Monday, November 10, 2025
ઉપમાઃ નાસ્તો કે ભોજન?
ચીન, મેક્સિકો, ઇટાલી જેવા દેશોની ખાણીપીણીએ ગુજરાતી ભોજનરસિયાઓ પર કામણનાં આક્રમણ કર્યાં તે પહેલાં દક્ષિણ ભારતીય વાનગીઓ મોભાનું સ્થાન ભોગવતી હતી. ત્રણ-ચાર દાયકા પહેલાં બહાર જઈને ‘ઢોંસો’ ખાવો, એ ઇટિંગ આઉટનો એટલે કે બહારની ખાણીપીણીનો પર્યાય હતો. કોઈ દક્ષિણ ભારતીય કે દક્ષિણની પરંપરાથી પરિચિત જણ અગાઉનું વાક્ય વાંચશે તો તે ભડકો થઈ ઉઠશે. કારણ કે, દક્ષિણમાં તે વાનગીને ‘દોસા’ કે ‘દોસ્સા’ કહેવામાં આવે છે. ગુજરાતીઓને તેનો સ્વાદ તો અનુકૂળ આવ્યો, પણ ઉચ્ચાર જરા મોળો લાગતો હશે. એટલે તેમણે વાનગી ખાતાં પેટ ભરાય તેનાથી પણ પહેલાં, વાનગીનું નામ બોલવાથી મોઢું ભરાઈ જાય, એ માટે નામ પાડ્યું, ઢોંસા. ઉત્તપ્પમ કે અપમની તરાહ પર કોઈએ ‘ઢોંસમ્’ નથી કર્યું એ જ ગનીમત.
પ્રકાશ
ન. શાહનો કોપીરાઇટ ધરાવતી એક રમૂજ પ્રમાણે, એક સંશોધકે જાહેર કર્યું કે મહાકવિ
કાલિદાસ દક્ષિણ ભારતના હોવા જોઈએ. કોઈએ તેના દાવાનો આધાર જાણવા માગ્યો ત્યારે તેનો
જવાબઃ ‘સંસ્કૃતમાં
કહ્યું છે ને, ઉપમા કાલિદાસસ્ય.’ આમ તો
આ પ્રકાશભાઈની રમૂજ હતી, પણ ઓસ્ટ્રેલિયાનું નામ અસ્ત્રાલય હોઈ શકે, તો કાલિદાસ
દક્ષિણી પણ કેમ ન હોઈ શકે? આમ પણ,
ભારતે તક્ષશીલા-નાલંદા યુનિવર્સિટીનો વારસો ક્યાંય પાછળ છોડીને વોટ્સએપ
યુનિવર્સિટીનો ચીલો પકડ્યો છે, ત્યારથી ઇતિહાસની વાત કરવામાં રાજદ્રોહ લાગવાનું કે
આઇટી સેલમાં હોદ્દેદાર બની જવાનું જોખમ સમાયેલું હોય છે.
એટલે
વાત ફક્ત ઉપમાની. ઇડલી-દોસા (ઢોંસા) બહાર જઈને ખાવાની વાનગી, તો ઉપમા ઘરે બનાવાતી
ચીજ. પહેલાં તેનું લોકપ્રિય ગુજરાતી નામ હતું ‘તીખો શીરો’. તે નામ ‘સફેદ મેશ’ જેવું પરસ્પર વિરોધી (વદતોવ્યાઘાત)
લાગતું હતું. કદાચ એ જ કારણે તેની નવીનતા અને વિશેષતા પણ ઊભી થઈઃ ‘ગળ્યો શીરો તો સૌ કોઈ બનાવે, આ તીખો
શીરો છે, તીખો.’ ઉપમા નાસ્તો કહેવાય કે ભોજન, તે વિશે જેટલાં
પેટ, તેટલા અભિપ્રાય છે. કેટલાક લોકો ઉપમાને ભોજન ગણવાના ઉલ્લેખ માત્રથી તાડુકીને
કહે છે,’ઉપમા સરસ આઇટમ
છે. સારી લાગે. ભાવે, પણ ખાવામાં?’ પછી
તે એવી તુચ્છકારસૂચક ચેષ્ટા કરે છે, જેનો અર્થ થાય, ‘તમારી સાથે વાત શરૂ કરી, એ જ ભૂલ થઈ.’
આવા
લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે માનવતાનો હવાલો આપતાં કહેશે કે જેમને
સરખું ખાવા જોઈતું હોય તેમને ગમે તેટલી ઉપમા ખવડાવો તો પણ તેમનું પેટ ન ભરાય. એટલે
ભોજનમાં ઉપમા આપવી તે હકીકતમાં માણસને ભૂખ્યો રાખવા બરાબર છે અને ભૂખ્યા જનોનો
જઠરાગ્નિ જાગશે તો શું થશે તે હવે બધાને ખબર છે—કશું નહીં થાય, ભૂખ્યો જન કોઈ પક્ષ
કે નેતાની ઉશ્કેરણીના રવાડે ચડીને હુલ્લડખોરી કરશે અથવા કોઈકની ઉશ્કેરણીનો ભોગ બનશે
અને લાઠી-ગોળી ખાઈને પેટ ભરી લેશે.
ઉપમાની
વાત લાઠી-ગોળી સુધી પહોંચેલી જોઈને ઉપમાપ્રેમીઓ ખળભળી ઉઠશે. કેમ કે, તે ઉપમાને
શ્રેષ્ઠ આહાર માને છે. તેમની માન્યતાના સમર્થનમાં તે યુટ્યુબ પર ફાટી નીકળેલા
આરોગ્યનિષ્ણાતોની જેમ, ઉપમા કેવી રીતે સૌથી આરોગ્યપ્રદ હોઈ શકે છે, તેમાંથી કયાં
ફાયદાકારક તત્ત્વો મળશે ને કયાં નુકસાનકારક તત્ત્વો નહીં મળે તેની વાતો વિજ્ઞાનના
આધારો આપીને કરશે.
દલીલ
ખાતર તેમની વાત સાચી માનવામાં આવે તો પણ, એક મહત્ત્વની સચ્ચાઈ તે ભૂલી જાય છેઃ
ભોજનપ્રીતિ અને ભોજનપસંદગીનો સંબંધ વિજ્ઞાન સાથે નહીં, મનોવિજ્ઞાન સાથે વધારે હોય
છે. આરોગ્યઘેલા થઈને પોતાનું શારીરિક અને બીજાનું માનસિક આરોગ્ય બગાડી શકતા
આરોગ્યપ્રેમીઓને બાદ કરતાં, સામાન્ય-સ્વસ્થ લોકો કેલરી ગણીગણીને અને પોષક તત્ત્વો
વીણી વીણીને ભોજન કરતા નથી. તેમને માટે સ્વાદ અને જથ્થો બંનેનું મહત્ત્વ હોય છે.
એવા વર્ગ માટે ઉપમાને ભોજન ગણવી, તે ફિલ્મફેર એવોર્ડને ઓસ્કાર એવોર્ડ ગણવા જેવું
લાગી શકે.
કેટલાક
કદરદાનો ઉપમાની સાહિત્યિકતા પર ફીદા હોય છે. તે કહે છે,‘વાનગીઓનાં બીજાં નામોની સરખામણીમાં
ઉપમા નામ જ કેટલી મધુર અનુભૂતિ પેદા કરે છે. તેનામાં સાહિત્યનો રણકાર છે. અમને તો
ઉપમા ઉપ મા જેવી લાગે છે—જેમ ઉપરાષ્ટ્રપતિ હોય, ઉપપ્રમુખ હોય એમ ઉપમા. તેનાથી માની
રસોઈની અને માની યાદ આવી જાય છે.’
ઉપમા
બનાવતી વખતે તેમાં મરચાના ટુકડા, મીઠો લીમડો વગેરે અનેક એવી ચીજો નાખવામાં આવે છે,
જે સ્વાદ માટે જરૂરી, પણ ખાઈ જવાની હોતી નથી. એટલે ઉપમા ચમચીમાં ભરતાં પહેલાં,
તેમાંથી આ બધી બિનજરૂરી સામગ્રી દૂર કરીને ઉપમાને ‘ચોખ્ખી’ કરવી પડે છે. તે પ્રક્રિયા
ભાષા-સાહિત્યના કેટલાક પ્રેમીઓને પ્રૂફરીડિંગ જેવી લાગે છે. જેમ લખાણમાંથી
ભૂલોરૂપી કાંકરા દૂર કર્યા પછી તે છાપવાલાયક બને છે, તેમ ઉપમાનું પણ પ્રૂફરીડિંગ
કર્યા પછી જ તે ખાવાલાયક બને છે અને યોગ્ય રીતે તેનું પ્રૂફરીડિંગ ન થાય તો મરચું
ચવાઈ જવાનો સંભવ રહે છે.
આટલા
વર્ણન પરથી કોઈ રખે માને કે ઉપમા એક તકરારી કે સાહિત્યિક ગૂંચ ધરાવતી ખાદ્યસામગ્રી
છે. હકીકતમાં તે બીજી ઘણી ચીજો કરતાં સાત્ત્વિક અને પૌષ્ટિક છે. તકરાર તો ફક્ત
તેને ભોજન ગણવી કે નાસ્તો, તેની જ હોઈ શકે છે. તે ચર્ચામાં પડવાને બદલે, ‘જમવા બેસીએ ત્યાં સુધી ઉપમા ચાલશે’—એવી સમાધાનકારી ભૂમિકા પર આવી ગયા
પછી, બંને પક્ષો ઉપમાનો પૂરો આનંદ લઈ શકે છે.
Monday, October 27, 2025
મંત્રીમંડળની બેઠક
સામાન્ય રીતે કકળાટ કાળીચૌદશના દિવસે કાઢવાનો રિવાજ છે, પણ ગુજરાતમાં મંત્રીંમંડળની પુનઃરચના ચૌદશથી પહેલાં થઈ ગઈ. મંત્રીમંડળમાં કોણ આવ્યું ને કોણ ગયું, કોણ પડ્યું ને કોણ ચડ્યું, એવી બધી ચર્ચા (સાદી ભાષામાં, ચૌદશ) બહુ થઈ. નવા મંત્રીમંડળનો ઉત્સાહ મંત્રીઓને હોય એનાં કરતાં વધારે તો મિડીયાને વધારે હતો. ઘરે પ્રસંગ હોય તો પણ ન કરે, એટલી તૈયારી અને દોડધામ કેટલાક મિડીયાવાળા કરી રહ્યા હતા. ક્યાં કેવી તૈયારી ચાલી રહી છે, તેનું મિનીટેમિનીટનું રિપોર્ટિંગ થઈ રહ્યું હતું. તેનું એક કારણ કદાચ એ પણ હોય કે મિડીયાવાળા જાણે છે, એક વાર મંત્રીઓ તેમનું ખાતું સંભાળી લે, ત્યાર પછી મિડીયાવાળાને રિપોર્ટિંગની તક નહીં મળે. ખરેખર તો, મંત્રીને પોતાને કશું કરવાની તક મળશે કે કેમ, તે પણ સવાલ.
મનમાં
નવોઢા જેવી મૂંઝવણો અને લોટરી જીતનારા જેવો રોમાંચ અનુભવતા મંત્રીઓની પહેલી
અનૌપચારિક બેઠક થાય, તો તે કેવી હોય? થોડી કલ્પનાઃ
અધિકારીઃ
નમસ્કાર. નવા મંત્રીમંડળમાં આપ સૌનું સ્વાગત છે.
મંત્રી
1: તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. મંત્રી જેવા તો
લાગતા નથી...
મંત્રી
2: એટલે તમે
કહેવા શું માગો છો?
મંત્રીઓ માણસ કરતાં જુદા લાગે?
ખૂણામાંથી
અવાજ: કોને ખબર? બહુ વફાદાર હોય તો કદાચ ગળામાં...
અધિકારીઃ
(વાક્ય કાપીને) મારો હોદ્દો તમારે જાણવાની જરૂર નથી. મારું કામ તમને નવી જગ્યાએ
સારી રીતે ગોઠવી આપવાનું છે.
મંત્રી
3 (મંત્રી 4ને, ગુસપુસ અવાજે) : બોલો, આપણને એમ કે અમિતભાઈ બધું
ગોઠવે છે, પણ અહીં તો આ ભાઈ બધું ગોઠવવાનો દાવો કરે છે. ગાંધીનગરનું પાણી...
મંત્રી
4: (એવા જ સ્વરે)
હજુ તો આપણે આપણી ચેમ્બર પણ જોઈ નથી. એકદમ અસંતુષ્ટ થઈ જવાની જરૂર નથી.
અધિકારીઃ
શાંતિ, શાંતિ. મારી વાત સાંભળીને કોઈ ખરાબ ન લગાડતા...
(બધા,
એકસાથે) : અમને
તો હવે પ્રેક્ટિસ પડી ગઈ છે. અમે મતદારો સિવાય બીજા કોઈની વાતનું ખરાબ લગાડતા નથી.
અધિકારી: વેરી ગુડ. તો તમારું ભવિષ્ય બહુ
ઉજ્જવળ છે. સૌથી પહેલાં તો મારે તમને એ કહેવાનું કે તમને તમારી જગ્યા બતાવી
દેવામાં આવે, ત્યાર પછી ટેવાતાં વાર ન લગાડતા.
મંત્રી
3 (ઉશ્કેરાઈને): જગ્યા
બતાવી દેવામાં આવે એટલે? અમારી
જગ્યા બતાવનાર તમે કોણ?
મંત્રી
4 (મંત્રી 3ને, હાથ દબાવીને, ધીમેથી) : હમણાં શાંતિ રાખો. આ તો ચિઠ્ઠીનો
ચાકર છે. તેના હાથમાં કશું નથી.
મંત્રી
3: તો આપણે પણ
એનાથી ક્યાં જુદા છીએ? આપણા
હાથમાં શું છે?
મંત્રી
1: કેમ વળી? ગાડી, બંગલો, લાલ બત્તી, આર્થિક
લાભો, આર્થિક લાભો મેળવવાની તક...
મંત્રી
3: એ બધું તો
સમજ્યા, પણ માથે લટકતી તલવાર નહીં? અડધી
રાતે દિલ્હીથી ફોન આવે તો નોકરી જતી રહે.
અધિકારી: આપસાહેબોએ આ રીતે વાત ન કરવી જોઈએ.
આપ સૌ પ્રજાના સેવકો છો...
(બધા,
સામુહિક રીતે હસે છે અને હસતાં હસતાં બેવડ વળી જાય છે.)
ખૂણામાંથી
અવાજઃ આ અમિતભાઈનું નામ પ્રજા ક્યારથી થયું?
(અધિકારી
અવાજની દિશામાં જોવા પ્રયાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી.)
અધિકારીઃ
આપમાંથી કોઈ ભૂતપ્રેતમાં માનો છો?
(બધા
સમુહસ્વરે) : ના,
અમે તો મોદીસાહેબ અને અમિતભાઈ એ બેમાં જ માનીએ છીએ.
અધિકારી: છોડો એ વાત. હું તમને ખાસ એ કહેવા
માગતો હતો કે તમારી પાસે સમય ઓછો છે, એટલે જલદી ગોઠવાઈ જાવ એવી ઉપરથી ખાસ સૂચના
છે.
મંત્રી
1: તમે ચિંતા ન
કરતા, અમે ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવવું એની વેતરણમાં જ છીએ.
અધિકારી: હું ગોઠવી લેવાની નહીં, કામકાજમાં
ગોઠવાઈ જવાની વાત કરું છું. આમ તો તમારા ભાગે ખાસ કંઈ આવશે નહીં...
મંત્રી
2: એટલે?
અધિકારી: જ્યારથી જનરલ નોલેજના પેપરમાં
રાજ્યના મંત્રીઓ વિશે સવાલ પૂછાતા બંધ થઈ ગયા ત્યારથી રાજ્યના મંત્રીમંડળનાં નામ
વિશે કોઈને ખબર હોતી નથી. તમે જ્યાં જાવ ત્યાં તમારે કહેવું પડશે કે હું ફલાણા
ખાતાનો મંત્રી. ત્યારે લોકોને થશે કે તમે અસ્તિત્વ ધરાવો છો.
મંત્રી
3: પણ ખાતાના
અધિકારીઓ?
અધિકારી: તમે તો જાણો જ છો, ગઈ વખતે અધિકારીઓ
મંત્રીઓના ફોન ઉઠાવે એવું કહેવા માટે પરિપત્ર કાઢવો પડ્યો હતો...
મંત્રી
5 (મંત્રી 3ને) : બસ, આ જ સાંભળવું હતું ને તમારે? સાંભળી લીધું ને?
અધિકારી
: એમાં કોઈએ
માઠું લગાડવાની જરૂર નથી. તમારા કોઈ પ્રત્યે સાહેબને અવિશ્વાસ હોત તો તમે અહીં
બેઠા ન હોત. તમારે યાદ એટલું જ રાખવાનું કે તમે કોઈ પણ બાબતમાં ફાઇનલ ઓથોરિટી નથી.
તમે અધિકારીને સૂચના આપવા જાવ, ત્યાર પહેલાં તેમને ઉપરથી સૂચના મળી પણ ગઈ હોય.
મંત્રી
3: તો પછી
મંત્રીપદાને શું કરવાનું?
મંત્રી
5: તમે કહેતા હો
તો ઉપર કહેવડાવી દઉં. બીજા લાઇનમાં તૈયાર જ છે.
અધિકારી: શાંતિ..શાંતિ... સાહેબ, આજે સપરમા
દિવસે કોઈએ માઠું લગાડવાનું નથી. આજે તો મારે તમને બધાને મોં મીઠું કરાવીને,
સાહેબની વફાદારીની કસોટીમાં હેમખેમ પાર ઉતરો એવી શુભેચ્છા સાથે તમારી જગ્યાએ લઈ
જવાના છે. એક વાર તમે તમારી જગ્યાએ પહોંચો. ગુજરાતનું પછી જોઈ લઈશું.
(એ સાથે જ મિટિંગ પૂરી થાય છે અને સૌ એક ખૂણામાં રહેલી મોટી તસવીરને પાયલાગણ માટે લાઇન લગાડે છે.)
Saturday, October 18, 2025
ન જોયેલા વડીલોની સ્મૃતિ
નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.
નામઃ
ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા
મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે,
તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.
અમારા
બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ
નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને
પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન
પડ્યું.
અમારાં
બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય.
તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે
રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં
તેમને ગોઠવ્યા હતા.
ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.
ચાર
લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ
કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર
હવે તેમાં આવે છે.
Friday, October 17, 2025
બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.
![]() |
| પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967 |
![]() |
| પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે |
Saturday, October 11, 2025
સૂચિત નવા ઉત્સવ
આઠ વર્ષ સુધી આકરો જીએસટી વસૂલ કર્યા પછી, સરકારે કેટલીક ચીજોમાં જીએસટી ઘટાડ્યો અને તેને ‘બચત-ઉત્સવ’ તરીકે ઉજવવાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તે ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર કરી શકાય એવા બીજા કેટલાક ઉત્સવ.
ખાડોત્સવઃ પહેલાં ફક્ત ચોમાસામાં રસ્તા ખરાબ
થતા હતા, પરંતુ ન્યાયપ્રેમી સરકારને લાગ્યું કે ત્રણે ઋતુમાં ફક્ત ચોમાસાની બદનામી
થાય તે ઠીક નહીં. એટલે પછી એવી વ્યવસ્થા ગોઠવાઈ કે બધી ઋતુમાં રસ્તા ખાડાગ્રસ્ત જ
રહે છે. સરકારના પાળેલા અથવા સરકાર દ્વારા પળાવા ઉત્સુક ચિંતકો કહી શકે કે ખાડા એ
તો મનની સ્થિતિ છે. મનમાં ખોટ કે દેશદ્રોહી લાગણીઓ ન હોય તો ખાડા નડતા નથી. તેમને
સહેલાઈથી અવગણી શકાય છે. નાના ખાડા આવે તો વાહનને સહેજ બાજુ પરથી કાઢીને ખાડા ટાળી
શકાય અને મોટા ખાડા આવે તો તેને ખાડા ગણવાને બદલે રસ્તાની ‘ન્યૂ નોર્મલ’ સ્થિતિ તરીકે સ્વીકારીને તેમાં કશી
ફરિયાદ વિના વાહન ચલાવી શકાય.
પરંતુ
આ તો થાય ત્યારે ખરું. તે પહેલાં લોકલાગણી જો ઉશ્કેરાય અને સરકાર પાસે જવાબ માગે,
તો તેને બીજા પાટે ચડાવવા ગામેગામ ખાડોત્સવનો આરંભ કરી શકાય. તેના માટે ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય ખાડા સંઘ’ જેવી, ટૂંકમાં ‘ખાડાસંઘ’ તરીકે ઓળખાય એવી સંસ્થા પણ સ્થાપી
શકાય. પેજપ્રમુખો તો ઓલરેડી નીમેલા જ છે અને ચૂંટણી સિવાય તે સામાન્ય રીતે
નિરાંતમાં હોય છે. તેમને ખાડાસંઘના સ્થાનિક પ્રમુખનો નવો હોદ્દો તથા વધારાનો ચાર્જ
આપી શકાય. તેમની જવાબદારી એ કે તેમના વિસ્તારમાં આવેલા ખાડા વિશે લોકોના મનમાં
રહેલો અસંતોષ કે ફરિયાદ દૂર થાય, લોકો ખાડાને રાષ્ટ્રવાદી સરકારની નગણ્ય આડઅસર
તરીકે સ્વીકારતા અને સમય જતાં તેનું ગૌરવ અનુભવતા થાય. તે માટે પહેલાં દર
અઠવાડિયે, પછી દર પખવાડિયે અને પછી દર મહિને ગામેગામ, વિસ્તારવાર ખાડોત્સવ અંતર્ગત
ખાડાપૂજન શરૂ કરે. તે માટે ખાડાસ્તોત્ર રચવામાં આવે, તેને એકાદ સરકારી ગાયક પાસે
ગવડાવીને આખા રાજ્યમાં તેનું વિતરણ કરવામાં આવે અને ખાડાસ્તોત્ર કે ખાડાપૂજનનો
વિરોધ કરનારાને હિંદુવિરોધી, રાષ્ટ્રદ્રોહી, સેક્યુલર જાહેર કરવામાં આવે. એમ
કરવાથી ખાડા પ્રત્યે જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને કેટલાક તો પોતાના
વિસ્તારમાં ખાડોત્સવ ઉજવી શકાય એટલા ખાડા કેમ નથી, તેની ફરિયાદ કરતા થશે.
પુલોત્સવઃ સાંભળવામાં કોઈને ફૂલોત્સવ કે fool-ઉત્સવ લાગે તો એવી ગેરસમજ આવકાર્ય
છે. આ ઉત્સવ અંતર્ગત રાજ્યભરમાં જેટલા મોટા, નાના, કાચા પુલ હજુ પડી નથી ગયા,
તેમની વસ્તી ગણતરી કરવામાં આવે અને તેના આંકડા જોરશોરથી જાહેર કરવામાં આવે. ત્યાર
પછી પાળેલાં માધ્યમો દ્વારા એવા અહેવાલ કરાવવામાં આવે કે આખા રાજ્યમા કુલ અમુક
હજાર પુલ છે અને તેમાંથી માંડ પાંચ-સાત પુલ તૂટ્યા, તો તેની ટકાવારી કેટલી ઓછી થાય? અને રાજ્યના 99 ટકાથી પણ વધારે પુલો
સલામત હોય ત્યારે ક્યાંક ક્યાંક પુલો તૂટે તો સરકારને માથે માછલાં ધોવાનું કેટલું
યોગ્ય ગણાય? અને
તે વાંકદેખાપણાની તથા સરકારવિરોધી એટલે કે દેશવિરોધી માનસિકતાની નિશાની નથી?
સાજા
રહેલા પુલોની ગણતરી કરીને તેના આંકડા એક વાર બહાર પાડી દીધા પછી શું? પુલો તો વચ્ચે વચ્ચે તૂટતા રહેવાના
અને નાના હોબાળા થતા રહેવાના. તેમને અંકુશમાં રાખવા માટે, પુલોની વસ્તી ગણતરી થતી
હોય તેને સમાંતર જ, સાજાસમા રહેલા પુલોનું પૂજન શરૂ કરાવવું, તેમની સલામતી માટે
હવન કરાવવો અને આખું ગામ જમાડવું. ઉપરાંત, સાજાસમા રહેલા પુલો અને તેના થકી
સ્થાપિત થતી સરકારની કાર્યક્ષમતા વિશે નિશાળોમાં નિબંધસ્પર્ધાઓ યોજવી, કોલેજોમાં
સરકારમાન્ય અને સરકારી કૃપાવાંચ્છુક એવા વક્તાઓનાં ભાષણો ગોઠવવાં, જેમાં તેમણે
દરેક સાજા રહેલા પુલ માટે નરેન્દ્ર મોદીની મહાન નેતાગીરી શી રીતે જવાબદાર છે, તે
વિવિધ દાખલાદલીલો, ઉદાહરણો, વિજ્ઞાન-ઇતિહાસ-ભૂગોળ આદિનાં ઉદાહરણો આપીને સમજાવવું. આવી
પ્રવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને એકસ્ટ્રા દસ માર્ક આપવા.
શ્વાસોત્વઃ નોટબંધી અને કોરોના જેવા મહામારીઓ છતાં દેશના બહુમતી લોકો હજુ શ્વસી રહ્યા છે-જીવી રહ્યા છે, તે આ સરકારની સંવેદનશીલ નીતિને આભારી છે. સરકારે ધાર્યું હોત તો તે શ્વાસ પર 18 ટકા ને ઉચ્છવાસ પર 12 ટકા જીએસટી નાખી શકી હોત અને આઠ વર્ષ પછી બંનેના જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત સાથે શ્વાસોત્વની જાહેરાત કરી હોત. તેને બદલે સરકારે શ્વાસ-ઉચ્છવાસ પર કોઈ પણ પ્રકારનો કરવેરો રાખ્યો નથી,
સરકારે
શ્વાસોચ્છવાસનાં વાર્ષિક રીટેર્ન ભરવાની જોગવાઈ ઊભી કરી નથી, એ પણ તેની
નાગરિકવત્સલતાની નિશાની છે. બાકી, સરકાર ધારે તો દર વર્ષે તમે કેટલા શ્વાસ લીધા
અને કેટલા ઉચ્છવાસ, તેનું સરકારમાન્ય હોસ્પિટલમાં સરકારમાન્ય તબીબ પાસેથી
પ્રમાણપત્ર લઈને, તેને સરકારી વેબસાઇટ પર અપલોડ કરવાનો નિયમ કાઢી શકે.
તે
પગલામાં અસરકારતા ઓછી લાગતી હોય અને નાગરિકો પાસે વિચારી શકવાનો સમય બચતો હોય તો,
સરકાર એવું પણ કહી શકે કે શ્વાસ લેતાં પહેલાં હૃદયના ધબકારા ઝીલતું સરકારી યંત્ર
છાતી પર પહેરો, તેની સાથે તમારાં આધાર કાર્ડ-પાન કાર્ડ-મોબાઇલ નંબર લિન્ક કરો અને
દર મહિને તે નવેસરથી લિન્ક કરતા રહો. જે આવું નહીં કરે તેને નાગરિક આરોગ્યનાં
સરકારી પગલાંનો વિરોધ કરવાના ગુનાસર દંડ કરવામાં આવશે.
છ
મહિના પછી આ પગલું પાછું ખેંચીને પણ સરકાર શ્વાસોત્વ ઉજવી શકે.
Friday, October 10, 2025
હોર્ડિંગબાજી અને મસ્કાબાજી
રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. હમણાં જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નામના એક મંત્રીને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યાર પછી તેમને અભિનંદન આપતાં હોર્ડિંગોનું ઘોડાપૂર આવ્યું છે.
Tuesday, September 23, 2025
પ્રાણીઆલમના પ્રતિભાવ
ગયા સપ્તાહે વડાપ્રધાનની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. ફિલ્મ-વેપારઉદ્યોગ અને રમતગમતથી માંડીને ઘણાં ક્ષેત્રોના લોકોએ સાચી, ખોટી, ભયપ્રેરિત, લાલચપ્રેરિત, કૃપાવાંચ્છુ, (હૃદયસ્પર્શીની જેમ) ચરણસ્પર્શી...એમ અનેક રંગઝાંયવાળી શુભેચ્છા વડાપ્રધાનને પાઠવી-- અથવા ઘણાએ, કેટલાકના મતે, આઇટી સેલ તરફથી મોકલાયેલી રેડીમેડ શુભેચ્છા પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટ પર શેર કરી.
શુભેચ્છા આપવામાં ‘વનતારા’નાં પ્રાણીઓનો પણ સમાવેશ થતો હતો—એવી
સ્ટોરી હજુ સુધી કોઈએ કરી ન હોય, તો તેનો અર્થ એટલો જ થયો કે રિપોર્ટરો આળસુ થઈ ગયા
છે અને તેમનું કામ, આ બાબતમાં પણ, સરખી રીતે કરતા નથી. અનંત અંબાણીએ ઊભું કરેલું પ્રાણી
સંગ્રહાલય કમ સારવાર કમ પુનર્વસન કમ...કમ...કમ...કેન્દ્ર ‘વનતારા’ સામાન્ય માણસની પહોંચની
બહાર હોય અને તે કેન્દ્રની તો ઠીક, તેનાં પ્રાણીઓની વાત કરતી વખતે પણ કેસ થઈ જવાની
બીક લાગે, એવો શાનદાર હુકમ અદાલતે જારી કરી દીધો હોય, ત્યારે ‘વનતારા’નાં પ્રાણીઓને
મળવાનો મોહ જતો કરવો પડ્યો. તેને બદલે બીજાં કેટલાંક પ્રાણીઓની લાગણી જાણવાનો વિચાર
કર્યો.
પછી સવાલ આવ્યો ભાષાનો. તે માટે આંખ મીંચીને ધ્યાન ધરવાનો પ્રયાસ
કરતાં, મનના આકાશમાં આકાશવાણી થઈ. પહેલાં તો લાગ્યું કે ક્યાંક આકાશવાણીમાં પણ વડાપ્રધાનને
શુભેચ્છા ન સંભળાય. પછી યાદ આવ્યું કે આ ‘પ્રસારભારતી’વાળી સરકારી આકાશવાણી નથી. એટલે
તેને એવી જરૂર નહીં પડે.
પછીનો ટૂંકસાર એટલો કે કામચલાઉ ધોરણે પશુપક્ષીઓની બોલી સમજવાનો
મેળ પડી ગયો અને શરૂ થઈ મુલાકાતો.
આપણે ત્યાં ઘરની બહાર નીકળ્યા પછી, જેને મળવા માટે નહીં, પણ
ન મળવા માટે પ્રયત્ન કરવો પડે એવું પ્રાણી એટલે ગાય. સામે જ એક ગાય દેખાઈ એટલે સંવાદ શરૂ થઈ ગયો.
લેખકઃ હાય ગાય.
ગાયઃ હું તો, ગાય્ઝવાળી નહીં, ખરેખર ગુજરાતીવાળી ગાય
છું, પણ વાંધો નહીં. બોલો...
લેખકઃ તમને ખબર છે કે 75મી...
ગાયઃ તમે પણ વર્ષગાંઠની વાત કરવા આવ્યા છો? અરેરે...જન્મદિનની
શુભેચ્છાવાળાં છાપાંનાં પાનાં હજુ સુધી પચ્યાં નથી. સખ્ખત ઓવરઇટિંગ થઈ ગયું. પેડમાં
ગુડગુડ બોલે છે. કેટલાં બધાં પાનાં હતાં.
લેખકઃ એ તો ઠીક છે, પણ બીજું કંઈ?
ગાયઃ હા, મને અખબારોની બહુ ચિંતા થાય છે.
લેખકઃ એ તો જોઈ-વિચારી શકતા દરેક જણને થાય છે.
ગાયઃ એમ નહીં, પણ ડિજિટલ મિડીયાને કારણે અખબારો સાવ બંધ
જ થઈ જશે, તો અમારું શું થશે? (નીચે પડેલો છાપાનો ટુકડો બતાવીને, એકદમ ટોલ્સ્ટોય-અંદાજમાં)
ત્યારે ચાવીશું શું?
ગાયને ચિંતા કરતી મુકીને આગળ જતાં સામેથી ભૂંડ આવતું દેખાયું.
તેને કશું પૂછું તે પહેલાં જ તે મારી તરફ ધસ્યું અને પડકાર કર્યો, ‘ખબરદાર, 75 વર્ષ
વિશે એક શબ્દ પણ બોલતાં પહેલાં મારી સાથે ચર્ચા કરવી પડશે ને તેમાં મને હરાવવો પડશે.’
તેને કહેવું પડ્યું કે મને સોશિયલ મિડીયા પર અગાઉનો બહોળો અનુભવ
છે. એટલે હવે તેમાં પડવા માગતો નથી.
‘એમ કહો ને કે તમે મારી સામે હાર કબૂલો છો અને હું જે મહિમાગાન
કરું છું એવું સ્વીકારો છો.’ અને જવાબ સાંભળવાની તસ્દી લીધા વિના, વિજયી ઉત્સાહ સાથે
તે ભૂંડોની એક ટોળીમાં ભળી ગયું.
થોડે આગળ જતાં એક ઊંટનો ભેટો થયો. મને જોઈને તે ઊભું રહ્યું.
ઊંટ (ગુસપુસ અવાજે) : તમને ખબર છે, 75મી વર્ષગાંઠની
ભવ્ય ઉજવણીને ઉતારી પાડવા માટે લોકો કેવાં કેવાં જૂઠાણાં ફેલાવે છે, કેવા ખોટેખોટા
દાવા કરે છે કે સેલિબ્રિટીઓએ લખેલી વાતો ખરેખર તેમણે લખી જ નથી. ઉપરથી તૈયાર થઈને આવેલી
કથાઓ પરથી પોતાનું નામ કાઢી નાખીને બાકીનો ભાગ તેમણે સોશિયલ મિડીયા પર ચોંટાડી દીધો.
બોલ, આ ટીકાખોરો કેટલા હળાહળ જૂઠા છે. કોઈને નીચા પાડવા માટે આટલું બધું જૂઠું ને બેફામ
બોલાય? આપણા ભારતીય સંસ્કારો આવું શીખવાડે છે?
લેખકઃ આ તો અવળું થયું. મારે તમને સવાલ પૂછવાનો હતો એને
બદલે તમે મને પૂછી રહ્યા છો. પણ તમે તમારા પૂર્વજ વિશેની પેલી કવિતા તો સાંભળી જ હશે
ને...અન્યનું તો એક વાકું...
ઊંટ (ઉત્સાહથી સૂર પુરાવતાં) : અન્યનું તો એક વાંકું,
આપનાં છપ્પન છે...
લેખકઃ અઢાર નહીં?
ઊંટઃ એ આંકડો જૂનો થયો. આ નવો આંકડો છે.
આવું બધું સાભળીને હું ગુંચવાતો હતો, ત્યાં સામેથી શાણી બકરી
આવી.
લેખકઃ હેલો બકરીબેન, તમને તો ખબર હશે 75મી...
બકરીઃ (સવાલ પૂરો થવા દીધા વિના): તમારું ગુજરાતી બહુ
કાચું લાગે છે. બાકી, તમે મને ઓળખી કાઢી હોત. હું પેલી નવલરામની બકરી છું, જેને બેટડો
પરણાવવાનો બહુ હરખ હતો ને હોંશે હોંશે જાન કાઢી હતી.
લેખકઃ હા, હા, એમાં છેલ્લે એવું કંઈ આવતું હતું ખરું
કે 'ભેંસ, ભુંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી/ ગાય, બિલાડી, ઊંદરડી ને એક કૂતરીયે તેડી/
વાંદરીઓ નથી વીસર્યાં; દસ-વીસ આ કૂદે/ માથે સામટાં થઈ સૌ, સાત સૂરને છૂંદે.’
બકરીઃ બિલકુલ બરાબર. આટલી ખબર છે તો એ પણ ખબર હશે કે
નવલરામે કંઈ તે ખરેખર મારા બેટડાની જાન માટે થોડું લખ્યું હતું? એ તો અનેક પ્રસંગે
લાગુ પાડી શકાય.
નવલરામે 'ધન ધન બકરી! ન કોઈની, જાન તારા તો જેવી!’ કહ્યું હતું.
મારે બકરીને કઈ જાન વિશે 'ધન ધન' કહેવાનું, તેનો જવાબ આપ્યા વિના બકરીએ ચાલતી પકડી.
Tuesday, September 09, 2025
દેશદ્રોહી વરસાદ
જૂના રાજમાં કેટલીક વસ્તુઓ બાળપણથી જ એવી ખોટી શીખવવામાં આવતી હતી કે એ ભણેલું બાળક મોટું થયા પછી દેશનું આદર્શ નાગરિક ન બની શકે. જેમ કે, વરસાદનો મહિમા અને વરસાદ વિશેના નિબંધો. વિદ્યાર્થી અવસ્થાથી જ વરસાદ કેટલો ઉપકારક છે અને વરસાદ પડવાથી ધરતી કેલી લીલી ચાદર ઓઢી લે છે ને દેડકા કેવા ડ્રાંઉ ડ્રાંઉ બોલે છે ને નદીઓ કેવી છલકાઈ ઉઠે છે—આવું બધું માથે મારવામાં આવતું હતું. તેમાં દેશનું શું ભલું થાય, એવો સવાલ કોઈ પૂછતું ન હતું. પરિણામે, આવું શીખેલાં બાળકો મોટાં થાય ત્યારે મૂંઝાયઃ કેમ કે, વરસાદની મોસમમાં ગામના રસ્તા પર ખાડા પડે, રસ્તા ધોવાઈ જાય, ઠેર ઠેર પાણી ભરાઈ જાય, રસ્તા પર ટ્રાફિક જામ થતાં લોકો અટવાઈ પડે—આવી બધી વરસાદની દુષ્ટતાઓથી તે અજાણ હોય. એટલે, તે સીધાં વરસાદને બદલે સરકારનો વાંક કાઢવા બેસી જાય. વર્ષ 2014 પછી સરકારનો વાંક કાઢવો એ દેશદ્રોહ છે અને કોઈ પણ મુદ્દે સરકારનો વાંક હોઈ શકે નહીં—આટલી સાદી વાત જૂના કુસંસ્કારોને લીધે લોકોના મનમાં ઘૂસતી નથી.
કોઈ પ્રકૃતિપ્રેમી દલીલ કરશે કે આ બધું થાય તેમાં વરસાદનો શો વાંક? પુલો ને રસ્તા તો વગર વરસાદે પણ તૂટી પડે છે, જાહેર સુવિધાઓ વગર વરસાદે પણ ખોટકાઈ જાય છે...આવી દલીલોથી ભોળવાઈ જવું નહીં અને યાદ રાખવું કે સરકાર ઇચ્છે તે સિવાયનું કંઈ પણ વિચારવું એ પણ દેશદ્રોહનો જ એક પ્રકાર છે. વિચારવું કદાચ થોડો હળવો ગુનો હોઈ શકે, પણ કોઈને વિચારવા માટે પ્રેરવા, એ દુષ્ર્પેરણાનો સૌથી ખરાબ પ્રકાર છે. એટલે, આ બંને ગુનાથી બચીને, સરકારમાન્ય સારા નાગરિક બનવું.
વરસાદનો વાંક કેમ નહી? સો વાર વાંક. સાહેબલોકો કેટલા મોટાં મોટાં વિકાસનાં કામો કરીને અને તેના દ્વારા તેમની અને તેમની ટોળકીની સમૃદ્ધિમાં કેટલો અધધ વધારો કરીને દેશને આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. જરૂર પડ્યે આખા દેશના વિધાનસભ્યો અને સંસદસભ્યોને ખરીદી શકાય એટલું ભંડોળ એકઠું કરવા માટે નાનાંમોટાં વિકાસકાર્યો પૂરાં ન પડે. તેના માટે સતત દેશમાં ઝંડીઓ બતાવતા રહેવું પડે, ઉદ્ઘાટનો કરતાં રહેવું પડે, રોડ શો કરવા પડે, દિવસમાં દસ-પંદર વાર કપડાં બદલવાં પડે અને પચીસ-પચાસ એન્ગલથી ફોટા પડાવવા પડે. આટલી તનતોડ મહેનત દિવસના અઢાર-વીસ કલાક કોઈ કરતું હોય, તો તેની સામે તૂટેલા રોડ ને તૂટેલા પુલ ને ભરાયેલાં પાણી જેવા ફાલતુ મુદ્દાની ફરિયાદ કરવી એ દેશદ્રોહની હદનું નગુણાપણું નથી?
માણસોને એવા નગુણાપણા માટેનું નિમિત્ત વરસાદ પૂરું પાડે છે. એટલે વરસાદને મથાળામાં દેશદ્રોહી કહ્યો છે. હવેના સમયમાં કોઈને દેશદ્રોહી ઠરાવ્યા પછી, તે દેશદ્રોહી નથી તે સામેવાળાએ સાબીત કરવાનું રહે છે. પરંતુ વરસાદ તરફથી હજુ સુધી એવો એક પણ પુરાવો, સોગંદનામા ઉપર કે તે વિના પણ, આપવામાં આવ્યો નથી. આથી, ખાતરીપૂર્વક કહી શકાય કે વરસાદ દેશદ્રોહી છે, એટલું જ નહીં, તે પોતે પણ, જાહેરમાં નહીં તો મનોમન, એવું કબૂલતો લાગે છે. આ વાંચીને જૂના જમાનાના સંવેદનશીલ લોકોને થશે કે વરસાદ વિશે જરા વધારે પડતું આકરું લખી નાખ્યું. પણ ના, વરસાદની દયા ખાવાની બિલકુલ જરૂર નથી. કુદરતી ન્યાયની કે લોકશાહીની કે બંધારણીય મૂલ્યોની કે સાદા વિનયવિવેકની દયા ખાવી દેશદ્રોહ-સમકક્ષ હોય, ત્યાં વરસાદ વળી શું લાવ્યો?
આ સરકારમાં જે પ્રકારની મૌલિકતા ધરાવતા મંત્રીઓ અને બીજા લોકો છે, તે જોતાં હજુ સુધી કોઈએ એવો આરોપ કેમ નહીં કર્યો હોય કે ‘વરસાદ એ વિરોધ પક્ષોનું કાવતરું છે?’ ખરેખર તો, ‘પાકિસ્તાનનું કાવતરું’ એ શબ્દપ્રયોગ વધારે રોમાંચક લાગે છે, પણ હમણાંથી એ બહુ ચલણમાં નથી અને દેશમાં થતી કોઈ પણ ખરાબ બાબત માટે વિરોધ પક્ષોની જવાબદારી ગણતા અને તેમને સવાલો પૂછતા મહાતટસ્થ લોકોનો એક સમુહ ફૂલ્યોફાલ્યો છે, એટલે, વરસાદના અને તેમાં લોકોને પડતી હાલાકીના ગુનેગાર તરીકે વિપક્ષોને દોષી ગણવા-ગણાવવામાં જ ઔચિત્ય છે.
વરસાદ વિશેના આરોપો સરકાર પ્રત્યેના દ્વેષથી પ્રેરિત છે, એ સાવ સહેલાઈથી સાબીત કરી શકાય. હજુ સુધી ક્યારેય સરકારના કોઈ મંત્રી, ખાસ અધિકારી કે હોદ્દેદાર તરફથી ફરિયાદ સાંભળી કે આ વરસાદમાં આપણી માળખાકીય સુવિધાઓની ખાનાખરાબી થઈ ગઈ છે? એ લોકો પણ આ જ રસ્તા પર ફરે છે. છતાં, તેમને કોઈ ફરિયાદ નથી. તેનો અર્થ એ થયો કે તેમની દેશભક્તિ સાબૂત છે અને વરસાદ તેમને દેશદ્રોહ આચરવા માટે માટે ઉશ્કેરી શક્યો નથી. તેમણે વરસાદની, અને વિપક્ષોની ચાલબાજીને ઊંધી પાડીને સરકારના જયજયકારનો વાવટો ફરકતો રાખ્યો છે.
આટલું વાંચ્યા પછી કોઈને સવાલ થાય કે વરસાદ આવો વિલન છે, તો હજુ સુધી તેની ધરપકડ શા માટે થઈ નથી? બાકી, આ સરકાર તો ઇચ્છે તેની, ઇચ્છે તેવા નકલી પુરાવા ઊભા કરીને, ઇચછે તે આરોપસર ધરપકડ કરી શકે છે અને તેને જામીન ન મળે તેવી જ નહીં, તેની જામીનઅરજીની સુનાવણી સુદ્ધાં ન થાય તેવી વ્યવસ્થા પણ કરી શકે છે.
પછી સવાલ પૂછનારને વિચાર આવી શકે છે કે, વરસાદની ભલે ધરપકડ ન થઈ હોય, તેના જેવા બીજા દેશદ્રોહીઓની ખબર તો સરકાર અને તેનાં વાજિંત્રો ખબર લઈ જ રહ્યાં છે. આવશે, કદીક વરસાદનો પણ વારો આવશે.
Thursday, August 28, 2025
ચૂંટણી (પ્ર)પંચ
ચૂંટણી પંચના સાહેબ લોકોએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જે રીતે સવાલોના સીધા જવાબ આપવાને બદલે, વાતને ગુંચવવાની અને ગોળ ગોળ ફેરવવાની કોશિશ કરી, તે જોઈને ઘણા પ્રભાવિત થયા ને કેટલાક પ્રેરિત પણ. એ અર્થમાં તેને ‘મોટિવેશનલ’ પણ કહી શકાય. હવે નેતાઓ ને તેમના પાળીતા સાહેબલોકો જે રીતે સાદાં ધારાધોરણોની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની ધજા કરતા હોય છે, તે જોતાં હાસ્યવ્યંગના લેખકો માટે કશું કરવાનું બાકી રહેતું નથી. કેમ કે, હાસ્યવ્યંગમાં જ થઈ શકે એવી અતિશયોક્તિ એ લોકો ગંભીર મોઢે ને પૂરી ગંભીરતા સાથે તેમના વર્તન અને નિવેદનોમાં આચરે છે.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પરથી પ્રેરાઈને તેમના અંદાજમાં એક સંવાદની કલ્પના કરી જોઈએ. તેમાં ટેબલની એક તરફ ચૂંટણી પંચના મોટા સાહેબ હોય ને બીજી તરફ જિજ્ઞાસુઓના પ્રશ્નો. મુમુક્ષુઓ માટે આ કાલ્પનિક સંવાદ કૃષ્ણ-અર્જુન સંવાદ કરતાં પણ વધારે બોધપ્રદ બની શકે છે.
સવાલઃ તમારા હાથ ગંદા કેમ છે?
ચૂંટણી પંચઃ અમારા હાથ? ને ગંદા? કેવી પાયા વગરની વાત કરો છો. અમારે તો હાથ જ નથી.
પ્રઃ (ટેબલ નીચે છુપાવેલા તેમના હાથના બહાર દેખાતા થોડા હિસ્સા તરફ આંગળી ચીંધીને) તો આ શું છે?
પ્રઃ એનું શું છે એ વાત પછી. પહેલાં એ તો કહો કે તમે એને હાથ નથી કહેતા?
પ્રઃ અને મગજનું પણ એવું જ હશે ને?
પ્રઃ પણ તમારા હાથ ગંદા કેમ છે? તમારા તો એકદમ ચોખ્ખા હોવા જોઈએ.
પ્રઃ પણ અહીં બેસતાં પહેલાં અને છેલ્લા ઘણા મહિનાથી અમે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા હાથ ગંદા જ હોય છે.
પ્રઃ અત્યારે તો એટલા માટે કહ્યું કે તે અત્યારે પણ ગંદા છે.
પ્રઃ બરાબર, એમ જ છે. અમારું એમ જ કહેવાનું હતું.
કહેવાતા તટસ્થોનું કોરસઃ હાઆઆઆ, ખરી વાત છે હોં ભાઈ. ભલમનસાઈનો તો જમાનો જ નથી રહ્યો. સો ટચની વાત કહી.
પ્રઃ ભલમનસાઈની આટલી બધી ચિંતા છે તો તમારા સંતાડેલા હાથ બહાર કાઢીને ટેબલ પર મુકી દો. એટલે વાર્તા પૂરી. આપણા બન્નેમાંથી કોણ સાચું તે નક્કી થઈ જશે.
પ્રઃ એવો કોઈ કાયદો નથી, જે તમને તમારા હાથ ખુલ્લા કરતાં રોકે. એ તો તમે કાયદાની ઓથે છુપાવાની કોશિશ કરી રહ્યા છો.
કહેવાતા તટસ્થોનું કોરસઃ વાહ, ધન્ય છે તમારી સિદ્ધાંતપ્રિયતાને.
પ્રઃ તો પછી એક વાર હાથ ખુલ્લા કરીને બતાવી દેતાં આટલી બીક કેમ લાગે છે?
પ્રઃ તેમના હાથ જોઈને અમારે શું કરવું છે? અમારા માટે તો આપણા દેશનું ભવિષ્ય મહત્ત્વનું છે અને તેનો એક આધાર તમારા હાથમાં છે, જે તમે બતાવવા તૈયાર નથી.
પ્રઃ પછી?
પ્રઃ પછી?
પ્રઃ આગળ કાર્યવાહી એટલે?
પ્રઃ પછી?
Tuesday, August 12, 2025
અલવિદા, તુષારભાઈ
| મુંબઈમાં અશ્વિનીભાઈ-નીતિભાભી સાથે ડો. તુષારભાઈ અને તેમની દીકરી, 2012 |
![]() |
| 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદ 'ગાંધી પછીનું ભારત'ના પ્રકાશન સમારંભમાં, રામ ગુહાની પાછળ ત્રીજી લાઇનમાં તુષારભાઈ, 2025 |
આજે ડો. તુષાર શાહની વિદાયના સમાચાર મળ્યા. કેટલાક સ્નેહીઓ એવા હોય છે, જેમને મળવાનું ઓછું થયું હોય, પણ જ્યારે મળીએ ત્યારે તેમનો ઉમળકો સ્પર્શ્યા વિના ન રહે. તુષારભાઈ એવા એક જણ હતા.
તેમની જાહેર ઓળખ કાર્ડિયોલોજિસ્ટ તરીકેની, પણ મારા જેવા કેટલાક લોકો માટે તેમની મુખ્ય ઓળખ અશ્વિનીભાઈ (અશ્વિની ભટ્ટ)ના પ્રેમી તરીકેની થઈ. અશ્વિનીભાઈ બહુ મઝાથી અને તેમના અંદાજમાં કહેતા કે તેમને બાય પાસ કરાવવાની હતી અને હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું, તેની આગલી સાંજે તેમના બંગલાની ડોરબેલ વાગી. તેમણે જઈને બારણું ખોલ્યું તો કોઈ અજાણ્યા સજ્જન, ઝભ્ભા-લેંઘામાં સજ્જ, બારણે ઊભા હતા. પહેલી નજરે પ્રભાવશાળી ન લાગે. અશ્વિનીભાઈને થયુંં કે હશે કોઈ વાચક. ભાઈએ ઓળખાણ પણ એવી જ આપી કે સાહેબ, તમારો વાચક છું. પછી ધીમે રહીને કહ્યું કે મારું નામ ડો. તુષાર શાહ. ત્યારે ગુરુને થયું, ઓહો, કાલે આપણે જેને ત્યાં જવાનું છે, તે જ આજે આપણે ત્યાં.
પછી તો બંને વચ્ચેનો સ્નેહસંબંધ બહુ ખીલ્યો. તુષારભાઈ અશ્વિનીભાઈની અત્યંત કાળજી રાખતા હતા. અશ્વિનીભાઈ થકી મારે પણ તુષારભાઈ સાથે ક્યારેક ફોન પર વાતચીત ને ક્યારેક રૂબરુ મુલાકાતનો સંબંધ થયો. તુષારભાઈ મૃદુભાષી, એક-બે વાક્યો બોલીને હસે. ઘણી વાર શબ્દોને બદલે હાસ્યથી પણ કામ ચલાવે. તેમની હાજરી વરતાવા ન દે.
અશ્વિનીભાઈ છેલ્લી વાર અમદાવાદ-ભારત આવ્યા અને અવિનાશભાઈ પારેખ દ્વારા આયોજિત 'જો આ હોય મારું છેલ્લું પ્રવચન' માટે મુંબઈ જવાનું થયું, ત્યારે તબિયતની બહુ ગરબડ હતી. તે મુંબઈ જઈ શકશે કે નહીં, એવી શંકા હતી. પરંતુ અશ્વિનીભાઈ એમ હાર માને નહીં. છેવટે, અશ્વિનીભાઈ-નીતિભાભીની સાથે ડો.તુષારભાઈ પણ મુંબઈ ગયા. કાર્યક્રમ સુખરૂપ પાર પડ્યો અને તેના શીર્ષકને કમનસીબ રીતે સાચું ઠેરવતો હોય તેેમ, અશ્વિનીભાઈનું તે છેલ્લું પ્રવચન જ બની રહ્યો.
અશ્વિનીભાઈની સ્મૃતિમાં જે પુસ્તક કરવાનું છે (જેનો મોટા ભાગનો હિસ્સો તૈયાર છે. તેમના પુત્ર નીલ પાસેથી કેટલીક સામગ્રી આવે તેની રાહ છે.) તેમાં પણ તુષારભાઈએ હાથેથી કાગળ પર લખીને આપ્યું હતું. તે વાંચીને મેં કહ્યું હતું કે આ તો બહુ ટૂંકું છે. તમારી પાસે નિરાંતે વાત કરવી પડશે.
પણ એવી નિરાંત કદી આવી નહીં. તેમની સાથેની છેલ્લી મુલાકાત અમારા 'ગાંધી પછીનું ભારત'ના પ્રાગટ્ય-સમારંભમાં થઈ. તે સજોડે આવ્યા હતા, બહુ પ્રેમથી મળ્યા અને શાંતિથી મળવાનું બાકી રહ્યાના અહેસાસ સાથે છૂટા પડ્યા. અગાઉ કેન્સર સાથે ભારે આત્મબળથી ઝઝૂમી ચૂકેલા તુષારભાઈના ઓચિંતા, એકાદ દિવસની ટૂંકી માંદગી પછી અણધાર્યા, અવસાનના સમાચાર નીલ પાસેથી જાણીને આંચકો લાગ્યો અને અત્યાર લગી મનમાં ઝીલાયેલી તેમની અનેક છબીઓ સહેજ ભીનાશમાં તરવરી રહી.







