનો પ્રયત્ન કરે છે. મે, ૨૦૦૬માં પશ્ચિમ બંગાળમાં લાગલગાટ સાતમી વાર ડાબેરી પક્ષો વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા. તેના પગલે મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ જાહેરાત કરી કે તાતાની પીપલ્સ કાર ‘નાનો’નું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થશે.

૧૮ મે, ૨૦૦૬ના રોજ બુદ્ધદેવ અને તાતાએ સંયુક્ત પત્રકાર પરિષદ ભરી. તેમાં તાતાએ કહ્યું હતું,‘આપણે માનીએ છીએ કે રોકાણકારો માટે પશ્ચિમ બંગાળ દેશભરમાં સૌથી વઘુ અનુકૂળ (ધ મોસ્ટ ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી) રાજ્ય છે. એ માન્યતાને કોઇકે તો હકીકતમાં બદલવી પડશે. અમારૂં રોકાણ એ બાબતનું પ્રતિબિંબ છે કે તાતા ગુ્રપને રોકાણકારો માટે અનુકૂળ આબોહવા અને પશ્ચિમ બંગાળની સરકાર પર ભરોસો છે.’ ‘નાનો’ પ્લાન્ટને કારણે દસેક હજાર જેટલા માણસોને સીધી કે આડકતરી રોજગારી મળશે એવી જાહેરાત તાતાએ બુદ્ધદેવ સાથેની પત્રકાર પરિષદમાં કરી હતી. એ ફાયદો હવે ગુજરાતને- ગુજરાતની પ્રજાને મળશે, પણ ગુજરાત સરકારને- તેના સત્તાધીશોને થનારા ફાયદાની સરખામણીમાં તે ગૌણ લાગશે.

3 comments:

  1. It is mandatory to be proud of things in Gujarat. Whoever doesn't have a pride in the Gujarat Sarkar is surely Gujarat-Virodhi or even Rajdrohi. No, not Rajdrohi... The official Rajdrohi people are with the Government now. That is the another under rated achievement of the Sarkar that it even won over all the Rajdrohis. From now on, we will read more respectful articles on the CM, on the government...Everyone is happy, the biggest business deal cracked-"If you write nice things about us, you are not Rajdrohi..."

    ReplyDelete
  2. Anonymous11:50:00 PM

    again great article. gujarat ni public na magaj bandh thai gaya chhe. saru sambhadvu chhe pan sachu nahi. ava loko na lidhe j gujarat kadi agal nahi aave. bandh magaj na loko. urvishbhai tamari jem badha vichare to sache ma gujarat number one bani sake chhe.

    ReplyDelete
  3. Anonymous3:02:00 PM

    રતન ટાટા અને ‘નેનો’ આપણાં રાજ્યનાં મહામૂલાં મેહમાન છે. ગરવી ગૂજરાતમાં તેમનું દિલોજાનથી સ્વાગત છે. પરંતુ એ યાદ રાખવું ઘટે કે કોઈ પણ ઉદ્યોગ કે ઉદ્યોગપતિ દેશથી વધારે મહાન નથી કે કોઈ લાલા લાભ વગર લોટતા નથી, એ સનાતન સત્ય દરેકને નરી આંખે દેખાઈ રહ્યું હોવા છતાં રતન ટાટા અને ‘નેનો’ ને આવકારવામાં વિવેકભાન ભૂલીને કાલીઘેલી જાહેરાતો કરવા મંડી પડતાં અતિઉત્સાહી જનોએ શું નેનો પર આટલા ઓવારી જવાની જરૂર છે ? ગૂજરાત કે દેશનાં વિકાસમાં ટાટા સિવાય શું બીજા કોઈ ઉદ્યોગોનું કોઈ જ યોગદાન નથી ? સદીઓથી વેપાર્-ધંધા માટે સાત સમંદરો ખૂંદી નાખનારી મહાજાતિ કોઈ એક ઉદ્યોગ કે ઉદ્યોગપતિને પોતાનાં અન્નદાતા માની બેસે એ વાત મર્દ ગૂજરાતીઓને શોભતી નથી. !!!

    ReplyDelete